ભદ્રંભદ્ર/ઉપોદ્‌ઘાત

વિકિસ્રોતમાંથી
← ગ્રન્થકર્તાની પ્રસ્તાવના ભદ્રંભદ્ર
ઉપોદ્‌ઘાત
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
૧. નામધારણ →


ઉપોદ્‌ઘાત

આપણા હાસ્યરસના સાહિત્યના ઇતિહાસમાં રમણભાઈનું સ્થાન બહુ ઊંચું છે. એમણે હાસ્યરસનું સર્જન કર્યું છે, એની તલસ્પર્શી મીમાંસા કરી છે. એટલું જ નહિ પણ એને પૂર્વના દીન અને ગૌણ સ્થાનેથી ઊંચે આણી એના ગૌરવની પણ સ્થાપના કરી છે.

એમની પૂર્વેના લેખકોએ હાસ્યને બહુ ગૌણ સ્થાન આપ્યું હતું. આપણા પ્રાચીન કાળના સાહિત્યમાં પ્રેમાનંદ અને અખાને બાદ કરતાં બીજા કવિઓનું એના તરફ ધ્યાન ગયું નથી. અંગ્રેજી સાહિત્યનો સંપર્ક થયા પછીના અર્વાચીન યુગના આરંભકાળમાં પણ નવલરામ ને દલપતરામનાં નામ અપવાદ તરીકે જણાય છે તેમાંયે નવલરામે એક નાટક, એકાદ કાવ્ય ને એકબે નિબંધો હાસ્યના લખી ઇતિકર્તવ્યતા માની છે.

પ્રાચીન કાળના ભક્તિયુગમાં મંજીરા ને કરતાલના ઘોષમાં હાસ્યનો રણકો ઊઠી શક્યો નહિ. અર્વાચીન કાળના પ્રારંભના સમયમાં સંસારસુધારાના પ્રચંડ ઝંડા નીચે હાસ્યની દુર્બલ મૂર્તિ દબાઈ ગઈ, તે જ પ્રમાણે તે પછીના પંડિતોના યુગમાં પાંડિત્યના પ્રખર તાપમાં હાસ્યની વેલ વિકસી શકી નહિ. એ યુગમાં હાસ્યરસની શોધ કરનારને अत्र लुप्ता सरस्वती અહીં હાસ્યની સરસ્વતી સુકાઈ ગઈ એમ કહેવા વારો આવે એવી સ્થિતિ ઊભી થઈ. પરંતુ ભગીરથે જેમ તપશ્ચર્યા કરી ભગવાન શંકરની સહાય વડે જગજ્જનનાં પાપ ધોવા માટે ગંગાને અવનીમાં ઉતારી, તેમ રમણભાઈએ શંકરના પરમભક્ત મહાનુભાવ ભદ્રંભદ્રનું અવલંબન લઈને સમાજનાં દુરિતોનું પ્રક્ષાલન કરવાને અર્થે વિલુપ્તપ્રાય થઈ ગયેલી આપણી હાસ્યગંગાને ફરી ગુજરાતીમાં વહેતી કરી.

શૃંગાર, વીર, કરુણ આદિનાં સ્વતંત્ર મંદિરો રમણભાઈની પૂર્વેના લેખકો રચતા ને તેમાં કોઈક વાર એકાદ ખૂણામાં હાસ્યને પણ સ્થાન આપવાની કૃપા કરતા. હાસ્યને અન્ય મુખ્ય ભાવના સહચારી ભાવ તરીકે આવીને તેનું હાસ્ય કરવાની પરવાનગી હતી, પણ મુખ્ય ભાવ તરીકે એને સ્થાન ભાગ્યે જ મળતું. રમણભાઈએ ઉપેક્ષા પામેલા એ હાસ્યનું સ્વતંત્ર મંદિર રચ્યું અને એ મંદિરના પ્રવેશદ્વાર પર આલેખ્યું, ‘હાસ્યનું પણ મંદિર હોય છે, બીજાં મંદિર પેઠે એ મંદિરમાં પણ ભક્તિના, આનંદના, ઉત્સાહના, અભ્યાસના પ્રસંગ હોય છે. એ મંદિરમાં પણ એકાન્ત મનન કરવાના, આત્મપરીક્ષા કરવાના, તેમ જ બીજા ભક્તોના સંગમાં તેમના સરખી લાગણી અનુભવવાના અવસર મળે છે. વિશુદ્ધિના ને ઉત્કર્ષના પ્રયાસ પણ એ મંદિરમાં થઈ શકે છે.’

