સરસ્વતીચંદ્ર ભાગ ૪/મલ્લમહાભવન અથવા રત્નનગરીની રાજ્યવેધશાળા અને મહાભારતનો અર્થ વિસ્તાર.

વિકિસ્રોતમાંથી
←  કુસુમની કોટડી. સરસ્વતીચંદ્ર ભાગ ૪
મલ્લમહાભવન અથવા રત્નનગરીની રાજ્યવેધશાળા અને મહાભારતનો અર્થ વિસ્તાર.
ગોવર્ધનરામ ત્રિપાઠી
ચન્દ્રકાન્તના ગૂંચવાડા. →


પ્રકરણ ૧૧.
મ૯લમહાભવન
અથવા
રત્નગરીની રાજ્યવેધશાળા,
અને
મહાભારતનો અર્થવિસ્તાર
लौकिकानां हि साधूनामर्थं वागनुवर्तते ।
ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति ॥
भवभूति:

રાણા ખાચરના સત્કારને અર્થે ભરેલી સભામાં થયેલી ચર્ચાએ મણિરાજના હૃદયમાં અનેક વિચારો ઉઠાડ્યા. પોતાના પિતાની દીર્ધદષ્ટિ ઉપર, સંયમ ઉપર અને રાજ્ય-નીતિ ઉપર એની દૃષ્ટિ જતી ત્યારે એ ઉત્સાહમાં આવતો. અન્ય રાજાઓના અપભ્રંશ જોતો ત્યારે એ નિરાશ થતો હતો. ઈંગ્રેજ અધિકારીઓમાંના દુષ્ટ વર્ગની સત્તાનું પ્રાબલ્ય જોઈ એને ક્રોધ ઉપજતો. તેમાંના મૂર્ખ અને ઉન્મત્ત ભાગની ચેષ્ટાઓ જોઈ હૃદયમાં ગૌરવ આવતું. અન્ય દેશી રાજાઓની દુષ્ટતા જોઈ એ હૃદયમાં શોક ઉભરાતા. તેમની મૂર્ખતા, પ્રમત્તતા અને ભયંકર અવ્યવસ્થાનાં ચિત્ર દૃષ્ટિ આગળ પ્રત્યક્ષ થતાં એનાં નેત્રમાંથી અશ્રુધારાઓ અપ્રતિહત ચાલતી. ઈંગ્રેજ અધિકારીઓમાંના સુજ્ઞ અને ઉદાત્ત વર્ગના આશ્રયનું પોતે આસ્વાદન કરેલું હતું તે સ્મરણમાં આવતાં આશાના કિરણ દૃષ્ટિમર્યાદા તળે સંતાયલા કોઈ સુર્યના બિમ્બમાંથી નીકળતા લાગતા ઈંગ્રેજ સરકારની રાજ્યનીતિ જોઈ તેના મસ્તિકમાં ઘડીક અવ્યવસ્થા થતી અને ઘડીક શાંતિ થતી. આવા ચાર પાંચ દિવસ ગાળ્યા, અને તે પછી એક દિવસે મધ્યાન્હવેળાએ આશા અને નિરાશા વચ્ચે દોલાયમાન થતો યુવાન્ રાજા મલ્લમહાભવનના કુરુક્ષેત્રભવન નામનાં ખંડમાં એક છેડેથી બીજા છેડા સુધી આવજાવ કરતો હતો.

આ અમલ્લહાભવનની મૂળ યોજના મલ્લરાજે કરી હતી. રાજ્યમાં “બાંધકામ” અથવા “પબ્લિક વર્ક્‌સ”નાં ખાતાં આજ ઈંગ્રેજી પદ્ધતિથી ચાલતાં જોવામાં આવે છે. દેશ અને નગરની શોભા વધારવી અને સાર્વજનિક ઉપયોગમાં દ્રવ્યવ્યય કરવો એવા બે હેતુથી આજકાલ એ ખાતાનાં ધોરણ પ્રવર્તે છે. ઈંગ્રેજી રાજ્યમાં એ ઉભય હેતુ ધ્યાનમાં રખાય છે અને ઉપયોગ પ્રધાન વસ્તુ ગણાય છે અને શોભા ગૌણ ગણાય છે ત્યારે દેશી રાજ્યોમાં ગમે તો શોભા પ્રધાન ગણીને એક માર્ગે ઉદારતા રખાય છે અને ગમે તો પ્રધાન અને ગૌણ ઉભય ભેદને સરખા ગણી ઉભય વિષયમાં કૃપણતા રખાય છે એવો એક કાળે વિદ્યાચતુરનો અભિપ્રાય હતો. મલ્લરાજની સાથે આ વિષય ચર્ચતાં તે મહારાજે વિશેષ એ બતાવ્યું કે દેશી રાજ્યોની મ્હોટી સંખ્યામાં તો આજકાલ એવું જ જોવામાં આવે છે કે રાજાઓ અને તેની જાતની સેવા કરનારાઓના નિવાસના અને ભોગનાં સ્થાનને જ શોભા આપવી અને અનેક રાણીઓ અને રાજપુત્રોના લગ્નાદિ પ્રસંગોમાં ને ભોગવિલાસોમાં પ્રજાના દ્રવ્યનો નાશ કરવો એ કાર્ય જ આજકાલ પ્રધાન ગણાય છે, અને તેમાં પણ જતે દિવસે થોડા ખરચે થતા દેશી રીતના ભોગવિલાસને સ્થાને જતે દિવસે ઈંગ્રેજી ધમકની પોલી શોભા, ટુંકા આયુષ્યના પદાર્થો, અને તાત્પર્યને સ્થાને દેખાવ ઉપર પ્રીતિ, એ ત્રણ વસ્તુઓ હાલનાં વ્યયમાં અનેકધા વૃદ્ધિ કરશે. વૃદ્ધ આચારને વળગી ર્‌હેનાર વૃદ્ધ કે વિચારથી શૂન્ય યુવાન રાજપુત્રવર્ગ, પ્રજાનું સપત્નીકર્મ કરવામાં તત્પર અને રાજાએાનું અને રાજકુમારોનું રાજત્વ અને મનુષ્યત્વ ચુસી લેવામાં સ્વાર્થ અને વિલાસ સમજનારી રાણીઓ અને રાજકુમારીઓ, અને એવાં એવાં અનેક ભયસ્થાન દેશી રાજાઓને શિર ઝઝુમે છે અને સત્કાર્યને સ્થાને દુ:સ્થિતિનું દર્શન કરાવે છે તેનો આલેખ મલ્લરાજે વિધાચતુરને દર્શાવ્યો હતો. ભીષ્મપિતામહે શરશય્યા ઉપર સુતાં સુતાં ધર્મરાજને અનેક અનુભવથી ભરેલી રાજનીતિ શાન્તિપર્વમાં સમજાવી છે તેમ આ વૃદ્ધ મહારાજે આ દુ:સ્થિતિના સંબંધમાં પોતાના અનુભવ અને વર્તારા પોતાના વાનપ્રસ્થ કાળે પોતાના યુવરાજ અને તેના પ્રધાન વિધાચતુરને સમજાવ્યા હતા. જરાશંકર પણ એ કાર્યમાં એ મહારાજનું મન્ત્રીપણું કરતો હતો. એ મહારાજનું નામ અમર રાખવા કોઈ મ્હોટું ભવન બાંધવાની યુવાન વર્ગમાંથી સૂચના એક દિવસ થતાં અને તેની સંમતિ મંગાતા વૃદ્ધ મહારાજે સ્મિત કર્યું.

"વિધાચતુર, નામ કોઈનું અમર રહેલું નથી અને ર્‌હેવાનું નથી. નામ અને રૂપ એજ નશ્વરતાનાં સ્વરૂપ છે. પણ તમારી ઈચ્છાને કંઈક અનુકૂળ થવાય અને ભવિષ્યમાં જ્યાં સુધી આ રાજ્યમાં બુદ્ધિમાન્ નીતિમાન્ રાજાઓ રાજ્ય કરવા ઉત્પન્ન થાય ત્યાં સુધી તેમની બુદ્ધિને આપણા અનુભવનું કાંઈક અવલમ્બન મળે અને પ્રજા પાસેથી આ સિંહાસન પાસે આવેલું દ્રવ્ય પ્રજાને ફળે એવા વ્યયનો માર્ગ કાંઈ ક્‌હાડીશું.”

આ સૂચના પછી મલ્લરાજે રત્નગરીની રાજ્યવેધશાળા નામના ભવનની કલ્પના[૧] કરી અને યુવરાજે તેનો આલેખ[૨] કરાવી તે પ્રમાણે કાર્યસિદ્ધિ[૩] કરાવી. વૃદ્ધ મહારાજાની ઈચ્છા પ્રમાણે તેનું નામ રાજ્યવેધશાળા (એટલે રાજ્યરૂપ આકાશમાં ગમન કરનાર ગ્રહોની ગતિ આદિનું દર્શન કરવાની વેધશાળા[૪]) પાડ્યું, તેની સાથેજ યુવરાજની ઈચ્છાથી એનું નામ મલ્લમહાભવન પણ પાડ્યું અને ઉભય નામના લેખ એ ભવનના તોરણ ઉપર કોતરાવ્યા. આ તોરણુદ્વારમાં[૫] પેસતાં એક વિશાળ અને સુન્દર ઉધાનમાં જવું પડતું અનેક લતાગૃહો, કુઞ્વજવનો, તળાવ, વાવો, કુવાઓ, કુંડો, બેઠકો, ઘટાઓ, અને પશુપક્ષિના પંજરોનાં ચિત્ર જેવા સાજવચ્ચે, થઇને જતાં અન્તે એ મહાભવન આવતું.

એ ભવનમાં વૃદ્ધ મહારાજે પોતાના અનુયાયી રાજાઓના ઉપદેશ માટે વિચિત્ર યોજનાઓ કરી ક્‌હાડી હતી. અલિન્દમાર્ગમાં[૬]થી મુખદ્વારમાં પેસતાં તરત વિદુરભવન નામનો લાંબો ખંડ આવતો. એ ખંડની પાછળ બીજા પાંચ ખંડ હતા. એ પાંચ ખંડનાં નામ દુર્યોધનભવન, દુ:શાસનભવન, કર્ણભવન, દ્રોણભવન અને પિતામહભવન, એવાં હતાં.


