રસધાર ૫/ભીમો ગરણિયો

વિકિસ્રોતમાંથી
← હીપો ખુમાણ સૌરાષ્ટ્રની રસધાર ૫
ભીમો ગરણિયો
ઝવેરચંદ મેઘાણી
રખાવટ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.




ભીમો ગરણિયો

ચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં, તે દિવસથી આજ સુધી આહીરોના દીકરાને છાબડે – જો એ છાબડું સતનું હોય તો – મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો ધૂડિયું વરણ : ઘોડે ચડીને ફોજ ભેળો હાલે કે ન હાલે, પણ આયરનો દીકરો ગામને ટીંબે ઊભો રહીને ખરેખર રૂડો દેખાય. એવો જ રૂડો દેખાણો હતો એક ગરણિયો : આજથી દોઢસો વરસ ઉપ૨ : સાતપડા ગામને ટીંબે.

સાતપડાને ચોરે મહેતામસુદી અને પગીપસાયતા મૂંઝાઈને બેઠા છે. શું કરવું તેની ગમ પડતી નથી. પાલીતાણાના દરબાર પ્રતાપસંગજી આજ પોતાના નવા ગામનાં તોરણ બાંધવા આવ્યા છે. એટલે ના પણ કેમ પડાય ?

“બીજું કાંઈ નહિ”, એક આદમી બોલ્યો : “પણ નોખાંનોખાં બે રજવાડાંનાં ગામ અડોઅડ ક્યાંય ભાળ્યાં છે ? નત્યનો કજિયો ઘરમાં ગરશે.”

“પણ બીજો ઉપાય શો ! એના બાપની જમીન આપણા ગઢના પાયા સુધી પોગે છે, એની કાંઈ ના પડાય છે ?” બીજાએ વાંધો બતાવ્યો.

“અરે બાપુકી શું, સાત પેઢીની જૂની જમીન હોય તોય મેલી દેવી જોઈએ; ગામ ગામ વચ્ચેના સંપ સાટુ શું પાલીતાણાનો ધણી આટલો લોભ નહિ છોડે ?”

“હા જ તો ! હજી કાલ સવારની જ વાત : સધરા જેસંગની મા મીણલદેએ મલાવ સરોવર ખાંડું થાતું’તું તોય, વેશ્યાનું ખોરડું નહોતું પાડ્યું.”

“અને આપણે ક્યાં જમીનનાં બટકાં ભરવા છે ? ફક્ત ગોંદરા-વા જમીન મેલી દિયે, એટલે બેય ગામ વચ્ચે ગોંદરો કરશું. બિચારાં પશુડાં પોરો ખાશે, વટેમાર્ગુ વિસામો લેશે અને વળી કજિયોકંકાસ નહિ થાય.”  “પણ ઈ સાવજને કોણ કે’વા જાય કે તારું મોઢું ગંધાય છે ?”

“મે’તો જાય, બીજું કોણ ?”

લમણે આંગળી મૂકીને બેઠેલા વહીવટદારને શરીરે પરસેવો વળી ગયો. એણે જવાબ દીધો કે “એ મારું કામ નહિ, ભાઈ ! તમે સહુ પસાયતાઓ જઈને મારા નામે દરબારને સમજાવો.”

“તો ભલે, હાલો !” કહેતા પસાયતા ઊભા થયા; પાદર જાય ત્યાં પ્રતાપસંગજી ઢોલિયો ઢળાવીને બેઠેલા... પાલીતાણાનું ખોરડું ગાંડું કહેવાય છે, તેનું સાક્ષાત્ પ્રમાણ દેતી એની વિકરાળ મુખાકૃતિની સામે કોઈ હાલીમવાલી તો મીટ માંડી શકે નહિ. એવો તાપ ઝરે છે. બેઠા બેઠા દરબાર જરીફોને હાકલ કરે છે: “હાં ! ભરતર કરીને નાખો ખૂંટ. અને પછી પાયો દોરી લ્યો ઝટ.”

“બાપુ, રામ રામ !” કહીને નીચા વળી સલામ કરતા પસાયતા ઊભા રહ્યા.

“કેમ શું છે ?” પ્રતાપસંગજીએ તૉરમાં પૂછ્યું.

“બાપ, વહીવટદારે કહેવરાવેલ છે કે જમીન તમારી સાચી, પણ નત્યનો કજિયો નો થાય માટે ગોંદરા-વા જમીન મેલી...”