રમણભાઈએ હાસ્યના મંદિરની રચના કરી છે તેના પર કલશસ્થાને શોભે. છે, ‘ભદ્રંભદ્ર’, ‘હાસ્યમંદિર’ કરતાં પણ ‘ભદ્રંભદ્ર' પરથી રમણભાઈની હાસ્ય નિષ્પન્ન કરવાની અપૂર્વ શક્તિનો ખરો ખ્યાલ આવે છે. 'ડોન ક્વિકઝોટ' કે 'પિક્વિક પેપર્સ' વાંચીને એમને 'ભદ્રંભદ્ર’ની કલ્પના કદાચ આવી હશે, પણ એ એને સ્વતંત્ર રચના. છે. આપણા સાહિત્યમાં એ પહેલી જ સળંગ હાસ્યકથા છે. એ પછી બીજી હાસ્યરસની લાંબી વાતો પ્રસિદ્ધ થઈ છે, પરંતુ ભદ્રંભદ્રને પદભ્રસ્ષ્ટ કરે એવો. મહાનુભાવ હાસ્યસૃષ્ટિમાં હજી જનમવાનો બાકી જ છે. 'ભદ્રંભદ્ર’નો રસ, એને લખાયાને અર્ધી સદી વીતી ગઈ છતાં હજી તાજો જ છે. શ્રી વિજયરાયે લખ્યું છે કે એ (સર્જક) પ્રતિભાનો સૌથી સ્ફુટ અને તેજસ્વી આવિભવ સ્વતંત્રપણે થયો હોય તો એ અવનવી ઉપહાસ કથામાં જ, એમાંના બે-ત્રણ દોષો છતાં પણ, એ એક વાર સ્વીકારીને બાજુએ મૂક્યા એટલે કહેવું જોઈએ કે યુવાન રમણભાઈની એ કૃતિનું યૌવન આ પાંચેક દસકામાં કરમાયું નથી અને સહેજે કરમાશે નહિ.’ આજે પચાસ વર્ષ પછી પણ એની નવી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનો અવસર આવે છે તે એમના ઉપલા કથનનું સમર્થન કરે છે.

હાસ્ય નિર્માણ કરવાની બધી જ યુક્તિઓ આમાં રમણભાઈએ અજમાવી છે. કથાના નાયક જેવો આ કૃતિનો હાસ્યરસ ચૂળ છે, છતાં એમના તીવ્ર ને સચોટ કટાક્ષોમાં સૂક્ષ્મતા પણ જણાઈ આવે છે. ‘ભદ્રંભદ્ર'નો હાસ્યરસ જેટલો પ્રસંગનિષ્ઠ છે ને જેટલો વ્યક્તિનિષ્ઠ છે તેટલો જ શબ્દનિષ્ઠ પણ છે.

