સરસ્વતીચંદ્ર ભાગ ૪/અલખમન્દિરના શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ.

વિકિસ્રોતમાંથી
← કંઈક નિર્ણય અને નિશ્ચય. સરસ્વતીચંદ્ર ભાગ ૪
અલખમન્દિરના શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ.
ગોવર્ધનરામ ત્રિપાઠી
મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર. →


પ્રકરણ ૪૬.
અલખમન્દિરનો શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ.
Tell me not in mournful numbers,
“Life is but an empty dream !”
For the soul dead is that slumbers,
And things are not as they seem.
Life is real, life is, earnest !
And the grave is not its goal ;
“Dust thou art, to dust returnest ”
Was not spoken of the soul.
Not enjoyment, and not sorrow,
Is our destined end or way,
But to act, that each to-morrow,
Find us farther than to-day.
Art is long and Time is fleeting,
And our hearts, though stout and brave,
Still, like muffled drums, are beating
Funeral marches to the grave.
In the world's broad field of battle,
ln the bivouac of Life, .
Be not like dumb, driven cattle!
Be a hero in the strife !
Longfellow

વિષ્ણુદાસ બાવાની યોગાવસ્થાની ચાર રાત્રિ અને ચાર દિવસનો સર્વ કાળ, એમની કોટડીમાં વિહારપુરી અને બીજા બે ઉત્તમાધિકારી બાવાઓયે, એમનું યોગસ્થ શરીર સાચવવામાં વારાફરતી અપ્રમત્ત જાગરણ કરી, ગાળ્યો. આજે એ કાળ પુરો થયો અને વિષ્ણુદાસ સમાધિમાંથી ધીમે ધીમે જાગ્યા તે કાળે એકલો વિહારપુરી તેમની પાસે બેઠો હતો. સમાધિમાંથી જાગૃત થતા પ્હેલાંનો આખો દિવસ અને આખી રાત્રિ તેમના મુખ ઉપર અપૂર્વ આનંદ સ્ફુરી રહેલો હતો અને જાગ્યા તેની સાથે, થયેલા મેઘની પાછળ રહેલી શીતળતા પેઠે, એમની શાંતિ અને સ્વસ્થતા દેખાઈ. શરીરની ઇન્દ્રિયો બહિર્મુખ થવા લાગી તેમ તેમ એમનું શરીર હાલવા લાગ્યું, આશપાશનો સ્વર કંઈક તેમના કાનમાં જતા જણાયા, અને અંતે આંખ ઉઘડી ત્યાં વિહારપુરી સામે હાથ જોડી ઉભો. વિહારપુરી ભણી થોડી વાર જોઈ રહી વિષ્ણુદાસ બોલ્યા.

“વિહારપુરી, મૈને અપૂર્વ ચમત્કાર દેખા ઔર ઇસ મુખસે ઓ કહા નહી જાતા હય ! નવીનચંદ્રજી અપના મઠકા ઉત્કર્ષ કરેગા ઓ તો સચ હય, કિંતુ ઉસકા સ્વકીય મઠયજ્ઞકા વિષય ઔર મઠ ઇતના છોટા નહી ! ઉસકા મઠકી ઔર મહાયજ્ઞકી વિભૂતિ સંસારમેં મહતી જ્વાલસે જ્વલમાના હોનેવાલી હય, ઔર મેં ઔર તું તો માત્ર દૂરસેં ઉસકા દર્શન કરનેકા અધિકારસેં જાસ્ત અધિકારક પ્રાપ્ત ભી નહી હોનેવાલા ! જા, ઓ મહાત્માકુ ઇધર લા દે ઔર ઇસકી વેદિકા સંપૂર્ણ આપ્યાયન કરનેકા સમારંભ સબ સાધુલોગ લગા દે ઈસ તરેહકી વ્યવસ્થામેં ન્યૂનતા નહી હોવે ઐસા કર !”

