યુગવંદના/નવ કહેજો !

વિકિસ્રોતમાંથી
← સ્વતંત્રતાની મીઠાશ યુગવંદના
નવ કહેજો !
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
ઊઠો →




નવ કહેજો !


રણવગડા જેણે વીંધ્યા,
વહાલી જેને વનવાટ;
જે મરતાં લગ ઝંખેલો
ઘનઘોર વિજન રઝળાટ :
જે ગગન ચુંબતો ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ –
એ સુભટ કાજ કો' નવ કહેજો : 'પ્રભુ દે એને વિશ્રામ !'′

દમ દમ કર્મે મચી રહેતાં
ઊછળે ઉરમાં ધબકાર;
ભલી એ એની વિશ્રાંતિ
એ સુખ, જીવન આધાર :
એ પડે-લડથડે, છતાં ઊઠી ફરી ચડે યુદ્ધ અવિરામ –
એ સુભટ કાજ કો' નવ કહેજો : 'પ્રભુ દે એને વિશ્રામ !'

ધગધગ ધખતા સહરામાં
એ મહાલે શીતળ સેજ;
ઘન ઘન અંધારનિશામાં
ભાળે ભાસ્કરનાં તેજ :
વંટોળ વિષે પણ પામન્તો ફૂલદોલ તણા આરામ –
એ સુભટ કાજ કો' નવ કહેજો : 'પ્રભુ દે એને વિશ્રામ !'

જ્યમ શતશત પહાડશિખરથી
જળધોધ ઘૂઘવતો જાય,
જ્યમ ખુશખુશાલ કો જોદ્ધો
નિજ અશ્વ નચવતો જાય:
ત્યમ સત્ય તણો શોધક નિજ પંથે ધસે સદા અવિરામ –
એ સુભટ કાજ કો' નવ કહેજો : 'પ્રભુ દે એને વિશ્રામ !'



વનવનમાં વદન હસવતી.
કો’ સરિતા ચાલી જાય;
દુર્ગંધ જગતની વહતી
સાગરમાં શાંત સમાય :
સાચા જગસેવકનું જીવન ત્યમ પામે મૌનવિરામ –
એ સુભટ કાજ કો' નવ કહેજો: 'પ્રભુ દે એને વિશ્રામ !'