રસિકવલ્લભ/પદ-૭૮

વિકિસ્રોતમાંથી
← પદ-૭૭ રસિકવલ્લભ
પદ-૭૮
દયારામ
પદ-૭૯ →


પદ ૭૭ મું

કશું પછી કરવું ન રહ્યું તેનેજી, આશ્રય પુરુષોત્તમ એક જેનેજી;
વહે પ્રભુ તેનો યોગ ક્ષેમજી, નિજ જન જાણી દે નિજ પ્રેમજી.
સર્વ સમર્પી થાવું દાસજી, હરિવણ આશા અવર ન ત્રાસજી;
સમર્થ સ્વામી બલ નિશ્ચયજી, સહુ કરતાં માને ભગવંતજી.

ઢાળ

ભગવંત એક દૃઢ ભરોંસો વણ કર્યે થયું સહુ પૂર્ણ;
ઉર આવ્યો અણવિશ્વાસ પતિ સહુ કર્યું સાધન ચૂર્ણ.
ઇંદ્રજીતનું બ્રહ્માસ્ત્ર પણ વિશ્વાસ વ્યર્થ મહાન;
દૃઢ પ્રતીતે ચાતક અનાવૃષ્ટિમાં સ્વાતિ પાન.
તે માટે એક જ વ્રજપતિ, ભજી સ્મરવા ધરી ટેક;
સૌ દેવમાં પણ કૃષ્ણ જાણી, ભજન વ્યર્થ વિવેક.

પીયે શુધ્ધ સ્વાતિ જલ બપૈયો ગગન પડતી ધાર;
સરિ સરાદિ ન સ્વાતિ સંબંધે, પીયે જ્યમ કો વાર.
વણ સ્વાતિબિન્દુ ન શીપ ગ્રહે ત્યમ સિંધુ જલ તલ્લીન;
ઉદ ઉદધિ સ્પર્શ ન ધાર યમુના, વસે યમુના મીન.
જો અમર નિજ જન પૂજતાં, હોય પ્રસન્ન ગોકુલરાય;
તો દયાપ્રીતમ ઇંદ્ર યજ્ઞ હતી ન દે શિક્ષાય.