બીરબલ અને બાદશાહ/બહુ તરનારો પાણીમાંજ ડુબે

વિકિસ્રોતમાંથી
← વાણી વીનોદ-૩ બીરબલ અને બાદશાહ
બહુ તરનારો પાણીમાંજ ડુબે
પી. પી. કુન્તનપુરી
બે ભેદ ભરેલા મુસાફરો →


વારતા ચોરાણુમી
-૦:૦-
બહુ તરનારો પાણીમાંજ ડુબે
-૦:૦-
સહુ સહુના રૂઃખને રડે, પર દુઃખે ન રડે કોય

એક સમે શાહ રાતે નગર ચરચા જોવા નીકળ્યો હતો. ફરતો ફરતો તે જમુનાના કીનારા પર આવ્યો, એટલામાં તેણે ત્રણ સ્ત્રીઓને રડતી દીઠી. આ ત્રણે સ્ત્રીઓનું રુદન સાંભળી શાહ તેની પાસે જઈ તેણીઓને પુછ્યું કે, ' તમે શા માટે રડો છો ? તે જો કહેવામાં કશી હરકત ન હોયતો મને કહો.' આવી વખતે આહીં આવીને આમ કોણ બોલે છે તે સાંભળીને તે સ્ત્રીઓએ તરત જ પોતાની આંખ ઉઘાડીને જોયું તો, કોઈ દેવાંશી નરને ઊભેલો દીઠો. આ દેવાંશી નરને જોતાંત બે હાથ જોડી, શીશ નમાવી પહેલી સ્ત્રી બોલી કે, મારો સ્વામી આ જમુના નદીના પેલીપાર ખેતીનું કામ કને છે તેથી તે દર રોજ તરીને પેલેપાર જાય છે અને આવે છે, પણ તે કોઈક દીવસે તરનારો પાણીમાં ડુબી મરે. તેથી હું રડું છું.' બીજીને રડવાનું કારણ પુછતાં તેના ઉત્તરમાં બીજી સ્ત્રીએ કહ્યું કે, 'મારો પતી રોજ ચોરી કરવા જાય છે, જેથી તે કોઈક દીવસે કરોળીઆની પેઠે પોતાની જાળમાં ફસાઈ મરશે તેથી હું રડું છું.' ત્રીજીને પુછતાં ત્રીજીએ કહ્યું કે, 'ન્હાના પતીને લીધે એળે જતાં યોવનને માટે રડું છું.' આ પ્રમાણે ત્રણેનું રડવાનું કારણ સાંભળી શાહ પોતાના મહેલમાં ગયો અને ગંગ કવીની રાહ જોતો બેઠો. એટલામાં ગંગ કવી આવ્યો- તે જોઈને શાહે ગંગ કવીને કહ્યું કે, 'રાતે સ્ત્રીઓ શા માટૅ રોતી હતી?'

આ પ્રમાણેનો શાહનો સવાલ સાંભળી ગંગ કવીએ કહ્યું કે:-

નદી પાર ખેતી કરે, અરૂ પરઘર ચોરી જાય;
બાલે કંથકી કામની, (યહ) તીનુ બુરી બલાય.


માટે રોતી હતી.' આ પ્રમાણે ગંગ કવીનો ઉત્તર સાંભળી શાહ ઘણોજ ખુશી થયો અને અમુલ્ય શીરપાવ આપી ગર્વાનંદી બન્યો.


-૦-