“જૈસી ગુરુજીકી આજ્ઞા !”

વિહારપુરીએ દ્વાર ઉઘાડ્યું અને અન્ય સાધુઓ ગુરુની કાલોચિત શુશ્રુષા કરવા લાગ્યા. વિહારપુરી કેટલાક સાધુઓને લેઈ સરસ્વતીચંદ્ર સામે ગયો, અને તેને અર્ધમાગે મળી, તેને અને ચંદ્રકાંતને સાથે લઈ સાધુઓની ગર્જનાઓ વચ્ચે પાછો આવ્યો. સરસ્વતીચંદ્રે વિષ્ણુદાસને દેખતાં નમસ્કાર કર્યો, અને વિષ્ણુદાસ એને દેખી એકદમ ઉભા થયા, એને અત્યંત પ્રેમથી આલિંગન દીધું, અને મૃર્ધભાગનું ઉપાધ્રાણ કરી,[૧]પાસે બેસાડી વાતો કરવા લાગ્યા.

“નવીનચંદ્ર, શરીરસંપત્તિ તો સારી છે? આ તમારા મિત્ર છે ?”

સર૦– જી મહારાજ, આપની કૃપાએ અપૂર્વ લાભ હું પામ્યો છું તો શરીરસંપત્તિ પણ સારી હોય એમાં શી નવાઈ? અને તેમાં આવા મિત્રરત્નના


  1. ૧. મૂર્ધભાગ તે માથાનો ઉપલો ભાગ તેનું ઉપાઘ્રાણ કરવું એટલે તેનેસુંઘવું. પ્રાચીનકાળમાં આ દેશના આર્ય વડીલો પુત્રના મૃર્ધભાગનું ઉપાધ્રાણ,કરતા. ૧૮૭૦-૭૧ માં ફ્રાન્સમાં એક મહાયુદ્ધમાં વિજય પામ્યા પછી જર્મનીના મહારાજે પણ પોતાના પ્રધાન બિસ્માર્કના મૃર્ધભાગનું ઉપાઘ્રાણ કર્યું હતું.
દર્શનથી તે શરીરની સાથે મન પણ પ્રફુલ્લ છે એ મ્હારા વિદ્વાન્

મિત્ર ચંદ્રકાંત નામના છે - જેને માટે મહેં સાધુજનોને શ્રમ આપ્યો હતો.

વિષ્ણુ૦- ચંદ્રકાંતજી, તમારા આગમનથી અને ચિરંજીવશૃંગની સિદ્ધિથી તમારા મિત્રના દુઃખનો ધ્વંસ થયો હોવો જોઈએ.

ચંદ્ર૦– આ સ્થાન સર્વને શાંતિપ્રદ જ છે.

સર૦– મ્હારી પ્રબળ વાસનાઓ અને મોહ પણ નષ્ટ થયાં તો તે કારણના કાર્યરૂપ દુઃખનો ધ્વંસ થાય એ તો એ વસ્તુનો સહજ પરિપાક છે.

વિષ્ણુ૦– નવીનચંદ્ર, તમે અતિજ્વલમાન મહાયજ્ઞના અધિકારી છો.

સર૦– જ્યાં આપનો આશીર્વાદ એ અધિકારનું બીજ છે, ત્યાં એ બીજની સફલતા જ નિર્ધારી શકાય છે.

વિષ્ણુ૦– મહાત્મન્! આ લધુમઠની મર્યાદાથી તમારી યજ્ઞવેદિને કુણ્ઠિત કરી ન નાંખશો. અપૂર્વ ચિરંજીવોના અપૂર્વ બોધને સફળ કરવામાં તમારી બુદ્ધિની ગતિ જેટલી દૂરગામિની થશે એટલી અમારી દૃષ્ટિ પણ નહી થાય. સૂર્યના તેજ પેઠે તમારી બુદ્ધિ જ્યારે સંસારમાં પ્રસરશે ત્યારે અમે માત્ર તેના પ્રકાશને અને ઔષ્ણ્યને સ્વીકારીશું.

