રસિકવલ્લભ/પદ-૯૮

વિકિસ્રોતમાંથી
← પદ-૯૭ રસિકવલ્લભ
પદ-૯૮
દયારામ
પદ-૯૯ →


પદ-૯૭ મું

મન વિભૂતિ માનવ કેરીજી, જ્યમ ઇચ્છા ત્યમ નાખે ફેરીજી;
જડ જ્ઞાની, જ્ઞાની જડ હોયજી, શોક હર્ષદા મન પણ નોયજી.
જીવ સર્વેને ભાવે રૂડુંજી, ક્યમ થવા દે ચલણે કુડુંજી;
સુખદુઃખ પ્રભુ આપ્યું સહુ લે છે જી, ચલણ નથી માટે સહી રહે છે જી.

ઢાળ

રહે છે સહુ જ્યમ રાખે હરિ. તું તદા પૂછીશ પ્રશ્ન;
કો દુઃખી છે કો સુખી, ક્યમ ભેદ દૃષ્ટિ કૃષ્ણ.
નથી ભેદ તો ભગવંતને ભવ ખેલ રચિ નિજ જોય;
છે વિચિત્ર લીલા કૃષ્ણની ધણીનું ધણી નથી કોય.
છે મૂલ જોતાં એમજ સહુ, પછી સમાધાન અનેક;
નથી પુણ્ય પાપ પ્રભુ કશું, વિભુ વિરલ એહ વિવેક.

નિપજે ન કશું કો તદપિ હુંપદ હરિ માયા જોર;
ત્યારે અહં મમતા ટળે, કર ગ્રહે નંદકિશોર.
હું હરિનો હરિ મહારા, મનથી એવું જ થાય;
હરિ કૃપા તસ્કર વોળાવા, અહં મમ સફળ થઈ જાય.
કૃતિ શુભાશુભ બલ દીપથી, પણ દીપ જેમ નિર્લેપ;
ત્યમ દયાપ્રીતમ કૃષ્ણ બલ સહુ બને ન અડે ચેપ.