“મેલી દઉં, એમ ને ?" પ્રતાપસંગજીનો પિત્તો ફાટી ગયો : “લીલાંછમ માથાંનાં ખાતર ભર્યા છે, એ જમીન મેલી દઉં, ખરું કે ? જમીનનાં મૂલ ઈ કાછડો શું જાણે ? જાઓ ઘરભેળા થઈ જાઓ. કહેજો એને કે સીમાડે તો સરપ ચિરાણો'તો[૧], કાછડા !”

ઝાંખાંઝપટ મોં લઈને પસાયતા પાછા ફર્યા. ચોરે જઈ વહીવટદારને વાત કરી. બધા ચોરે સુનસાન થઈ બેઠા. ભાવનગર આઘું રહી ગયું, એટલે ત્યાં સમાચાર પહોંચતાં પહેલાં તો પ્રતાપસંગજી પાયા રોપી દેશે. સહુના શ્વાસ ઊંચા ચડી ગયાં છે.

“પણ તમે આટલા બધા કાંપો છો શીદ ને ? પ્રતાપસંગજી શું સાવઝ-દીપડો છે ? માણસ જેવું માણસ છે. આપણે જઈને ઊભા રહીએ, ફરી સમજાવીએ, ન માને તો પાણીનો કળશો ભરીને આડા ઊભા રહીએ. આમ રોયે શું વળશે ?”

સહુની નજર આ વેણ બોલનાર માણસ માથે ઠેરાઈ. આછા-પાંખા કાતરા : એકવડિયું ડિલ : ફાટલતૂટલ લૂગડાં : ખભે ચોફાળનું ઓસાડિયું નાખેલું : કાખમાં તરવાર ને હાથમાં હોકો : ચોરાની પડસાળની કોરે સહુથી આઘેરો એ આદમી બેઠો છે.

“ત્યારે, ભીમા ગરણિયા,” માણસોએ કહ્યું: “તમે અમારી હારે આવશો ?”

“ભલે, એમાં શું ? તમે કહેતા હો તો હું બોલું.”

“જે ઠાકર !” કરીને સહુ ઊપડ્યા. મોખરે ભીમો ગરણિયો હાલ્યો. સડેડાટ ધીરે પગલે સીધો પહોંચ્યો, પ્રતાપસંગજીને ગોઠણે હાથ નમાવી બોલ્લ્યો : “બાપુ, રામ રામ !”

“રામ રામ ! કોણ છો ?” દરબાર આ આયરના વહરા વેશ સામે જોઈ રહ્યા, મોં આડો રૂમાલ રાખીને હસવું ખાળ્યું.

“છઉં તો આયર.”

“ખાખરો રૂંઢ ને આયર મૂંઢ !” દરબારે મશ્કરી કરી : “બોલો આયરભાઈ, શો હુકમ છે ?”

“બાપુ, હુકમ અમારા ગરીબના તે શિયા હોય ! હું તો આપને વીનવવા આવ્યો છું કે ગોંદરા-વા મારગ છોડીને ગામનો પાયો નખાય તો સહુનો પ્રભુ રાજી રે !”

“આયરભાઈ !” પ્રતાપસંગનું તાળવું તૂટું તૂટું થઈ રહ્યું : “તમે ભાવનગરના કારભારી લાગો છો !”

“ના, બાપ ! હું તો પસાયતોય નથી.”

“ત્યારે?”

“હું તો મુસાફર છું. અસૂર થયું છે ને રાત રિયો છું.”

“તો પછી આબરૂ સોતા પાછા ફરી જાવ !”

“અમારે આયરને આબરૂ શી, બાપ ? હું તો એમ કહું છું કે ભાવનગર અને પાલીતાણું બેય એક જ છોડવાની બે ડાળ્યું : એક જ ખોરડું કહેવાય : ગંગાજળિયું ગોહિલ કુળ બેયનું એક જ, અને એક બાપના બે દીકરા આવી માલ વગરની વાતમાં બાધી પડે એવું કજિયાનું ઝાડ કાં વાવો ?”

“હવે ભાઈ, રસ્તો લે ને ! ભલે ભાવનગરનો ધણી મને ફાંસીએ લટકાવે.”

“અરે બાપ !” જેમ જેમ ઠાકોર તપતા જાય છે તેમ તેમ ગરણિયો ટાઢો રહીને ડામ દેતો જાય છે : “શેત્રુંજાના બાદશાહ ! એમ ન હોય. હેડાહેડાનિયું આટકે ત્યારે અગ્નિ ઝરે; વજ્જરે વજ્જર ભટકાય તે વખતે પછી દાવાનળ ઊપડે.”

“આયરડા !!!” પ્રતાપસંગની આંખમાંથી તણખા ઝર્યા.