સર૦– જી મહારાજ, અલક્ષ્ય પરાવર, લક્ષ્ય તરંગો ઉપર આ નામરૂપાદિ વડે લક્ષ્ય થયેલા હું મત્સ્યને, જ્યાં રાખશો ત્યાં ર્‌હેવાને તત્પર છું.

વિષ્ણુ૦– સ્વાધીન મનવાળા મનસ્વી ! એજ વૃત્તિ રાખવી. અલખ મઠનો સંપ્રદાય લખ અધિકારનું પોષણ કરનાર શમને જ “શમ” માને છે અને ક્‌હે છે કે लौकेकसर्वबुद्धिव्यापाराणां स्वाधिकारनुपयुक्ताफलत्वबुद्धिपूर्वकस्त्यागः शमः ॥[૧]જે વ્યાપાર લખ અધિકારને ઉ૫યુક્ત છે તેનું રક્ષણ કરીને જ અન્ય અન્તર્બાહ્ય વ્યાપારોના ત્યાગને શમ દમ કહીયે છીયે ને કૃષ્ણ પરમાત્માએ સાંખ્ય અને કર્મ યોગનો સમાગમ ગીતામાં દર્શાવેલો તે આ જ! સ્વાધીનમનસ્કતા તે જ છે ને વિરાગ પણ તે જ છે -વિહારપુરી !

વિહા૦- જી મહારાજ !

વિષ્ણુ૦– તું કાંઈ ક્‌હેવા ઇચ્છે છે? મધુરીમૈયા સ્વસ્થ છે ?

વિહાર૦- ચિરજીવશૃંગના અધિકારી જીવને સ્વસ્થતા જ પ્રાપ્ત થાય છે, અને આવા સુંદર જીવાને તો આપે ધારેલી પઞ્ચ રાત્રિને સટે ચાર રાત્રિમાં એ સ્વસ્થતા પ્રાપ્ત થઈ તે તેમના અંતઃસાંદર્યનો પ્રતાપ ! આપની મુખમુદ્રાથી કાલનું અમે જાણી ગયા હતા કે પાંચમી રાત્રિની અપેક્ષા નહી ર્‌હે.


  1. ૧. શારીરિક ભાષ્ય ઉપર આનંદગિરિની ટીકા.
મધુરીમૈયા સર્વથા સ્વસ્થ છે, પણ નવીનચંદ્રજીના પૂર્વાશ્રમ સંબંધે

કંઈક પ્રશ્ન ઉઠવાથી મહારાજના ધર્મભવનમાંથી આપે પુછવાનાં પ્રશ્નપત્ર અને નવીનચંદ્રજી ઉપર આજ્ઞાપત્ર આવેલાં છે.

વિષ્ણુ૦– તે ધર્માજ્ઞાનો નિર્વાહ જ્ઞાનભારતીને સોંપી દેજો. નવીનચંદ્રજી, અંહીના સાધુજન પૂર્વાશ્રમના પ્રકાશને લજજાસ્પદ કે વિસ્મરણીય ગણતા નથી પણ તેને, આ આશ્રમનું બીજ ગણી, પ્રસિદ્ધ કરતાં સંકોચ રાખતા નથી.

સર૦– આ સ્થાનમાં જે કાંઈ આચાર હોય છે તેમાં સાધુતા જ હોય છે.

વિષ્ણુ૦– ઉત્તમ સાધુઓ માનનો કે મદનો સંગ્રહ કરતા નથી ને યજ્ઞકાર્યે અંહીના આશ્રમીયો યોગીપણાનું માન મુકી પૂર્વાશ્રમમાં પણ ગયા છે, ને, પૂર્વાશ્રમમાં જઈ ત્યાં જવા છતાં, અધ્યાત્મદષ્ટિમાં તો તેઓ આ આશ્રમવાસી જ છે એવું ભાન ભુલાવનાર મદને વશ થયા નથી. નવીનચંદ્રજી, આથી જ અલક્ષ્યાત્માના લક્ષ્યવિહારનો આદર યદુશૃંગ ઉપર સધાય છે.

