વસુંધરાનાં વહાલાં દવલાં/નિવેદન

વિકિસ્રોતમાંથી
વસુંધરાનાં વહાલાં દવલાં
નિવેદન
ઝવેરચંદ મેઘાણી
૧.ત્રાજવડાં ત્રોફાવો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.




નિવેદન

[ બીજી આવૃત્તિ વેળા]

મારી ઉપન્યાસ-રચનાઓના ક્રમામાં 'વસુંધરાનાં વહાલાં-દવલાં' ચોથી આવે છે. પહેલી'સત્યની શોધમાં', બીજી 'નિરંજન', ત્રીજી 'સોરઠ, તારાં વહેતાં પાણી', ને ચોથી આ.

૧૯૩૭માં 'ફૂલછાબ' સાપ્તાહિકનું સંચાલન કરતે કરતે, એની વાર્ષિક ભેટ માટે, આ વાર્તા લખી હતી. વીસથી પચીશ દિવસોના ગાળામાં એ પૂરી કરી હતી. એનો રચનાકાળ, આ રીતે, મારી કૃતિઓમઆં ટૂંકામાં ટૂંકો કહેવાય.

આની પહેલી આવૃત્તિમાં નીચે મુજબ નાનકડું નિવેદન જોડેલું :

" આ વાર્તાનો રસ સૌરાષ્ટ્રના મધ્યમ તેમ જ નીચલા થરે વચ્ચેના પડમાંથી ખેંચવાનો એક સ્વતમ્ત્ર પ્રયત્ન છે. એના આલેખનમાં એક જ વિચાર વિક્ટર હ્યુગોના 'ધ લાફિંગ મૅન'માંથી પ્રયોજેલ છે : મદારી, હોઠકટો બાળક, અને અંધી છોકરી - એ ત્રિપુટી સર્જવાનો. ત્રણે પાત્રોનું ખેડાણ તો મેં મારી રીતે જ કર્યું છે. વાર્તાકાળ પચીસ ત્રીસ વર્ષો પરના સૌરાષ્ટ્રનો લેશો તો ચાલશે."

ઉપલા નિવેદનને કેટલાક સમીક્ષકોમાં એવી ગેરસમજ પેદા કરાવી જણાય છે કે, આ કૃતિ હ્યુગોની વાર્તા પરથી પ્રયોજિત અગર અનુવાદિત છે. આ ગેરસમજને ટાળવા માટે ફરી વાર સ્પષ્ટ કરવું પડે છે કે , આ કૃતિને પેલાં ત્રણ પાત્રોના સૂચન કરતાં વિશેષ કશી જ નિસ્બત હ્યુગોનાં પુસ્તક સાથે નથી. આ તો છે તેજબાઈ, લખડી, પ્રતપ શેઠ, અમરચંદ શેઠ, કામેશ્વર ગોર ઇત્યાદિ પાત્રોની પ્રધાનપણે બનેલી વાર્તા સૃષ્ટિ. અને વાર્તા લેખનનું ધ્યેય પણ, ઝંડૂર-બદલીની લગરીક જેટલી 'રોમાન્સ' વડે રસ પૂરીને, મુખ્ય કથા તો પેલાં પાત્રોની જ કહેવાનું રહ્યું છે.

તેમ છતાં કોઈ શંકાશીલ વિવેચક જો 'ધ લાફિંગ મૅન'ને તપાસી જશે, તો એ હ્યુગો-કૃતિનો અનેરો આસ્વાદ એને સાંપડશે - અને આ બાબતનો વિભ્રમ ભાંગશે. બાકી તો, ઋણસ્વીકારની પ્રમાણિક રસમ કંઈક જોખમી છે તેવો અનુભવ મને એક કરતાં વધુ વાર રહ્યો છે.

મારી આ વાર્તા પર કેટાલાય વાચકોને વિશેષ પક્ષપાત છે તે જાણ્યું છે. અને તેમને હું કહી શકું છું કે, એ વિશિષ્ટ પક્ષપાતમાં હું પણ સહભાગી છું.

એટલે જ, આ કૃતિના કરુણ અંત પ્રતેનો અન્ય વાચકોનો અણગમો પાછળથી મારા અંતરમાંયે ઊગ્યો હતો; અને, એ કારણથી, આ આવૃત્તિમાં બીજું ત્રીજું ટોચણટીચણ કરવા ઉપરાંત સમાપ્તિને પણ કરુણ છતાં મંગળ બનાવી છે.

બોટાદ : ૧૯૪૬
ઝવેરચંદ મેઘાણી