“બાપુ, તમારે આવું તોછડું પેટ ન જોવે, અને ભાવનગર-પાલીતાણા બાખડે –”

“તે ટાણે તને વષ્ટિ કરવા બોલાવશું.”

“એ ટાણે પછી તેડાવ્યાનું વેળુ નહિ રહે. ભેંસ્યું જે ઘડીએ માંદણામાં પડે તે ઘડીએ ડેડકાં બિચારાં ઓવાળે ચડે, બાપુ ! ઈ ટાણે વષ્ટિનો વખત ન રહે. પછી તો જેના ઘર માથે ઝાઝાં નળિયાં –”

“તો પછી તું અમારાં નળિયાં ઉતરાવી લેજે.”

“હું તો અસૂર થયું છે તે રાત રિયો છું. પણ, બાપુ, રે'વા દ્યો.”

“નીકર ! તું શું બંધ કરાવીશ ?”

“ઈ યે થાય !”

“એ-મ !” પ્રતાપસંગજીએ જરીફોને હાકલ દીધી : “નાખો ખૂંટ, ગધેડીઓ ખોદો – આયરડો આવ્યો બંધ કરાવવા !”

ઠાકોરની હાકલ સાંભળીને જરીફો ડગલું માંડે તે પહેલાં તો ભીમાના મ્યાનમાંથી તરવાર ખેંચાણી. ઉઘાડી તરવાર લઈને ભીમો આડો ઊભો અને જરીફોને કહ્યું : “જોજો હો, ટોચો પડ્યો કે કાંડાં ખડ્યાં સમજજો !”

ઘડી પહેલાંનો પામર આદમી ઘડી એકમાં બદલાયો ને બદલાતાં તો તાડ જેવડો થયો. જરીફોના પગ જાણે ઝલાઈ ગયા, ઠાકોરની આંખમાં પોતાની નજર પરોવીને પડકાર્યું: “ત્યાં જ બેઠા રેજો, દરબાર ! નીકર ઓખાત બગડી જશે. હું તો આયરડો છું. મરીશ તો ચપટી ધૂળ ભીંજાશે. પણ જો તમારા ગળાને આ કાળકા લબરકો લેશે ને, તો લાખ ત્રાંસળિયું ખડખડી પડશે, શેત્રુંજાના ધણી ! આ સગી નહિ થાય.”

પ્રતાપસંગજીએ આજ જીવતરમાં પહેલી જ વાર સાચા રંગમાં આવેલા પુરુષને દીઠો. સોળ કળાના હતા, પણ એક કળાના થઈ ગયા. આંખોની પાંપણો ધરતી ખોતરવા મંડી. ત્યાં તો ફરી વાર ભીમો બોલ્યો : “અમારું માથું તો ઘરધણી માણસનું, દરબાર ! ચાળીનો બોકડો મર્યો તોય શું ? પણ સંભાળજો. હાલ્યા છો કે હમણાં ઉતારી લઈશ માથું – ચાકડેથી માટીનો પીંડો ઉતારે એમ.”

ભૂવો ધૂણતો હોય એમ ભીમાનું ડિલ ધ્રૂજી ઊઠ્યું. માણસોએ ભીમાને ઝાલી લીધો. પ્રતાપસંગજી ઊઠીને હાલી નીકળ્યા. બીજે દિવસે ભળકડે ઊઠીને પાલીતાણે પહોંચી ગયા.

આ બાજુથી સાતપડાના વહીવટદારે મહારાજ વજેસંગને માથે કાગળ લખ્યો કે આવી રીતે ભીમા ગરણિયા નામના એક આયરે ભાવનગરની આબરૂ રાખી છે. એવી તમામ વિગતવાળો કાગળિયો બીડીને એક અસવારને બીડા સાથે ભાવનગર તરફ વહેતો કરી દીધો અને ગામડે ગામડે ભીમા ગરણિયાની કીર્તિનો ડંકો વાગ્યો.

“દરબાર કેમ દેખાતા નથી ?”

“મામા, એ તો ત્રણ દીથી મેડી માથે જ બેઠા છે. બા'રા નીકળતા જ નથી.”

“માંદા છે ?

“ના, મામા, કાયા તો રાતીરાણ્ય જેવી છે.”

“ત્યારે ?”

“ઈ તો રામધણી જાણે. પણ સાતપડેથી આવ્યા તે દીથી તેલમાં માખી બૂડી છે. વાતું થાય છે કે કોઈક આયરે બાપુને ભોંઠામણ દીધું.”

“ઠીક, ખબર આપો દરબારને, મારે મળવું છે.”