  1. Mental design માનસિક કલ્પના
  2. Written design
  3. Execution
  4. Observatory
  5. Gate
  6. Porch, Portico, બંગલાના દરવાજા આગળ અગાશી અથવા અારકા વગેરેવાળી જગા.
આ પાંચે ખંડની હાર કૌરવશાળા નામથી ઓળખાતી. તે પાંચેનાં દ્વાર

કુરુક્ષેત્ર નામના એક બીજા લાંબા ખંડમાં પડતાં, એ ખંડની એક પાસ પાંડુભવન અને બીજી પાસ ધૃતરાષ્ટ્રભવન હતાં. કુરુક્ષેત્રની બીજી પાસ કૌરવશાળાની સામે પાંડવશાળા હતી ને તેનાં દ્વાર પણ કુરુક્ષેત્રમાંજ પડતાં. પાંડવશાળાના પાંચ ખંડ નામે ધર્મભવન, ભીમભવન, અર્જુનભવન, નકુલભવન અને સહદેવભવન એવાં હતાં. એ પાંચેની પાછળ પાંચાલીભવન નામનો લાંબો ખંડ હતો અને તેમાં તે પાંચેનાં દ્વાર પડતાં હતાં.

ચંદ્રકાન્ત અને વીરરાવનાં મર્મવેધક વાક્યોને વિદ્યાચતુરે વિદુરભવનમાં ઉત્તર આપેલા હતા તેનાથી મણિરાજને તૃપ્તિ થઈ ન હતી અને મર્મવચન એના મર્મભાગને ગુપ્ત કળાથી કાપતાં હતાં. આ વેદનાના નિવારણને માટે આજ વિદ્યાચતુરે તે બે જણને મલ્લમહાભવન જોવા બોલાવ્યા હતા અને એ ભવનનાં રહસ્યનું પ્રકટીકરણ કરી એટલાથી જ તેમને તૃપ્ત કરવા અને મણિરાજને શંકારહિત કરવા વિદ્યાચતુરે કલ્પના કરી હતી. તે ઉભય ગૃહસ્થોના પક્ષપાતનું સ્થાન સરસ્વતીચન્દ્ર રત્નનગરી આવ્યો હતો ત્યારે આ ભવનમાં આવી ગયો હતો અને નવા વિચાર લેઈ ગયો હતો એ વાતથી એ ગૃહસ્થોને આ સ્થાનમાં આવવાં આકર્ષણ થયું હતું. તેમની વાટ જોઈ યુવાન મણિરાજ કુરુક્ષેત્ર ભવનમાં આતુરતાથી, હેરાફેરા કરતો હતો.

થોડીવારમાં અતિથિમંડળને લઈ વિદ્યાચતુર ત્યાં આવ્યો. કુરૂક્ષેત્રની વચ્ચે એકાસન*[૧] અને અનેકાસન†[૨] સામસામી હતાં તે ઉપર સઉ ગોઠવાયા. કેટલીક સાધારણ પૃચ્છા અને વાર્તા થયા પછી આ ભવનસંબંધે વાર્તા ચાલી. વિધાચતુરે એનો ઇતિહાસ કહી બતાવ્યો. મલ્લરાજનું હૃદય તેમાં જણાતાં વીરરાવને પણ તેના ઉપર પ્રીતિ ઉપજી.

કેવું ભવ્ય અંતઃકરણ ! ચંદ્રકાન્ત ! Look at the poetry of His late Highness's heart ! There's something stern and magnificent in his views, words, and acts ! ” વીરરાવે હૃદય ફુલાવી ચંદ્રકાન્ત ભણી જોઈ કહ્યું.

Undoubtedly 'tis so. And yet but a few days back, in this very building, you abused his fellows”.

ચંદ્રકાંત બોલ્યો.


  1. * ખુરશીઓ
  2. †બાંક, કોચ.

વીર૦– છી છી છી છી ! ચન્દ્રકાન્ત ! તમે કંઈ સમજ્યા જ નથી. આખી રાત્રિના આખા આકાશમાં ચંદ્ર વૃદ્ધિક્ષય પામતો એકલો એક ફરે છે તેથી જગત્ ઉંઘતું મટતું નથી અને અન્ધકાર સમસ્ત નાશ પામતો નથી. મલ્લમહારાજની પોતાનીજ નિરાશાનું કારણ જુવો ! તમારા દેશના હોલ્લા પેઠે છાપરા ઉપર બોલતા બોલતા તેઓ થાકી ગયા અને માત્ર એક જ બોલ બોલ્યા કે “એકલો શું કરું ? એકલો શું કરું ?”

પિતાની સ્તુતિથી તૃપ્ત થતું મણિરાજનું હૃદય આ નિરાશાનું ચિત્ર જોઈ ખિન્ન થયું. તેના હૃદયનો અનુભવી પ્રધાન તે ચેતી ગયો અને ખેદદશાને વ્યગ્ર કરવા બીજી કથા કરવા લાગ્યો.

“વીરરાવજી, આ મહાભવનનો ઇતિહાસ તમે સાંભળ્યો હવે ઉઠો અને તેના મર્મભાગ જુવો અને સમજો.”

સઉ ઉઠ્યા. આગળ મણિરાજ અને વિદ્યાચતુર અને પાછળ અન્ય મંડળ ચાલ્યું. કુરુક્ષેત્રની એક પાસ પાંડુભવન હતું તેમાં સઉ પેંઠા.

એ ભવનમાં પેસતાં સામે પાણ્ડુરાજાની અને એની આશપાશ તેની બે રાણીઓની પ્રતિમાઓ આરસની હતી. પાણ્ડુમૂર્તિના સિંહાસનની આગલી પાસ સુવર્ણલેખ હતો.

“આપત્કાળે રાજાઓ રાજ્યયોગ શાથી પામે છે ? પ્રથમ રાજ્ય ધરનાર દેહ જોઈએ – જેનાથી રાજવંશ વૃદ્ધિ પામે. આ પ્રત્યક્ષ દેહવાલો દેહી ધૃતરાષ્ટ્ર અન્ધ છે અને તેનો ન્હાનો ભાઈ શૈાર્યદિક્ષાત્રકલાસંપન્ન રાજત્વ ગુણ છે તે દેખતો છે, સમર્થ છે, અને ન્હાનો ભાઈ છતાં તે જ રાજ્યને યોગ પામે છે. રાજ્યયોગકાળે પરાત્ર્ક્મ અંગ તે આ જ પાણ્ડુરાજા છે અને રાજત્વગુણની વંશવૃદ્ધિ એના જ વંશમાં છે. મલ્લરાજના અનુયાયી રાજ્યાધિપો એ રાજાનું સત્વ સાચવશે તો નશ્વર સંસારમાં તેમનું રાજત્વ જીર્ણોદ્ધાર પામશે. રાજ્યયોગનો અધિકારી ધૃતરાષ્ટ્ર નથી – પણ પાણ્ડુ છે એ વાત નિત્યસિદ્ધ છે.”

એક પાસની ભીંત ઉપર મણિરાજે કોતરાવેલો ઈંગ્રેજી લેખ હતો.-

“Spirit of Acquisition and Growth ! Thou wert born to acquire and to grow and not to enjoy. Thou wert born for Duties and not for Rights ! Attempt not to rest from Duties and enjoy any Rights. Power is the sweet charmer by thy side, and awful will be the moment, that will tempt thee to her embraces. For, beware if warning can avail it against thy frailty, the moment of thy Fruition of her charms will also be the moment of thy Death ! Great spirit of Dominating Growth! Thy moment of Fruition of Power will mean the moment of thy disappearance ! So disappeared King Pandu the moment he rushed into the arms of fair Madri !”

સામી ભીંતે ટુંકો લેખ હતોઃ– “રાજાઓને ભોગ નથી, ધર્મ છે. ભોગવિલાસનો પ્રથમ ચમત્કાર પાણ્ડુરાજાએ યમની તરવારમાં દીઠો. ૨ત્નનગરીના રાજ્યાધિપો ! આ કથા ભુલશો માં !”

વીરરાવ સર્વ વાંચી એક પાસ ઉભો. “શું આ વાર્તામાં આવું રૂપક છે? આ ઉપદેશ પાળનાર રાજા મ્હેં હજી સુધી દીઠો નથી. જો રત્નનગરીમાં એ નિયમ પળાતો હોય તો વીરરાવ એક જણની પાસે પોતાના ઉદ્ગાર પાછો ખેંચી લેવા બંધાયેલો છે.”

મણિ૦- વીરરાવ, આપણે આ ભવન જોવા આવ્યા છીએ. હું રંક બાળક એ ભવનના મહાન ઉચ્ચગ્રાહને પામ્યો છું કે નહી તે જોવા નથી આવ્યા. અમારા ઉચ્ચગ્રાહના ઉચ્ચાર જેટલા મ્હારા આચાર છે એવું માનશો માં. મને બાકી એટલું અભિમાન છે કે વૃદ્ધ મહારાજ એ આચારની સીમાને પ્હોંચ્યા હતા. વળી આ મ્હારે નામે લખાયેલા ઉદ્ગારમાં જીવ મુકનાર મ્હારા ગુરુ પ્રધાનજી છે એટલે એ ઉદ્ગાગારની શક્તિ પણ મ્હારી સમજશો માં.

વીર૦– જે વિનય મ્હારા વંશને દુર્લભ છે તે આપણામાં પળે પળે દેખું છું. રાજકુળમાં જન્મ પામ્યાનો મહિમા હું આજ પ્રથમ પ્રત્યક્ષ કરું છું.

મણિ૦- હું વિનયવાકય બોલતો નથી. સત્ય બોલું છું.

વીર૦- આપ આપના હૃદયમાં જે સત્ય માનો છો તેજ બોલોછો. આપનો વિનય હૃદયનો છે, કેવળ વાણીનો જ નથી.

ચંદ્ર૦- મહારાજ, રાજ્યયોગનું અંગ પાણ્ડુરાજાને ગણોછો તેવા યોગની અશક્તિને આ કાળે આમાંથી દેશી રાજાઓએ શો ઉપદેશ લેવો ?