જુદી જુદી બોલીઓનાં અનુકરણ કરી ભુપહાસકો જેમ હાસ્યના પ્રયોગો કરે છે, તેમ રમણભાઈએ આમાં જાતજાતની બોલીઓના પ્રયોગો કરી હાસ્યનું નિર્માણ કર્યું છે. ભદ્રંભદ્ર 'શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા' માગે છે. ત્યારે પારસી ટિકિટ માસ્તર એ શું કહે છે તે ન સમજાયાથી જવાબ દે છે : ‘સુ બકેચ ? આય તો તિકિત ઑફિસ છે.’ ભદ્રંભદ્ર જણાવે છે, ‘યવન ! તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.’ ટિકિટ ઑફિસમાં એક હિંદુ હતો. તેણે કહ્યું : ‘સોરાબજી, એને ગ્રાંટ રોડની બે ટિકિટ આપો.’ ત્યારે સોરાબજી ટિકિટ આપતાં કહે છે, ‘સાલો કંઈ મેદ થયલોચ. હું તો સમજતો જ નથી કે એ શું બકેચ.’ આમ એક તરફથી સંસ્કૃતમય ગુજરાતી તો બીજી તરફ પારસી ગુજરાતી એમ બંનેને સામસામે મૂકીને ભાષાની વિસંગતિ દ્વારા રમણભાઈએ હાસ્ય ઉત્પન્ન કર્યું છે એટલું જ નહિ, પણ રૂઢ થઈ ગયેલા ફારસી, અંગ્રેજી તેમ જ તદ્ભાવ શબ્દોનો ત્યાગ કરી તત્સમ સંસ્કૃત શબ્દો જ વાપરવાનો આગ્રહ કરી ભાષાને ‘સુધારવા’ મથનારાઓને તેમ જ શુદ્ધ ગુજરાતીને સ્થાને બોલીનો આશ્રય લઈ ભાષાને બગાડનારાઓ એ બંને ઉપર કટાક્ષ પણ કર્યો છે. માત્ર સંસ્કૃત શબ્દનો જ નહિ પણ સંસ્કૃત વ્યાકરણરચનાનો પણ સ્વીકાર આપણી ભાષામાં થવો જોઈએ. તળપદા બની ગયેલા પરભાષાના શબ્દોને સ્થાને સંસ્કૃત પરથી નવા શબ્દો બનાવીને વાપરવા જોઈએ એવો આગ્રહ રાખનાર પણ એ કાળે કેટલાક હતા. એમના પ્રતિનિધિ તરીકે રમણભાઈએ પ્રસન્નમનશંકરને આમાં રજૂ કર્યા છે. ભદ્રંભદ્રનો પોતાને ત્યાં સત્કાર કરતાં એ કહે છે, ‘મેં આપના આતિથ્યકારને ગૃહે શિવશંકર દ્વારા આપનું અન્વેષણ કરાવ્યું હતું, આપ સારું મેં અભયાકૃષ્ટચતુશ્ચક્ર ગવાક્ષસપાટાછાદનસમેત રથ પ્રેષિત કર્યો હતો, પણ આપ સંમિલિત થયા નહિ. આપનું ચરિત્ર શ્રવણ કરી હું આનન્દાશ્ચર્ય પ્રાપિત છું.”

શબ્દની ઝડઝમક ને વણાંલંકારના મોહમાં કૃત્રિમ શબ્દરચનામાં રાચતા લેખકોની શૈલીની વિડંબના ચંપકલાલ ચટ્ટુનું પાત્ર સર્જાવીને એમણે કરી છે. ‘વિધવાઓના વાળના વધારાનો વધ’ એ નામના એમના પુસ્તકમાંથી ઉતારો આપ્યો છે તેમાંનાં એકાદબે વાક્યો જોઈએ, ‘પશુપક્ષીઓ અને જળચરો, વનચરો અને વનસ્પતિઓ ક્ષૌરકમ બિલકુલ કરાવતાં નથી. મેઘવાડિયા મહિનામાં એક વાર ક્ષૌરકર્મનો ક્રમ લે છે. કણબી, સુતાર પખવાડિયે એક વારની ધારાનો આધાર સારો ગણે છે, મધ્યમ વર્ગના જનો અઠવાડિયે એક વાર શિર ઉપર ચક્ષુના મશહૂર નૂરની ધુર પ્રગટાવવાની જરૂર જુએ છે, ઉત્તમ પંક્તિના મનુષ્યો અઠવાડિયામાં બેત્રણ વખત સખત શ્રમ લઈ તખતથી પણ ઊતરી એ અખતરો અનુભવે છે, એ ઉત્તરોત્તર ક્રમ શું દર્શાવે છે? એ જ કે જેમ મનુષ્ય ઉત્તમ તેમ તેમ કે વપન વિશેષ.’ આગળ એક સ્થળે શ્રી ચંપકલાલ વદે છે. ‘સ્ત્રીઓ પુરુષોની સમાન છે એ ગુમાનભર્યા પણ માનની કમાન વિનાના વિચારની તમા ન રાખવી ઘટે છે.’ આ લેખકે બીજાં પાંચ સાત ‘દળદાર’ પુસ્તકો પણ લખ્યાં છે. તેમનાં નામ પણ એવાં જ રાખ્યાં છે. ‘પૂજાતા પંડિતોના પવનનું પોલાણ’, ‘સુધારાના ધરામાં ધરાતી ધરપત’, ‘ચારુતાથી ચણેલી ચતુરાઈની ચર્ચા.’

