ભદ્રંભદ્ર/૨૫. કોર્ટમાં 'કેસ' ચાલ્યો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૪. તંદ્રાચંદ્રનો વરઘોડો ભદ્રંભદ્ર
૨૫. કોર્ટમાં 'કેસ' ચાલ્યો
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
૨૬. બ્રહ્મભોજનની ચિંતા →


૨૫ : કોર્ટમાં 'કેસ' ચાલ્યો

મુદતો પૂરી થઈ અને નાતમાં ચાલેલો ઝઘડો મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આવ્યો. કોર્ટમાં જુદે જ પ્રકારે અને જુદાં જ શાસ્ત્રોથી લઢવાનું છે એ વાત અમારા વકીલે અમારા મનમાં સારી પેઠે ઠસાવી હતી. અને તેથી, બાહુબળ વાપરવાની કંઈ પણ તૈયારી કર્યા વિના ભદ્રંભદ્ર અને હું કામ ચાલવાને દિવસે સવારે વકીલના ગુમાસ્તા જોડે કોર્ટમાં ગયા. કોર્ટના મેદાનમાં બેઠેલા અને ફરતા અનેક માણસો તરફ ભદ્રંભદ્ર સત્કારની આશાએ ગયા, પણ સઘળા, માલ જડ્યાની, પુરાવો થયાની, જમાદાર આવ્યાની, સાહેદી ફરી ગયાની, એવી અનેક વાતોમાં એવા પડ્યા હતા કે ભદ્રંભદ્રને ઓળખી તેમને સન્માન આપવાનું કોઈને સૂઝ્યું નહિ. ગુમાસ્તો કોર્ટમાં કેદીને ઊભા રહેવાનું પાંજરું અમને બતાવવાને આતુર હતો. પણ એ સ્થાનથી પરિચિત થવાની અમારે જરા પણ ઉતાવળ નહોતી, તેથી ગુમાસ્તાને બીજે કામે જવા દઈ અમે વિશ્રામ માટે એક ઝાડ તળે બેઠા. થોડે દૂર એક માણસ કાને કલમ ખોસી અને હાથમાં કોરા કાગળો રાખી દસપંદર કોળીઓ અને કોળણોના ટોળા વચ્ચે બેઠો હતો. હાથમાંના કાગળો હલાવતો હલાવતો તે તેમને કંઈ બોધ કરતો હતો, અને ઘડી ઘડી કાનેથી કલમ કહાડી લખવા માંડવાનો ડોળ કરતો હતો. એવે સમયે તેના શ્રોતામંડળમાંથી પુરુષવર્ગ તેનો હાથ પકડિ રાખતો હતો અને સ્ત્રીવર્ગ લાંબા હાથ કરી તે કલમ પછી કાને મૂકે ત્યાં સુધી ઘાંટા પાડતો હતો આમ લખવાનો આરંભ કરવાની અનેક વાર ધમકી આપ્યા છતાં કાગળ પર એક પણ અક્ષર પડેલો જણાતો નહોતો. અને તોપણ તેના શ્રોતાઓના તેના તરફના પૂજ્ય ભાવમાં કે તેના ચમત્કારી લખાણના ભયમાં કંઈ ઘટાડો થતો જણાતો નહોતો. આ બનાવનું કેટલીક વાસ સુધી બહુ બારીકીથી નિરીક્ષણ કર્યા પછી ભદ્રંભદ્ર કહે,

'મને શક જાય છે કે આ માણસ સુધારાવાળો છે. અને આર્યપક્ષને ફેરવી નાખવાનો પ્રયત્ન કરે છે. મારાથી આ વિપત્તિનું દર્શન સહન થઈ શકતું નથી. ગમે તેમ કરીને પણ એ અનર્થ અટકાવવો જોઈએ. આર્યધર્મનું રક્ષણ કરવાને વિષ્ણુ ભૂંડ થયા હતા, કૃષ્ણ સારથિ થયા હતા, મરુત્સુત વાનર થયા હતા, તો એવા અથવા બીજા કોઈ પણ ઉપાય લેતાં આપણને શી અડચણ છે ? ચાલ સજ્જ થા. આ અધર્મીનો પરાજય કરીએ. તું ગાંડા હોવાનો ઢોંગ કરી એના પર તૂટી પડે, અને હું તને નિયમમાં રાખવાને બહાને ત્યાં આવી તમારા બંને ઉપર સખ્ત પ્રહાર કરીશ અને આખા મંડળને વિખેરી નાખીશ.'

પ્રહાર વિશેની અરુચિ મનમાં દાબી રાખી મેં કહ્યું,

'ઉપાય તો અત્યુત્તમ છે, પરંતુ તે માણસ સુધારાવાળો છે અને આર્યધર્મ વિરુદ્ધ ઉપદેશ કરે છે એની તો પ્રથમ ખાતરી કરવી જોઈએ.'

પોતાની યોજનાને અમલમાં આણતાં વિલંબ થતો જોઈ અધીરા થઈ જઈ ભદ્રંભદ્ર બોલ્યા,

'સુધારાવાળા પ્રમાણ અને પુરાવો માગે છે. આર્યોને શબ્દપ્રમાણ જ બસ છે. મારા શબ્દથી એ માણસ સુધારાવાળો છે એમ થયા પછી પ્રમાણની મારે અપેક્ષા રહેતી નથી, તો થારે તો ક્યાંથી જ રહે ?'

છતી અક્કલે ગાંડા થવાનો વખત મારી પાસે આવ્યો હતો, પણ મારા સુભાગ્યે તે માણસ જ અમારો ઉદ્વેગ જોઈ અમારી પાસે આવ્યો અને પૂછ્યું,

'તમે કયા કામામાં છો ? અરજી લખાવવી છે ?'

તેનો સ્પર્શ ન થાય માટે લૂગડાં ઊંચા રાખી ભદ્રંભદ્ર તિરસ્કારભરી દૃષ્ટિ કરી બોલ્યા,

'અમે સનાતન આર્યધર્મના સદોદિત યશ:પૂર્ણ વિજયના કામમાં છીએ. અરજીઓ અમે લખાવતા નથી કેમ કે અમારી વાચાળશક્તિના સામર્થ્યથી પર્વતો પણ કંપે છે તો સુધારાવાળાને કંપાવવાનો પ્રયત્ન જ શું કામ કરવો પડે ?'

અરજી લખનાર વાક્ય પૂરું થતાં સુધી ભદ્રંભદ્રના સામું જોઈ રહ્યો અને પછી એકદમ ચાલ્યો ગયો. વિજયથી હર્ષિત મુખાકૃતિ કરી ભદ્રંભદ્રે મને કહ્યું,

'બ્રહ્મતેજ તે આનું નામ કે શત્રુના પરાભવની કલ્પના કરતાં જ વિના પ્રયાસે તેનો પરાભવ થઈ ગયો. સુધારાવાળા શા માટે મિથ્યા પ્રયત્ન કરતા હશે ? તેમને આવી આત્મિક શક્તિનો અનુભવ નથી તેથી જ તેઓ યોગસિદ્ધિને વહેમ કહી નિંદે છે.'

એટલામાં 'સમરીવાળા ચાલો' એવી બૂમ પડી, અને કેટલાક લોકો બૂમ પાડનારને ખોલતા દોડવા લાગ્યા. અમને ઊભા થયેલા જોઈ એક માણસે જતાં જતાં પૂછ્યું,

'તમે સમરીવાળા છો ?'

ભદ્રંભદ્રે ઉત્તર દીધો, 'અમે સનાતન આર્યધર્મના સદોદિત યશ:પૂર્ણ વિજયવાળા છીએ. સમળી અપવિત્ર પક્ષી છે અને તેનો અમે સ્પર્શ કરતા નથી તથા તેને પાળતા પણ નથી.'

'હા' કે 'ના'ને બદલે અપાયેલો આટલો લાંબો ઉત્તર પૂરો સાંભળવા તે માણસ ઊભો પણ રહ્યો નહિ અને એવી ઝડપથી ચાલ્યો ગયો કે તે પોતે 'સમળીવાળો' હોય તો ક્યાં ગયો તે જોવાનું પણ બની શક્યું નહિ.

થોડિ વારે એકાએક ભારે અકસ્માત થઈ ગયો હોય એવો ખળભળાટ થયો અને 'સાહેબ આવ્યા, સાહેબ આવ્યા' એવી વાત ચાલી રહી. ઠેકાણે ઠેકાણે લાંબા થઈ સૂતેલા પોલીસના સિપાઈઓ ઓશીકે મૂકેલી પોટલીમાંથી ડગલા કહાડી ખંખેરી, પહેરી ટટાર થવા લાગ્યા અને કમરેથી સિપાઈગીરી છટકી જતી હોય તેમ ખેંચી ખેચીને પટા બાંધવા લાગ્યા. ગુમાસ્તો ભાવિ પેઠે આવીને અમારી મરજી પૂછ્યા વિના અમને કોર્ટમાં લઈ ગયો. કોર્ટમાં પેસતાં સામે ખુરશી પર બેઠેલા મહોટી મૂછોવાળા અને કદાવર શરીરવાળા એક વકીલને 'સાહેબ' ધારી અમે સલામ કરી. તે પછી તેનાથી થોડે આઘે બેઠેલા લાંબા ઝભ્ભાવાળા બેરિસ્ટરને 'સાહેબ' ધારી સલામ કરી. તે પછી ઊંચી બેઠક પર ગાદીતકિયે બેઠેલા અને લખવામાં મશગૂલ થઈ ગયેલા શિરસ્તેદારને 'સાહેબ' ધારી સલામ કરી. અને જાણ્યું કે 'સાહેબ' તો હજી કોર્ટના ઓરડામાં આવ્યા નથી. આર્યમંદિરોમાં પહેલા દેવ પ્રકટ થાય અને પછી દર્શન કરનાર આવે, પણ અહિં ક્રમ ઊલટો છે તેથી સિદ્ધ થાય છે કે આ સુધારાવાળાનું સ્થાન છે, એમ ભદ્રંભદ્રે સમજાવ્યું, પણ ગુમાસ્તો આર્યધર્મ માટે ઉત્સુક ન હોવાથી તેણે લક્ષ આપ્યું નહિ.