મણિ૦- વૃદ્ધ મહારાજના ઉપદેશમાત્રના આધાન પ્રધાનજી હતા. આપના પ્રશ્નનો ઉત્તર પેલા ગ્રન્થમાંથી મળશે. એ ગ્રન્થમાં પ્રધાનજીએ વૃદ્ધ મહારાજના વિચાર લખેલા છે. મલ્લમહાભવનનો મંત્રી એક ગ્રન્થ એક ટેબલ પરથી લાવ્યો અને તે ઉઘાડી એક ભાગ ચન્દ્રકાન્તને આપ્યો તેમાં વિદ્યાચતુરના હાથનો એક લેખ હતો કે “રાજ્ય એટલે પૃથ્વી એવું મલ્લમહારાજ સમજતા ન હતા. તેમની ઉદારબુદ્ધિમાં પૃથ્વી તૃણતુલ્ય હતી. રાજ્ય એટલે રાજત્વ અથવા રાજગુણોનો સમુદાય એવી તેમની બુદ્ધિ હતી. જેમ પૃથ્વી ઉપર એકલા જળને બળે તૃણ પોતાને કાળે ઉગે છે તેમ પૃથ્વી ઉપર એકલા રાજત્વને બળે રાજસત્તા યોગ્ય ઋતુમાં ઉગે છે. એ સત્તાને લોક રાજ્ય ક્‌હે છે, પણ સત્ય જોતાં રાજત્વ સામાન્ય મનુષ્યો કરતાં રાજાઓમાં વિશેષ છે, અને રાજશબ્દ ઉપરથી થયેલું રાજત્વ, તે જ રાજ્યનો અર્થ છે. પૃથ્વી તો થયલા અને થનાર રાજાઓની ધર્મશાળા છે, ક્ષેત્ર છે. રાજત્વ તે ધર્મશાળામાં નવી નવી પ્રજાઓને ભરે છે. રાજત્વ તે ક્ષેત્રમાં સત્તાનો ફાલ ભરે છે. મ્હોટા ક્ષેત્રમાં પાક ઓછો થાય અને ન્હાનામાં ઘણો થાય. તેમ પૃથ્વીનો વિસ્તાર ઓછો હોય એવા ન્હાના પ્રદેશમાં મ્હોટા પ્રદેશ કરતાં વધારે ફળ ભરનાર રાજત્વ વધારવું તે પણ રાજ્ય વધારવા જેવું જ છે. ઈંગ્રેજી સામ્રાજ્યનાં અંશભૂત દેશી સંસ્થાનોમાં આમ રાજત્વ વધે તો તેપણ રાજ્યયોગની જ વૃદ્ધિ છે. માણ્ડલિક રાજાઓની આ વૃદ્ધિ ચક્રવર્તીને લાભકારક છે, અને આવી રાજ્યવૃદ્ધિ કરવામાં દેશી રાજાએ નહી ફાવે તો તે દોષ ચક્રવર્તીનો સમજવો નહી, પણ દેશી રાજાઓ ઉપર માદ્રીએ ઉપજાવેલા મોહનું જ તે કાર્ય સમજવું.”

ચંદ્રકાન્ત આ ઉત્તરથી સજડ થઈ ગયો. વીરરાવનો ઉન્માદ શિથિલ થઈ ગયો. ઉભય ગૃહસ્થ જિજ્ઞાસાના જ સેવક થઈ ગયા.

ચંદ્ર૦- આવાં પુસ્તક કેટલાં છે ને તેનો શો ઉપયોગ થાય છે ?

વીર૦– આ જમણા ખુણામાં મ્હોટું આસન શા ઉપયોગમાં આવે છે ?

વિદ્યા૦- પ્રત્યેક ભવનમાં આવાં પાંચ પુસ્તકો હોય છે. એક પુસ્તકમાં વૃદ્ધ મહારાજની સૂચનાઓ સ્મરણમાં આણી હું લેખ લખું છું. બીજા પુસ્તકમાં આયુષ્યમાન્ મહારાજ – પોતાના વિચાર, અનુભવ, અને વિદ્યા વધે છે તેમ તેમ પોતાના ભાવી કાળના અને અનુયાયીઓના ઉપયોગને માટે – પ્રસંગે પ્રસંગે લેખ લખે છે. ત્રીજું પુસ્તક કોરું છે તે ભરવાનું રત્નનગરીના ભાવી રાજાએ.ચોથું પ્રધાનોએ પોતાના અનુભવ લખવા માટે, અને પાંચમામાં આ ભવનનો સાક્ષર મન્ત્રી આ ચારે પાસની પુસ્તકશાળામાનાં પુસ્તકોમાંથી ઉતારા, સૂચન, વગેરે મહારાજશ્રીના ઉપયોગને માટે, સંક્ષેપમાં લખે છે. આ જમણા ખુણામાં મહારાજશ્રીને માટે વિચારણાસન છે. આ મહાભવનના પ્રત્યેક ભવનમાં આ જ મન્ત્રી, આવાં પુસ્તક, અને આવાં આસન છે. પાણ્ડુભવનનાં પુસ્તકો આ ભવનનાં જ વિષયને સંબંધે છે. આ પુસ્તકોમાં આ ભવનના જ સૂચવેલા વિષય વિચારાય લખાય છે, વિચારણાસન ઉપર દિવસમાં અમુક કાળે બેસવું, આ ગ્રન્થો અને લેખો વિચારવા અને વધારવા, રાજ્યમાં ઉઠતા પ્રસંગો આ ભવનના વિષયને લગતા હોય તો તે આ ભવનના જ લેખોને વશ રહી તેના જ સાધનથી વિચાર અને આચારના માર્ગ શોધવા, અને આ ભવનના લેખોની આજ્ઞાઓ પોતાથી અને પોતાના સેવકોથી કેટલી પળે છે અને કેટલી નથી પળતી તેના સૂક્ષ્મ વિચાર કરી આત્મપરીક્ષામાં જાગૃત રહેવું - એટલું કામ આ વિચારણાસન ઉપર અઠવાડીયામાં યોજેલ સમયે બેસી મહારાજ સ્થિર મનથી કરે છે. આ મહાભવનના પ્રત્યેક ભવનનો આમ વારો આવે છે.

ચંદ્રકાન્ત અને વીરરાવ અન્યોન્યના સામું જોઈ રહ્યા. અંતે કુન્તીની મૂર્તિનીચેનો લેખ વાંચવા લાગ્યા. “ધૈર્ય અને ક્ષમાની મૂર્તિ ! મહત્ દુઃખોમાં પુત્રોએ યુગના યુગ ક્‌હાડ્યા, તે કાળે ત્હેં ધૈર્ય કે ક્ષમા ખોઈ નથી. રાજ્યકાર્યને સિદ્ધ કરવા, ત્હારા પાંચ પુત્રોને પરિપાકદશામાં આણવા, અસ્તમાંથી ઉદય જોવા, જે ધર્મતપની આવશ્યકતા છે તે ત્હેં તપેલું છે. ત્હારા વિના કોઈ રાજ્યમાં પાણ્ડવોનો જન્મ નથી, ઉદય નથી, સિદ્ધિ નથી.”

આ ખંડમાંથી સર્વે બ્હાર નીકળ્યા અને જોડેના ખંડમાં ગયા. જતાં જતાં વિદ્યાચતુર બોલ્યો: “પાણ્ડુભવન રાજ્યયોગનું સાધન છે. બાકીનાં ભવન રાજ્યક્ષેમનાં છે. રાજ્યના યોગક્ષેમની એ વ્યવસ્થા છે. અલભ્યને લાભ તે યોગ-લબ્ધનું પાલન તે क्षम: अलभ्यलाभो योगः स्यात् क्षेमो लब्धस्य पालनम्. પાણ્ડુરાજાવિના રાજ્યયોગ નથી, પાંડવકૌરવાદિની યોગ્ય સંસ્થાવિના રાજ્યક્ષેમ નથી. એ ક્ષેમને માટે શુદ્ધ રાજત્વના ક્ષેત્રમાં દેવોના પ્રસાદથી ઉત્પન્ન થયલા ગુણરૂપ પાણ્ડવ છે તેનાં આ પાંચ ભવન આ પાસ છે. સ્થુલ અંધ નૃપદેહરૂપ, ધૃતરાષ્ટ્રથી જન્મેલા રાજ્યતંત્રરૂપ રાજ્યકાર્યરૂપ - કૌરવો અને તેના સહાયકોનાં ભવન પાંડવભવનોની સામે છે. રાજ્યક્ષેમના દેહમાં જ્ઞાનેન્દ્રિયના સમૂહને ધરનાર ઉત્તમાંગ – મસ્તકરૂપ – આ પાણ્ડવભવનો છે અને કર્મેન્દ્રિયના સમૂહ બાકીના દેહરૂપ આ બાકીનાં ભવન છે. કર્મેન્દ્રિયો ઉપર બળ વાપરવાનાં અધિકારિ જ્ઞાનેન્દ્રિયો જેવાં રાજ્યાવયવોમાં જયેષ્ઠ અને શ્રેષ્ઠ જે ધર્મ તે ધર્મનું આ ધર્મભવન પાણ્ડુભવનની જોડે જ રચેલું છે.

ધર્મભવનમાં યુધિષ્ઠિરની પ્રતિમા પાસે સઉ આવી ઉભા. એટલામાં વિદ્યાચતુરે આટલું દિગ્દર્શન કરાવી દીધું. 4 યુધિષ્ઠિરની ગંભીર મૂર્ત્તિના ચરણ નીચેના આરસની તક્તીમાં સુવર્ણલેખ હતો.

“ગૃહસંસારથી આરંભી રાજ્યસંસારના શિખર ઉપર ચ્હડતાં મલ્લરાજને એક જ પદાર્થમાંથી સ્વસ્થતા જડે છે. તે પદાર્થ તે ધર્મ. આજ કાલ શૈવ વૈષ્ણવ ખ્રિસ્તિ મુસલ્માન આદિ મતમતાંતરવાચક શબ્દોમાં જણાતા મમતામૂલક ધર્મસાથે ધર્મરાજાના ધર્મને લેવાદેવા નથી. સર્વ પ્રજાઓને, સર્વ દેશમાં, સર્વ યુગમાં, સામાન્ય પૂજનીય ધર્મ તે ધર્મરાજનો ધર્મ છે. રાજ્યયોગ સિદ્ધ કરી રાજ્યક્ષેમની વાસના રાખનાર આર્ય પાણ્ડુમહારાજે જયેષ્ઠ પુત્રને સ્થાને ધર્મને માગ્યો છે ને મલ્લ પણ એજ માગે છે. દ્રૌપદીવસ્ત્રહરણ કાળે સર્વ પાણ્ડવો આત્મસ્થ પ્રત્યક્ષ સ્થૂલાદી બળ નિવારી દેખીતા અતિયોગ્ય ક્રોધવૈરાદિ વિકારોને સંયમી, માત્ર જ્યેષ્ઠબંધુ ધર્મરાજની આજ્ઞાને વશ રહી, સર્વ અન્ય પદાર્થના ત્યાગી થયા. મલ્લ પણ પોતાના રાજ્યમાં, દેહમાં, અને વંશમાં એજ પરિણામ ઈચ્છે છે! એ ધર્મનું સ્વરૂપ જાણવું હોય તે વ્યાસમુનિના અક્ષરતીર્થ કાવ્યમાં સ્નાન કરી પવિત્ર થાય. ધર્મ જ જીવતે દેહે સ્વર્ગ પામે છે. ધર્મ જ જાગે છે. રાજ્યભારમાં સ્વસ્થ નિદ્રા પણ ધર્મને જ છે.અધર્મની શય્યામાં સુનારને કાંટા જ છે.”