એનું નામ હતું વાળા શામળો ભા. દાઠા તરફના એ દરબાર હતા :  પાલીતાણા ઠાકોર પ્રતાપસંગજીના એ સાળા થતા હતા : માથા ઉપર ત્રણ મલોખાં મેલીને ફગ બાંધતા હતા. (‘ફગ’ એ જૂના જમાનાની પાઘડી હતી) એના ભુજબળની ખ્યાતિ આખી સરવૈયાવાડમાં પથરાઈ ગઈ હતી. મેડી ઉપર જઈને એણે દરબારને હિંમત દીધી : “શેત્રુંજાના ધણી કચારીએ કસુંબા પીવા ન આવે એ રૂડું ન દેખાય, દરબાર ! અને, એમાં ભોંઠામણ શું છે ?”

“પણ, વાળા ઠાકોર, માળો એક આયર નરપલાઈ કરી ગયો !”

“અરે, સાંજે એના કાતર્યામાં ધૂળ ભરશું. આયરડું શું –”

“રંગ, વાળા ઠાકોર !” કહેતાં દરબારને સ્ફૂર્તિ આવી. પણ તરત પાછો ગરણિયો નજરે તરવા માંડ્યો, અને બોલ્યા : “પણ વાળા ઠાકોર ! સાતપડે જાવા જેવું નથી, હો ! આયર બહુ કોબાડ માણસ છે, બહુ વસમો છે.”

“હવે દોથા જેટલો છે ને ?”

“અરે, રંગ ! વાળા ઠાકોર ! પણ વાળા ઠાકોર, ઈ તરવાર લ્યે છે ત્યારે તાડ જેવો લાગે છે હો ! જાળવો તો ઠીક.”

“તાડ જેવડો છે કે કાંઈ નાનોમોટો, એ હું હમણાં માપી આવું છું. દરબાર, તમતમારે લહેરથી કસુંબો પીઓ. બાકી એમ રોયે રાજ નહિ થાય.”

દોઢસો અસવારે શામળો ભા સાતપડાને માથે ચડ્યા. ઢોર વાંભવાની વેળા થઈ ત્યારે સીમમાં આવી ઊભા રહ્યા. ગોવાળને હાકલ દીધી : “એલા આયડું ! કયા ગામનો માલ છે ?”

“બાપુ, સાતપડાનો.”

“હાંક્ય મોઢા આગળ, નીકર ભાલે પરોવી લઉં છું.”

“એ હાંકું છું, બાપા ! હું તો તમારો વાછરવેલિયો કે’વાઉં.” એમ કહીને ગોવાળે ગાયોભેંસો ઘોળીને પાલીતાણાને માર્ગે ચડાવી. મોખરે માલ ને વાંસે શામળા ભાની સેના.

ધ્રસાંગ ! ધસાંગ ! ધસાંગ ! સાતપડે ઢોલ થયો. પાલીતાણાની વાર સાતપડાનાં ધણ તગડી જાય છે, એમ વાવડ પહોંચ્યા. પણ આયરો બધા જોઈ રહ્યા કે દોઢસો અસવાર ભાલે આભ ઉપાડતા, તરવારો બાંધીને હાલ્યા જાય છે. એને જિતાશે શી રીતે ! સહુનાં મોં ઝાંખાંઝપટ થઈ ગયાં.

ત્યાં તો ભીમાની ઘરવાળી આયરાણી બહાર નીકળી. ચોરે જઈને છૂટે ચોટલે એણે ચસકો કર્યો : “અરે આયરુ ! એ ભાઈ પસાયતાઓ ! કોઈ વાસ નહિ રાખે હો ! અને આજ ગરણિયો ગામતરે ગયેલ છે તે ટાણે ભૂંડા દેખાવું છે ?”

એમ વાત થાય છે ત્યાં તો ભીમો ગરણિયો ગામતરેથી હાલ્યો આવતો દેખાણો. ખાંભળે ભાલું : ખભામાં ઢાલોત૨ : કેડ્યે તરવાર : અને હાથીના કુંભાથળને માથે જાતી ડાબા માંડે એવી રાંગમા ઘોડી. ઝાંપામાં આવતાં જ એણે પૂછ્યું: “શો ગોકીરો છે, ભાઈ ?”

“ભીમભાઈ, દુશ્મનો ફેરો કરી ગયા.”

“કોણ ?”

“પાલીતાણાના દરબારનો સાળો.”

સાંભળતાં જ ભીમાનાં રૂંવાડાં અવળાં થઈ ગયાં. હાકલ કરી કે “એલા આયરો, ઊભા થાઓ, નીકર કોઈ વાસ નહિ રાખે.”