આપણાં વર્તમાનપત્રોમાં કેટલાક અનધિકારી ને ભાષાજ્ઞાન વિનાના, પ્રેસના કામકાજના થોડાક અનુભવે તંત્રીપદે ચઢી બેસનારાઓ કેવી ભાષા વાપરે છે તેનું ચિત્ર એમણે માધવબાગની સભામાં ભાષણ કરવા ઊભા થયેલા એક વક્તા દ્વારા આલેખ્યું છે. એ મહાશય સભાને સંબોધતાં કહે છે : “ગૃહસ્થો ! આવા સારા ને વખાણવા લાયક કામને મદદનીશ થવા એકઠા થયેલા તમો સહુની સામે મને ઊભેલો જોઈ હું પોતાને નસીબવાન ગણી અભિનંદન આપ્યા વિના મદદ કરી શકતો નથી. હું ન્યૂસપેપરનો અધિપતિ છું. તે હોદ્દાના રાખનાર તરીકે મેં ઘણી વાર સુધારાની હિલચાલ પર ટીકા કરેલી છે. સુધારાની અગત્યતા સાબિત થયેલી બીના નથી. આપણામાં લડવાનું ઐક્યત્વતાપણું હોય... આપણામાં લોકપ્રિયતા એકઠી કરવાની ખપતી હિકમત હોય, તો પછી ગાંભીર્ય વિચારની શી ખોટ છે ? વિદ્વાનતાની શી જરૂર છે? સુધારાની શી માગવા લાયકતા છે? આપણો અનુકમ કઈ લીટીઓ પર કરવો, તે બાબતમાં પારસીઓને તથા અંગ્રેજોને શું કામ નાક મૂકવા દેવા ? સારું ખોટું જોવાની જરૂર નથી. પણ તે પર હુમલો કરવાની જરૂર છે. એડિટરના હુન્નરથી અજાણ્યા લોકો એને ઉદ્ધતાઈ કહે છે, હું એને હિંમત કહું છું. એવી જુસ્સાવાળી હિમ્મત હોય, તો પછી રાજકીય હક્કો મેળવવામાં વિચારની વૃદ્ધિ રમતમાં લાવવાની શી જરૂર છે ? તો પછી સુધારાના અમલને કામનું ખેતર જ નથી. તે લાવવો જોઈતો છે નહિ.’ ભાષા ને બોલીનાં વૈચિત્ર્ય દ્વારા રમણભાઇએ હાસ્ય નિષ્પન્ન કર્યું છે તે ઉપરાંત અભિનવ ઉપમા ઉપેક્ષાદિ અલંકારો વડ, ક્વચિત બાણની શૈલીનું સ્મરણ કરાવે એવાં અલંકારપ્રચુર વર્ણનો વડે તેમ જ મતિને મુંઝવી નાખે એવી અવળી દલીલબાજી ભરેલાં ભાષણો વડે એમણે વૈવિધ્ય સાધ્યું છે.

‘શાહુડી સિસોળિયાં ફુલાવી નીકળે તેમ તે શાસ્ત્રવચનોથી સંબદ્ધ થઈને નીકળ્યા.' 'અપોશન જેમ દેવોની આહારશક્તિના પ્રમાણમાં બહુ થોડું છતાં તેમના, ઉદરનું પૂરણ કરે છે તેમ ડુંડાદિને લીધે બ્રાહ્મણોના શરીરનો વિસ્તાર ઘણો. છતાં, તથા તે પર મેલ એકઠો થવાનાં કારણો છતાં ખોબાપૂર પાણીથી તેમની સ્નાનક્રિયા પૂરી થાય છે.’

