મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ મોહમ્મદ અબ્દુલ જબ્બાર અલ ખરકી

વિકિસ્રોતમાંથી
← ઈબ્ને મિસ્કવાયહા મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂ મોહમ્મદ અબ્દુલ જબ્બાર અલ ખરકી
સઈદ શેખ
અલ માહાની, અબુ અબ્દુલ્લાહ મોહમ્મદ ઈબ્ને ઈસા  →


અલ ખરકી (બારમી સદી)

અબુ મોહમ્મદ અબ્દુલ જબ્બાર ઇબ્ને અબ્દુલ જબ્બાર અલ ખરકી ઇરાની ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને ભૂગોળશાસ્ત્રી હતો. મર્વ પાસે ખરકમાં એનો જન્મ થયો હતો અને સલ્જુક સુલતાન સંજર (ઇ.સ. ૧૧૧૮-૧૧૫૭)ના દરબારમાં સેવા આપતો હતો. ઇરાની હોવા છતાં એ ફારસીના બદલે અરબીમાં લખતો હતો. એની મુખ્ય રચના હતી 'મુન્તહા અલ ઈદરાક ફી તકાસિમ અલ અફલાક' (ખગોળીય ગોલકોના વિભાજન વિશેની સમજણ બાબત). ખગોળ, ભૂગોળ અને કાળક્રમ (ક્રોનોલોજીકલ) એવા ત્રણ ખંડોમાં સમાવિષ્ટ આ ગ્રંથમાં ગ્રહોને ટોલેમીની માન્યતાનુસાર કાલ્પનિક વર્તુળોથી ટેકો હોવાના બદલે દળદાર ગોળાઓ કે જે ટ્યુબમાં ફરે છે એનો ટેકો મળેલ છે એવું દર્શાવવામાં આવ્યું છે.

એની બીજી રચના ‘કિતાબ અલ તબસિરા ફા ઇલ્મ અલ હયા' (કોસ્મોગ્રાફી - વિશ્વરચના) વિશે છે. જે ઉપર દર્શાવેલ ગ્રંથનો જ સંક્ષિપ્તીકરણ છે. એના બે ભાગ છે 'આકાશ' અને 'ધરતી'.

અલ ખરકીએ બે ગાણિતિક પ્રબંધોની રચના પણ કરી હતી. 'અલ રિસાલા અલ શામિલા' (વ્યાપક પ્રબંધ) અંકગણિત સંદર્ભે અને 'અલ રિસાલા અલ મગરિબીયા (ઉત્તર આફ્રિકન પ્રબંધ) દિરહમ અને દીનારના કલન બાબતે છે. દુર્ભાગ્યે આ બંને હાલમાં ઉપલબ્ધ નથી.