ભદ્રંભદ્ર/ગ્રન્થકર્તાની પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
← અર્પણોદ્‌ગાર ભદ્રંભદ્ર
ગ્રન્થકર્તાની પ્રસ્તાવના
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
ઉપોદ્‌ઘાત →


ગ્રન્થકર્તાની પ્રસ્તાવના

શું છે અને શું નથી એ એવો ગહન વિષય છે કે કંઈ છે અને કંઈ નથી એમ કહેવાની મહાપંડિતો સિવાય બીજાની હિમ્મત ચાલતી નથી. હતું, નહોતું. હશે, ન હશે, હોત, ન હોત; હોય, ન હોય; – એમ કહેવું એ સહેલું નથી, કાલનું એ. અંગ !

અમેરિકામાં ઘોડા દોડે છે. પણ તેથી શું? જંગલમાંથી ઘોડા દોડે છે. પણ તેથી શું ? ત્યાં પહેલાં ઘોડા હતા જ નહિ, પણ તેથી શું ? સ્પેનથી આણીને ઘોડા ત્યાં છોડી મૂક્યા, પણ તેથી શું ? સમય-સમય-પ્રસંગ !

એક વાર દૃષ્ટિ કરો, એક વાર લક્ષ ધરો, એક વાર સ્થિર ઠરો, એક વાર અજ્ઞાન હરો, એક વાર સિદ્ધિ વરો, એક વાર અગાધ તરો, એક વાર સત્વર સરો. એક વાર લીલા કરો, એક વાર પ્રકાશ ઝરો, એક વાર તર્ક ભરો. અદ્ભુત ! અદ્ભુત ! હે યમુને ! હે ગંગે !

યુગે યુગે વાણીઓ બોલાઈ છે. યુગે યુગે વક્તાઓ ગાજ્યા છે; યુગે યુગે સંગ્રામ જામ્યા છે, યુગે યુગે યોદ્ધાઓ ઘૂમ્યા છે, યુગે યુગે શાસ્ત્રાર્થ થયા છે. યુગે યુગે વાદીઓ જીત્યા છે. એ સર્વ મહાવૈભવમાં વિશેષ વૈભવ આર્ય ભાષાનો છે, તેમાં વિશેષ વૈભવ આર્ય ભાષાના શાસ્ત્રનો સ્થળે સ્થળે ઉદ્ધાર તથા પુનઃ સ્થાપન કરનાર એક વિરલ પ્રતાપી મહાપુરુષનો છે. ધન્ય છે તેને !

એ પરાક્રમી નર વિદ્યમાન છે. વર્તમાન સમયમાં તેમનું કીર્તિમંત નામ કોઈને અજાણ્યું નથી. ખૂણે ખૂણે અને ક્ષણે ક્ષણે જેમણે ખંડનમંડનના વ્યાપાર ચલાવી સનાતન આર્ય ધર્મ સિદ્ધ કર્યો છે અને સુધારાનો નાશ કર્યો છે, અરણ્યોમાં, ઉપવનોમાં, નગરીઓમાં, પર્વતોમાં અને સમુદ્ર પર જેમના અલૌકિક ભાષણના પડઘા હજી વાગી રહ્યા છે, શાસ્ત્રજ્ઞાન, રૂઢિરહસ્ય અને વિદ્વત્તાના વિષયમાં જેમની પ્રવીણતાનું કીર્તન કરવાને ભાષા અસમર્થ છે, તે ભારતભાનું ધર્મવીર પૂજ્યપાદ શ્રી ભદ્રંભદ્રના મહાનુભાવ જીવનનાં કેટલાંક વર્ષનું વૃત્તાન્ત તેમના અનુયાયીએ ગુરુભક્તિ સફળ કરવા લખ્યું છે, અને તેના પાઠ તથા અભ્યાસથી જગતનું નિઃસંશય કલ્યાણ થશે એવા દૃઢ વિશ્વાસથી તે પ્રસિદ્ધ કર્યું છે.

મહાત્માઓનાં જીવનચરિત્ર લખનારને ક્ષમા માગવી પડતી નથી, કેમકે તેવા લેખમાં સકલ ગુણ સંપૂર્ણ હોય છે, અને તે ગુણસંપત્તિ લખનારને પણ પ્રાપ્ત થાય છે. પરંતુ, વાંચનારે પોતાની અપૂર્ણતા લક્ષમાં લઈ એવા લેખ હાથમાં લેતાં ક્ષમા માગવી એ કર્તવ્ય છે. તથાપિ એક વિષયમાં આ લખનાર ક્ષમાની પ્રાર્થના કરે છે. શ્રી ભદ્રંભદ્રના વચનમાં કોઈ કોઈ ઠેકાણે યવનભાષાના શબ્દો મુકાઈ ગયા છે. એ શબ્દ તે પોતે બોલ્યા હશે એમ તો વાંચનાર નહિ જ ધારે. શુદ્ધ સંસ્કૃત વિના બીજા શબ્દનો ઉચ્ચાર કે ઉચ્છવાસ તેમનાથી જન્માનારે પણ થયો નથી, બનેલા વૃત્તાન્ત કેટલાક વખત પછી સ્મરણ કરી તે લખતાં અજાણ્યે એ યવનશબ્દ, શ્રી ભદ્રંભદ્રની ઉક્તિમાં મુકાઈ ગયા છે. અથવા તો તેમણે વાપરેલા સંસ્કૃત શબ્દ, નહિ સાંભર્યાથી એવા શબ્દ મૂકવા પડ્યા છે.

શ્રી ભદ્રંભદ્રની વાણીમાં સમાયેલા શબ્દ અને અર્થના અલંકાર જેમ બને તેમ જાળવી રાખ્યા છે. આ લખનારની પોતાની વાણીમાં વાંચનારને કદી કદી અલંકાર જણાય તો તેમાં આચાર્યશ્રીના ઉદાહરણ તથા અનુસારણ વિના બીજું કંઈ નથી.

આ પ્રપંચમાં બીજા લેખકનું અનુકરણ કે અપહરણ કણમાત્ર નથી. માનસરોવરના તટને મૂકી હંસ વર્ષાકાલે અન્યત્ર જતા નથી. અરે ! શ્રી ભદ્રંભદ્ર દેવની છાયામાં વિચરતા ઉપાસકને અન્યત્ર શક્તિઓનો આશ્રય લેવો પડતો નથી. કવિ નર્મદાશંકરના ‘રાજ્યરંગ’ની પ્રસ્તાવના પ્રમાણે આ પ્રસ્તાવનાનો આરંભ કર્યો છે તેમાં ઉદ્દેશ માત્ર સહજ સંમતિનો છે.

અંતે એટલું કહેવું આવશ્યક છે કે જેને આ પુસ્તક સમજાય નહિ અને પુસ્તક વિરુદ્ધ ટીકા કરવી પડે તેને માટે તે રચ્યું નથી. એ વર્ગને માટે બીજાં પુસ્તકો ઘણાં છે. જય ! જય?? જય ! ?

દિક્કાલને સીમા નથી ત્યાં
સ્થળ કે સમય શો લખવો ?


વિ. અ. વિ. કે. અ. મો.