“અને આયરાણી ! મારી સાંગ લાવ્ય” પાણીની તરસે ગળે કાંચકી બાઝી ગઈ હતી, પણ ભીમે પાણી ન માગ્યું, સાંગ માગી; ઘોડાનું પલાણ ન છાંડ્યું. આયરાણીએ દોટ દીધી, ધણીની દેલિયા સાંગ પડેલી તે ઉપાડીને લાંબી કરી. સાંગ દઈને બાઈ પાછી વળી; માથે મોતીભરેલી ઈંઢોણી મેલીને હેલ્ય ચડાવી, ખંભે સાંબેલું લીધું અને આયરાણીઓને હાકલ કરી. ઘરેઘરમાંથી આયરની વહુ-દીકરીઓ હેલ્યો ને સાંબેલા લઈને નીકળી. રણઘેલડી આયરાણીઓનો હેલારો ચડ્યો.

ગામ હલક્યું. ખંપાળી, કોદાળી કે લાકડી ઉપાડી, રીડિયાચસકા કરતું ટોળું નીસર્યું. મોખરે ભીમો પોતે ઘોડી ઉપર, ને બીજા બધા પાળા : ભીમો એકલો છે, પણ એકે હજારા જેવો દેખાય છે. ઘોડીને આધસોડે લેતો આવે છે. માણસો વાંસે દોડ્યા આવે છે.

આયરાણીઓનો ફેલાવો ગાજતો આવે છે.

સીમાડે માલ દેખાણો. શામળા ભાએ તો ત્રીજી પાંસળીએ તરવાર બાંધેલી : કમાડ જેવડી ઢાલ ગળામાં લીધેલી : ને માથે મલોખાં ગોઠવીને ફગ પહેરેલી : વાંસે જોયું તો એક અસવાર વહ્યો આવે છે.

“અરે, એક અસવાર બાપડો શું કરતો’તો ? એમ વિચારીને થોભા માથે હાથ નાખે છે ત્યાં ભીમો આવ્યો. હરણ ખોડાં કરી દે એવી ઘોડીના ડાબા ગાજ્યા, હાથમાં ગણણ...ગણણ...ગણણ સાંગ ફરતી આવે છે. આવતાં જ હાકલ કરી. તાડ જેવડો થયો. “ક્યાં છે દરબારનો સાળો ?” હાકલ સાંભળતાં અસવાર ઓઝપાણા. ઘડીમાં તો ભીમાએ ફોજ વચ્ચે ઘોડો ઝંપલાવ્યો, પાડો પાડાને કાઢે એમ એણે ભાના ઘોડાને બહાર કાઢી. પાટીએ ચડાવ્યો.

લગાફગ...લગાફગ...લગાફગ કરતા ભા ભાગ્યા; દોઢસો ઉજ્જડ મોઢાં ઊભાં થઈ રહ્યાં. ફરડક-હું, ફરડ ! ફરડક-હું, ફરડ ! ફરડક-હું, ફરડ ! એમ ફરડકારા બોલાવતા ભા’ના ઘોડાને પોણોક ગાઉને માથે કાઢી જઈને પછી લગોલગ થઈ ભીમાએ સાંગ તોળી. બોલ્યો : “જો, મારું તો આટલી વાર લાગે. પણ મને અને ભાવનગરને ખોટ્ય બેસે; તું પાલીતાણા - કુંવરનો મામો કે’વા ! પણ જો ! આ તો નહિ મેલું.”

એમ કહી ભીમાએ સાંગ લાંબી કરી શામળા ભાને માથેથી મલોખાંની ફગ ઉતારી દીધી. સાંગની અણીમાં પરોવાયેલી ફગ લઈને આયર પાછો વળ્યો. કાંધરોટો દેતો નીકળ્યો. દોઢસો અસવારોની ગાંઠ પડી ગઈ છે, પણ કોઈએ તેને છંછેડ્યો નહિ.

શામળો ભા તો પાટીએં ચડી ગયા, તે ઠેઠ ડુંગરામાં દરશાણા.

એક કહેઃ “અરે, બાપાની ફગ ઉપાડી લીધી.”

બીજો કહે: “ઈ તો માથાનો મેલ ગયો.”

ત્રીજો કહે: “ઈ તો મોરલીધર બાપાને છાબડે આવ્યા. ફળ ગઈ તો ઘોળી. માથાનો મેલ ઊતર્યો, બાપા ! વાંધો નહિ. કેડ્યેથી ફાળિયું છોડીને ફેંટો બાંધી લ્યો.”

દીવે વાટ્યો ચડી ત્યારે શામળો ભા પાલીતાણામાં દાખલ થયા. પ્રતાપસંગજી નજર કરે ત્યાં લમણાં ઉજ્જડ દીસ્યાં. મોં પર વિભૂતિનો છાંટોયે ન મળે. ભાએ સલામ કરી.  “ગરાસિયાના પેટનો છો ?” દરબારે કહ્યું: “મેં નો’તો ચેતવ્યો ?”