અમને જામીન ઉપર છોડ્યા તે માજિસ્ટેટ સાહેબ બદલાઈ ગયા હતા તેથી નવા 'સાહેબ'ની મુખાકૃતિમાં ભરેલ ભેદ જોવાની અમને વિશેષ આતુરતા હતી. અને ભદ્રંભદ્રને આશા હતી કે પ્રથમ દર્શને જ તેમનું બ્રહ્મતેજ ઊડીને માજિસ્ટ્રેટનાં નયનોમાં ચહોંટશે. જીભ વશ રાખવાની વકીલ તેમને ઘડી ઘડી સલાહ આપતા હતા તેથી કંઈક ખોટું લાગવાથી ભદ્રંભદ્રે કહ્યું,

'આપનો ધંધો વાચાળતાનો છતાં આપ વાચાળાતાની વિરુદ્ધ છો એથી બ્રાહ્મણ ભોજન વિરુદ્ધ હોય એવું આશ્ચર્ય થાય છે. આ સમય વિવાદનો નથી, પરંતુ એટલું તો કહેવું જોઈએ કે મારી શક્તિ વિશે આપને કોઈએ પૂરેપૂરી માહિતી આપેલી જણાતી નથી.'

એવામાં એકાએક કોર્ટમાં તમામ માણસો ઊભા થઈ ગયા અને એક જ દિશામાં સલામ કરવા લાગ્યા. 'સાહેબ' ખરેખરા આવી પહોંચ્યા હતા. અને પાઘડી સાથે માથું હલાવી તેઓ સલામ કરનાર તમામ વર્ગને ઉપકૃત કરતા હતા. ભદ્રંભદ્ર ઉપર તો તેમની નજર પડી નહિ. પણ, તે ખુરશી પર જઈ બેઠા તે પહેલાં ભદ્રંભદ્રે તેમનાં મોજાં, બુટ, ધોતિયાની કોર, પાઘડીનો તોરો એ સર્વનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી લીધું અને પોતાની પાસેની નોટબુક કાઢી તેમાં એ વિશે નોંધ કરી લીધી, અને પછી લખ્યું કે હિંદુ સાહેબ આર્યોને 'સાહેબ' એ નામ ચાજે ? 'મહારાજ' કહેવડાવે તો શું ખોટું ? પણ સનાતન આર્યધર્મના સદોદિત યશ:પૂર્ણ વિજયની એટલી દાઝ કોને છે ?'

અમારા કામ પહેલાં બીજાં કામ નીકળવાનાં હતાં તેમાંથી પહેલું કયું લેવું અને શું કર્યાથી બીજાઓને નકામો વિલંબ ન થાય એ વિશે પોણા કલાક સુધી માજિસ્ટ્રેટ અને વકીલો વચ્ચે તકરાર થયા પછી ઇન્સાફની શરૂઆત થઈ.

પહેલું કામ નીકળ્યું તે જમાનપુરી ઉર્ફે લછમીચંદ ઉર્ફે શિવપ્રસાદ ઉર્ફે ગંગુમલ ઉર્ફે પ્રીતમસિંહ ઉર્ફે બંસીધર ઉર્ફે હરદયાલ નામના કંઈ ભાગે બાવા, કંઈ ભાગે પુરબીઆ, કંઈ ભાગે તાલીમબાજ અને ઘણે ભાગે ઉઠાઉગીર જણાતા અને હૃષ્ટપુષ્ટ તથા આનંદી છતાં દીનતાનો ખોટો ઢોંગ કરી ઊભેલા શખસ ઉપર ગાંજાની ચોરી કર્યાનું તોહોમત હતું. સાહેદીઓ લેવાઈ રહ્યા પછી એ બહુનામી ગૃહસ્થે કહ્યું, 'હઝુર, હમારે પે ઝુલમ હોતા હે. બનિયેકી દુકાનમેં સે પેસે છોડકે હમ ગાંજા કાયકુ ચોર જાતેં ? ઓર ઓર ગાંજા ચિલમમેં ડાલકે પી જાનેકી કુછ મુશ્કેલી હયે કે હમ પાઘડીમેં રખ છોડતા ? સિરાઈમેં હમારા સબ અસબાબ પોલીસવાલે લે ગયે, હમારી સંદુક જલા દીઈ, ઉસકા હમારા ફરિયાદ કોન સુનેગા ? મેરા આજકા ભથ્થા બી ગવાહી દે ગયા વો સિપાઈ ખા ગયા, ઓર મેં કલકા ભૂખા હું.' માજિસ્ટ્રેટ સાહેબે ફેંસલો કહી સંભળાવ્યો કે 'આ કામમાં તોહોમતદાર જાતે બાવો છે એમ પુરાવાથી સાબિત થયું છે. હવે બાવાઓનું કામ ગાંજો ફૂંકવાનું છે. એમાં શક નથી અને તેમ કર્યું હોય તેમાં ગુનોહ નથી. પરંતુ આ તોહોમતદાર ગાંજો પી ગયો એવો કામમાં પુરાવો નથી તેમ તે પોતે બચાવમાં પણ કહેતો નથી. માટે હું તેને ઓગણત્રીસ દિવસ સખત કેદની સજા કરું છું.'

બીજું કામ બે વાણિયાઓ વચ્ચે મારામારી થયાનું હતું. તે શરૂ કરતાં માજિસ્ટ્રેટ સાહેબે કહ્યું, 'કજિયો થતાં વાણિયાઓ ગાળાગાળીને બદલે મારામારી કરે એવો રિવાજ આ કામમાં બીજો પુરાવો લેતાં પહેલાં સાબિત કરવાની જરૂર છે. રિવાજનો પુરાવો હાજર નથી માટે કામ પંદર દિવસ સુધી મુલતવી.'

ત્રીજું કામ ગૃહપ્રવેશના અપરાધનું હતું. તેમાં બંને તરફના વકીલોએ જાહેર કર્યું કે 'પ્રવેશ ઘરમાં થયો કે ઘર બહાર થયો એ વિશે શક છે માટે રાજીનામું આપીએ છીએ.' તેથી તે કામ કાઢી નાંખ્યું.

ચોથું કામ નીકળતાં પહેલાં કોર્ટનો પંખો ખેંચનાર સિપાઈ ઊંઘી ગયેલો માલૂમ પડ્યો તેથી તેને જગાડી તેનો જવાબ લખી લેવામાં આવ્યો. તે ઊંઘી ગયા બાબત, પંખો અટકી ગયા બાબત, અને કોર્ટને 'કાયદા વિરુદ્ધ' ગરમી લાગ્યા બાબત, વકીલોની સાહેદી લખી લેવામાં આવી, અને સિપાઈ ધ્રુજી ગયો ત્યાં સુધી તેને શા માટે 'કાયદા વિરુદ્ધ' ઊંઘી ગયો એ પ્રશ્ન ફરી ફરી પૂછવામાં આવ્યો. એ પ્રશ્નનો તે ઉત્તર દઈ શક્યો જ નહિ. અને આખરે તેની પોતાની અને એકઠા થયેલા બીજા અનેક જનોની 'ગરીબ પરવર'ને થયેલી આજીજી પરથી માફી બક્ષવામાં આવી અને 'આયંદે હુંશિયાર રહેવાની તાકીદ' આપવામાં આવી.

કેટલાંક કામ ચાલ્યા પછી અમારા વકીલને ખબર આપવામાં આવી એક્ કોર્ટ નાસ્તા માટે ઊઠશે પછી તુમારું કામ લેવામાં આવશે. માજિસ્ટ્રેટનો નિરંકુશ અધિકાર જોઈ અમારા ભવિષ્ય સંબંધે ઉદ્વેગ થતો હતો; તેમાં આ નાસ્તાની ખબર જાણી કંઈક સંતોષ થયો. પણ બહાર જઈ ગુમાસ્તાને પૂછતાં જણાયું કે 'આખી કોર્ટને નાસ્તો કરાવવામાં આવતો નથી, પણ માજિસ્ટ્રેટ જાતે નાસ્તો કરે છે તે કોર્ટ નાસ્તો કરે એમ કહેવાય એવું કાયદામાં છે.' નિરાશાથી ક્રુદ્ધ થઈ ભદ્રંભદ્ર બોલ્યા,

'એવો કાયદો કેવળ અનુચિત છે અને તેથી અભેદભાવના સિદ્ધ થાય છે એમ માનવામાં આવતું હોય તો તે ભ્રાન્તિ છે, કેમ કે અદ્વૈતવાદી આર્યપક્ષને ભોજનવ્યવહારમાં ભેદભાવના માન્ય છે. એ વિષયમાં અભેદ માનવો એ સુધારો છે અને તે માટે અગ્રાહ્ય છે. વળી સરખા પ્રાચીનતા માત્રથી બનેલા ધર્મસ્તંભને ભોજનના, ધનના કે બીજા કંઈ પણ લાભમાંથી દૂર કરવાના કાયદા કરવા એ પ્રાચીનતા પર માનબુદ્ધિનો અભાવ દર્શાવે છે. અને તે અપમાનબુદ્ધિના ભાવ કરતાં પણ વધારે ઉત્પાતસૂચક સિહ્ન છે, કેમ કે સુધારાવાળા તેમને અનુત્પાતસૂચક ગણે છે.'

