બીરબલ અને બાદશાહ/બગડેલી બાજી સુધારી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ચંદ્રાકાંતા અને બીલબલની ભેટ બીરબલ અને બાદશાહ
બગડેલી બાજી સુધારી
પી. પી. કુન્તનપુરી
વનો વેરિને વશ કરે છે →


વારતા ચોવીસમી.
-૦:૦-
બગડેલી બાજી સુધારી.
-૦:૦-

બળ બુદ્ધીનું જો પ્રબળ તો, બળ અકલ નર તે દાખવી.

સર્વસ્વ તે જગ વશ કરી, મહીમા બતાવે નવ નવી.

એક દીવસે એક ફકીર બાદશાહની સમીપ આવી આશીર્વાદ આપી કહ્યું કે, 'અહો, ખલકે ખાવીંદ ! મકાસરીફની પ્રસાદીરૂપ 'સબજા' મકેથી લઇ આપને આપવા, આ મુશકીન ફકીર હંઇ સુધી આવીઓ છું. માટે તે પ્રસાદીરૂપ 'સબજા' સ્વીકારો.' એટલામાં એક બામણ આવીને બાદશાહના હાથમાં વીભુતી અને ચોખા આપીને કહ્યું કે, 'અહો, અધીશા ? સકળ જગતમાં આપનો જયજયકાર થાઓ. હું એક રંકમાંનો રંક બ્રાહ્મણ છું, અને આપના ખુબીવંતા દીલના દર્શન કરવાની અભીલાષાથી આપની ભેટ લેવા આવીઓ છું. અમારા ધર્મ શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે રાજા, ગુરૂ, જોષી, દેવી અને વિદ્વાનની ભેટ લેવા જતાં ખાલી હાથે જવું નહી, પણ કાંઈ ફળ કીંવા માંગલીક વસ્તુ લઈ જઇને તે અર્પણ કરવી. મારી પાસે બીજું કશું ન હોવાથી આ માંગલીક વીભુતી અને ચોખા આપને આપી મનેચ્છા સફળ કરૂં છું.'

બાદશાહે અમીર મીરજાખાંના હાથમાં આપીને કહ્યું કે, 'આ બ્રાહ્મણે મને શેની ભેટ આપી છે? મીરજાખાંએ તે જોઇને કહ્યું કે, 'જહાંપનાહ ? આતો રાખ અને ચાવલ છે. આ ઉપરથી આપનું બુરૂં કરવા ઇચ્છતો હોય એમ જણાય છે ?' મોટાને કાન હોય છે પણ સાન હોતી નથી. એ મુજબ રાજાએ મીરજાખાનનું સાંભળી લઇને એકદમ કોપાયમાન બની તે બ્રાહ્મણને ધક્કા મારી બહાર કાઢવાનો હુકમ કીધો. બાદશાહનો હુકમ થતાજ અફીણી ગંજરીઓએ તે બીચારાને ધકા મારી દરબારમાંથી હાંકી કાઢ્યો. મુળ તે મીયાં ભાઇ બ્રાહ્મણ પર મીઠું વાટનાર, અને ભાવતું વઇદે ચીંધ્યું પછી શું જોઇએ?

ફકીરની આપેલી સબજા જોઈ શાહ ઘણો જ ખુશી થયો, અને તે બદલ તેને એક હજાર રૂપીઆ ઇનામ આપી વીદાય કીધો.નીરાસ થઇ બ્રાહ્મણ જેવો દરબારમાંથી બહાર નીકળ્યો તેવોજ બીરબલ તેને મળ્યો. બ્રાહ્મણનો ઉતરી ગયેલો ચહેરો જોઈ બીરબલે તેને પુછ્યું કે, 'ભાઇ ! કેમ ઉદાસ છો ! તમોને શું દુખ છે. તે જો કહેવામાં કશી અડચણ ન હોય તો સુખેથી મને જણાવો.' બળી ગયેલા માણસને ચુનાનું પાણી અને તેલનો લેપ થવા સરખાં બીરબલના જળ રૂપી શીતળ વાક્યો સાંભળી તે બ્રાહ્મણના મનમાં શાંતી વ્યાપી અને કચેરીમાં બનેલી હકીકત કહી સંભળાવી.