પ્રતિમા નીચેના સ્તમ્ભની આગલી પાસ આ લેખ હતો. બીજી બે પાસ મહાભારતમાંથી શ્લોક હતા.

એક પાસ લખ્યું હતું. “વાંચનાર પાણ્ડુરાજાએ કુન્તી પાસે ધર્મરૂપ યમદેવનું આવાહન કરાવી ધર્મરૂપ જ્યેષ્ઠ પુત્ર પ્રથમ માગ્યો તે શું કહીને ?

"अद्यैव त्वं वरारोहै प्रयतस्व यथाविधि ।
"धर्ममावाह्य शुभे स हि लोकेषु पुण्यभाक् ॥१॥
"अधर्मेण न नो धर्मः संयुज्येत कथञ्चन ।
"लोकश्चायं वरारोहे धर्मोऽयमिति मन्यते ॥२॥
"धार्मिकश्च कुरुणां च स भविष्यति स संशय: ।
"धर्मेण चापि दतस्य नाधर्मे रंस्यते मनः ॥३॥
"तस्माद्धर्मं पुरस्कृत्य नियता त्वं शुचिस्मिते ।
"उपचाराभिचाराभ्यां धर्ममावाहयस्व वैं ॥४॥

બીજી પાસ લખ્યું હતું.

“પાણ્ડવોમાં જયરૂપ અર્જુન પોતે ધર્મનીજ આજ્ઞામાં છે,ધર્મના બળથી જ જયની આશા રાખે છે, અને ધર્મમાં જ શ્રદ્ધા રાખે છે. તે શું ક્‌હે છે? ધર્મરાજને પોતાને શત્રુબળથી અવસન્ન જોઈ અર્જુન ધર્મને ધર્મનું બળ દર્શાવી સ્તવે છેઃ—

प्रज्ञयाऽभ्यधिकान् शूरान् गुणयुक्तान् बहूनपि ।
जयन्त्यल्पतरा येन तन्निबोध विशाम्पते ।। १ ।।
तत्र ते कारणं राजन् प्रवक्ष्यायाम्यनसूयवे ।
नारदस्तमृषिर्वेद भीष्मद्रोणौ च पाण्डव ।। २ ।।
एवमेवार्थसाश्रित्य युद्धे देवासुरे ऽब्रवीत्
पितामहः किलं पुरा महेंद्रादीन् दिवौक्सः ।। ३ ।।
न तथा बलवीर्याभ्यां जयन्ति विजिगीषवः ।
यथा सत्यानृशंसाभ्यां धर्मेणैकेन चानघ ।। 4 ।।
ज्ञात्वा धर्ममधर्मे च लोभं चोघममास्थिताः ।
युध्यध्वमनहंकारा यतो धर्मस्ततो जयः ।। 5 ।।
भीष्मपर्व.

ભવનમન્ત્રીએ પ્રધાનના પુસ્તકમાંથી એક પાનું ઉઘાડી બતાવ્યું; વીરરાવે મ્હોટેથી વાંચ્યું.

"The highest sense of Duty and unflinching obedience to the Highest Principles of the Eternal Code of Morality which can illumine the Soul of the humblest and the highest for the weal of the world:- these have the first right to command and control Intelligence, Power, and All ! So sang the Indian Sage and Bard, and lucky is the nation where He will be obeyed."

વીર૦- આ બધા માનસિક મન્ત્રમાં રાજકીય વિષય શો છે?

વિધા૦- આ યુધિષ્ઠિરભવનમાં ધર્મરાજાની મૂર્તિપાછળ તમે જુવો છો. તેમાં થઈ ને પાછળ પાંચાલીભવનમાં જવાય છે, પાંચાલી પ્રજાદેવી - તેના પતિઓ એટલે પાલકો પાંચ પાંડવો છે. એનું પાલન કરનાર પતિઓમાં જયેષ્ઠ ધર્મરાજા છે. જેને તમે ધર્મનો માનસિક મન્ત્ર કહો છો તે ધર્મરાજાને મન પાંચાલીના કરતાં વધારે પ્રિય છે. તે મૂર્તિના ચરણ નીચેના લેખથી તમે જુવો છો. પાણ્ડુભવનમાં તમે એક વિચારણાસન જોયું તેને ઠેકાણે આ ભવનમાં ત્રણ ખુણામાં ત્રણ વિચારણાસન છે અને ચોથામાં પુસ્તકો છે. એક વિચારણાસન ઉપર બેસી ધર્મરાજ ઉપર દૃષ્ટિ કરી મહારાજ માનસિક ધર્મના વિચાર તેમ આચારની રાજ્યસંબંધમાં વિચારણા કરે છે. આ રાજ્ય અને પરરાજ્ય વચ્ચે, પોતાના જીવનને માટે, અને પોતાના કુટુંબને માટેના ધર્મવિચાર એજ આસનમાં થાય છે. ત્યાર પછીના ખુણામાં બીજું વિચારણાસન છે ત્યાં બેસી મહારાજ રાજસેવકોના ધર્મ શોધે છે, રચે છે, અને પોષે છે. મહારાજ યુધિષ્ઠિર વ્યૂહરચનામાં કુશળ હતા. સૈનિક - military - તેમ સભ્ય - civil - રાજસેવકમાત્રની વ્યૂહરચનાના સંબંધની આજ્ઞાઓ આ જ આસનની વિચારણામાંથી જન્મે છે, સર્વ સેવકોના ધર્મ અને તેમની સ્વધર્મનિયન્ત્રણા – Discipline – ના રશ્મિઓને (reins - લગામોને) આ સ્થાનમાં જ યમરાજના જેવી ઉગ્ર દૃષ્ટિથી મહારાજ ખેંચી રાખે છે અને રાજ્યધર્મના અશ્વ જેવા સેવકોનું પાલનનિયમન કરે છે. ત્યાર પછીના ખુણામાં ત્રીજું વિચારણાસન જુવો છો ત્યાં બેસી મહારાજ, પ્રજામાં રહી પ્રજાના શત્રુ જેવા થતા અપરાધીઓના – અને પરસ્પરબન્ધુત્વ ભુલી વિગ્રહમાં પડતા વાદીપ્રતિવાદીઓના – ધર્મ શોધે છે, રચે છે, અને એ રચના પ્રમાણે તીવ્ર ન્યાય થાય છે કે નહી તે તોળે છે અને તે તુલના પ્રમાણે ન્યાય આજ્ઞાઓ કરી પ્રજાને સ્વસ્થ કરે છે. પ્રત્યેક આસન ઉપર વિચાર કરી પાંચાલીભવનમાં મહારાજ જાય છે. એ પ્રિયતમા મહારાજના આ પ્રયત્નથી પ્રસન્ન થશે કે નહી અને થઈ કે નહી તે વાત મહારાજ આતુરતાથી જાણી લે અને એ પ્રિયતમાના પ્રેમાસ્પદ થાય એ લોભ ધર્મરાજની આ પાંચાલીની દૃષ્ટિના પ્રસાદમાંથી મહારાજના સાત્વિક અન્તઃકરણમાં પ્રસરે એટલા માટે વૃદ્ધમહારાજે કરેલી યોજના આ ભવનમાં તમે પ્રત્યક્ષ કરો છો.

વીર૦- Happy is the man who comes to this nobly conceived hall and bows in deep humility to the high and sacred thoughts it fills one with ! A thousand blessings from this poor heart of mine flow towards your Highness as I witness this stern and holy ideal and its fullest, clearest expression.

વીરરાવે મણિરાજના હાથને બળથી ડાબ્યો.

ચંદ્રકાંત વીરરાવના કાનમાં બોલ્યોઃ “Mind you, you are treating a prince like a private man quite mannerlessly !"

વીરરાવે પણ કાનમાંજ વાત કરી; “Damn your etiquette where I simply give a clear form to my admiration ! Is not a prince a man?"

ચન્દ્ર૦- “You are rude, whether you are pleased or pained - like a dog that barks and bites or fawns and licks!"

મણિરાજના વચને આ ગુપ્ત વિગ્રહનો અંત આણ્યો અને સઉ તેના શ્રવણમાં વ્યાપૃત થયા.

મણિ૦- “વીરરાવજી, આ સર્વ વિચારણાસનમાં બેસું છું ત્યાં ધર્મરાજાનું દર્શન મ્હારા ચિત્તમાં અનેક મન્ત્ર મુકે છે, મ્હારા અભિમાનને શાન્ત કરી નાંખે છે, અને જે ધર્મ પાળવા તેમની તીવ્ર આજ્ઞા પ્રત્યક્ષ થાય છે તે ધર્મ કીયો એ જાણવાની આતુરતા થતાં, પ્રથમ પુછું છું આ ચારે પાસ લટકતી પુસ્તકશાળાને, પછી પુછું છું દેશકાળને, પછી પુછું છું મ્હારા રાજ્યના અનુભવને અને તેનાજ હિતને, અને પછી પુછું છું મ્હારા રંક હૃદયને. વૃદ્ધ મહારાજે એ શ્રેણિ બતાવેલી છે અને એવી રીતે વિચારેલો શોધેલો ધર્મ રાજ્યને હિતકરે છે એવું મનાવનારી શ્રદ્ધા વિરાટની સભામાં મહાત્મા મહાબુદ્ધિવાન શૂર અર્જુને ધર્મરાજનું અભિજ્ઞાન કરાવતાં ક્‌હેલાં વાક્યોમાંથી જન્મતી જોઉ છું.

ભવનમન્ત્રીએ મણિરાજના પુસ્તકમાંથી એ શ્લોક ક્‌હાડી એના હાથમાં મુક્યા અને મણિરાજે જાતે તે વાંચ્યા.