સર૦– એ માન અને મદ ઉભયનો ત્યાગ કરવાની તો આપે મને દીક્ષા આપેલી છે ને આજ તેનું હાર્દ સમજાવવાની કૃપા કરો છો એ આપનો પરમ પ્રસાદ છે.

વિષ્ણુ૦– એ માનના અને મદના ત્યાગી સાધુઓ કન્થાને લોક્યજ્ઞના અધિકારના તામ્રપટ જેવી ગણે છે તે અજ્ઞાની જનને પોતાનું અભિજ્ઞાન આપવાને માટે, અાપણા મઠના દમ્ભને માટે નહી. એ આ કન્થાનો કાર્યકારણભાવ, અને કારણને અભાવે કાર્ય શબવત થઈ જાય છે.

વિહાર૦– જી મહારાજ, કાલ શ્લોક વાંચ્યો કે

आत्मोपाधिभिरेव कीलित इति स्मृत्या मनः शीर्यते
तत्कीलाः सुमनःशरा इव शिवे भस्मीकृतारौ कृताः ॥
धानुष्के तु हते धनुर्न हि धनुर्वाणा न बाणा इमे ।
मायानाटकभूमिकासु रमतां साक्षी पुनर्वा न वा [૧]

  1. ૧. આત્મા ઉપર ઉપાધિ એના ખીલા જડેલા છે એવી સ્મૃતિ થતાં મનજાતે શીર્ણ થઈ જાય છે. શિવરૂપ મહાદેવે પોતાના શત્રુ કામદેવને ભસ્મ કર્યોતે પછી તેના બાણ નકામા પડ્યા રહ્યો તે પ્રમાણે મન શીર્ણ થઈ જતાંપેલા ખીલાઓ પેલા બાણ પેઠે નકામા થઈ જાય છે. આ ખીલારૂપ બાણનો મનરૂપ ધનુર્ધર આમ મરી જાય છે એટલે તેનું ધનુષ્ય તે ધનુષ્ય નથી ને તેનાઆ બાણ તે નથી. તો પછી માયા-નાટકની રંગભૂમિ ઉપર સાક્ષી-સ્વરૂપપોતે રમો કે ન રમો – તે બે સરખી જ વસ્તુ છે.

