સરસ્વતીચંદ્ર ભાગ ૧/ત્રીજી આવૃત્તિ સંબંધે પ્રાસંગિક સૂચના.

વિકિસ્રોતમાંથી
← પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના. સરસ્વતીચંદ્ર ભાગ ૧
ત્રીજી આવૃત્તિ સંબંધે પ્રાસંગિક સૂચના.
ગોવર્ધનરામ ત્રિપાઠી
पञ्चदशीના શ્લોક →


ત્રીજી આવૃત્તિ સંબંધે પ્રાસંગિક સૂચના.

શબ્દોની લેખનપદ્ધતિના વિષયમાં અા અાવૃત્તિમાં કેટલાક નિયમ પાળવા યોગ્ય ગણ્યા છે. તે નિયમોનો વિવેક “સમાલોચક” નામના મુંબાઈના ત્રૈમાસિક પત્રમાં આપેલો છે. તેને વિસ્તાર પ્રસ્તાવનાને જોઈએ તેથી વધારે છે એટલે અત્ર આપ્યો નથી. પણ તે નિયમોની ટીપ નીચે પ્રમાણે છે.

૧. ગુજરાતીમાં વાપરવાના સંસ્કૃત શાખ શબ્દેાનું લેખન મૂળ સંસ્કૃત પ્રમાણે જ રાખવું.

૨. ગુજરાતીમાં વાપરવાના ઈંગ્રેજી શબ્દોનું લેખન ઈંગ્રેજી ઉરચાર પ્રમાણે સાંગોપાંગ રાખવું.

૩. મૂળ સંસ્કૃત શબ્દમાં લ હોય ને તેને સ્થળે આપણે ળ વાપરતા હઈએ તો લ તથા ળ ઉભય વાપરવા અને બીજી બાબતમાં મૂળ સંસ્કૃત પ્રમાણે જ લખવું.

૪. સંસ્કૃત इ ई उ ऊ ને સટે ઇ ઈ ઉ ઊ લખવાં.

પ. સંસ્કૃત તથા ઈંગ્રેજી શુદ્ધ શબ્દોમાં કાંઈપણ વિકાર અથવા ફેરફાર થઈ બંધાયલા તથા એ શુદ્ધ શબ્દો શીવાયના બાકીના બીજા બધા શબ્દોને ગુજરાતી ગણી તેમાં નીચેના નિયમ પાળવા. પ્રત્યયાદિને વિકાર ન ગણવા.

(અ) ગુજરાતના કોઈપણ પ્રાંતમાં ઉચ્ચારવામાં ન આવતું રૂપ સાક્ષર લેખમાં ચાલી ગયું હોય તો તજવું અને સટે સર્વત્ર ઉચ્ચારનું રૂપ લખવું. જેમકે, દ-હાડો, મ–હેતાજી તજી દૂહાડો અને મ્હેતાજી લખવું.

( આ ) જુદા જુદા પ્રાંતોમાં જુદા જુદા ઉચ્ચાર ચાલતા હોય અને તેમાંનો એક સાક્ષર લેખમાં ચાલતો હોય તો તે જ લખવો, જેમકે, “સું ” અને “કહીસું”ને ઠેકાણે અમદાવાદનાં “શું” અને "કહીશું” વગેરે રૂપ વાપરવાં, અને “અાંખ્ય” અને “લાવ્ય"ને ઠેકાણે સુરતનાં “અાંખ,” “લાવ ” વગેરે રૂપ વાપરવાં.

(ઈ) જુદા જુદા પ્રાંતોમાં જુદા જુદા ઉચ્ચાર ચાલતા હોય ને સાક્ષ૨ લેખોમાં તેમાંનો એક પણ પરિપકવ ચલણ પામ્યો ન હોય તો તે સર્વ ઉચ્ચારમાંથી જેને જે ફાવે તે લખવા. (ઉ) લૌકિક લિપિને આધારે ગુજરાતી શાબ્દોમાં ઈ હમેંશા દીર્ઘ કરવી અને ઉ હમેશા હ્રસ્વ કરવું. આ નિયમમાં વ્યગ્રતા ન આવે માટે લોકલિપિમાં દીર્ઘ ઊ સમેત ર્ કરી લખાતા રૂને પણ રુ લખવું. શ. અને ષ ને ઠેકાણે લોકલિપિમાંનો શ લખવો. આ વિષયમાં શુદ્ધાશુદ્ધના કાંઈ પણ તર્કવિતર્ક ન કરવા.

(એ) જે શબ્દોમાં હ સર્વત્ર બોલાતો હોય ત્યાં લખવો અને હ પ્હેલાંનો સ્વર ન બોલાતો હોય ત્યાં તે સ્વર ન લખવો. જેમકે, ત્હારું, ર્‌હેવું, ઇત્યાદિ તેમ જ મ્હેં, ત્હેં વગેરેમાં “હેં” ઠેકાણે “એં” કરી નાંખવાનો પ્રચાર ઉચ્ચારવિરૂદ્ધ છે તે ન સ્વીકારતાં (અ) નિયમથી મ્હેં, ત્હેં લખવું. પણ અમારા, અમ્હારા, એવા બે ઉચ્ચાર થાય છે તો (આ) નિયમ પ્રમાણે "અમારા" લખવું.

(ઓ) પદ્યલેખકો હ્રસ્વ દીર્ઘ ઉચ્ચારવાની સંજ્ઞાઓ (– તથા–) ભલે વાપરે, પણ લેખન પદ્ધતિ બદલવાની તેમને અગત્ય નથી. માત્ર “ ર્‌હેવું ” વગેરેમાં “ર્” ને સ્થાને “૨” વાપરવા, એટલે તેમાંનો “અ” વિકલ્પે લખવા ન લખવા, સ્વતંત્રતા લેવી હોય તો તેઓ ભલે લે પણ ગદ્યમાં તે સ્વતંત્રતાનું કારણ નથી.

આ નિયમો થોડા, સ્હેલા, અપવાદ વિનાના, નિશ્ચય અને સર્વથી સમજાય તથા નિત્ય પાળી શકાય એવા લાગે છે. પછી તે કોઈને ગમે ન ગમે એ જુદો પ્રશ્ન છે.


મુંબાઈ
શ્રાવણમાસ,
વિક્રમાર્ક ૧૯૫૨.
}
ગો. મા. ત્રિ.