"इन्द्रस्यार्धासनं राजन्नयमारोढुमर्हति । ब्रह्मण्यः श्रुतवांस्त्यागी यज्ञशीलो दृढव्रतः ॥ एष विग्रहवान् धर्म एष वीर्यवतां वरः । एष बुद्ध्याधिको लोके तपसां च परायणः ॥ एषोऽस्त्रं विविधं वेत्ति त्रैलोक्ये सचराचरे । न चैवान्यः पुमान् वेत्ति न वेत्स्यति कदाचन ॥ दीर्घदर्शी महातेजाः पौरंजानपदप्रियः । पाण्डवानामतिरथो यज्वा धर्मपरो वशी ॥ महर्षिकल्पो राजेन्द्रः सर्वलोकेषु विश्रुतः । बलवान् धृतिमान् दक्षः सत्यवादी जितेन्द्रियः ॥ अस्य कीर्तिः स्थिता लोके सूर्यस्येवोद्यतः प्रभा । संसरन्ति दिशः सर्वा यज्ञसोऽस्य इर्वाशवः ।।

एष वृद्धाननाथांश्च च पङ्गूंनन्धाश्च मानवान् ।
पुत्रवत्पालयामास प्रजा धर्मेण वै. प्रभुः ।।
एष धर्मे दमे चैव क्रोधे चापि जितव्रतः।
महाप्रसादो ब्रह्मण्यः सत्यवादी च पार्थिवः।।
एष धर्मपरो नित्यमनृशंसश्च पाण्डवः ।
कथं नार्हति राजार्हमासनं पृथिवीपते ।।"

મણિ ૦- વીરરાવજી, આવા સૂક્ષ્મ અને માર્મિક ધર્મના જ્ઞાનનું રહસ્ય સમજ્યા વિના દીર્ધદષ્ટિ નથી, સત્ય અને નિત્યબળ નથી, સ્વસ્થતા નથી, લોકનું કલ્યાણ નથી; અને રાજાનું રાજત્વ નથી. પાંચે પાણ્ડવોમાંથી એક જ જણ પિતામહના બોધનો અધિકારી ઠર્યો હતો તે કોણ? મહારાજ ધર્મરાજા. પાંચે પુત્રોમાં પાણ્ડુ મહારાજે પ્રથમ ઇચ્છયો તે કોણ? ધર્મ. એ ધર્મના ઉચ્ચગ્રાહ હું પળે પળે શોધું છું અને મ્હારા ચરણ તે શોધમાં થાકી જાય છે ત્યારે વૃદ્ધમહારાજને સ્મરી તેમની ક્ષમા માગું છું - કારણ તેમના પવિત્ર આસન ઉપર બેસવાની મ્હારી યોગ્યતામાં ન્યૂનતા આ ધર્મભવનમાં મને અનેકધા દીસી આવે છે અને એક બાળકના જેવું મ્હારું હૃદય થઈ જાય છે. ધર્મપાલનમાં આમ હૃદય કમ્પે છે, એ પાલનમાં મ્હારી પોતાની અશક્તિ કે દુર્વૃત્તિ અથવા અન્ય સ્થાનથી આવેલી વિપત્તિ વિધ્ન નાંખે છે ત્યારે વૃદ્ધ મહારાજે ધર્મની સ્તુતિ રચાવેલી છે તે સાંભળી ધૈર્ય પામું છું.

ભવનમન્ત્રીએ પુસ્તકમાંથી તે સ્તુતિ ક્‌હાડી અને મણિરાજે કરેલી સંજ્ઞા ગ્રહી વાંચવા માંડી.

રાજ્ય પિતાતણું ના જ મળ્યું ! મળતાં છીનવે શઠ દ્યૂતકળામાં !
લાખનું મન્દિર ! દ્રૌપદીવસ્ત્રદશા કુરુરાજની દુષ્ટ સભામાં !
તે સ્મરતાં પ્રિય બન્ધુચતુષ્ક ઉંચા ઉછળે ગુરૂવૈરથી ક્રોધે!
તે સઉ શાન્ત રહી જ જુવે યમસુત, ધરે મન ધર્મપ્રબોધે !
પાંડુસુતોનું અહિત વિચારી, કુલઘ્ન અધર્મ ભરે ઉરમાંહે;
જાળ રચે કુરુનન્દન કંઈ જ કળાથી દયાવણ પાંડવકાજે;
સુરઅસુરમુનિથકી આશ્રય શોધ તપસ્વિવિનાશ વિમર્શે;
એ અપકાર સટે ઉપકાર કર્યો યમનન્દનને જ પ્રકર્ષે !
દુષ્ટ અધર્મ ભરાવ જ ભૂતળ ઉપર ! પાપનું રાજ્ય પ્રવર્તો !
નાશની જાળ રચાવ શિરે ! શિરઉપર દૈત્ય હસે કરી નૃત્યો !
ધર્મ તણા રણમાં ગભરાય ન એ થકી ધર્મ-યુધિષ્ઠિર એક !
ધર્મથી જન્મ, સ્વદેહથી સ્વર્ગ, ધરે નિજધર્મથી મ૯લ સ્વટેક !"

પદ્ય પુરું થતાં મણિરાજે ધર્મમૂર્તિને નમસ્કાર કર્યા, અને ધર્મભવન તથા ભીમભવન વચ્ચે આવવાજવાનું દ્વાર હતું તે ભણી સર્વ વળ્યા.

વિધા૦- “પાંચે પાંડવભવનો વચ્ચે આવાં દ્વાર છે અને કુલજયેષ્ઠ ધર્મરાજા ચાર ન્હાના ભાઈઓને પુછ્યા વિના ધર્મનિર્ણય કરે નહી અને ચાર ભાઈઓ મ્હોટા ભાઈની આજ્ઞા વિના ડગલું ભરે નહી એવું પાંચે ભાઈઓનું ઐકય ક્યારે જળવાય કે પરસ્પર દર્શનને માટે અને પૃચ્છા માટે સર્વને એક બીજાનાં ભવનમાં આવવા જવા આવાં દ્વાર હોય ત્યારે તે જ પદ્ધતિથી સર્વે ભવનનાં વિચારણાસન ઉપર બેસી વિચાર કરી તે વિચારોને પરિપાકદશામાં આણવા અંતે આ દ્વારમાં થઈને મહારાજ ધર્મભવનમાં આવે છે, અને દ્વારે દ્વારે આટલો સંકેત લક્ષમાં રાખે છે.

સર્વે ભીમભવનમાં પેઠા અને ઉગ્ર ભીમપ્રતિમા પાસે આવી ઉભા.

વિદ્યા૦- “ચંદ્રકાંત, વાયુપુત્ર ભીમસેનનું આ ભવન છે, પાંચાલી – પ્રજા – નું બળ સાચવનાર – Spirit of Protection, Prestige and Power – તે આ છે. મૂર્તિ નીચે વૃદ્ધ મહારાજનો લેખ વાંચો.

"મલ્લરાજનું બળ એના સૈન્યમાં નથી. એનું સૈન્ય એના દેહને માટે નથી અને એના કુટુંબને માટે પણ નથી. રત્નનગરીની પાઞ્ચાલી પ્રજાને માટે એટલે એ પ્રજાના રક્ષણને માટે એ સૈન્ય છે, અને એ સૈન્ય એ પાઞ્ચાલીના પ્રતિકાર્યમાં પ્રવૃત્ત થાય ત્યાં સુધી જ એ સૈન્યમાં બળ છે. એવા બળવાળા એ સૈન્યના આત્મારૂપ ભીમસેન ! અર્જુનનું બળ દૂરગામી અસ્ત્રમાં[૧] છે તો ત્હારું બળ સમીપઘાતી શસ્ત્ર[૨]માં છે એ શસ્ત્રાસ્ત્ર માત્ર ચર્મચક્ષુ દેખે છે તે નથી, પણ હે વાયુપુત્ર ! ત્હારા પિતા વાયુદેવના જેવો અદૃશ્ય સ્પર્શજ્ઞેય સર્વવ્યાપી અને પ્રાણદાતા એવો ત્હારો પ્રતાપ છે. પાઞ્ચાલીનો ગુપ્ત પરાભવ કરનાર રાજ્યમાંના અંતઃશત્રુ કીચક–ઉપકીચક પેઠે ત્હારા બાહુબળથી અંધકારમાં જ નાશ પામશે. એ સતીનો પ્રકટ પરાભવ કરનાર ત્હારા જ રાજકુળના કુલાંગાર અંતઃશત્રુઓ ત્હારી ગદાના પ્રકટ પ્રહારથી નાશ પામશે. બ્હારના રાક્ષસો સામે પણ ત્હારું જ બળ સંહાર કરશે. પાંચાલી દુઃખ પામશે ત્યારે પ્રથમ આશ્વાસન ત્હારા બળથી પામશે.


  1. अस् એટલે ફેંકવું - ઉપરથી ફેંકવાનું હથીયાર
  2. शस् = કાપવું ઉપરથી કાપવાનું હથીયાર.
ધર્મરાજા વિના ત્હારે માથે મ્હોટો ભાઈ નથી. પણ તેની આજ્ઞામાં રહી

પાંચાલીના દુઃખનું નિવારણ કરવું અને વાયુપેઠે એના શત્રુઓને સર્વતઃ સ્પર્શ કરવો એ ત્હારું કર્તવ્ય છે. માતાને, ધર્માદિ ચાર બન્ધુઓને, લાક્ષાગૃહમાંથી અને રાક્ષસોમાંથી ઉગારી ખભે લઈ વાયુપેઠે વહનાર બળ તે તું જ છે.”

વિદ્યા૦- આ વૃદ્ધ મહારાજે લખાવેલો લેખ છે. લેખસ્તમ્ભની બે પાસ માત્ર ટુંકા જ લેખ છે.

“જયેષ્ટ બંધુને પુછ્યા વિના ચાલીશ નહી” એવો લેખ ધર્મભવન ભણી હતો. “પાંચાલી પાછળ છે તેના ઉપર સતત દૃષ્ટિ રાખી તેના શત્રુઓ ભણી સર્વદા જાગૃત ર્‌હેજે.” એવો લેખ બીજી પાસ હતો.