વિષ્ણુ૦– “નવીનચંદ્ર ! આ જીવન્મુકિત : અને તે આપણા સાધુજનોને જ સાધ્ય છે ! અન્ય જીવન્મુકિતની કથા તો તમે પ્રત્યક્ષ કરેલા અશ્વત્થામાનું નિવૃત્તિસ્થાન તેમ નિગ્રહસ્થાન છે. એ સ્થાન શોધવા યોગ્ય છે – પામવા યોગ્ય છે, પણ કમલેાદરમાં ભ્રમર બન્યન પામે તેમ આ આટલી જીવનમુક્તિમાં બન્ધન પામનાર જીવસ્ફુલિંગે આત્મવઞ્ચનાને પામે છે. ઉપાધિરૂપ ખીલાઓમાંથી નહી પણ એના બળમાંથી મુક્ત થવાથી, ગર્ભસ્થાનમાંથી મુક્ત થયેલા શરીર પેઠે, જીવસ્ફુલિંગ નિષ્કામ યજ્ઞકાર્યને માટે સમર્થ થાય છે અને તે સમર્થતા પ્રાપ્ત થતાં એ યજ્ઞકાર્ય એને લક્ષ્ય ધર્મ થાય છે. અલક્ષ્યપરાવર – પરમબ્રહ્મ – નું લક્ષ્યાત્મનિધિ - સ્વરૂપ - જેને સંસાર ઈશ્વરને નામે ઓળખે છે, જેને શ્રુતિ સુપર્ણયુગલમાંનું ઈશ - અંગ ક્હે છે - તે સ્વરૂપ સાથે સાયુજ્ય પામ્યા વિના અલક્ષ્યપરાવરમાં સાયુજ્ય પામવાની કલ્પના મિથ્યા છે. સમુદ્રમાં પવનાદિ કારણથી તરંગો ઉત્પન્ન થાય છે તેની શાંતિ સમુદ્રમાં જ છે – સ્વયોનિમાં છે અને પ્રલયકાલે સમુદ્રાદિક પણ પરમ સ્વયોનિમાં પ્રાપ્ત થાય ત્યારે જ તરંગો પણ તેની સાથે એ પરમ યોનિમાં પરમ લય પામે છે તેમ જીવઅંગ ઈશઅંગરૂપ સ્વયોનિમાં પ્રાપ્ત થઈ તે દ્વારા જ અલક્ષ્યપરાવરરૂપ પરમ યોનિમાં પ્રાપ્ત થાય છે. પરમ લક્ષ્યાત્મા ઈશને પ્રાપ્ત કરવાનો આ એક જ માર્ગ છે – તે માર્ગ નિષ્કામ મહાયજ્ઞવિધિ વિના અન્ય સમજશો નહી. તમને મુદિત આશય પામવાની દીક્ષા છે તે લોકમુદિત આશયની નહી પણ ઈશ-મુદિત આશયની સમજજો. લોક અજ્ઞાની છે તેમના મોદ કે અનુમોદ સાથે સાધુજનોને સંબંધ નથી, પણ તેમના કલ્યાણ સાથે ઉત્તમાધિકારીયો સંધાય છે. લોકનું કલ્યાણ એ જ પરમ લક્ષ્ય ઈશનો મુદિત આશય છે અને તે આશય તમારા હૃદયમાં વ્યાપી રહ્યો છે તે તમે તે પરમ સ્વરૂપનો યોગ પામવાના માર્ગમાં છે અને તમારા આયુષ્યના સર્વ અંશ એ માર્ગને ઉતરી ર્‌હશે ત્યારે તમે એ યોગનું અવસાન પામશો.

“નવીનચંદ્રજી ! શ્રી યદુનંદનની પૂજનવેળાના આ ઘંટારવ અને શંખનાદ તમે સાંભળો છો. એ પૂજનવિધિ લક્ષ્યમહાયજ્ઞ નો સાંકેતિક [૧] છે. જે લોકમાત્રનો રક્ષક-પોષક પરમાત્મસ્વરૂપની આ સ્થાનમાં સાંકેતિકી પ્રતિમા છે તે જ સ્વરૂપની શુદ્ધ પ્રતિમા ભૂતમાત્રનાં અંતઃકરણોના સદ્દભાગરૂપ મંદિરમાં વ્યાપી રહી છે. ષોડશોપચારથી અને અન્યવિધિથી ભક્તજનો સાંકેતિક પ્રતિમાને અન્નવસ્ત્રાદિકનું અને પોતાના સર્વસ્વનું નિષ્કામ અર્પણ કરે છે


  1. ૧. Symbolical, સંકેતવાળો
તે જ રીતે સાધુજનો શુદ્ધ પ્રતિમાની સર્વ રીતે સર્વ ચિંતાઓ કરી પોતાના