‘ગધેડાં સાથે મજૂરીમાં સામિલ થવાથી ઘોડાને પણ જેમ કુંભારે માન આપવું પડે છે, તેમ બીજા પાશ્વચરોની પેઠે ભદ્રંભદ્રને પણ સંયોગીરાજ પ્રતિ પૂજ્યભાવ દશવિવો પડતો હતો.’ ‘ભોજન સમયે આંધળાના હાથને જેમ નયનની સહાયતા વિના મુખ જડી આવે છે તેમ મને ભીંત પર ફંફોસતાં સૂર્યની સહાયતા વિના જોઈતો માર્ગ જડી આવ્યો.’ ‘અંધકારનો સહચારી કહેવાતો ભય અમને તો દીવા સાથે આવતો જણાયો.’ ‘મૃત્યુ પછાડી સંવત્સરી શ્રાદ્ધાદિ ક્રિયાઓ આવે તેમ તેની પછાડી બીજા લોકો ધસી આવ્યા.’ ભૂલથી પારકા ઘરમાં ઘૂસી જતાં ચોર ગણાવાનો સંભવ ઉપસ્થિત થતાં કોઠી પર ચડેલા ભદ્રંભદ્રને વાંકા વળીને બે હાથ વડે ખેંચી લેવા એ પ્રયત્ન કરે છે ત્યારે પોતાના શરીરને ઊંચી ગતિ આપવાને ભદ્રંભદ્રે પ્રયત્ન કર્યો તેથી જાણે હસવું આવ્યું હોય તેમ કોઠી વાંકી વળી, અને ભદ્રંભદ્રના પગ ફરીથી તે પર પડ્યા એટલે જાણે હસવું માતું ન હોય તેમ કોઠી આળોટી પડી, પૂર્વ કર્મ મુનિને સ્વર્ગમાંથી નીચો પાડે છે તેમ ભદ્રંભદ્ર મને કાતરિયામાંથી નીચે ઉતારી કોઠી પર પડ્યા.’ ‘તાળવા પાછળની નાની ચોટલી જાડી ને પહોળી હજામતવાળી ચામડી ઝૂલવાથી બેવડી થયેલી હડપચીને કાળી બિલાડી ધારી સંતાઈ રહેલી ઊંદરડી જેવી દેખાતી હતી.’ ... ‘વયના વધારા સાથે ફેલાવાનું કામ લંબાઈને બદલે પહોળાઈમાં પરિપૂર્ણ કરી રહેલા અને ભારવાટીઆ પરની ઢીંગલીઓ જેવા દીસતા હાથપગ, ડૂંડ આગળ પોતાની સ્થૂલતાનું અભિમાન વ્યર્થ જોઈ ચકિત બની પહોળા થઈને પડ્યા હતા.’ આવી પુસ્તકમાં સ્થળે સ્થળે આવતી અનેક ઉપમા ઉત્પ્રેક્ષાદિ અલંકારોની મૌલિકતા, અપૂર્વતા ને રસૌચિત્ય રમણભાઈના કલ્પનાવૈભવની પ્રતીતિ કરાવે છે.

રમણભાઈએ આ ગ્રંથની રચના કેવળ સાહિત્યસર્જન કરવાની ઇચ્છાથી નથી કરી. એ કાળે એક તરફ સુધારાવાળા ને બીજી બાજુએ પ્રાચીનતાના પક્ષપાતીઓ વચ્ચે ઉગ્ર વાગ્યુદ્ધ ચાલતું હતું. ‘સનાતન ધર્મના સદોદિત યશઃપૂર્ણ વિજય'ની પતાકા ફરકાવવાની ઇચ્છા રાખનારાઓને તર્ક ને દલીલથી જવાબો આપ્યા છતાં એટલેથી સંતોષ ન થતાં એ પ્રતિપક્ષીઓની દલીલમાં રહેલી હાસ્યજનકતા દર્શાવવા સારું એમણે આ પ્રયત્ન કર્યો છે. સમાજ ને જ્ઞાતિના વિચિત્ર તથા અર્થ વગરના રીતરિવાજો, અને ગમે તે ભોગે પ્રાચીન ભાવના ને રૂઢિઓનું સંરક્ષણ કરવાની વૃત્તિવાળા કટ્ટર સનાતનીઓને પોતાના કટાક્ષ માટેના લક્ષ્ય બનાવી એમણે આ ગ્રંથની રચના કરી છે.

આને લીધે આ પુસ્તકમાં કેટલાક દોષો આવી ગયા છે. જડબુદ્ધિથી પ્રાચીન મંતવ્યોને વળગી રહેનારાઓની મશ્કરી કરવામાં મજાક-મશ્કરીમાં કેટલીક વાર બને છે તેમ, સૂકા ભેગું લીલું પણ આવી ગયું છે. આપણા પ્રાચીન ધર્મના ઉદાર ને ઉન્નત સિદ્ધાંતો પ્રત્યે રમણભાઈને આદરભાવ હતો, એમ છતાં આ પુસ્તકે કેટલાકના મનમાં એવો આભાસ પણ ઉપજાવ્યો છે કે એમણે હિંદુ ધર્મની નિંદા કરવા ખાતર આ ગ્રંથ લખ્યો છે અને આથી જ આનંદશંકર સમા સમભાવી ને તટસ્થ વિવેચક પણ આની ગુણસમૃદ્ધિ જોઈ શકતા નથી, અને એને છેક ઊતરતી પંક્તિનું એમણે ગણી કાઢ્યું છે.

