યુગવંદના/તરુણોનું મનોરાજ્ય

વિકિસ્રોતમાંથી
← શૌર્યવતીના વિલાપ યુગવંદના
તરુણોનું મનોરાજ્ય
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
શિવાજીનું હાલરડું →




તરુણોનું મનોરાજ્ય
[ઢાળ : ચારણી કુંડળિયાનો]


ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ,
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ :
આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે
વિશ્વભરના યુવાનોની આંખો અડે;
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,
ગરુડ-શી પાંખ આતમ વિષે ઊઘડે.

કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધ ચડે,
રોકણહારું કોણ છે? કોનાં નેન રડે ?
કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ !
યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહિ!
કેસરી વીરના કોડ હરશો નહિ!
મત્ત યૌવન તણી ગોત કરશો નહિ !

રગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુને પાય;
લાતો ખાધી, લથડિયાં – એ દિન ચાલ્યા જાય;
લાત ખાવા તણા દિન હવે ચાલિયા,
દર્પભર ડગ દઈ યુવકદળ હાલિયાં;
માગવી આજ મેલી અવરની દયા,
વિશ્વસમરાંગણે તરુણદિન આવિયા.

અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ :
લોપવી સીમ, અણદીઠને દેખવું,
તાગવો અતલ દરિયાવ – તળિયે જવું,
ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું:
આજ યૌવન ચહે એહ વિધ જીવવું.