વિદ્યા૦– ધૃતરાષ્ટ્ર એ રાજાઓનો દેહ છે. દુર્યોધન એ રાજાના દેહને હાથે ઉત્પન્ન થયેલો, રાજાના શતપુત્રો - ભાયાતો અને મિત્રોના હાથમાં ગયેલો, રાજ-નય – Royal policy – છે. દુઃશાસન એ રાજાના હાથમાં દુષ્ટ પ્રજાને શિક્ષા કરનારી દંડશક્તિ છે. એ ત્રણ પુરુષ ધર્મરાજાનું રાજ્ય ખૂંચવી લઈ પાંચાલીનો જ પરાભવ કરવા પ્રવર્તે, ત્યારે આ ચર્મચક્ષુને સમીપ લાગતા આ શત્રુઓને માટે ગદારૂપ શસ્ત્ર લેઈ ભીમમૂર્તિ ઉભી છે. આ ભવનનાં પુસ્તકોના લેખો એ વિષયોને ઉદ્દેશી છે. આ ખંડમાં તમે ચાર વિચારણાસન જોશો. પ્રથમ આસન ભીમમૂર્તિની પાછળ છે તેમાં બેસી મહારાજ પોતાના ચારપુરુષો - spies – ની આ વિષયની વાતો સાંભળે છે, વર્તમાનપત્રો વાંચે છે, અને એ, એવી જાતનાં સાધનો વડે મૂર્તિ પાછળના દ્વારમાં દેખાતા પાંચાલીભવન પર દૃષ્ટિ નાંખી, પ્રજાનાં દુઃખો જોતા ર્‌હે છે, અને પોતાના દેહરૂપ ધ્રુતરાષ્ટ્રનાથી જાણ્યે અજાણ્યે તેમ દુર્યોધન - દુઃશાસનાદિ ધૃતરાષ્ટ્રના અનેક પુત્રોને હાથે પાંચાલીના કોમળ તનમનને ક્યાં ક્યાં વેદના થાય છે તે જોતા ર્‌હે છે, અને નગરચર્ચાના વિચાર પણ ત્યાંજ ઘડાય છે. બીજું આસન આ ખુણામાં છે તેમાં બેસી વૃકોદરના પોષણનો વિચાર કરે છે. રાજ્યબળનું ઉદર પોષવાને, રાજ્યસેવકોનું ઉદર પોષવાને, અને દુઃષ્કાળદિ કાળે એ ઉદર ભુખે મરે નહી માટે, અનેકધા મહાન્ અન્નરાશિ–દ્રવ્યરાશિ–જોઈએ તે સંચયની રક્ષા અને વ્યવસ્થા આ આસનમાં વિચારાય છે. અમારા રાજ્યનાં Store- keeper અને સેનાના Commissariat ની વ્યવસ્થા એ જ સ્થાને થાય છે. આ પ્રમાણે વિરાટ રાજાના ખાઉધર રસોઈઆની આ સ્થાને સંભાળ લેવાય છે. દુર્યોધન અને દુ:શાસન આદિનાં ક્યાં ક્યાં અંગ પાંચાલીને પીડા કરે છે તે પ્રથમ વિચારણાસનમાં વિચારાયું હોય છે. ત્રીજા આસનમાં એ વિચારના નિર્ણય પ્રમાણે ભીમસેનની ગદા ઉપડે છે. રાજ્યનું જે અંગ દુષ્ટ નીવડે તેને એ ગદા ચૂર્ણ કરે છે. કોઈકનો પગાર કપાતાં તો કોઈકની સેવા ખોવાતાં રાજસેવકો ભીમના ગદાપ્રહાર અનુભવે છે. મહારાજના ભાયાતો પર અને મહારાજની સેવકસેનાપર યોગ્ય પ્રસંગે આ ગદા દયાવિના પડે છે. મહારાજનું કુટુમ્બ પણ્ ધર્મરાજની આજ્ઞા લોપતાં કે પાંચાલીને પરાભવતાં આ ગદાથી ડરે છે. કેટલીક પ્હેડીઓથી રત્નનગરીમાં પ્રજાવત્સલ મહારાજો જ થયા છે. પણ પ્રજાને માટે શત્રુકર્મ કરવા, અથવા પ્રજારક્ત ભીમસેનને શતહસ્તીના બળથી ડાબી નાંખવા, કોઈ કાળે આ સિંહાસનના ભાવી ઘૃતરાષ્ટ્રને વૃત્તિ થાય તો તેને સુધારવા અને જ્ઞાનદૃષ્ટિ ઉપર આણવા તેની બાથમાં જીવતા ભીમસેનને સટે જ નાંખવા લોખંડના ભીમસેનો પણ આ જ આસનમાં ઘડાય છે અને પાંચાલીનું સૌભાગ્ય સંપૂર્ણ કલાથી પોષાય છે. રાજનયરૂપ દુર્યોધન અને દંડશક્તિરૂપ દુઃશાસન પાંચાલીની સેવા કરવાને સટે એના રૂપ ઉપર કુદૃષ્ટિ કરે તો તે નય અને દંડનાં એટલાં દુષ્ટ અંગ પ્રથમ આસનમાંથી દેખાતાં આ આસનમાંથી ભીમની ગદાને વશ થાય છે. ચોથા વિચારણાસનમાં બેસી મહારાજ પોતાની સેના અને સેવકોમાંથી સારો ભાગ ચાળી ક્‌હાડે છે એટલે અન્ય આસનો ઉપર બેસી જેને પાંચાલીના શત્રુ ગણ્યા હોય તે વર્ગનો બહિષ્કાર કરી બાકીના વર્ગની ગણના કરે છે. તે પછી પ્રથમ આસનપર પાંચાલીનાં દુ:ખનાં નિમિત્ત જે જે ગણ્યાં હોય અને જેનો પ્રતીકાર બીજા અને ત્રીજા આસન ઉપર ન વિચાર્યો હોય તેવા શત્રુઓને ગણી ક્‌હાડે છે. પરરાજ્યોમાં થતા શત્રુઓથી અને દુષ્કાળ તથા વ્યાધિઆદિ શત્રુઓથી પાંચાલીનો જીવ કંપતો ર્‌હે છે તે સર્વ શત્રુઓનાં ગણિત આ જ આસન ઉપર બંધાય છે. તે પછી આ શત્રુઓની સાથે પ્રસંગ પડ્યે ગદાયુદ્ધ કરવા માટે અબહિષ્કૃત સેના અને સેવકોને સજજ અને શક્તિમત્ કરવાના વિચાર આ જ ચતુર્થાસન ઉપર બંધાય છે. વાયુ જેવી સુક્ષ્મ સતતગતિવાળા વાયુપુત્રના દર્શનથી આ સર્વ આસનો ઉપરના વિચારો પ્રોત્સાહન પામે છે, અને આ પુસ્તકશાળામાંથી અને અન્ય સાધનોથી આ વિચારો સપક્ષ થાય છે. આ સર્વ રહસ્ય આ ભવનમાં લખવાનાં પેલાં પુસ્તકોમાં છે.

ચંદ્ર૦- પરરાજ્યના શત્રુ સામે આ યુગમાં સેના તમારે શા કામની?

વિદ્યાચતુર હસીને બોલ્યો :– "આ યુગમાં વાદયુદ્ધ ચલવવાની કળા પ્રાપ્ત કરવી પડે છે અને પરરાજ્યો સાથે તથા સરકાર સાથે સ્વાર્થવિરોધના પ્રશ્ન ઉઠતાં લેખ-આદિનાં શસ્ત્ર અને બુદ્ધિ તથા કલમની કળાઓ વાપરવી પડે છે તે વૃદ્ધ મહારાજની અનન્યબુદ્ધિના પ્રતાપથી આ ચતુર્થાસન ઉપર સજજ થાય છે.”

વીર૦ - ત્યારે શું તમે સેના રાખતા નથી ? અથવા રાખો છો તો શું કરવા ?

વિદ્યા૦- ચક્રવર્તી સમગ્ર સામ્રાજ્યના શત્રુ સામે પ્રવર્તે ત્યારે તેની સૈન્યગંગામાં અમે ન્હાનાં સંસ્થાનોની લધુ સેનાનદીઓનાં જળ ભળે એ પ્રસંગને માટે અમે તત્પર રહીયે છીયે. ભાવી યુગમાં શું કરવું પડશે તે કલ્પાતું નથી પણ રાજા છે તેનાં રાજત્વને અંગે જ ન્હાની સરખી સેના અથવા “સશસ્ત્ર પ્રાંતરક્ષકો ” – armed police – અમે રાખીયે છીયે. તેને તેના યોગ્ય શસ્ત્રાસ્ત્રકળાથી સજજ અને શક્તિમત્ કરવા એ પણ આ ચતુર્થાસન ઉપર જ વિચારાય છે. સંક્ષેપમાં ધર્મરાજાની આજ્ઞાઓની અવજ્ઞા અટકાવવાનું કામ અને અંતઃશત્રુ કે બાહ્ય શત્રુ દ્વારા કે વિપત્તિ દ્વારા પાંચાલીના થયેલા અથવા થવાના પરાભવના પ્રતીકારનું કામ જે પ્રતાપ અને બળથી થાય તે સર્વ આ ભીમભવનના ચાર આસનમાં ઉદ્ધવ અને પરિપાક પામે છે અને આ પુસ્તકશાળા તેનું પોષણ કરે છે.

વીર૦– રાજસેવકો ઉપર ભીમની ગદા પડવા કાળ આવે છે ખરો ?

વિદ્યા૦– રત્નનગરીના રાજસેવકો નીમતાં પ્હેલાં જ ઘણી સૂક્ષ્મ સંભાળ રાખવામાં આવે છે અને એમ છતાં પ્રસંગવશાત અથવા મનની નિર્બળતાથી કવચિત્ કોઈ સેવક પાંચાલીનું અહિત કે અપ્રિય કરે તો ભીમની વાયુગતિથી તે વાત ગુપ્ત ર્‌હેવા પામે નહી અને તેની ગદાથી મુક્ત રહી શકે નહી.

ચંદ્ર૦- રાજસેવકોનાં પાલન, શિક્ષણ અને દંડ આ ભવનમાં થાય છે, પણ તેમને અધિકારમાં પ્રવેશ કરાવે છે કોણ? પ્રવેશ પ્હેલાં તેમનું શોધન કરે છે કોણ?

વિદ્યા૦- તેનું શોધન થાય અર્જુનભવનમાં; તે પછી કુરુક્ષેત્રમાં આપ્ત મંડળની અને મંત્રીમંડળની યથોચિત સંખ્યાને આમંત્રણ કરી, સર્વ ભવનના વિચાર તે મંડળસાથે કરી, મહારાજ જાતે અધિકાર આપે છે. એક વાર અધિકાર પામેલા સેવકને આગળ વધારવો હોય તો જે ભવનના વિચારમાં એના અધિકારનો વિષય આવતો હોય તે ભવનમાં વિચારણા કરી છેલ્લી આજ્ઞા કેમ કરવી તે ધર્મભવનને સોપાય છે. હવે આપણે અર્જુનભવનમાં જઈએ.

સર્વ તેમાં ગયા. અર્જુન મૂર્તિ કપિકેતન રથમાં આરૂઢ હતી અને એ ભવન સર્વથી મ્હોટું હતું.સારથિસ્થાને સ્મયમાન કૃષ્ણમૂર્તિ હતી. રથના છત્રને અગ્રભાગે કીનારી ઉપર ચારે પાસ ફરતે ઈંગ્રેજીમાં ન્હાને અક્ષરે સુવર્ણલેખ હતોઃ-

“Hail ! Glorious Spirit of Activity, Enterprise, and Progress! Unimpeded, Unbeaten, and All-Powerful ! Proceed Forward ever and ever over land and sea and through Heaven itself ! For Thou wast Heaven-born.”

વિદ્યા૦- ચંદ્રકાંતજી, વૃદ્ધ મહારાજને આ ભવન પ્રિયતમ હતું. આ ભવનમાં પાંચ વિચારણાસન છે - યોગાસન, નીતિઆસન,ક્રિયાસન, વિજયાસન, અને વિભૂતિઆસન. કૃષ્ણ અને અર્જુન, નર અને નારાયણ, એ બેના ઈષ્ટયોગથી આ પાંચ આસનના વિચાર સંધાય છે. પોતાનાસહિત પાંચે પાંડવો અને પાંચાલીના જન્મહેતુ સફલ કરનાર રાજકીય પુરુષકાર - પુરુષપ્રયત્ન – તે અર્જુન અને સારથિ શ્રીકૃષ્ણ. ઈશ્વરકૃપાના સારથિપણા વગરના પુરુષકારને કાબાઓ પણ લુંટે છે.