સર્વસ્વનું એ પ્રતિમાને નિષ્કામ અર્પણ કરે છે. સાંકેતિક મંદિરમાં પુષ્પધૂપાદિના સુગંધ અને અન્ય સુંદર સામગ્રી પૂજક અને પૂજિતને અધ્યસ્ત સ્વભાવથી તૃપ્ત કરે છે તેમ શુદ્ધ પ્રતિમાના મહામન્દિરમાં રસ, જ્ઞાન, અને ક્રિયાની સામગ્રી પૂજ્ય અને પૂજકને સ્વભાવથી તૃપ્ત કરે છે. સાંકેતિક મંદિરમાંનું આરાત્રિક[૧] મંગલમૂર્તિને સુદૃષ્ટ કરવાને માટે છે તેવા જ, શુદ્ધ મંગલમૂર્તિને સુદૃષ્ટ કરવાના, આરાત્રિકથી તમારા જેવા વિદ્યાસંપન્ન સાધુજનો મહામન્દિરના સુન્દર ભાગોને અને શુદ્ધ પ્રતિમાનાં સર્વ અવયવને સુદૃષ્ટ કરી લે છે તે આરાત્રિકને પ્રસંગે મંદિરના શુદ્ધગર્ભારાદિ ભાગમાં અમારા જેવા સાધુજન સૂક્ષ્મ ઘંટાનાદ કરે છે ત્યારે તમારા જેવા સમર્થ સાધુજનોના શંખનાદ એ પૂજનની કીર્તિનાં સંગીત, લય, અને પ્રતિધ્વનિ વડે એ મંદિરને તળથી તે ઘુમટ સુધી ભરે છે અને બ્હારના માર્ગોને અને દૂરની ગિરિગુફાઓને અલખ ગર્જનાના ગાનથી ગજવી શકે છે !

“નવીનચંદ્રજી, આવો અપ્રતિહત શંખનાદ કરવાને ચિરંજીવોએ તમને અધિકાર આપેલો છે તે વાપરતાં અમારા લઘુ મઠને ભુલશો માં, તેમ એ મઠમાં તમારી ગતિને સંકુચિત કુણ્ઠિત કરી રાખશો માં, સાંકેતિક કથાનું મૂળ શુદ્ધ સ્વરૂપે પ્રકટ કરતાં શંકા રાખશો માં, સંસારના કોલાહલથી ભડકશો માં, પામર અજ્ઞ જીવોની કરેલી સ્તુતિથી કે નિન્દાથી ઠગાશો માં. એકદેશીય કે એકકાલીન અનુભવ અને વિદ્યાથી તેમ એકમાર્ગી બુદ્ધિથી જ સંભૃત થયલા જીવોના – પવન જેવા – ઝપાટાથી તણાશો માં, સર્વ વસ્તુનો યોગ્ય આદર કરનારી સર્વાસ્તિકતા વિનાની શ્રદ્ધાથી[૨] બંધાશો માં, મનુષ્યરૂપે વિચરતાં પશુપક્ષીયોના સ્થૂલ બળના ભયથી કે પ્રહારથી કમ્પશો માં, કોઈની કે કશાની ઉપેક્ષા કરશો માં. તેમ તેને આધારે બેસી ર્‌હેશો માં, અને સર્વથા અધ્યાત્મ બળમાં અચળ રહી, તમારા મહાયજ્ઞના વિધિમાં અખંડ સજ્જતાથી પ્રવૃત્ત રહી, એ યજ્ઞના અતિથિમાત્રનું કલ્યાણ સાધ્ય કરી, એ યજ્ઞમાં તમારા આયુષ્યના સર્વ અંશને હોમી દેજો !

“નવીનચન્દ્રજી ! એ ૫રમ યજ્ઞથી તમને ચિરંજીવોએ આપેલી મહાસિદ્ધિ સફળ થશે, એ પૂર્ણાહુતિથી તમે લક્ષ્યાત્માને લક્ષ્ય કરશો, અને પરમ અલક્ષ્ય પરાવરમાં ત્રિયોગ સાધનાથી સાયુજ્ય પામશો ! એ પરાવરને પામવાને યોગ, કર્મ, અને જ્ઞાન ત્રણે સાધનને પામી ત્રિયોગ સાધજો.”


  1. ૧. આરતી.
  2. ૨. सर्वास्तिकता श्रद्धा શારીરક ભાષ્ય ઉપર આનંદગિરિની ટીકા.