સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૪. વધતી જતી ત્યાગવૃત્તિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૩. કડવો ઘૂંટડો પીધો સત્યના પ્રયોગો અથવા આત્મકથા
વધતી જતી ત્યાગવૃત્તિ
મોહનદાસ કરમચંદ ગાંધી
૫. નિરીક્ષણનું પરિણામ →


૪. વધતી જતી ત્યાગવૃત્તિ

ટ્રાન્સવાલમાં કોમી હકોને સારુ કઈ રીતે લડવું પડ્યું ને અશિયાઈ ખાતાના અમલદારોની સાથે કેમ વર્તવું પડ્યું તેના વર્ણનમાં આગળ વધું તે પહેલાં મારા જીવનના બીજા ભાગ ઉપર નજર નાંખવાની આવશ્યકતા છે.

આજ લગી કંઈક દ્રવ્ય એકઠું કરવાની ઈચ્છા હતી, પરમાર્થની સાથે સ્વાર્થનું મિશ્રણ હતું.

મુંબઈમાં જ્યારે ઑફિસ ખોલી ત્યારે એક અમેરિકન વીમાદલાલ આવ્યો હતો. તેનો ચહેરો ખુશનુમા હતો. તેની વાત મીઠી હતી. કેમ જાણે અમે જૂના મિત્રો ન હોઈએ, એમ તેણે મારી સાથે મારા ભાવિ કલ્યાણની વાતો કરી: 'અમેરિકામાં તો તમારી સ્થિતિના બધા માણસો પોતાની જિંદગીનો વીમો ઉતરાવે. તમારે પણ તેમ કરી ભવિષ્યને સારુ નિશ્ચિંત થવું જોઈએ. જિંદગીનો ભરોસો તો છે જ નહીં. અમેરિકામાં અમે તો વીમો ઉતારવાને ધર્મ માનીએ છીએ. તમને એક નાની સરખી પૉલિસી કઢાવવા ન લલચાવી શકું?'

ત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં ને હિંદુસ્તાનમાં ઘણા દલાલોને મેં દાદ દીધેલી નહીં. મને લાગતું કે વીમો ઉતરાવવામાં કંઈક ભીરુતા ને ઈશ્વરને વિષે અવિશ્વાસ છે. પણ આ વેળા હું લલચાયો. પેલો જેમ વાત ક્રતો જાય તેમ મારી સામે પત્ની અને પુત્રોની છબી ખડી થાય. 'જીવ, તેં પત્નીના દાગીના લગભગ બધા વેચી નાંખ્યા છે. જો તને કંઈ થાય કરે તો પત્નીનો અને છોકરાઓના પાલનનો બોજો ગરીબ ભાઈ, જેમણે બાપનું સ્થાન લીધું છે ને શોભાવ્યું છે, તેમની જ ઉપર પડે ને? એ કંઈ યોગ્ય ન ગણાય.' આવી જાતની મારા મન સાથે દલીલ કરી ને મેં રૂ. ૧૦,૦૦૦ની પૉલિસી કઢાવી.

પણ દક્ષિણ આફ્રિકામાં મારી બદલાયેલી સ્થિતિએ મારા વિચારો બદલાવ્યા. દક્ષિણ આફ્રિકાની નવી આપત્તિને સમયે મેં જે જે પગલાં ભર્યાં તે ઈશ્વરને સાક્ષી રાખીને જ ભરેલાં. દક્ષિણ આફ્રિકામાં કેટલો સમય જશે તેની મને કંઈ જ ખબર નહોતી. મેં માનેલું કે હું હિંદુસ્તાન પાછો જવા નહીં પામું. મારે બાળાબચ્ચાંને સાથે જ રાખવાં જોઈએ. તેમનો વિયોગ હવે ન જ હોવો જોઈએ. તેમના ભરણપોષણનું પણ દક્ષિણ આફ્રિકામાં જ થવું જોઈએ. આમ વિચાર કરવાની સાથે જ પેલી પૉલિસી મને દુ:ખદ થઈ પડી. વીમાદલાલની જાળમાં ફસાયાને સારુ હું શરમાયો. 'ભાઈ જો બાપ જેવા છે તો તે નાના ભાઈની વિધવાનો બોજો ભારે ગણશે એમ તેં કેમ ધાર્યું? તું જ પહેલો મરશે એમ પણ કેમ ધાર્યું? પાલન કરનાર તો ઈશ્વર છે; નથી તું ને નથી ભાઈ. વીમો ઉતરાવીને તેં તારાં બાળબચ્ચાંને પણ પરાધીન બનાવ્યાં. તેઓ કેમ સ્વાવલંબી ન થાય? અસંખ્ય ગરીબોનાં બાળબચ્ચાંનું શું થાય છે? તું તને તેમના જેવા કાં ન ગણે?'

આમ વિચારોની ધારા ચાલી. તેનો અમલ એકાએક નહોતો કર્યો. એક લવાજમ તો દક્ષિણ આફ્રિકામાંથીયે આપ્યાનું મને સ્મરણ છે.

પણ આ વિચારપ્રવાહને બહારનું ઉત્તેજન મળ્યું. દક્ષિણ આફ્રિકાની પહેલી મુસાફરીમાં હું ખ્રિસ્તી વાતાવરણમાં આવી ધર્મને વિષે જાગ્રત રહ્યો. આ વેળા થિયૉસૉફીના વાતાવરણમાં આવ્યો. મિ. રીચ થિયૉસૉફિસ્ટ હતા. તેમણે મને જોહાનિસબર્ગની સોસાયટીના સંબંધમાં મૂક્યો. તેમાં હું સભ્ય તો ન જ થયો. મારે મતભેદો રહેલા. છતાં લગભગ દરેક થિયૉસૉફિસ્ટના ગાઢ પ્રસંગમાં હું આવ્યો. તેમની સાથે રોજ ધર્મચર્ચા થાય. તેમનાં પુસ્તકો વંચાય, તેમના મંડળમાં મારે બોલવાનું પણ બને. થિયૉસૉફિમાં ભ્રાતૃભાવના કેળવવી અને વધારવી એ મુખ્ય વસ્તુ છે. આ વિષેની ચર્ચા અમે ખૂબ કરતા; ને હું જ્યાં આ માન્યતામાં અને સભ્યોના આચરણમાં ભેદ જોતો ત્યાં ટીકા પણ કરતો. આ ટીકાની અસર મારી પોતાની ઉપર સારી પેઠે થઈ. હું આત્મનિરિક્ષણ કરતો થઈ ગયો.