આખરે અમારા પરના આરોપની તપાસ થઈ અને, અમને, અમાર મિત્રોને તથા અમારા શત્રુઓને સાથે પાંજરામાં ઊભા રાખ્યા. પહેલો સાક્ષી સામી તરફનો હતો, તે સોમેશ્વર પંડ્યાનો ભાઈ હતો. અને એ પક્ષવાળા એમ સમજતા હતા કે નાતમાં મારામારી થયેલી સાબિત કરવા કરતાં વંદાનો વધ સાબિત કરવાથી ભદ્રંભદ્રના પક્ષને વધારે નુકસાન છે. અંદાનો વધ સાબિત થવાથી વધ કરનારનીઇ ગેરાબરૂ અને તેના પક્ષને નાત તરફથી હાનિ હતી. મારામારી સાબિત થતાં બંને પક્ષને શિક્ષા થવાની ભીતિ હતી. તેથી વંદો મરી ગયો છે એ મહોટી વાત જ આ સાક્ષીના ધ્યાનમાં હતી. ઘણાં કામને લીધે આ મુકરદમાની હકીકત માજિસ્ટ્રેટ સાહેબના લક્ષમાંથી ખસી ગઈ હતી. સાક્ષીને તેમણે પહેલો સવાલ પૂછ્યો કે,

'મરનારને તમે ઓળખતા હતા ?'

'ઘણી સારી પેઠે, એ અમારી પાડોશમાં રહેતો.'

'તે શાથી મરી ગયો ?'

'મગને મારી નાખ્યો. બિલાડીની વાત તદ્દન જૂઠી છે.'

'બિલાડીની વળી શી વાત ? મન ઠેકાણે રાખીને બોલો.'

'સાહેબ, એ વંદાને બિલાડીએ મારી નાખ્યો એમ એ લોક કહે છે તે બનાવટની વાત છે. મગને માર્યો તે વખતે હું અને મારો ભાઈ સોમેશ્વર બંને હતા. સોમેશ્વર તો એને અડક્યોયે નથી.'

માજિસ્ટ્રેટ સાહેબ રોફબંધ ગુસ્સો કરીને શિરસ્તેદાર તરફ વળ્યા, અને બોલ્યા, 'મરનાર શકસનું નામ વંદો છે તે મને કહ્યું કેમ નહિ ? પોલીસ તજવીજના કાગળોમાં જુવો કે ખૂન સંબંધે બિલાડી બાબત શી હકીકત છે.' ગભરાયેલો શિરસ્તેદાર ઉત્તર દેવાને ફાંફાં મારતો હતો. એટલામાં માજિસ્ટ્રેટને બીજો સવાલ પૂછવાનું સૂઝી આવ્યું, 'મરનારના બાપનું નામ શું ?'

'બાપનું નામ ? નામ તો શું હોય ? — જાણ્યામાં નથી.'

'તેની ઉંમર કેટલી હતી ?'

'ઉંમર તો સાહેબ એ લોકની શી રીતે કહેવાય ? પણ હશે, પુખ્ત ઉંમરનો હશે, બચ્ચું નહોતું.'

'જાતે કોણ હતો ?'

'જાતે વંદો હતો.'

માજિસ્ટ્રેટ સાહેબે ગુસ્સે થઈ જોરથી પગ ઠોક્યો અને બોલ્યા, 'આ સાક્ષી કેવો બેવકૂફ છે ! જુબાનીમાં કેટલી છેકછાક કરાવે છે ? તું જાને છે કે જૂઠી સાહેદી આપીશ તો કેદમાં જવું પડશે ! હવે સાચેસાચું બરાબર કહે. મરનારનું નામ વંદો હતું ? કે જાતે વંદો હતો ? કે તે નામે પણ વંદો હતો અને જાતે પણ વંદો હતો ?'

ગૂંચવાડો વધતો અટકાવવાને અમારા વકીલ ઊઠીને બોલ્યા, 'નામદાર સાહેબ—'

'બેસી જાઓ. ઊલટતપાસ કરવાનો તમારો વારો આવશે.'

'પણ ખુદાવિંદ ખુલાસો કરવાની જરૂર છે.'

'ભાષણ કરવા ઊઠો ત્યારે જોઈએ તેટલો ખુલાસો કરજો. હાલ જુબાની લેવામાં ગરબડ ન કરો.'

સાક્ષીએ પણ ખુલાસો ન કર્યો. ધમકીથી તે બીધો હતો અને એટલું જ બોલ્યો કે 'જાતે વંદો, નામે નહિ.'

માજિસ્ટ્રેટ સાહેબનો કોપ વધ્યો અને તે સાથે તેમનો ઘાંડો વધ્યો. સાક્ષી એકાએક બહેરો થઈ ગયો હોય તેમ હાથપગ પકડી બહુ મહોટે અવાજે તેમણે પૂછ્યું, 'ત્યારે એનું નામ શું ? અને વંદો એ કયી જાત છે ?'

ગભરાયેલો સાક્ષી અટકીને ઊભો. તેને બચાવવા ફરિયાદી તરફના વકીલ ઊઠ્યા અને શાંત ચહેરે બોલ્યા, 'નામદાર કોર્ટની તો નહિ પન કોઈની ગેરસમજ થયેલી જણાય છે; વંદો તો એક જાતનું જીવડું છે.'

ગોળી ગળ્યા પછી તે કડવી માલૂમ પડ્યાની વાત મુખાકૃતિ પરથી જણાઈ ન આવે એવો પ્રયત્ન કરતા હોય તેવી સ્થિતિમાં માજિસ્ટ્રેટ આવી ગયા અને એટલું જ બોલ્યા, 'ત્યારે તેને બાબત પુરાવો શા માટે આપો છો ?'

'વંદો માર્યાની હકીકત આ કામમાં ઘણી મુદ્દાનૂ છે.'

લાગ જોઈને અમારા વકીલ સંભાષણમાં દાખલ થઈ ગયા અને બોલી ઊઠ્યા, 'પુરાવાના કાયદાની કયી કલમ પ્રમાણે વંદો માર્યાની હકીકત મહાવ્યથાના કામમાં પુરાવામાં લઈ શકાય તે મારા વિદ્વાન મિત્ર બતાવશે ?'

માજિસ્ટ્રેટને કામની હકીકત કહી સંભળાવી અને 'વંદો માર્યો છે કે નહિ અને માર્યો તો કોણે માર્યો' એ મુદા વિશે કામમાં પુરાવો લેવો કે નહિ એ વિશે બંને વકીલોએ જુસાભેર તકરાર કરી. બધું સાંભળી અને ઘણી ચોપડીઓ ઉઘાડી અને પાછી બંધ કરીને કોર્ટે છેવટે ઠરાવ્યું કે એ વિશે પુરાવો લેવો. તે ઉપરથી મગને વંદાને કેવી રીતે માર્યો છે તે વિશે એક પછી એક સાક્ષીઓ આવી જુબાની આપવા લાગ્યા.

સાક્ષીઓ ક્યાં ઊભા હતા, દીવાનો પ્રકાશ ક્યાં પડતો હતો. મગનના ડાબા હાથમાં શું હતું, જમણા હાથમાં શું હતું, પગે શું હતું, સાક્ષીઓ એકબીજાને કેવી રીતે જોઈ શકતા હતા અને એકબીજાના કાનમાં શું કહેતા હતા, એ બધી વિગતથી પોતાનું સત્યવાદિત્વ આબિત કરી વંદો કેવો કૂદતો હતો, મગન કેવો પકડવા દોડતો હતો, આખરે કેવો વંદાને પકડ્યો, ઈંટ લઈને મગને કેવો છૂંદ્યો, કેવી રીતે તેની પાંખો ખરી ગઈ. પેટ દબાઈ ગયું, કેવો તે તરફડિયાં મારતો મૂછો હલાવવા લાગ્યો. અંતે કેવો શ્વાસોચ્છ્‌વાસ લેતો બંધ થઈ ગયો. એ વર્ણન સાક્ષીઓએ કર્યું. કોર્ટમાં ભરાયેલા મનુષ્યો 'શિવ શિવ' કરવા લાગ્યા અને ખૂનની હકીકત સાંભળવાની જિજ્ઞાસા તૃપ્ત કરવા કોર્ટમાં નિત્ય આવનારા માણસો આ ત્રાસદાયક વૃત્તાન્ત સાંભળી ખિન્ન થઈ બહાર ચાલ્યા ગયા.

એટલું વધારે ને વધારે નમતું જતું હતું અને અમારો પક્ષ માહાદુષ્ટ અને ઘાતકી છે એવી માજિસ્ટ્રેટના મન પર બલવાન અસર થતી હતી તેથી ભદ્રંભદ્ર આકુળવ્યાકુળ થઈ ગયા. તેમનાથી શાંત રહેવાયું નહિ અને એકદમ પુકારી ઊઠ્યા. 'મારી એક વિનંતી છે તે શ્રૂયતામ્..