તે સાંભળી બીરબલે કહ્યું કે, 'મહારાજ ? તમો અહીંઆ થોડી વાર ઉભા રહો, હું કચેરીમાં જઉં છું, અને તેનીજ પાસેથી તમને ઇનામ અપાવું છું. આમ કહી બીરબલ દરબારમાં દાખલ થઈ બાદશાહને સલામ કરી કહ્યું કે, 'આપની ગાદી અચળ રહેવા એક બ્રાહ્મણ શ્રી મહાકાળીના અનુષ્ટાનની પુર્ણાહુતી થયે હોમજનીત વીભુતી આપને પ્રસાદી રૂપ આપવાને આવેલો હતો, પરંતુ આપે તેનું સન્માન ન કરતાં અપમાન કરી કહાડી મુક્યો એ ઠીક કીધું નહીં. આથી આપની અપકીરતી થશે અને ભેદ બુદ્ધી લોકોમાં ફેલાશે જે પ્રસાદી વડે આપનું તમામ જાય એવો આશીરવાદ આપનારને, અર્થાત આશીરવાદનો અર્થજ સ્પષ્ટ જણાય છે કે, 'સબજા' એટલે બધું જાઓ, તેને ઇનામ આપી એ કેટલી બધી વિચીત્ર વારતા ? તેનો આપજ વીચાર કરી જુઓ.'

બીરબલનું આવું બોલવું સાંભળી બાદશાહે કહ્યું કે. મારૂં રાજ ખાક થઇ જાય એવા હેતુથી રાખ ને ચોખા આપવાથી તે બ્રાહ્મણને હાંકી કાઢ્યો અને ફકીરે જે પ્રીય ચીજ સબજા આપી માટે બક્ષીસ આપી.'

બીરબલે કહ્યું કે, 'નેક નામવર ! એ બંનેના આશીરવાદના ભાવાર્થ બરોબર રીતે આપને સમજાવવામાં આવ્યો નથી. એનો અર્થ એવો થાય કે સબ એટલે તમામ અને જા એટલે રવાના થા. ફકીરના આવી પ્રકારના આશીરવાદનું નીવારણ કરવા માટે તે બ્રાહ્મણે તમને રાખ આપીને કહ્યું કે, 'ઇશ્વર તમારી સઘળી વસ્તુ કાયમ રાખે.' જેણે બદદુવા આપી તેને ઇનામ ! અને સારો આશીરવાદ આપનારને અપમાન ? એ કેવો અઘટીત ન્યાય !'

બાદશાહે તરત પોતાની ભુલ કબુલ કરી બીરબલને કહ્યું કે, 'બીરબલ જે થનાર હતું તે થયું પણ તે બ્રાહ્મણને શોધી કાઢી તેને બે હજાર રુપીઆનું ઈનામ આપી તેની સારી દુવા વધાવી લો. તે સાંભળી બીરબલે કહ્યું કે, 'સરકાર ! તે પવીત્ર બ્રાહ્મણ આપણાં દરબારગઢની બહાર બેઠો છે. માટે સીપાઇ મોકલી બોલાવી આપના હુકમને અમલમાં મુકું છું.' એમ કહી બધાની સમક્ષ તે બ્રાહ્મણને બોલાવીને અદેખાઓની આંખમાં ધુળ છાંટીને, તે બ્રાહ્મણને બે હજાર રૂપીઆ આપી સંતોષી વીદાય કીધો.

સાર - બગડેલી બાજી કેમ સુધારવી ? અદેખાઓની આંખ કેમ આંજવી ? મોટા લોકોનાં મન કેમ રીઝવવાં ! મોટો અધીકાર મળ્યા છતાં જાતી અભીમાન કેમ રાખવું ? અને પારકાનું ભલું ? એનો દાખલો આ વારતા પરથી લેવો.


-૦-