રસિકવલ્લભ/પદ-૯૫

વિકિસ્રોતમાંથી
← પદ-૯૪ રસિકવલ્લભ
પદ-૯૫
દયારામ
પદ-૯૬ →


પદ ૯૪ મું

હરિપ્રસાદનો મહામહિમાયજી, હરિ પ્રસન્ન તેણે લેવાયજી;
વસ્ત્રાભૂષણ ચંદન ભાલજી, અન્નોદક ઉચ્છિષ્ટ ગોપાલજી.
ભુક્તે તેથી માયા અળગીજી, મતિ અચળ રહે પ્રભુપદ વળગીજી;
સહસ્ત્ર કરી એકાદશી કોયજી, અશન દ્વાદશી કીધું હોયજી.

ઢાળ

હોય કીધા વળી અપવાસ, લગી ખટ માસ રહી કો કષ્ટ;
તે હરી નૈવેદ્ય ભુકત્યાથી જ, કહ્યું હરિ સ્પષ્ટ
અચ્યુત અશન અવશેષ ભુક્તે, પ્રતિદિને જન જેહ;
શીંકે શીંકે પુણ્ય ચાંદ્રાયણતણું લે તેહ.
વ્રત નિયમ સહ અપવાસ, કૃચ્છ્ર ચાંદ્રાયણાદિ સુકર્મ;
નાનાવિધ મખ પુણ્ય જપ, હોમાદિ સાધે ધર્મ.
બ્રહ્મભોજન દાન તુલા પુરુષ સહુ તીર્થ સહ ફલ જેહ;
કૃષ્ણનું નૈવેદ્ય ભુક્તે, પ્રાપ્ત છે ફલ તેહ.
અર્પ્યું ન જે ગોવિંદને તે શ્વાનવિષ્ટા અન્ન;
જલ મુત્ર મદિરાતુલ્ય છે, ધિક્ ધિક્ ગ્રહે જે જન !
નૈવેદ્ય ઉદરે હૃદે, શિર પાદોદક મુખ નામ
શ્રીકૃષ્ણનું, તે દયાપ્રીત, કૃષ્ણ સમ શુચિ ધામ.