રમણભાઈ ‘ભદ્રંભદ્ર’ લખી એક કાંકરે બે પક્ષી મારવા માગે છે. હાસ્યરસનું સર્જન કરવા ઉપરાંત સુધારાની પ્રવૃત્તિને વેગ આપવા પણ ઇચ્છે છે, પણ એમ કરવા જતાં કેટલીક વાર એ બેમાંનું એક પક્ષી ઊડી જાય છે ને ઘણી વાર એ ઊડી જનાર તે ચકોર વિનોદપંખી હોય છે, અને આમ સાહિત્યકાર રમણભાઈ પર, સુધારક રમણભાઈ વિજય મેળવે છે.

‘ભદ્રંભદ્ર’માં જ્યાં જ્યાં જનસ્વભાવનું ચિત્ર આવે છે – અને એવાં સુરમ્ય ચિત્રો પ્રારંભના ભાગમાં અનેક સ્થળે આવે છે, ત્યાં ત્યાં ઉચ્ચ કોટિનો વિનોદ નિષ્પન્ન થાય છે પરંતુ દુર્ભાગ્યે પુસ્તકના પાછલા ભાગમાં એવાં ચિત્રો વિરલ થઈ જાય છે. જનસ્વભાવને બદલે આપણા સમાજનો અમુક વર્ગ જ ધીરે ધીરે પ્રાધાન્ય મેળવે છે અને પછી તો વ્યક્તિવિશેષો દાખલ થાય છે. આમ ધીરે ધીરે રસનું ક્ષેત્ર સંકોચ પામતું જાય છે. વ્યક્તિઓનાં મન્તવ્યો નહિ પણ ખુદ એ વ્યક્તિવિશેષો જ એમના કટાક્ષનાં લક્ષ્યબિંદુ છે. પ્રસન્નમનશંકર, કુશલવપુશંકર, ઈત્યાદિ નામો પણ એ કયી વ્યક્તિ પર પ્રહાર કરવા માગે છે તેનાં સૂચક છે. ‘ભૂતલીલા’, ‘ભૂતમંડળમાં પ્રવેશ’, ‘સંયોગીરાજ અને તંદ્રાચંદ્ર’, ‘તંદ્રાચંદ્ર અને જોશીનો મેળાપ’, ‘તંદ્રાચંદ્રનો વરઘોડો’ ‘જેલમાંથી નીકળ્યા ને ખેલમાં ગયા’ ઇત્યાદિ પ્રકરણોમાં આવતી બાળસુલભ ઠઠ્ઠામશ્કરીઓના પ્રસંગ આમાં ન આણ્યા હોત તો ખાસ હાનિ ન થાત એમ લાગે છે.

આ ઉપરાંત ભદ્રંભદ્રની તથા ખાસ કરીને પ્રસન્નમનશંકરની અતીવ સંસ્કૃતમય ભાષા શરૂઆતમાં હાસ્ય પ્રેરવા સમર્થ થાય છે, પરંતુ પાછળથી એ બુદ્ધિને કસરત કરાવી કંટાળો ઉત્પન્ન કરે છે. આ સિવાય તે વિષયના જાણકાર જ સમજી શકે, ને તે પણ ઘણા થોડા, એવી ખંડનમંડનાત્મક ચર્ચાઓ ને ભદ્રંભદ્રનાં લાંબાં ભાષણો પણ કેટલીક વાર રસમાં બાધક નીવડે છે.

આવા દોષો છતાં ‘ભદ્રંભદ્રે’ આપણા હાસ્યસાહિત્યમાં બહુ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ હાસ્યરસ નિર્માણ કરવાની ઇચ્છાવાળા અનેક લેખકોનું પ્રેરણાસ્થાન બન્યું છે. એ પ્રસિદ્ધ થયું ત્યારે એણે આપણા સુશિક્ષિત ને સાહિત્યકિ તરુણો પર એટલો બધો પ્રભાવ પાડ્યો હતો કે સામાન્ય વાતચીતમાં પણ એમાંનાં વાક્યોનો એઓ પ્રયોગ કરતા. ‘ક્યાં માધવબાગની સભામાં ચાલ્યા ?’ એવો પ્રયોગ ઘણા માણસો એક સ્થળે જતા હોય ત્યારે સામાન્ય રીતે કરવામાં આવતો. ‘પણ લોકો. અઘરણીની નાતો નથી કરતા તેનું કેમ ?’ કોઈક અપ્રસ્તુત વાત કરે ત્યારે આ વાક્યનો પ્રયોગ કરવામાં આવતો.