“માળો... આયરડો ત્રણ તાડ જેવડો થાય છે ! કાઠામાં સમાતો નથી !” ભાની જીભના લોચા વળવા લાગ્યા.

“તે ન થાય ? અમથો હું હાલ્યો આવ્યો હોઈશ ? જાવ, મને મોઢું દેખાડશો મા.”

શામળો ભા પાટીએ ચડી ગયા. તે દિવસથી એવા તો અબોલા રહ્યા કે પ્રતાપસંગજીના મૉતને ટાણે પણ એનાથી અવાયું નહોતું.


પતંગિયા જેવો ભીમો ફગ લઈને સીમાડેથી પાછો વળ્યો. વાંસે ધણ ચાલ્યું આવે છે. ગામલોકોએ એને આવતો ભાળ્યો અને લલકાર કર્યો : “રંગ ભીમા ! રંગ ગરણિયા !”

“અરે બા, મને રંગ શેના ?” ભીમે કંઈયે પોરસ વગર જવાબ વાળ્યો : “એ તો ભાવનગરના બાદશાહનું નસીબ જબ્બર છે. અને બાકી તો. આયર-કાઠીનું કામ છે કે વારે ચડવું.”

ભાવનગરના દરબારગઢની મેડીએ કનૈયાલાલ વજેસંગ મહારાજ કિચડૂક... કિચડૂક.. હીંડોળાખાટે હીંચકે છે. સામે દીવાન પરમાણંદદાસ અને મેરુભાઈ બેઠા છે. સાતપડેથી બીડો આવ્યો છે અને ફરી ફરી વાંચી વાંચીને મહારાજ બોલે છે :

“પરમાણંદદાસ, આયરે માળે અખિયાત કરી, હો ! એને અહીં તેડાવીએ. મારે એને જોવો છે.”

“ભલે, મહારાજ; અસવાર મોકલીએ.”

એમ વાત થાય છે, ત્યાં બીજો અસવાર આવીને ઊભો રહ્યો.

“એલા, ક્યાંનો બીડો ?”

“બાપુ સાતપડાનો.”

“ઉઘાડો, ઝટ ઉઘાડો, પરમાણંદદાસ !”

પરમાણંદદાસ વાંચે છે તે મહારાજ સાંભળે છે : લખ્યું હતું કે – ભીમા ગરણિયાએ બીજી વાર મહારાજને રૂડા દેખાડ્યા છે. દોઢસો અસવારને એકલે તગડી, ધણ પાછું વાળ્યું છે અને શામળા ભાની ફગ સાંગની અણીએ ઉતારી લઈ જીવતા જાવા દીધા છે.’

વજા મહારાજની છાતી પહોળી થવા માંડી. પાસાબંધી અંગરખું પહેર્યું છે તેની કસો તૂટી પડી. “રંગ ! ઘણા ઘણા રંગ !” એમ મહારાજના મુખમાંથી ધન્યવાદ વછૂટ્યા અને હુકમ કર્યો: “પરમાણંદદાસ ! દાદન શેખને પચાસ ઘોડે સાતપડે મોકલો, ભીમાને તેડી આવે.”

“ભલે, બાપુ!”

“પણ કેવી રીતે લાવવા, ખબર છે ?”

“ફરમાવો.”

“પ્રથમ તો એણે જે ફગ ઉપાડી લીધી છે તે સાથે લેતા આવવી. અને બીજું, સાતપડા ને ભાવનગર વચ્ચે આપણાં જેટલાં ગામ આવે છે એ દરેક ગામને ચોરે વસ્તીને ભેળી કરી, કસુંબા કાઢી, ભીમા ગરણિયાના પરાક્રમને ચર્ચી દેખાડવું. ગામેગામ એ આયરને છતો કરવો.”

દાદન જમાદાર ઊપડ્યા. સાતપડા માથે જઈને ભીમા ગરણિયાને બાથમાં લઈ લીધા.

“અરે રંગ ગરણિયા ! મહારાજની લાજ વધારી !”

“અરે બાપુ ! ઈ તો મહારાજનાં ભાગ્ય જબરાં ! હું શું કરી શકતો’તો ?”

“લ્યો, થાવ સાબદા. તમારે ભાવનગર આવવાનું છે.”

“અરે બાપા, હું ગરીબ માણસ ! મહારાજ પાસે મેંથી કાંઈ અવાય ?”

“અને ઓલી ફગ સાથે લેવાની છે.”