વિદનથી માજિસ્ટ્રેટ અસંતુષ્ટ થયા પણ કેદીને ગેરૈન્સાફ ન થાય એવી ઇચ્છા દર્શાવતી રહેમતભરી નજર કરી બોલ્યા, 'શા વિશે ?'

'સનાતન આર્યધર્મના સદોદિત યશ:પૂર્ણ વિજય વિશે. આર્યનીતિરીતિગીતિધીતિપ્રીતિભીતિ એવી અનુપમા છે, એવી ઉત્કૃષ્ટા છે, એવી વેદોક્તા છે કે હિંસાનો તેમાં અવકાશ નથી. સુધારાવાળા કહે છે કે વેદમાં હિંસા લખી છે, પણ વેદાનુયાયીઓ હિંસા નથી કરતા તેથી સિદ્ધ થાય છે કે હિંસા વેદવિહિત્તા નથી.'

ખીજવાઈ જઈને માજિસ્ટ્રેટે કહ્યું, 'એ તકરાર અહીં કરવાની નથી.'

'ત્યારે શું આર્યધર્મને લાંછન લાગવા દેશો ? સુધારાવાળાને જય પામવા દેશો ? આર્ય નામને કલંકિત કરવા માટે સુધારાવાળાઓએ જ બિલાડીને ઉશ્કેરી વંદાનો વધ કરાવ્યો છે. મગનથી વધ થાય એસંભવિત જ નથી.'

'તેનો પુરાવો છે ?'

'વેદ, શ્રુતિ, સ્મૃતિ. એથી વધારે બીજો શો પુરાવો હોઈ શકે ?'

ઓઉરાવો નથી એવી કબૂલાત થતી અટકાવવા અમારા વકીલ બોલ્યા, 'જાતમાહિતીવાળા સાહેદીઓની મુખજુબાનીનો પુરાવો જોઈએ તેટલો છે.'

ભદ્રંભદ્રથી આ સહન થઈ શક્યું નહિ, વકીલ તરફ અપ્રસન્ન દૃષ્ટિ કરી તે બોલ્યા, 'કેવું અનાર્યત્વ ! શાસ્ત્રો કરતાં શું કલિકાળના મનુષ્યોનું પ્રમાણ બલવત્તર ? શાસ્ત્ર સમજવાની કળિકાલનાં મનુષ્યોની અશક્તિને લીધે શાસ્ત્રોના અર્થને નહિ પણ શબ્દને પ્રમાણ કહ્યા છે, તેનો શું વિપર્યય કરવો છે ? સુધારાવાળા કાયદાની સહાયતા માગે છે તેથી શાસ્ત્રોને સ્થાને મનુષ્યો પ્રમાણ ગણાશે એ શું આમ સિદ્ધ થતું નથી !'

આર્યત્વની આવી ખૂબીઓ ન સમજનારા માજિસ્ટ્રેટે ભદ્રંભદ્રને વધારે બોલવા દીધા નહિ અને કામા અગાડી ચાલ્યું.

વંદાના વધ વિશે પુરાવો અપાઈ સહ્યા પછી મારામારી વિશે પુરાવો શરૂ થયો. મારામારી વખતે જેટલી ગરબડ થઈ હતી તેટલી જ ગરબડ તેનું વર્ણન આપતી વખતે થઈ રહી. અને તે ઘટિત હતું. કેમ કે મૂળ હકીકતમાં જે બન્યું હોય તે બધાનો આબેહૂબ ચિતાર તેના નાટકમાં આવવો જોઈએ. સાક્ષીઓ અને વકીલો વચ્ચે, સાક્ષીઓ અને કેદીઓ વચ્ચે, કેદીઓ અને માજિસ્ટ્રેટ વચ્ચે, કેદીઓ અને વકીલો વચ્ચે, માજિસ્ટ્રેટ અને વકીલો વચ્ચે, માજિસ્ટ્રેટ અને સાક્ષીઓ વચ્ચે જે વાગ્દંડની ઝપાઝપી, ખેંચાખેંચી, અને મારામારી ચાલી રહી તે બધાનું યથાર્થ વર્ણન આપવું અશક્ય છે. વકીલોના સવાલ સાક્ષીઓને નાપસંદ પડતા હતા. સાક્ષીઓના જવાબ વકીલોને નાપસંદ પડતા હતા. તે સવાલ અને જવાબ બંને માજિસ્ટ્રેટને પાનસંદ પદતા હતા. કેદીઓ નવા પૂછવાના સવાલ પોતાના વકીલોને કહી સંભળાવતા હતા અને ખરું કહેવાની સાક્ષીઓને શિખામણ દેતા હતા તથા તે ખોટું બોલે ત્યારે સોગન દેતા હતા, અને સાક્ષીઓની ચાલ વિષે પોતાના અભિપ્રાય માજિસ્ટ્રેટને કહી સંભળાવતા હતા. વકીલો પોતાના અસિલને રોકવાનો પ્રયત્ન કરતા હતા અને વકીલોને તેમના ગુમાસ્તા રોકતા હતા. વકીલો માજિસ્ટ્રેટ સાથે કે સાક્ષી જુસાબંધ તકરાર કરતા હોય ત્યારે ગુમાસ્તા વચમાં ઊભા થઈ વકીલના કાનમાં કહેવા માંડી તેમને ગૂંચવી દેતા હતામ્, અને તે અવસરે કેદીઓના મિત્રો અને સલાહકારો ગુમાસ્તા અને વકીલના હાથપગ લૂગડાં ખેંચી તેમનો કોપ જુદી દિશામાં ખેંચી લેતા હતા. માજિસ્ટ્રેટ, શિરસ્તેદાર અને કોર્ટના તમામ નોકરો આ ગરબડાટ અટકાવવા બૂમો પાડતા હતા, ધમકી દેતા હતા, અને વાતો તથા હસાહસી કરતા જોવા આવનારને બહાર કાઢતા હતા. પરિણામે ગરબડ વધતી જ હતી. ઘટતી નહોતી, અને તે ઘટાડવાની કોઈની અંત:કરણની ઇચ્છા હોય એમ જણાતું નહોતું. અમારી માફક કેદી થઈ પાંજરામાં ઊભા નહોતા તે બધાને ખરેખરી ગમ્મતનો દિવસ હતો; પણ અમને તો ઊલટો ચિંતામાં વધારો થતો હતો; કેમ કે અમારી તરફની કે અમારી વિરુદ્ધની સાબિતી થાય છે તે સમજાતું નહોતું. અમને વધારે દિલગીરી અને વધારે ગુસ્સો થવાનું કારણ એ હતું કે જે ખરેખરા માર મારનારા હતા તેમાંના ઘણાખરા સાક્ષી થઈને આવ્યા હતા; અને અમારા જેવા માર ખાનાર મારામારી કરતા હતા એવી સાહેદી આપતા હતા. આ અન્યાય થતો જોઈ ભદ્રંભદ્રની ધીરજ રહે એ અશક્ય હતું. જે માણસ હાથમાં દંડો લઈ ચારે તરફ પ્રહાર કરતો ફરી વળ્યો હતો અને જેણે ભદ્રંભદ્રને ફરી ફરી ઊથલાવી પાડ્યા હતા તે સાક્ષી આપવા આવ્યો, અને ભદ્રંભદ્રે કેવી રીતે ઘણા માણસોને લાકડીઓ મારી, લાકડીઓ તૂટી ગઈ એટલે બારણાં કાઢીને માર્યા, બારણાં તૂટી ગયાં એટલે થાંભલા કાઢવા માંડ્યા, તેનું વર્ણન કરવા લાગ્યો. ભદ્રંભદ્ર ઊછળીને પાંજરામાંથી અડધા બહાર આવીને બોલી ઊઠ્યા;

'કેવું વિપરીતમ્ ! માર મેં ખાધો અને માર ખાવાનો અપરાધી પણ હું ? અરે ભ્રષ્ટ થઈ છે બુદ્ધિ જેની એવા ! સત્યં બોલ, અંગશક્તૌ હું રાક્ષસસમ: નથી, મારું બલં વાચાયાં છે, શરીરે નથી, હું સ્તંભો ઉખેડી શકયો હોત તો તું મારા મિત્રાદિ અને સુધારાવાળા આજ જિવન્ત: ક્યાંથી હોત ? મારી વાચા એવી સમર્થા છે કે તે વડે સર્વ હણાઈ ચુક્યા છે, તેમનાં જરી પુરાણાં ખોખાં જ રહ્યાં છે. પરંતુ મારા પર શરિરોપરિ પ્રહારસ્ય આરોપ મૂકવો એ શું જે પ્રાચીનતા તને ઇષ્ટા છે. જે પ્રાચીનતા દેવોને ઇષ્ટા છે, જે પ્રાચીનતા દાનવોને ઇષ્ટ છે, જે પ્રાચીનતા બ્રહ્મર્ષીઓને ઇષ્ટા છે, જે પ્રાચીનતા—'

'બસ ચૂપ !' કહી માજિસ્ટ્રેટે બૂમ પાડવાથી ભદ્રંભદ્ર અટકી ગયા. ભદ્રંભદ્રનું વાક્ય ક્યારે પૂરું થશે તે ત્રિકાળજ્ઞાન ન હોવાથી માજિસ્ટ્રેટને સમજાયું નહિ અને અધીરા થઈ જઈ જગતમાં સુંદરમાં સુંદર થાત એવો વાક્ય ઉચ્ચાર થતો તેમણે અટકાવ્યો. પોતાના વક્તૃત્વમાં વિઘ્ન થયું એટલું જ નહિ પણા આર્યધર્મની વ્યાખ્યા અપૂર્ણ રહી ગઈ તેથી ભદ્રંભદ્ર ક્રોધાયમાન થયા હોત તો તે નિષ્કારણ કહેવાત નહિ. પણ સમય વિચારી તેમણે ક્રોધને વશ કર્યો અને મૌન ધારણ કરી કંઈ બન્યું જ ન હોય તેમ આડુંઅવળું જોવા લાગ્યા.