વીર૦- પ્રધાનજી, આપનું રૂપક ક્લિષ્ટ થઈ ગયું - ક્લિષ્ટતાને પણ સીમા હોય છે. આટલી બધી વિચારણાઓ, ને શાંતિકાળની અને આજના ઈંગ્રેજી યુગની વ્યવસ્થાઓ, તે સર્વને પણ તમે ભીમની ગદામાં અને અર્જુનના તીરકામઠાંમાં સમાસ કરો તો તે અમારી બુદ્ધિ સહી શકતી નથી. We should be fools without common sense to accept the pedantry of these far-fetched allegories. Surely our hoary Vyasa had no idea of any of these your interpretations of his simple designs. I am quite sure the bard contemplated neither your Spirit of Prestige and Power, nor your Angel of Progress, when he penned his bulky volumes to bring into one place his heterogeneous mass of fictions, adages, and nursery tales - and, may be experiences. વિદ્યા૦- “વીરરાવજી, આ વાત છેક ઉતાવળ કરવાથી સુઝે એમ નથી. પ્રથમ તે વ્યાસ કવિએ ઐતિહાસિક અથવા કાલ્પનિક વ્યક્તિઓના વ્યંજનકાળે તેમનામાં રૂપક ગુણનું પણ સાથે સાથે આવાહન કરેલું હોય એમાં શું કાંઈ અસંભવિતતા છે? બીજું એક વાલ્મીકિના રામચંદ્રમાંથી કેટલા કવિજને કેટલા ભિન્નભિન્ન સ્વભાવવાળા રામ વર્ણવેલા છે? એ સ્વભાવ વૈચિત્ર્યમાં શું એવા કેટલાક પરસ્પર વિઘટ્ટક ગુણો નથી કે જે સાથે લાગા એક જણમાં ન હોઈ શકે ? ખરી વાત એ છે કે મહાકવિએ કરેલી એક કલ્પનાને કાળાંતરે અન્ય કવિયો દેશકાળની અનુકૂળતા પ્રમાણ અનેક રૂપ આપે છે તેથી જ મહાકવિનું વીર્ય સફળ અને અમર થાય છે એવા કવિયોનાં કાવ્યને આત્મા આવીજ રીતે અનેક પુત્રોમાં અવતરે છે. એવા મહાકવિઓની ક૯પનાની વિભૂતિ તો આવી અનેક કલ્પનાઓના પ્રસવમાં જ છે.

[૧]"गृह्णन्तु सर्वे यदि व यथेच्छम
"नास्ति क्षतिः क्कापि कवीश्वराणाम् ॥
"रत्नेषु लुप्तेषु बहुष्वमर्त्यैः
"अद्यापि रत्नाकर एवं सिन्धुः ॥

મહાકવિનું રત્નાકરત્વ તેની પાસેથી રત્ન લેવાય અને તે રત્નોને અનેક નામરૂપ અપાય તેમાં જ છે. કાળ-મહાસાગરને તળીયેથી રત્નો શોધી વર્તમાન સૃષ્ટિમાં મુકનાર રત્નવ્યાપારીઓ તો કવિયો જ છે. એ રત્નોને. નવા ગુણ આપનાર કવિજન પણ તેમ કરવામાં નિરંકુશ હોય છે."

ત્રીજું આપણામાં જુના મુનિલોકે કાવ્યો કર્યાં અને નવા કવિલોકે કર્યાં તેમાં ભવભૂતિ એવો ફેર જણાવે છે કે નવા કવિજનની વાણી અર્થને અનુસરે છે અને મુનિજનની વાણીને અર્થ અનુસરે છે. મુનિલોકના પ્રાસાદિક ઉદ્ગાર એવા હતા કે તેમના મિતાક્ષરમાં અનેક સંસ્કારો ભરાતા અને વધતી બુદ્ધિને વધતા ચમત્કાર આપતા. તેઓ જે બીજાક્ષર મુકી ગયા છે તેમાં સૂક્ષ્મદર્શક બુદ્ધિને અક્ષરનો વૃક્ષ જડે છે. ગોલ્ડ્‌સ્મિથે તે લખ્યું કે Remote, unfriended, melancholy, slow; એમાં slow શબ્દમાં ભરાયલા અર્થસંસ્કાર સમજાવતાં એને ન સુઝ્યું તે ત્રાહીત ડાકતર જ્હાનસનને યથાર્થ સુઝયું. એ સર્વે સંસ્કાર લેખનકાલે કવિના મસ્તિકમાં અનિર્વચનીય રૂપે સ્ફુરતા હતા અને તે સર્વનો ગન્ધ slow શબ્દમાં આવ્યો. એ કાળ જતાં કવિની જ સ્મૃતિ જડ થઈ ત્યારે સત્પરીક્ષકે તે સર્વ સંસ્કારનું સ્વરૂપ એ શબ્દ


  1. ૧. પ્રાચીન
રૂપ કુસુમકળીમાં સૂક્ષ્મદૃષ્ટિ નાંખી દેખાડ્યું, માટેજ અને વધારે સબળ

કારણથી વ્યાસવાલ્મીકિના અક્ષરમાં વાણીને અર્થ અનુસરે છે અને અનુસરનાર અર્થ શોધવો એ એવા કવિની પૂજા કરવા જેવું છે અને એવા અર્થોનાં દર્શન કરાવવામાં લોકનું કલ્યાણ છે તે વૃદ્ધ મહારાજે ઇચ્છેલું છે અને અમારું બીજું મંડળ તેમાં સાધક થયું છે.”

વીર૦– (સ્મિત કરી) એ પણુ સુન્દર કહ્યું ચાલો ત્યારે એ દૃષ્ટિથી સમજાવો. We shall see what Spirit of Progress you can spin out of old man Vyása. Only see that you don't make things too comical for my prosaic wits.

અર્જુનના રથના એક ચક્રની નાભિ ઉપર “નીતિ” શબ્દ લખેલો હતો અને બીજાની નાભિ ઉપર “ક્રિયા” શબ્દ હતો. તે દર્શાવતો વિદ્યાચતુર બોલ્યો: “આ મહાત્માનો રથ નીતિ અને ક્રિયારૂપ બે ચક્ર ઉપર ચાલે છે તેનું સમાધાન અર્જુનને જે શ્લોક વડે પાંડુરાજાએ કુન્તીપાસે માગ્યો હતો તેમાંથી નીકળશે.”

ભવનમન્ત્રીએ મણિરાજનાં પુસ્તકમાંથી એ શ્લોક ક્‌હાડ્યા.

" अतिमानुषकर्माणं यशस्विनमरिन्दमम ।
" नीतिमन्तं महात्मानमादित्यसमतेजसम ।।
" दुराधर्षं क्रियावन्तमतीवाद्भुतदर्शनम ।
" पुत्रं जनय सुश्रोणि धाम क्षत्रियतेजसाम ।।

વિદ્યા૦– અર્જુનની નીતિ અને ક્રિયા કેઈ કેઈ અને કેવી કેવી હતી તેનો ઉત્તર રથધુરીના અગ્રભાગે બે અશ્વના મસ્તકોની વચ્ચે આ રૌપ્યપટ્ટમાં તપ્ત – સુવર્ણ અક્ષરથી લખેલો છે.

ત્યાં જઈ તે અક્ષરો સર્વ જોવા લાગ્યા.

“અર્જુનનો અવતાર થતાં કુંતીને આ ગંભીર અશરીરવાણી પ્રત્યક્ષ થઈ હતી અને તેમાં અર્જુનની નીતિ અને ત્રિયાનાં સ્તોત્ર હતાં.

"आदित्या विष्णुना प्रीतिर्यथाभूदभिवर्द्धिता ।
तथा विष्णुसमः प्रीतिं वर्द्धयोष्यति ते ऽर्जुन: ॥
एष मद्रान वशे कृत्वा कुरुंश्च सह सोमकैः ॥
एतस्य भुजवीर्येण खाण्डवे हववाहनः ।
मेदसा सर्वभूतानां तृप्तिं यास्यति वै पराम् ॥
ग्रामणीश्च महीपालानेष जित्वा महावलः ।
भ्रातृभि: सहितो वीरस्त्रीन्मेधानाहरिष्यति ॥
एष युद्धे महादेवं तोषयिष्यति शंकरम ।
अस्त्रं पाशुपतं नाम तस्मात्तुष्टादवाप्स्यति ॥

“મલ્લરાજ જે નીતિ અને ક્રિયાનાં બીજ આ વાક્યોમાં જુવે છે તે એના શોકને શાંત કરે છે અને એના હૃદયને આનંદ આપે છે, સર્વ પાંડવ દેવપુત્રો છે, પણ ઇન્દ્રનો પુત્ર તો ક્રિયાવાન અર્જુન જ છે. ધર્મ અને ભીમની તે આજ્ઞા પાળે છે પણ પાંચાલીને પ્રાપ્ત કરનારી ક્રિયા તો અર્જુનની જ છે, શ્રીકૃષ્ણ પાંચે પાંડવ અને છઠી પાંચાલીના સહાયક છે પણ તેમણે સારથિપણું તે ક્રિયાવાન્ અર્જુનનું જ કરેલું છે, ક્રિયાના પરમજ્ઞાનની ગીતા પણ તેને જ કહેલી છે, અને વિશ્વરૂપ પણ તેને જ પ્રત્યક્ષ કરાવેલું છે, રત્નનગરીના સિંહાસન ઉપર બેસનાર કાચ જેવા માનવી ! પાંચાલીનો પક્ષપાત અર્જુન ઉપર જ છે, શ્રીકૃષ્ણનો પણ તેમ જ છે, અને સર્વ પાંડવોના પ્રાણ પણ તેનામાં જ છે ! તે અર્જુનની નીતિ અને ક્રિયાનું પોષણ નહી કરે તો પુરુષરત્નોની જનની રત્નનગરી તમારી નથી તે અવશ્ય સમજજો અને મહાત્મા વ્યાસમુનિયે આ ક્રિયાવાન્ દેવસ્વરૂપનાં ભૂતભવિષ્ય કહેલાં છે તે રહસ્ય ધ્યાનમાં રાખજો"

"वरुणं च कुबेरं च धर्मराजं च पाण्डव ।
शक्तो ह्येष सुरान् द्रष्टुं तपसा विक्रमेण च ।।
ऋषिरेष मेहातेजा नारायणसहायवान ।
पुराणः शाश्वतो देवस्त्वजेयो जिष्णुरच्युतः ।।
अस्त्राणीन्द्राच्च रुद्राच्च लोकपालेभ्य एव च ।
समादाय महाबाहुर्महत्कर्म करिष्यति ।।"

ભવનમન્ત્રીએ પ્રધાનનાં પુસ્તકમાંથી આ ભાગ ઉપરની ટીકા વાંચવા માંડી.

