બીરબલ વિનોદ/આકાશને માર્ગે

વિકિસ્રોતમાંથી
← છતી આંખે અંધ, પેઢીનું નાક, હાથનું મણી, બજારની ખાટ ને નરકની વાટ બીરબલ વિનોદ
આકાશને માર્ગે
બદ્રનિઝામી–રાહતી
પાંચ પ્રશ્નો →


વાર્તા ૧૫૭.
આકાશને માર્ગે.

બાદશાહી ગવૈયા લાડ અને કપુર ઉપર બાદશાહનો સારો પ્રેમ હતો. સૌ ગવૈયાઓ કરતાં તેમને બાદશાહ વારંવાર સારું ઈનામ આપતો. એક દિવસે તેમનાથી બાદશાહનો અપરાધ થઈ ગયો. બાદશાહે તેમને પૂછ્યું “તમે આ અપરાધ કેમ કર્યો ?”

 લાડ અને પુરના મનમાં એમ હતું કે ‘આપણે બાદશાહના અત્યંત માનીતા છીએ એટલે બાદશાહ આપણને કાંઈ પણ શિક્ષા નહીં કરે, એટલે તેઓ થયેલા અપરાધની ક્ષમા યાચવાને બદલે હસવા લાગ્યા. જો તેમણે ક્ષમા માગી હોત તો કદાચ બાદશાહ તેમને માફી આપી દેતા પણ આતો ઉલ્ટા સ્હામે હસ્યા. એથી બાદશાહે પોતાનું ઘોર અપમાન માની લઈ, પોતાના રાજ્યમાંથી તે બન્નેને એકદમ ચાલ્યા જવાની આજ્ઞા કરી.

બાદશાહને ક્રોધ ચઢ્યો છે જાણી તેઓ ગુપચુપ ત્યાંથી ચાલતા થયા, પણ દિલ્હી મૂકીને બીજે ક્યાંય જવાનું ન ગમ્યું એટલે આખો દિવસ જંગલમાં ગુઝારતા અને રાત્રે શહેરમાં આવતા. આવી રીતે છએક મહીના ગાળ્યા, ૫ણ એવું ક્યાં સુધી નભી શકશે ? એવો વિચાર થતાં તેમણે બીરબલની સ્હાય લેવાનું ઉચિત્ ધાર્યું. એક દિવસ રાત્રે બીરબલ પાસે જઈ આજીઝી કરી કોઈ રસ્તો શેાધી આપવા કહ્યું. બીરબલે દયા લાવી એક યુક્તિ બતાવી એટલે બીચારા ખુશખુશ થતા વિદાય થયા. એ દિવસ તેઓ બીરબલની સૂચના મુજબ દિવસે બહાર ફરવા નીકળ્યા હતા એવામાં બાદશાહે તેમને ઓળખતાં જ પોતાનો ઘોડો તેમની તરફ દોડાવ્યો. બાદશાહને પોતાની તરફ આવતો જોઈ બંને એક વૃક્ષ પર ચઢી ગયા. બાદશાહે તેમને વૃક્ષ ઉપર ચઢતાં જોઈ લીધા હતા એટલે વૃક્ષની નીચે ઘોડો થોભાવી ઉપર નઝર કરી કહ્યું “મ્હેં તમને મ્હારા રાજ્યમાંથી ચાલ્યા જવાની આજ્ઞા કરી હતી, છતાં તમે કેમ ગયા નથી ?”

કપુરે હાથ જોડી કહ્યું “નામદાર ! અમે તો આપની આજ્ઞાનું પાલન બરાબર રીતે કર્યું અને દેશેદેશ ફર્યા. પરંતુ જ્યાં ગયા ત્યાં આપનું જ રાજ્ય જણાયું, એટલે ક્યાં જઈ રહેવું એનો વિચાર કરતા કરતા પાછા દિલ્હીમાં આવ્યા, પણ બીજે ક્યાંય રહેવાનું સ્થળ ન જણાયું એટલે છેવટે આ વૃક્ષને રસ્તે આકાશ તરફ જવાનું ઉચિત્‌ ગણી પહેલી મુસાફરી આરંભી છે.”

આ ઉત્તર સાંભળીને બાદશાહ હસ્યો અને તેમને નીચે ઉતરવાની આજ્ઞા કરી. બાદશાહના હુકમ પ્રમાણે તેઓ તરતજ નીચે ઉતરી પોતાના અપરાધની ક્ષમા યાચવા લાગ્યા. બાદશાહે પણ તેમની હાઝર જવાબીથી ખુશ થઈ તેમને માફી આપી.