આ સાક્ષીને બીજાઓ પ્રશ્ન પૂછી રહ્યા. પછી અમારા વકીલ તેને પ્રશ્ન પૂછવા માંડ્યા.

'લોકોને મારવા સારુ ભદ્રંભદ્ર બારણાં કહાડતા તે વખતે તે ઊભા હતા કે બેઠા હતા ?'

'ઊભો હતો. બેઠા બેઠા તે બારણાં કહાડતાં હશે ?'

'તમારો અભિપ્રાય નથી જોઈતો. બારણાં પાછાં ક્યારે મૂક્યાં ?'

'પોલીસવાળાને આવતો જોયો એટલે મૂકી દીધાં.'

'ત્યારે બારણાં તૂટૂ ગયાં એ વાત ખોટી !'

'ખોટી નહિ, પણ-પણ-તૂટેલાં બારણાં પાછાં મૂક્યાં હશે.'

'પોલીસવાળો આવ્યા પછી થાંભલા કહાડવા માંડ્યા ?'

'પહેલાં ને પછી તે કંઈ મેં લખી રાખ્યું છે? થાંભલો કહાડતો હતો એટલું હું તો જાણું. થાંભલો ઝાલીને હલાવતો મેં એને જોયો હતો.'

'છાપરું હાલ્યું હતું ?'

'સરત નથી. પણ હશે, હાલ્યું હશે. નળિયાં પડ્યાં હતાં, ઘણા દહાડાની વાત છે તે કંઈ બરાબર યાદ રહે છે ?'

'ત્યારે ભદ્રંભદ્રને પોલીસે પકડ્યા કેમ નહિ ?'

'એ તો નાસી ગયો હશે.'

માજિસ્ટ્રેટ બોલી ઊઠ્યા. 'હશે' નહિ ચાલે. પોલીસના આવતાં પહેલાં તોહોમતદાર નાસી ગયો કે આવ્યા પછી નાઠો, કે આવતાં જોઈને નાઠો, તે બરાબર કહે.'

'સાહેબ, એ તો યાદ નથી, નાઠો એટલું યાદ છે.'

'ત્યારે બારણાં પાછાં મૂકતો અને થાંભલો હલાવતો પોલીસના સિપાઈએ તેને જોયેલો કે નહિ ?'


'એ તો પોલીસનો સિપાઈ જાણે.'

'તેં પોલીસના સિપાઈને આવતો જોયો પછી તેં તોહોમતદારને ત્યાં જોયો હતો કે નહિ ?'

'જોયો હશે. પણ સરત નથી.'

સાક્ષી પાસે સત્ય કહેવડાવવાના બધા પ્રયત્ન વ્યર્થ ગયા. તાપ દેખાડ્યાથી સત્યવાદી બની જાય એવો તે કાચો નહોતો. બધા સાક્ષી આ પ્રકારના જ હતા. અમારા વિરુદ્ધ જૂઠું બોલાયું તેટલું જ અમારા લાભમાં પણ જૂઠું બોલાયું. ખરી હકીકત શી બની હતી તે નજરે જોનાર સિવાય બીજા કોઈથી નક્કી થવું અશક્ય હતું. ભદ્રંભદ્રની જુબાની લેવાઈ ત્યારે માજિસ્ટ્રેટને આર્યત્વ વિશે ઘણું જ્ઞાન મળ્યું હશે પણ કામ સંબંધી બહુ માહિતી તો નહિ જ મળી હોય.

માજિસ્ટ્રેટે પૂછ્યું, 'તમારું નામ શું ?'

'વિદ્યમાન ભદ્રંભદ્ર.'

'તમારું નામ વિદ્યમાન અને તમારા બાપનું નામ ભદ્રંભદ્ર ? પણ હું ધારું છું કે તમારું પોતાનું નામ જ ભદ્રંભદ્ર લખાયેલું છે. ખરું શું છે ?'

'મારું નામ ભદ્રંભદ્ર છે, પણ હું જીવું છું માટે શાસ્ત્રાધારે પોતાને વિદ્યમાન કહું છું.'

માજિસ્ટ્રેટ ભદ્રંભદ્ર સામું તાકીને જોઈ રહ્યા. થોડી વાર પછી તેમણે પૂછ્યું, 'બાપનું નામ શું ?'

'પ્રશ્નસ્ય અનૈચિત્યમ્.'

'પરશોતમ ?'

અમારા વકીલે ભદ્રંભદ્રને સીધા જવાબ આપવાની શિખામણ દીધી તેથી તેમણે આખરે બાપનું નામ 'અવિદ્યમાન વિષ્ણુશંકર' લખાવ્યું.

'ધંધો શો કરો છો ?'

'સનાતન આર્યધર્મના સદોદિત યશ:પૂર્ણ વિજયનો.'

અમારા વકીલે ઊઠીને માજિસ્ટ્રેટને કહ્યું, 'મારો અસીલ પોતાના વિરુદ્ધ પડેલા ખોટા પુરાવાથી ઉશ્કેરાયેલો છે અને સ્વભાવે પણ જરા ઉગ્ર છે. તેના કહેવાનો અર્થ એ છે કે ધંધો ધર્મ વિશે ભાષણ કરવાનો છે.'

'તમારે કંઈ કહેવું છે ?'

'કહેવાનું અત્યંત છે, પણ શ્રોતાનો અભાવ છે. પૃચ્છો છો ત્યારે શ્રુયતામ્. વેદધર્મનું અનાદિત્વં અને અનંતત્વં પ્રતિપાદન કરવાની પરમ આવશ્યકતા પ્રત્યક્ષ થયાથી તદર્થે મેં અનેકા: પ્રયાસા: આરંભ્યા છે અને સમાપ્યા છે. સુધારાવાળા મારાથી ત્રાસ પામ્યા છે. તેમનાં પ્રમાણાનિ નિષ્ટાનિ થયાં છે. ઉદાહરણાર્થ, સુધારાવાળા કહેતા હતા કે વિધવાઓના કેશનું વપનં કરવું એ ક્રૂરતા છે. મેં કહ્યું શાસ્ત્રાજ્ઞા છે. નિરાશ થઈ તેમણે કહ્યું, અર્વાચીન ગ્રંથોની આજ્ઞા છે, પ્રાચીન ગ્રંથોમાં એવું નથી. મેં ઉત્તર દીધો, પ્રાચીન અર્વાચીન એ કાલભેદ કલિયુગમાં છે, સત્યયુગમાં કાલક્રમ હતો જ નહિ. માટે સર્વે શાસ્ત્રગ્રંથા: પ્રાચીન: જ છે. તે પછી સુધારાવાળા નિરુત્તર થઈ ગયા છે.'

કેદીને જે કહેવું હોય તે કહેવા દેવાની કાયદામાં છૂટ છે. પણ માજિસ્ટ્રેટની સહનશક્તિ વધારે ટકી નહિ. ભદ્રંભદ્ર વાક્ય પૂરું કરી રહ્યા એટલે માજિસ્ટ્રેટ બોલી ઊઠ્યા, 'એ વિષે અહીં કહેવાનું નથી. તમારા પર મૂકેલા આરોપ વિશે જે કહેવું હોય તે કહો.'

'આર્યોને આરોપ લાગી શકતા જ નથી. કેમ કે તેમની સર્વ વ્યવસ્થા વેદવિહિતા હોઈ દોષરહિત છે. આર્ય વ્યવસ્થામાં ખામી કહાડનારા સુધારાવાળા પર જ આરોપ થવો ઘટે છે અને તેઓ જ શિક્ષાને પાત્ર છે. સુધારાવાળા કહે છે કે આર્ય વ્યવસ્થામાં ભોજનવ્યવહાર હોય ત્યાં કન્યાવ્યવહાર નથી માટે એ ખામી સુધારવી જોઈએ. એ મૂર્ખા જાણતા નથી કે વ્યવહાર ઓછો હોય એ જ ઇષ્ટ છે; કેમ કે સુખત્યાગમાં મહત્ત્વ છે અને કન્યાઓ ન મળવાથી કુટુંબો નિર્વંશ થઈ નષ્ટ થાય એ સુખત્યાગ છે. બાળલગ્ન, વિધવાવિવાહ પ્રતિબંધ, જ્ઞાતિભેદ-એ સર્વ સુખત્યાગના ઊંચા ધોરણ પર રચાયેલાં છે. સુખનો ત્યાગ કરી દુ:ખી થવું, સંતાનોને દુ:ખી કરવાં, ભવિષ્યની પ્રજાને દુ:ખી રાખવાના ઉપાય દૃઢ કરવા એમાં જ આર્ય વ્યવસ્થાનું રહસ્ય છે તે જદવાદીઓ સમજતા નથી. વળી, અજ્ઞાન સુધારાવાળા જાણતા નથી કે પશુઓમાં સર્વ જાતિઓમાં ભોજન વ્યવહાર છે પણ કન્યા વ્યવહાર નથી. તેથી, સિદ્ધ થાય છે કે ભોજન વ્યવહાર હોય અને કન્યા વ્યવહાર ન હોય ત્યાં ભોજનવ્યવહાર બંધ કરવો એ જ ઉચિત છે, કન્યાવ્યવહાર બાંધવો એ ઉચિત નથી.'

