મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : સત્યાગ્રહીઓની તબીયત

વિકિસ્રોતમાંથી
← અનુભવ બીજો : કાફરોના ટંટા મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : સત્યાગ્રહીઓની તબીયત
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : જેલમાં વર્ણભેદ →


સત્યાગ્રહીઓની તબીયત.

જેલમાં ખાસ માંદગી તો ઘણા કેદીને ન હતી. મિ. માવજીને વિષે હું કહી ગયો. મિ. રાજુ કરીને તામીલ હતા તેને સખત મરડો થયેલો. તબીયત ઘણી લથડી હતી. તેનું કારણ તેણે એમ બતાવ્યું કે હંમેશાં ત્રીશ પ્યાલા ચાહ પીવાની આદત હતી તે નહિ મળવાથી થયો. તેણે ચાહની માગણી કરી પણ તે તો નજ મળે, પણ તેને દવા મળી ને જેલના ડાક્ટરે બે રતલ દુધનો તથા રોટીનો હુકમ કર્યો. તેથી તેની તબીયત સરસ થઇ ગઇ. મિ. રવિકૃષ્ણ તાલેવંતસીંગની તબીયત છેવટ સુધી ખરાબ રહી. મિ. કાજી ને મિ. બાવાઝીર છેવટ સુધી માંદા રહ્યાં. મિ. રતનસી સોઢાને ચાતુર્માસનું વ્રત હોવાથી એકટાણું ખાતા; ખોરાક બરોબર નહિ હોવાથી ભૂખ ખેંચતા છેવટે સોજા થયા. આ સિવાય પરચુરણ માંદગી કેટલાકને હતી. છતાં એકંદરે જોયું કે માંદગીવાળા હિંદી પણ હાર્યા ન હતા. તે દેશને સારૂ આ ખાસ દુ:ખ ઉઠાવવા રાજી હતા.