આજે પણ હાસ્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવા ઇચ્છનાર નવીન લેખકને ‘ભદ્રંભદ્ર’નો અભ્યાસ અનેક રીતે માર્ગદર્શન કરાવી શકે એમ છે. હાસ્ય નિર્માણ કરવાની કલા અને કસબ બંનેનું દર્શન આ પુસ્તકના અભ્યાસીને સહેલાઈથી થઈ શકે એમ છે. એમાંના ઘણા પ્રશ્નો આજે બહુ જૂના લાગે એવા છે. તે વખતે ઉગ્ર રીતે ‘સળગતા’ એ પ્રશ્નો આજે લગભગ હોલવાઈ ગયા છે. આમ છતાં, એમાં માનવસ્વભાવની વિચિત્રતાઓ, એની નિર્બલતા, સમાજની હાસ્યજનક રૂઢિઓ, દંભો ઈત્યાદિનું સૂક્ષ્મ અવલોકન કરી રમણભાઈએ સર્વનું જે રસિક, સચોટ ને તાદૃશ આલેખન કર્યું છે, તે તેમ જ સભાઓ ને ન્યાતના કોલાહલ ને અવ્યવસ્થા, રેલવેની મુસાફરી દરમ્યાન પ્રશ્નો પર પ્રશ્નો પૂછી કંટાળો આપતા સહપ્રવાસીઓ; કોર્ટમાં અર્થ વગરની ને બિનજરૂરી તકરાર કર્યા કરતા વકીલો; ‘કહ્યું કશું, ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું’, એ ઉક્તિના નમૂનારૂપ, ઢંગધડા વિનાના પ્રશ્નો પૂછતા ન્યાયાધીશ ઇત્યાદિના અસામાન્ય, કંઈક અતિશયોક્તિથી રંગાયેલાં છતાં આકર્ષક વર્ણનો અને અવનવી કલ્પના, અભિનવ અલંકારો અને મર્મ ને નર્મથી ઓપતો, કોઈ પણ જાતના અંતરાય વિના સડસડાટ વહી જતો શૈલીનો પ્રવાહ ઇત્યાદિ એ પુસ્તકની ગુણસમૃદ્ધિથી કોઈ પણ વાચક આકર્ષાયા વગર રહી શકે એમ નથી. આજે આ પુસ્તકમાં અનેક સ્થળે દેખાતાં વર્ણન છટા, અલંકારસમૃદ્ધિ ને કલ્પનાવૈભવ, ટોળટીખળ ને ઠઠ્ઠામજાક આપણા સાહિત્યમાં અન્યત્ર મળવાં દુર્લભ છે.

ભદ્રંભદ્ર એ વિશેષમાંથી સામાન્ય નામ બની ગયું છે. જમાના સાથે પરિવર્તન કરવાની આનાકાની કરનાર જડબુદ્ધિ મનુષ્ય માટે એ પર્યાયરૂપ બન્યું છે. સંસ્કૃતમય ભાષા માટે ‘ભદ્રંભદ્રીય’ એવા વિશેષણનો પ્રયોગ પણ આપણી ભાષામાં દાખલ થયો છે. કોઈ પણ કથાનાયકનું સંજ્ઞાવાચક નામ સામાન્ય ભાવ પામી કોઈક ગુણ વિશેષનું વાચક બને ત્યારે એ કથાનો નાયક કથાની દુનિયા કરતાં બહુ મોટી દુનિયાનો નિવાસી બને છે ને અમરપદ પ્રાપ્ત કરે છે. મહાનુભાવ ભદ્રંભદ્રે આવી અમરતા સિદ્ધ કરી લીધી છે અને અત્યારે એ ડોન ક્વિકઝોટ, પિક્વિક, ફોલસ્ટાફ આદિ અમરજનોની સાથે જ વિરાજે છે. જો કે આ યવનોની સંગતિમાં રહેવું એમને કદાચ ફાવતું નહિ હોય.


જ્યોતીન્દ્ર હ. દવે