નિરાશ થઈ માજિસ્ટ્રેટે કલમ મૂકી દીધી અને કહ્યું, 'તમારા બચાવમાં જે કહેવું હોય તે કહેવાની હું તમને છેલ્લી તક આપું છું.'

ભદ્રંભદ્ર બોલ્યા, 'શબ્દપ્રમાણ અને વેદનું અનાદિત્વં એ જ મારો બચાવ છે. મારા ખંડનમંડનનો નહિ પણ પ્રહારનો આરોપ મૂક્યો છે એ સુધારાવાળાઓનું છલ દર્શાવી આપે છે. પરંતુ શબ્દપ્રમાણ આપનાર સાથે વિગ્રહમાં સામું શબ્દપ્રમાણ જ આપી શકાય છે. વેદનું અનાદિત્વ માનનારા સામે વેદમત્રનો જ પાઠ થઈ શકે છે. તેને કારાગૃહની કે દ્રવ્યદંડની શિક્ષા થઈ શકતી નથી. બ્રાહ્મણને દ્રવ્ય આપવું ઘટે છે. તેની પાસેથી દ્રવ્ય લેવું એ અપરાધ છે. વળી કારાગૃહમાં બ્રાહ્મણ વાણિયાની રસોઈ જુદી થતી નથી એ ધર્મનો વાંધો મહોટો છે. તે જ માટે બ્રાહ્મણને શિક્ષા કરવાનો શાસ્ત્રમાં નિષેધ: છે. સુધારાવાળા આર્યત્વનું એ તત્ત્વં ગ્રહણ કરવાને અસમર્થા: છે.'

પુરાવો લેવાઈ રહ્યા પછી વિદ્વાન વકીલોનાં ભાષણ શરૂ થયાં. ફરિયાદીના વકીલે જોરથી અને જુસ્સાથી ભાષણ કર્યું. તે ઘણું લાંબું હતું પણ તેનો સાર એ હતો કે, બધા તોહોમતવાળા અત્યંત દુષ્ટ, લુચ્ચા, ઘાતકી અને હરામખોર છે. તેમના સાક્ષીઓ પણ જૂઠા, ભૂખે મરતા, દગલબાજ તથા કાવતરાંખોર છે અને તેમાંનો એકેએક પહેલાં સજા પામી કેદમાં જઈ આવેલો છે એવો તેમને વિશે શક છે. ફરિયાદી અને તેના સાહેદીઓ પરમ સત્યવાદી, નિર્દોષ, પ્રમાણિક, આઅબરૂદાર, શ્રીમંત, સાધુ, દેવાંશી પુરુષો છે. જૂઠું બોલવાની તેમને કંઈ લાલચ નથી અને લાલસ થાય તો પણ કોઈ કાળે ડગે એવા નથી; ફરિયાદી પર વિના અપરાધે તોહોમતવાળાએ બેહદ જુલમ ગુજાર્યો છે, માટે તોહોમતવાળાને છૂંદી અને કચરી માર્યા સિવાય દુનિયામાં ન્યાય થવાનો બીજો એકે રસો સંભવિત પણ નથી. અમારું દિલ દુખવનારાં અને અપમાન કરનારાં આવાં ઘણાં વાક્યો વકીલે કહ્યાં, પણ સહુથી વધારે દ્વેષભર્યાં વચન ભદ્રંભદ્ર વિશે કહ્યાં.

'નંબર ૬નો તોહોમતવાળો ગાંડો હોવાનો ઢોંગ લઈ બેઠેલો છે. પણ તે સમ્તાતા ફરવા માટે તેણે ભદ્રંભદ્ર એવું વિચિત્ર નામ ધારણ કરેલું છે તેથી જ તેની લુચ્ચાઈ બહાર પડી આવે છે. તેના વિરુદ્ધ પડેલો મજબૂત પુરાવો નકામો જાય માટે તેણે આ નામનો પણ ઇનકાર કરી પોતાનું નામ વિદ્યમાન છે એમ કહી નામદાર કોર્ટને છેતરવાનો પ્રયત્ન કર્યો હતો તેથી પણ તેનું કપટ જણાઈ આવે છે. જેને આવી યુક્તિઓ આવડે છે તેને ગાંડો કોણ કહેશે ? ગુનોહ નામુકર જવાની તે હિંમત ધરી શક્યો નથી, પણ અર્થ વિનાનાં લાંબાં લાંબાં વાક્યો બોલી ગયો છે. એ બધાં વાક્યોની મતલબ એવી છે કે મેં ગાંડપણમાં કંઈ કૃત્ય કર્યું હોય તેને માટે હું જવાબદાર નથી. પણ કાયદા પ્રમાણે જેવી ગાંડાઈ હોવી જોઈએ તેવી તે બતાવી શક્યો નથી. તેમ સાબિત પણ કરી શક્યો નથી; તેથી તે 'કાયદેસર ગાંડો' કહેવાય નહિ. પોતે ગાંડો છે એમ દેખાડવા તરંગીપણાના ડોળથી તે બોલ્યો છે તેમાં પણ તે કબૂલ કરે છે કે મારામાં બળ હોત તો હું મારા બધા દુશ્મનોને મારી નાખત, તેથી, ખૂન કરવાનો તેનો ઇરાદો સાબિત થાય છે. એવો ખૂની પણ નાકૌવત માણસ બીજાઓની મદદ લઈ પોતાના સામાવાળા પર હુમલો કર્યા વિના રહે જ નહિ. 'બદાદત જશપૂરી વિજય.' નામના કોઈ માણસનું નામ તે ઘડી ઘડી દઈ ઊઠે છે. તે એનો મિત્ર છે કે શત્રુ છે તે તેના બોલવાથી સમજાતું નથી, પણ તે 'સનાતન આર્યધર્મ' નામના કોઈ પંથનો છે એમ જણાય છે. આ માણસ કંઈ મુદ્દાની હકીકત જાણતો હોય એમ લાગે છે. પણ તેને તોહોમતવાળાએ સાક્ષીમાં બોલાવ્યો નથી તેથી પણ તેમની બદદાનત તથા કપટ ઉઘાડાં પડે છે. એ સદદત્ત કન્યાઓ વેચવાનો ધંધો કરે છે અને એ નીચ કામમાં તોહોમતવાળો ભદ્રંભદ્ર તેનો સાથી છે, તથા બંનેને એ સંબંધે ભોજનવ્યવહાર બાબત તકરાર પડેલી છે એવું કંઈ જણાય છે. તેથી આવાં હલકાં કામ કરી પેટ ભરનાર આ ભદ્રંભદ્ર—'

'ધિક્ મૂર્ખ !' એટલું ભદ્રંભદ્રથી બોલાઈ જવાયું. તેમના ચિત્તમાં ઉકળાટ ચાલી રહ્યો હતો. વકીલને બોલતો અટકાવવા અને જરૂર જેવું લાગે તો પાંજરામાંથી બહાર આવી તેના પર પ્રહાર કરવા તે તલપી રહ્યા હતા. તેમનો ઘાંટો સાંભળી વકીલે તેમના તરફ જોયું. તેમની લાલચોળ આંખો જોઈ વકીલ કંઈ ખંચાયા અને માજિસ્ટ્રેટ તરફ જોઈ આજીજી કરી બોલ્યા,

'રક્ષણ માટે નામદાર કોર્ટને હું વિનંતી કરું છું. નં ૬નો તોહોમતવાળો જુસ્સામાં આવી ગયેલો છે અને તે કંઈ કાયદા વિરુદ્ધ કૃત્ય કરશે એવો ભય રહેલો છે.'

ભદ્રંભદ્ર તરફ ક્રોધભરી દૃષ્ટિ કરી તેમને નરમ કરી દેવાના પ્રયત્નમાં માજિસ્ટ્રેટ રોકાયા હતા તે હવે વકીલ તરફ જોઈ બોલ્યા, 'ચલાવો, તમારું ભાષણ અગાડી ચલાવો. તોહોમતદારથી ભય રાખવાનું કારણ નથી. તેની મગદૂર નથી કે પીનલ કોડ ભૂલી જઈને કાયદો તોડે.'

'પણ સાહેબ, પાંજરામાં ઊભેલો ગુનેગાર કેદી આબરૂદાર ગૃહસ્થને કોર્ટ વચ્ચે 'મૂર્ખ' કહે એ અપમાન નથી ?'

'તમે પોતે જ તિરસ્કારના શબ્દો બોલી તેને ઉશ્કેર્યો છે.'

'એ તો કોર્ટમાં આવ્યો ત્યારનો અને ત્યાર પહેલાંનો ઉશ્કેરાયેલો છે. નહિ ઉશ્કેરાયેલો એવો મેં તેને કોઈ દિવસ જોયો જ નથી. કોણ જાણે કંઈ પીએ છે કે શું ?'

