મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ કુહી, અબુ સહલ વયજાન ઈબ્ને રુસ્તમ

વિકિસ્રોતમાંથી
← ઈબ્ને તુફૈલ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અલ કુહી, અબુ સહલ વયજાન ઈબ્ને રુસ્તમ
સઈદ શેખ
ઈબ્ને યુનુસ, અબુલ હસન અલી  →


અલ કુહી (દસમી સદી)

અબુ સહલ વયજાન ઈબ્ને રુસ્તમ અલ કુહી ઈરાનના તબરીસ્તાનમાં કુહ ગામમાં જન્મ્યા હોવાથી અલ કુહી તરીકે પ્રસિદ્ધ થયા. બગદાદમાં બુવાહિદ ખલીફા અબ્દુદ્દૌલા અને એના પુત્ર શરફુદૌલાના દરબારમાં ખગોળશાસ્ત્રી તરીકે સેવા આપી અને અબ્દુદ્દૌલાના આદેશથી ઈ.સ. ૯૮૮માં અબુલહુસૈન અલસૂફીના માર્ગદર્શનમાં શીરોઝ શહેરના અયનકાળ (સૂર્ય જ્યારે વિષુવવૃત્તથી બે વખત મહત્તમ અંતરે હોય તે)ના અવલોકનો ઘણા મેજીસ્ટ્રેટ અને વૈજ્ઞાનિકોની હાજરીમાં લીધા હતા.

એક ગણિતશાસ્ત્રી તરીકે અલકુહીએ ભૂમિતિના કેટલાક પ્રશ્નોને હલ કર્યા હતા અને બીજગણિતમાં બે થી વધુ ઘાત ધરાવતા સૂત્રો શોધી કાઢ્યા હતા.

આર્કિમિડીઝે 'સ્ફીયર એન્ડ સીલીન્ડર' માં ઉઠાવેલા પ્રશ્નોના ઉત્તરરૂપે અલ કૂહીએ બે અજ્ઞાત ગોળાની ત્રિજ્યા અને ખંડની ઊંચાઈ શોધી પરવલયના પ્રશ્નોનો ઉકેલ શોધ્યો. અલ કુહીએ એ પણ દર્શાવ્યું કે શંકુચ્છેદ (conic Sections) ઘણા પ્રશ્નોના ઉકેલ ધરાવે છે. રીસાલા ફી કિસ્મત અલ ઝાવીયા (On the Trisection of the Angle)માં અલ કુહીએ લંબકોણીય અતિવલય (Orthogonal Hyperbola)નો ઉકેલ આપ્યો, જેનો ઉપયોગ અલ સિજઝીએ કર્યો હતો. 'રિસાલા ફી ઈસ્તિખરાજ દિલ અલ મુસબ્બલ મુતવાસીલ અદલા' (On the construction of the Regular Heptagon - સમ સપ્તભુજની રચના)માં અલ કુહીએ આર્કિમિડીઝ કરતા વધારે સચોટ ઉકેલ શોધી બતાવ્યો. આ ઉકેલ ૧:૨:૪:નો ગુણોત્તર ધરાવતા ત્રિકોણ ઉપર આધારિત હતો. દસમી સદીમાં સૌથી રોચક ઉકેલ અલકુહીના સરખી બાજુવાળા પંચકોણ છે જેનું વર્ણન 'રિસાલા ફી અમલ મુખમ્મસ મુતસાવી અદલા ફી મુરબ્બા માલૂમ'માં કર્યું છે. આ ઉકેલ યુકિલિડના 'તત્ત્વો' અને એપોલોનીયસના ‘Conics' ઉપર આધારિત હતો.

પ્રસિદ્ધ નેત્રવિજ્ઞાની ઇબ્ને અલ હિશામ અને અલકુહીની મુલાકાત બસરામાં થઈ હતી. તેઓ ગણિતિક પ્રશ્નો વિશે ચર્ચા કરતા. અલ કુહીએ આ સૂત્ર સાબિત કરી આપ્યું હતું કે x3+a=cx2 કે જ્યાં a≤4c3/27 Πઅલકુહીએ 'રિસાલા ફીલ બરકાર અલ તામ' (સંપૂર્ણ કંપાસ)માં કંપાસની સોયની મદદથી સીધી રેખા, વર્તુળ અને શંકુચ્છેદો કેવી રીતે દોરી શકાય એ સિદ્ધાંતની ચર્ચા કરી હતી, જે વિશ્વમાં સૌપ્રથમ મનાય છે. 'વધુમાં એણે એ પણ નિષ્કર્ષ કાઢ્યો હતો કે આ જ બાબતો અસ્તૂરલાબ અને સૂર્યઘડીયાળ જેવા સાધનો વડે પણ દોરી શકાય છે.

'કિતાબ સનતુલ અસ્તૂરલાબ' (અસ્તૂરલાબના ઉત્પાદન બાબત)માં અલ કુહીએ વર્તુળ દોરવા માટે દિકકોણ (azimuth)ની મૌલિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, જેનો વિશિષ્ટ ઉપયોગ ત્રિપરિમાણીય પ્રશ્નોને દ્વિપરિમાણમાં ફેરવવા માટે થાય છે. અબૂ સાદ અલ આલા બિન સહલએ આનું વિવેચન લખ્યું હતું.

અલ કુહી અને અબુ ઇશ્હાક અલ સાલી વચ્ચે ગણિતિક પ્રશ્નોની ચર્ચા કરતા પત્રવ્યવહાર થતા હતાં. અલ કુહીએ વક્રીય આકૃતિને સુરેખાકૃતિમાં કેવી રીતે ફેરવી શકાય, જાણીતા ગુણોત્તરનો અર્થ, અતિવલય ખંડને ચોરસમાં કેવી રીતે ફેરવાય, વૃત્તચ્છેદના ગુરૂત્વાકર્ષણ કેન્દ્ર અને ચાપ (arcs)ના સિદ્ધાંતો વગેરેની ચર્ચા કરી છે. એક પત્રમાં અલકુહીએ વર્તુળના પરીધ અને વ્યાસના ગુણોત્તર પાઈ (ᴨ) નું મૂલ્ય ૨૮/૯ શોધ્યું હતું જે વાસ્તવિક આંકથી ખૂબ નજીક હતું.