“હં ! હં ! ભાઈ, મારી હાંસી કરાવવી છે ?”

ભીમો તૈયાર થયો, પણ ફગ લેવાનું ન માન્યો. એટલે દાદન શેખે પટેલને લઈ ભીમાના ઘરમાંથી સાંગમાં પરોવેલી ફગ ગોતી કાઢી, સંચોડી સાંગ જ સાથે લઈ લીધી.

“લ્યો ગરણિયા, નાખો સાંગ પાઘડામાં.”

“અરે બાપ ! મારું મૉત કાં કરાવો ?”

“તો અમે લેશું.”  મોખરે ફગ સોતી સાંગ, પછી ગરણિયો અને વાંસે અસવારો : એમ અસવારી ચાલી. ગામડે ગામડે સામૈયાં, વધામણાં અને કંકુના ચાંદલાં. ગામડે ગામડે ચોરામાં દાયરો ભેળો થાય છે, ગરણિયાના શૂરાતનની વાત મંડાય છે, શરમાળ આયર નીચે નિહાળીને બેઠો રહે છે. ઘાટા કસુંબાની અંજળીઓ ઉપર અંજળીઓ અપાય છે. એમ થતાં થતાં ભાવનગર આવ્યું.

શરમાતે પગલે ગરણિયો મેડી ઉપર ચડવા માંડ્યો અને જે ઘડીએ દાદર ઉપર તે શૂરવીરનું ડોકું દેખાણું, તે જ ઘડીએ ગાદી ઉપરથી ચારે પલા ઝાટકીને અઢારસેં પાદરના ધણી ઊભા થઈ ગયા.

“અરે બાપ ! રે’વા દ્યો ! મને ભોંઠામણ દ્યો મા !” એમ ભીમે અવાજ દીધો.

પણ મહારાજની તો છાતી ફાટતી હતી. એ શી રીતે અટકે ? આઠ કદમ સામા ચાલ્યા.

“આવો ! ગરણિયા, આવો ! આવો !” એમ આદર દીધો, પણ મોંમાં શબ્દ સમાતા નથી.

દોડીને ભીમો મહારાજના પગમાં હાથ નાખવા જાય ત્યાં તો મહારાજે બાવડું પકડી લીધું. લઈ જઈને પોતાને પડખે બેઠક દીધી. મરક ! મરક ! મહારાજ તો હોઠમાં હસતા જાય છે અને દૂબળાપાતળા પરોણાની સામે પગથી તે માથા સુધી નજર કરતા જાય છે. ભીમાની પાંપણો તો નીચે ઢળીને ધરતી ખોતરતી રહી છે, અને મોંએ શરમના શેરડા પડે છે.

આખી વાત માંડીને દાદન શેખે કહી સંભળાવી. સાંભળીને મહારાજ મોંમાં આંગળા નાખી ગયા.

“ગરણિયા !” મહારાજે પૂછ્યું : “શું દરબાર તમને પાળે છે ?”

“ના બાપુ, હું તો વડિયા તાબે અકાળા ગામનો વાસી છું. અહીં તો સગાવળોટે આવ્યો’તો.”

“ઠીક, મેરુજી ! ત્રાંબાનું પતરું મંગાવો.” મહારાજે વજીરને કહ્યું.

ત્રાંબાનું પતરું આવ્યું.

“લખો ચાર સાંતીની જમીન : બે વાડીના કોસ : રાજની ગાદીએ દીવો રહે ત્યાં સુધી ભીમા ગરણિયાના વંશના ખાય.” લેખ લખાણો.

“હવે લાવો પહેરામણી.”

પોશાક આવ્યો, લાટપાટા શણગારેલી ઘોડી આવી. હીરની સરક બેય બાજુ હીંડોળતી આવે છે; સાચા કિનખાબના આગેવાળ અને જેરબંધ ઘોડીની ગરદને શોભી રહ્યાં છે; કોઈ કુશળ વેપારીએ લેખણ ઘડી હોય એવી કાનોટી ઘોડીને રહી ગઈ છે; અને જેમ કોઈ આણાત કાઠિયાણી લાજના ઘૂમટો તાણતી હોય તેમ ઘોડીની કાનસૂરીની અવળ સવળ દોઢ્ય ચડી રહી છે.

ગરણિયાને પોશાક પહેરાવ્યો અને પછી ઘોડીની સરક હાથમાં આપી મહારાજે આયરનો વાંસો થાબડ્યો; બોલ્યા : “ભીમા ગરણિયા ! તમારી વૃદ્ધ અવસ્થા છે એટલે તમારે કાંઈ નોકરી નથી કરવાની. ખાવ, પીઓ. અને આનંદ કરો.”