ભદ્રંભદ્ર પાંજરામાં ઊભા ઊભા ઊછળ્યા, પણ એક પોલીસના સિપાઈને પોતાને મળવા આવતો જોઈ તે પાછા સ્વસ્થ થઈ ગયા. તેમને ઠપકો ન દેતાં માજિસ્ટ્રેટે સિપાઈને ઠપકો દીધો: 'કેદી હવે પછી તોફાન કરશે તો તમને સખત શિક્ષા કરવામાં આવશે.' 'કાયદેસર' કારણ ગમે તે હશે, પણ એ ધમકી સાંભળી રહ્યા વિના તેને છૂટકો નહોતો માટે જ તેને વગર વાંકે ધમકાવ્યો એમ અમને લાગ્યું. શાંતિ માટે આવો બંદોબસ્ત કરી માજિસ્ટ્રેટે વકીલને કહ્યું, 'તમારે પુરાવા બહાર જવું ન જોઈએ. જેનો પુરાવો પડ્યો ન હોય તે વિશે ટીકા કરવાનો તમારો હક નથી.'

'પણ સાહેબ હું અનુમાન બાંધું છું કે એ દારૂ પીએ છે.'

'અનુમાન બાંધવાનું કામ તમારું નથી, કોર્ટનું છે.'

ભદ્રંભદ્ર બોલી ઊઠ્યા, 'શું ! હું મદિરાપાન કરું છું એવું અનુમાન ભવાન્ બાંધશે ?'

'પુરાવાના કાયદા પ્રમાણે હર કોઈ અનુમાન બાંધવાને કોર્ટને સત્તા છે.'

'શાસ્ત્રમાં મદિરાપાનનો નિષેધ છે અને ભાંગગાંજાના સેવનની આજ્ઞા છે તોપણ ? મ્લેચ્છના પાણીને લીધે મદિરા સેવ્યા છે તોપણ ? વેદમાં મદિરાનું નામ નથી પણ સોમરસનું નામ છે તોપણ ? ભક્ષ્યાભક્ષ્ય અને પેયાપેયનો વિવેક વેદવિધાનુસાર જ્ઞાતિભેદ પ્રમાણે છે અને તેમાં પુરાવાના કાયદાથી કે બીજા કોઈ પણ કાયદાથી ફેરફાર થઈ શકતો નથી તોપણ ? આર્ય ગ્રંથોનું આર્યત્વ, પાશ્ચાત્ય ગ્રંથોના પાશ્ચાત્યત્વથી ચડિયાતું હોવાને લીધે આર્ય ગ્રંથોના પ્રમાણથી બલવત્તર છે તો પણ ?—'

માજિસ્ટ્રેટના કોપસ્ફુરણને લીધે ભદ્રંભદ્ર બોલતા અટકી ગયા અને વકીલનું ભાષણ અગાડી ચાલ્યું.

'વંદાનું મોત શી રીતે થયું એ હકીકત આ કામમાં બહુ મુદ્દાની છે, કેમ કે તેથી ગુનો કરવામાં તોહોમતવાળાનો શો નીચ હેતુ હતો તે જણાઈ આવે છે. વંદાને મગને મારી નાખ્યો અને એમાં ભદ્રંભદ્ર તથા બીજાઓએ મદદગારી કરી એમાં લેશમાત્ર શક રહેતો નથી, કેમ કે તે બાબત મજબૂત પુરાવો પડેલો છે અને આબરૂદાર સાક્ષીઓના કહેવા પર વહેમ આણવાનું કંઈ કારણ નથી. જે તોહોમતવાળા આવું કરપીણ કૃત્ય કરતાં આંચકો ન ખાય તે કેવી ચાલના હોવા જોઈએ ! અને એવી દુષ્ટ ચાલવાળા માણાસો ફરિયાદીને અને તેના સોબતીઓને આવો સખત માર મારે એમાં શી નવાઈ ? એમાં શો સંદેહ ! કોણે, કોને, કેટલો માર માર્યો એ બાબતમાં સાહેદીઓની જુબાનીઓમાં કંઈ જૂજ તફાવત પડ્યો છે. પણ તે બહુ નજીવો છે. મારામારીના ગરબડાટમાં કોણે યાદ રહેતું નથી કે મને લાકડી વાગે છે કે મુક્કો વાગે છે, માથાં વાગે છે કે પગમાં વાગે છે, જીવ જાય છે, કે જીવ આવે છે, ફલાણો મારે કે ફલાણાનો બાપ મારે છે. માર માર્યો એ નક્કી છે તે શા વાસ્તે તોહોમતવાળાને સજા થવી ન જોઈએ ? નામદાર કોર્ટ અનુભવી છે અને તે સારી પેઠે જાણે છે કે આવા વીફરેલા માણસોને છૂટા મૂકવાથી લોકોના જાનમાલની સલામતીને બહુ ધાસ્તી રહે છે.'

તે પછી અમારા વકીલ ભાષણા કરવાને ઊઠ્યા. શરૂઆત તેમણે બહુ થોડા શબ્દે અને ધીમે ઘાંટે કરી; પણ સમુદ્રના પાણીની ભરતી માફક તેમના શબ્દોનો પ્રવાહ અવાજ સાથે વધવા લાગ્યો અને આખરે આખું મકાન ગાજી રહ્યું. તેમની આસપાસ બેઠેલા તેમના વકીલબંધુઓ ભાષણો ચાલતાં ખુરશી પર ઊંઘતા હતા તે એકાએક જાગી ઊઠ્યા અને ટટાર થઈ આંખો પહોળી કરી ડોળથી દર્શાવવા લાગ્યા કે અમે કોઈ દિવસ આવે વખતે ઊંઘતા જ નથી. અને અમારા પર ઊંઘવાનો જૂઠો આરોપ મૂકવામાં આવે છે, અમારા વકીલની મોટી બૂમો જુલમ પામેલા નિર્દોષ માણસના પોકારને ઘટતી હતી અને તેમણે બહુ છટાથી બતાવી આપ્યું કે તોહોમતવાળા બહાર ગામ હતા તે વખતે તેમની ગેરહાજરીનો લાભ લઈ વિના અપરાધે તેમના વેરીઓએ કપટ રચી ફસાવવાનો પ્રયત્ન કરેલો છે. ફરિયાદીના પક્ષવાળા પહેલાં ઘણી વાર બોલી ગયેલા છે કે કોઈ દહાડો વંદો મરશે કે એવો કંઈ લાગ આવશે ત્યારે જોઈ લઈશું, અને તેમણે જ યુક્તિ રચી વંદો મરાવ્યો છે તથા સાક્ષીઓએ પહેલી તોહોમતવાળા પાસે લાંચ માગી તે ન આપી ત્યારે દ્વેષે ભરાઈ તેમણે ફરિયાદી પાસે જઈને તેમની તરફથી સાહેદી આપવાની ખુશી બતાવી અને તેથી આ કામ ઉત્પન્ન થયું છે.' ભદ્રંભદ્ર વિરુદ્ધ જે વચનો સામા પક્ષના વકીલે કહ્યાં હતાં તેના ઉત્તરમાં અમારા વકીલે કહ્યું,

'નં ૬ના તોહોમતવાળા વિરુદ્ધ બહુ સખત વચનો કહેવામાં આવ્યાં છે, એવા વેરાગી સાધુપુરુષને અપમાન કરવા માટે કોર્ટે પોતે જ ઠપકો આપેલો છે; માટે તે સંબંધે વધારે કહેવાની જરૂર નથી. ભદ્રંભદ્રે ગાંડા હોવાનો દાવો કર્યો જ નથી અને કરવો હોત તો તે આવાં ડાહ્યાં વચનો કહેત જ નહિ. 'વિદ્યમાન' શબ્દનો અર્થ સમજવામાં મારા વિદ્વાન મિત્રે ભૂલ કરેલી છે. નામ બદલવા માટે નહિ પણ નામ કાયમ રાખી ઉપનામ ઉમેરવાના ઇરાદાથી એ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને સ્ત્રીઓ જો પોતાન નામ આગળ "સૌભાગ્યવતી" એ ઉપનામ પોતાના ઘણીની હયાતી બતાવવા ઉમેરી શકે તો પુરુષો પોતાની હયાતી બતાવવા પોતાના નામ આગળ 'વિદ્યમાન' શા માટે ઉમેરી શકે નહિ ? સ્ત્રીઓના હક્ક પુરુષ સરખા હોય તો પુરુષોના હક્ક સ્ત્રી સરખા નહિ ? અને જે સ્ત્રી પોતાને 'સૌ' કહેવડાવે તેના ધણીએ તો પોતાને 'વિ.' કહેવડાવવો જ જોઈએ, નહિ તો લોકોને શક પડી જાય કે ધણી હયાત ન છતાં સ્ત્રી શા આધારે પોતાને સૌભાગ્યવતી કહેવડાવે છે.'

'સદાદત્ત જશપુરીવિજય' નામનો માણસ મુદ્દાની હકીકત જાણે છે એ સાબિત કરવાનો બોજો ફરિયાદી પર છે અને તે (ફરજ) તેણે બજાવવી જોઈતી હતી. તે વખતે જીવતો નથી એમ સાબિત થાય નહિ ત્યાં સુધી તેણે કહેલી હકીકત પુરાવામાં લઈ શકાય નહિ; કેમ કે સાંભળેલી હકીકત પુરાવાના કાયદા પ્રમાણે નકામી છે, પછી તે તોહોમતવાળો કહેતો હોય કે બીજો કોઈ કહેતો હોય. તકરાર ખાતર ઘડીભર માનો કે કન્યાવિક્રયની અને ભોજનવ્યવહારની વાતો ખરી છે, તોપણ તેથી તોહોમતવાળા પર શો ગુનોહ સાબિત થાય છે ? પીનલકોડની કઈ કલમ પ્રમાણે એવાં કૃત્યથી ગુનોહ બને છે ? એ માણસ તોહોમતદારનો મિત્ર છે કે શત્રુ એ તકરાર કામ ચાલતાં લેવાઈ નથી, માટે તે તકરાર હવે કામ પૂરું થયે નવી ઉઠાવી શકાતી નથી.

