બીરબલ અને બાદશાહ/ચાર ગુણવાળી સ્ત્રી

વિકિસ્રોતમાંથી
←  બગડી એ કેમ સુધરે ? બીરબલ અને બાદશાહ
ચાર ગુણવાળી સ્ત્રી
પી. પી. કુન્તનપુરી
રાઘુ તો મહા તપશ્વિ છે ! →


વારતા છપનમી.
-૦:૦-
ચાર ગુણવાળી સ્ત્રી.
-૦:૦-

અબળા નહીં પણ છે પ્રબળા, એ વસ સબળાને કરતી;

ચરીત્ર ફોજ ચહુ દીસ ફેલાવી, તનમન ધન ગુણ હરતી.

એક વખતે શાહે બીરબલને કહ્યું કે, 'બીરબલ ! મારી સન્મુખ એવી જાતની ચાર સ્ત્રીઓ લાવો કે જેમાં એક બેશરમી, બીજી બીકણ, ત્રીજી શરમાળ અને ચોથી નીડર.' બીરબલે એક દીવસે એક સ્ત્રીને લાવી શાહ સમીપ ઉભી રાખી શાહને કહ્યું કે, 'આપની ચાર સ્ત્રીઓ તપાસી લો.' શાહે અજાયબીની સાથે કહ્યું કે, 'ચાર ક્યાં છે? આતો એક સ્ત્રીજ છે ? બાકીની ત્રણ ક્યાં છે ?' બીરબલે કહ્યું કે, 'એ સ્ત્રીના અંગમાંજ ચારે સ્ત્રીના ગુણ સમાયલા છે, જ્યારે સ્ત્રી વીવાહમાં ફટાણા ગાય છે, ત્યારે પાસે બેઠેલા ભાઇ બાપની પણ તે શરમ રાખતી નથી માટે બેશરમ છે. અંધારી ઓરડીમાં જવા માટે ધણીએ આજ્ઞા કરી હોય તો કહેશે કે 'બાપરે ! હુંતો બીહું છું. માટે બીકણ છે. જ્યારે સાસરે જાય છે ત્યારે મંદ સ્વરે બોલવું, તેથી શરમાળ છે. અને પુરૂષ સાથે હળેલી હોય છે ત્યારે કાળી રાતે ભુત પ્રેત કે વાઘ ચોરથી પણ ન બીતા નીશંક્પણે પોતાના ધારેલી ધારણા પાર પાડે છે માટે નીડર છે. તેથી મેં ચારે ગુણવાળી સ્ત્રીને લાવી આપ આગળ હાજર કરી છે.' તે સાંભળી શાહ ઘણો ખુશી થયો અને બીરબલને શાબાશી આપી.


-૦-