બાર મહિના ચાલે તેટલું પલાણિયા વીડમાંથી ખડ અને દસ કળશી બાજરો મહારાજે ભેળાં મોકલાવ્યાં. અસવારો જઈને વાજતેગાજતે ભીમાને સાતપડે મૂકી આવ્યા.

આજ પણ એના વંશજો ગરાસ ખાય છે.

સીમાડે સરપ ચિરાણો

થા એવી ચાલે છે કે જૂનાગઢ તાબે માણેકવાડા અને મઘરવાડા નામનાં ચારણ લોકોનાં બે ગામ છે. બન્ને વચ્ચે સીમાડાનો કજિયો હતો. વારંવાર જરીફો માપણી કરવા આવતા પરંતુ ટંટો ટળતો ન હતો. એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા છે. કોઈ એકમત થતો નથી. લાકડીઓ ઊડવા જેટલો ઉશ્કેરાટ થઈ ગયો છે : તે વખતે તેઓએ સામેથી એક જબરજસ્ત સર્પને આવતો દીઠો. કોઈકે મશ્કરીમાં કહ્યું કે ‘ભાઈ, આ નાગદેવતાને જ કહીએ કે આપણો સીમાડો વહેંચી આપો.’ તરત જ બંને પક્ષો હાથ જોડીને સર્વને સંબોધીને એકસામટા બોલી ઊઠ્યા : હે બાપા ! સાચી વાત છે. તમે દેવ-પ્રાણી છો. વહેંચી દ્યો અમારો સીમાડો. તમારા શરીરનો લીટો પડે, એ અમારા સીમાડા તરીકે કબૂલ છે.’

સાંભળીને તરત જ એ ફણધર થંભ્યો, વાંકીચૂંકી ચાલ છોડીને એણે સીધું સોટી  જેવું શરીર કર્યું અને પછી એ ચાલ્યો. એનો લીટો પડતો ગયો, તે પ્રમાણે ખૂંટ નખાતા ગયા અને લીટાથી પોતાની જમીનની બરાબર સરખી વહેંચણી થતી જોઈને બેય પક્ષો ‘વાહ બાપા ! વાહ મારા દેવતા !’ ઉચ્ચારતા ઉચ્ચારતા સર્પની પાછળ ચાલ્યા ગયા. સર્પ ચાલતો ચાલતો બરાબર એક વિકટ સ્થળે આવ્યો. કેરડાના ઝાડનું એક સુકાઈ ગયેલું અણીદાર ઠૂંઠું પોતાના સામે ઊભું છે. બરછી જેવી ઝીણી એની અણી જોઈને નાગ પળભર થંભી ગયો. અને તરત માણસો બોલી ઊઠ્યા : “હવે શું થાશે ? બરાબર આપણા સરખેસરખા સીમાડા ઉપર જ આ કેરડો મોટા બાપુએ વાવેલ. હવે જોઈએ કે દાદો કોને રેહ દેશે.’

આ શબ્દો જાણે કાન માંડીને સર્પ સાંભળતો હોય એમ ફેણ ચડાવીને ઊભો છે. એના અંતરમાં પણ સમસ્યા થઈ પડી કે કઈ બાજુ ચાલું ? જે બાજુ ચાલીશ તે બાજુવાળાની એક તસુ જમીન કપાઈ જશે.

આ એક જ તસુ જમીનનો પ્રશ્ન હતો. છતાં સર્પે નિર્ણય કરી નાખ્યો. પોતે સીધો ને સીધો ચાલ્યો. કેરડાના થડ ઉપર જ ચડ્યો. સીધેસીધો એ ઠૂંઠાની અણી ઉપર ચડ્યો, અણી એની ફેણમાં સોંસરી પરોવાઈ ગઈ. સર્પ જોર કરીને બીજી બાજુ ઊતરવા લાગ્યો. એમ ને એમ પૂંછડી સુધી ચિરાઈ ગયો. લગાર પણ તર્યો હોત તો વહેંચણ અણસરખી કહેવાત.

એનું નામ સીમાડે સર્પ ચિરાણો ! આજ એ માણેકવાડા ગામની નદીને સામે તીર એ સર્પની દેરી છે. લોકો ‘માલ’ નામે ઓળખે છે. અનેક ભિન્ન ભિન્ન કાઠિયાવાડી કુટુંબોના એ કુલદેવતા મનાય છે, વર-કન્યાની છેડાછેડી ત્યાં જઈને છોડાય છે.


🐦🙕❀🐦🙕❀🐦

  1. જુઓ વાર્તાને અંતે નોંધ.