'નં. ૬ના તોહોમતવાળાએ પોતાનું નામ ભદ્રંભદ્ર રાખ્યાની બાબતમાં તેણે મને ખુલાસો આપેલો છે, પણ તે ધર્મને લગતો હોવાથી અહીં કહી જણાવવાથી કંઈ ફળ નથી.'

'વૈકુંઠવાસ એ કંઈ ઓછું ફળ છે ?' દુનિયામાં જવલ્લે બને એવા બનાવનું વર્ણન કરવામાં કંઈ ફળ નથી, એમ વકીલને કહેતા સાંભળી ભદ્રંભદ્રે તત્કાળ આર્યોચિત અસંમતિ પ્રદર્શિત કરી; પણ આ બાબતમાં તેમને અને માજિસ્ટ્રેટને પ્રથમથી દ્વેષ બંધાઈ ગયેલો હતો, માજિસ્ટ્રેટ તરત બોલી ઊઠ્યા.

'તમારા વકીલ જે કહેવું હશે તે કહેશે. તમારે વચમાં બોલવું નહિ.'

કહેવાનું નથી કહેતા માટે જ વચમાં બોલવું પડે છે. ઉમિયાપતિ ભક્તમહાત્મ્યના આવા મોટા વૃત્તાન્તનું કથન કરવામાં ફલં નથી એમ કહેવું એ શું સનાતન આર્યધર્મના સદોદિત યશ:પૂર્ણ વિજયના સમયને ઘટે છે ? પુરાણની કથાઓ કહેનાર અને સાંભળનારને આટલું મોટું ફલં શાસ્ત્રેષુ લખ્યું છે, બલિ સરખા દૈત્યની કથા સાંભળે તેને એક હજાર અશ્વમેધ કર્યાનું ફલં મળે છે, તુલસીના ઝાડની પૂજાનું કમકાવ્રત સાંભળે તેનાં સર્વ પાન નાશ થાય છે અને તે વિષ્નુલોકમાં જાય છે, અનંત ચતુર્દશીના દોરડાની કથા સાંભળે તે હરિના પદને પામે છે, અને મારા સરખા પરમ પૂજ્ય સનાતન આર્યધર્મના સંભભૂત મહાપુરુષની કથા કહેવાનું કે સાંભળવાનું કંઈ ફલં જ નહિ ? શું સુધારાવાળાઓ પોતાના જદવાદમાં એટલે સુધી ફાવી ગયા છે કે ચૈતન્યવાદનું સમર્થન કરનારી 'ભદ્રનાથમધારણકથા'નો પાઠ પણ તેઓ અટકાવી શકે છે ? અને તેમાં તેમને કાયદાની સહાયતા મળે છે ? આર્યપક્ષવાદીઓ કાયદાની સહાયતાથી વિરુદ્ધ છે તેમાં તેમની દીર્ઘદૃષ્ટિ શું આથી સિદ્ધ થતી નથી ? પુરાવાનો કાયદો કે પીનલકોડ જે ઉભયે સુધારાવાળાને સાહાયકાર હોઈ એકરૂપ જણાય છે. તેને આધારે આ કથા અટકાવવામાં આવતી હોય તો મારો વાંધો એ જ કે કોઈ પણ પાશ્ચાત્ય કાયદાથી આર્યધર્મના વ્યાખ્યાનને પ્રતિબંધ છે નહિ, હોઈ શકે નહિ, હોવો ઘટે નહિ. પુરાવાનો કાયદો કે જેમા.'

'પ્રોસીજર કોડ પ્રમાણે વકીલ અને અસીલ બે સાથે બોલી શકતા નથી. હવે તું અક્ષર પણ વધારે બોલીશ તો હું તને કોર્ટ બહાર કઢાવીશ અને કામ પૂરું થતાં સુધી ઓટલા નીચે ઊભો રખાવીશ.'

ભદ્રંભદ્રની ઇચ્છા કોર્ટની અંદર રહી કામ જોવાની હતી, તેથી તેમણે વધારે બોલવાનો શ્રમ લીધો નહિ. પણ પોતાની નોટબુકમાં લખી લીધું કે, 'આર્યતા તને ત્વકાર અને તારો તિરસ્કાર ! ફાવો, સુધારાવાળા ! હાલ તમે યથેચ્છક ફાવો. પણ પ્રલયકાળે શું કરશો ? શી પાશ્ચાત્ય કાયદાની યુક્તિઓ છે ? બે કાયદામાં હાર ખાધી ત્યારે ત્રીજો કાયદો ! એક જ કાયદો હોવાની આવશ્યકતા-તે વિશે સ્થળે સ્થળે ભાષણ-સભાઓ અરજી.'

આડકથા પૂરી થઈ એટલે વકીલનું ભાષણ અગાડી ચાલ્યું.

'કાયદાની અજ્ઞાનતાથી તોહોમતવાળો ગમે તે કહે પણ 'ભદ્રંભદ્ર' એ નામ સંબંધે એટલું જ કહેવું બસ છે કે તેની હકીકત એવી છે કે સાબિત કરવા સાક્ષાત્ શંકરની જરૂર પડે પણ કોર્ટ તેમના પર સમન્સ કાઢે નહિ અને શંકર ફક્ત હિંદુના જ દેવ હોવાથી પાશ્ચાત્ય કોર્ટમાં તે આવે નહિ.

'નં. ૬ના તોહોમતવાળાનો ઇરાદો ખૂન કરવાનો હતો એમ બતાવવાનો મારા વિદ્વાન મિત્ર્ પ્રયત્ન કર્યો છે, પણ કોઈનું ખૂન થયું નથી અને એ તોહોમતવાળાનો ઇરાદો ખૂન કરવાની કોઈ કોશિશમાં શામિલ હતો નહિ તેથી ખૂનનો ઇરાદો સાબિત કરવાની મારા વિદ્વાન મિત્રે નકામી તસ્દી લીધી છે. નં. ૬નો તોહોમતવાળો—'

બોલવાની મના હોવાથી ભદ્રંભદ્રે કાગળના કકડા પર 'માનાર્થે બહુવચનમ્' એટલું લખી વકીલને આ ક્ષણે તે પહોંચાડાવ્યો. કાગળ હાથમાં આવતાં વકીલ અટક્યા. કાગળ વાંચીને ચોળી દઈ નાખી દીધો. ભદ્રંભદ્ર તરફ ફરીને ખીજવાઈ જઈ દૃષ્ટિ કરી, અને પછી માજિસ્ટ્રેટ તરફ વળીને ભાષણ ફરી ચાલુ કર્યું. વિઘ્નને લીધે અનુસંધાનનું સ્મરણ કરવા પ્રયાસ કરવો પડ્યો એ સિવાય બીજી અપ્રસન્નતા પણ તેના મુખ પર સ્પષ્ટ જણાતી હતી.

'ભદ્રંભદ્ર પોતાનામાં રાક્ષસ સરખું બળ હોત તો પોતે શું કરત એ વિશે જે કંઈ કહ્યું હોય તે પરથી તેમનામાં હાલ જ્યારે એવું બળ નથી ત્યારે પણ એ જ કરવાની તેમની ઇચ્છા છે એવું અનુમાન કરવું એ કાયદા વિરુદ્ધ છે. વંદાના મોતની હકીકત ફક્ત કોર્ટને વહેમાવવા સારુ આ કામમાં અગાડી પાડવામાં આવી છે. વંદો મારીને ઉશ્કેરાયેલા માણસોએ નાતમાં આવી મારામારી કરી અથવા નાતમાં મારામારી કરવાના હેતુથી પ્રથમ વંદો માર્યો એમ માનવાનું કંઈ કારણ નથી. વંદાને મારી નાખ્યો એ જ વાત શક પડતી છે. શએરમાંથી વંડાની સંખ્યા થઈ એવો કંઈ પુરાવો ફરિયાદીએ આણ્યો નથી. વંદાની લાશ પણ રજૂ થઈ નથી, તેમ વંદો મરી ગયા પછી તેની લાશનું શું થયું. એ વિશે કંઈ ખુલાસો આપવામાં આવ્યો નથી. વંદાને માર પડ્યાના સાહેદોમાં પણ બહુ તફાવત છે. કેટલાક કહે છે કે ફક્ત ડાબી તરફની મૂછો હલાવતો હતો, કેટલાક કહે છે કે તેને માર્યો તે ઈંટ સાફ ગોળ હતી, કેટલાક કહે છે કે તે ઈંટને સહેજસાજ ખૂણા હતા. આવા સાહેદો પર શો આધાર રાખી શકાય ?'

'તોહોમતવાળાઓ આબરૂદાર છે અને નં. ૬ના તો મહાદેવના ભગત છે માટે તેમને છોડી મૂકવા જોઈએ.'

માજિસ્ટ્રેટે ફેંસલો આપવો મુલતવી રાખ્યો, અને અમારી દશા નવેણમાં પૂરી રાખેલા પકવાનના ભાવિ સરખી અનિશ્ચિત રાખી અમને ઘેર જવા દીધા.