“અર્જુન શસ્ત્રના કરતાં અસ્ત્ર ઉપર વધારે પ્રીતિ રાખે છે એનાં અસ્ત્ર જેમ દૂરગામી છે તેમ એ જાતે પણ દૂરગામી છે. એની ગતિ પોતાના રાજ્ય બ્હાર છે, દેશબ્હાર છે, સમુદ્ર ઉપર છે, સ્વર્ગમાં છે, દૃષ્ટિ, જિષ્ણુતા અને કર્મ એ ત્રણ અસ્ત્રને અર્જુન આગળ ફેંકે છે જ્યારે દેશી રાજાઓ પોતપોતાનું સંભાળી બેસી ર્‌હે છે ત્યારે - અર્જુન સર્વદા આ ત્રણ અસ્ત્રને ગતિ આપ્યાં જ કરે છે. પૃથ્વીનું સર્વત્ર આચ્છાદન કરી દેનાર જલનિધિ વરુણ દેવને અર્જુન સુદૃષ્ટ કરી લે છે - જોઈ આવે છે- એની દૃષ્ટિ અને ગતિ વરુણના મહાસાગરની પેલી પાસ વધે છે. તેમજ સ્વર્ગના વસનાર – ધનપતિ – કુબેરને અને યમરાજ - ધર્મરાજને એ જોઈ આવે છે. અન્ય દેવો મનુષ્યનાં ભાગ્યના અને પ્રારબ્ધના અધિષ્ઠાતા છે તે સર્વેને અર્જુન જોઈ લે છે, વિદ્યા-આદિ તપ અને પ્રવાસ આદિ વિક્રમથી આમ તે દ્રષ્ટા થાય છે. ક્ષત્રિયરૂપે પૂર્વ જન્મનો તેજસ્વી વિદ્વાન તપસ્વી બ્રાહ્મણ છે, ઋષિ છે. આ જગતની વૃદ્ધિમતી ક્રિયાનો એ પુરાણ અને સનાતન દેવ છે – He is the old eternal Spirit of Progress. તે સર્વદા જય ઇચ્છે છે – જયેચ્છાથી પ્રવૃત્તિ કર્યા કરે છે - જિષ્ણુ છે. એ દેવનો માર્ગ રોકનાર શત્રુઓથી તે જીતાય એમ નથી. બ્રાહ્મણ દ્રોણ જ્યારે એનો માર્ગ રોકશે ત્યારે નારાયણના સાહાય્યવાળો આ નર - ઋષિ અજેય નીવડશે. વૃદ્ધપુરાણ પિતામહ એનો માર્ગ રોકશે ત્યારે પણ આ પુરાણતમ પુરુષ જયવાન્ થશે. સૂર્યપુત્ર ઉદાર કર્ણ પણ આ મહાતેજથી તેજસ્વી નરવડે અસ્ત થશે. આ સર્વ ફળ પામવાને માટે આ ક્રિયાવાન રાજપુરુષ, સ્વર્ગમાં જઈ ઇન્દ્ર પાસેથી, હિમાલય જેવા ગિરિરાજના શિખર ઉપરનાં અરણ્યમાં જઈ કિરાતરૂપ મહાદેવ પાસેથી, સમુદ્ર અને પૃથ્વીપાર જઈ ત્યાંના દેવો અને લોકપાળ પાસેથી, અનેક દિવ્ય અસ્ત્રો મેળવશે અને મ્હોટાં કર્મ કરશે, મલ્લરાજ અર્જુનનું આ માહાત્મય સ્પષ્ટ જોતાં હતા, અને એ અર્જુનની વૃત્તિ, શક્તિ, અને પ્રવૃત્તિ રત્નનગરીના રાજાઓમાં સનાતન વસે એવી સંભાળ રાખવા એ રાજ્યના પ્રધાનોને કહી ગયા છે અને આ પત્ર દ્વારા કહાવે છે. એ પરમ આજ્ઞાને અનુસરી આ લેખ લખ્યો છે કે રત્નનગરીનાં રાજ્યરત્નોમાં અર્જુનની દૃષ્ટિ, જિષ્ણુતા, અને ક્રિયા સનાતન વાસ કરે, અને આ સિંહાસનસ્થ વંશરૂપ પુરાણપુરુષ પાંચાલીના હૃદયના ઉચ્ચગ્રાહને ઉચ્ચતર લેતો લેતો શાશ્વત વૃદ્ધિસમૃદ્ધિને ભોક્તા થાય.”

વિદ્યા૦– “Such, Mr. Virarav, is the Spirit of Progress drawn by our late Master's hand, if not by Vyasa. The Spirit stops not within Indian shores but invades with mighty enterprise all worlds at home and abroad with his ever-growing Vision,his ever- restless Aggressiveness, and his all-absorbing Action, and triumphs over all that check the march of Progress, This is the दृष्टि, जिष्णुता, and कर्म, which the far-seeing Vyasa has preserved in his work like seeds for sowing future, crops in the land where his mighty soul had sojourned.”

વીર૦- I think I must hold my tongue at least until we reach the end of this curious chapter of your political literature.

વિદ્યા૦– હવે આ ભવનનાં આસન જુવો. રથના અશ્વની સામે, કુરુક્ષેત્રમાં જવાના દ્વાર આગળ આ યોગાસન છે ત્યાંથી કૃષ્ણ ઉપર, અર્જુન ઉપર, બાકીનાં પાંડવભવન ઉપર, પાંચાલી ભવનમાં, અને સર્વ કુરુભવન ઉપર થોડી ઘણી દૃષ્ટિ પડે છે. યોગાસન ઉપર શ્રીકૃષ્ણે પાંડવો માટે કરેલી સર્વ ચિન્તાના વિચાર કરવાનાં છે. પારદેશીય વિષયોમાં આ રાજ્યનો પ્રતાપ જાળવવા, આ રાજ્યની પ્રજા અને રાજ્યની વર્તમાન અને ભવિષ્ય સ્થિતિ સમૃદ્ધિ વધારવા અને પોષવા, જે જે વિચાર કરવા પડે તે સર્વ વિચાર કરવા આ યોગાસનમાં રાજયોગ સાધવો પડે છે. અર્જુનભવનનાં સર્વ આસનોમાં જે નીતિ અને ક્રિયા ઉછેરાય છે તેનાં બીજ આ આસનના યોગવડે રોપાય છે. એ બીજથી ઉગેલી વૃક્ષવાટિકાની વ્યવસ્થા અન્ય આસનોમાં થાય છે, પણ એ વ્યવસ્થાના સર્વે પ્રવાહ ઉપર આ આસનમાંનો યોગ દૃષ્ટિ રાખે છે. શાંતિ, ધૃતિ, શીધ્રતા, સમયસૂચકતા, પ્રતિભા, સત્ય, ધર્મ, સદ્વૃતિનો વિજય, આદિ સર્વ સદ્દૃષ્ટિ અને સદ્વસ્તુના સહાય્યથી, બુદ્ધિ અને અવલોકનના બલથી, રાજશક્તિના અધિકારથી, અને ઈશ્વરેચ્છાના સંધાનથી આ આસનમાં શ્રીકૃષ્ણપરમાત્માના ઉપદેશ પ્રમાણે યોગ રચાય છે, વિશ્વરૂપનું દર્શન યોગવિના થાય છે, ક્રિયારમ્ભે અને ક્રિયાકાળે અર્જુનના દ્વૈધીભાવનો નિરોધ થાય છે, ધર્મરાજાના અતિધર્મ - Superstitions નો પ્રતિરોધ થાય છે, પાંચાલીનાં પટકુલ પુરાય છે, તેના સ્વામીના પુરુષકારનું સારથિત્વ થાય છે, અને સર્વ સજજન અને સદ્વસ્તુથી દેશમાં અને લોકમાં સદ્‌યુગ બેસાડવામાં આવે છે. શ્રીકૃષ્ણ જેવા યોગેશ્વરની યોગદૃષ્ટિરૂપ દૂરદર્શક કાચનલિકા – telescope - વ્યાસ જેવા ચતુર ગણક ગોઠવી ગયા છે. આ યુગના રાજ્યોના અને મ્હારા રાજ્યોના અર્જુનની નીતિ અને ક્રિયાઓનો અસ્ત્રધર આત્મા - Progress - આવીજ યોગનલિકાથી દૃષ્ટિમાન થાય છે, પ્રોત્સાહન પામે છે, અને પ્રવૃત્તિમન થાય છે.

જરીક અટકી પ્રધાન વાધ્યો.

“This is the Seat of Inspirations and Aspirations, of the Thinker of the State, of the Thinker that ever watches and thinks out with the largest heart and knowledge the lines of Progress that can result in the public weal, of the thinker that thinks coolly, dispassionately, and as if without taking more than the part of the chariot-driver to the Angel of Progress. This Angel of Thought keeps aloof from Action even in the midst of the turmoils of the ` battle, and his watchful presence at the centre of the strife is, like that of the unarmed Krishna, intended but to minister to the Soul of the State and lead her along the right path as she works on the Body that shrouds her Majesty with Power. He is 'Yoga' itself in the midst of Action, and it is he who prompts and advises and furthers the cause of Progress on all sides at all times in all the great contests and contingencies that gather round nations and their protectors, વીરરાવજી, ચંદ્રકાંતજી, ન્હાના કે મ્હોટા રાજ્યમાં આવો કોઈ - Thinker - યોગી - જોઈએ કે જે પૂર્ણ અવકાશથી રાજ્યનું અને પ્રજાનું સારથિત્વ કરે. એવા યોગી અને એવા અર્જુનના યોગવિના રાજાઓ નિર્માલ્ય છે અને પ્રજાઓ અનાથ છે. એવા યોગને માટે જ આ અર્જુનરથના ધ્વજપટ ઉપર ચળકતો લેખ તમે જુવો કે

"यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धर: । तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ।।"

મણિરાજે મન્દ સ્મિત કરી ભવનમન્ત્રીને કહ્યું:– “આપણે ત્યાં કેઈ દ્વારિકાથી કીયા કૃષ્ણને આણવા તે વીશે વૃદ્ધ મહારાજનો લેખ ક્‌હાડો.” તે લેખ વંચાયો. “પાંડવોના મન્ત્રી કૃષ્ણ હતા તેવા મન્ત્રી આ રાજ્યના રાજાઓએ રાખવા અને દૂર દ્વારાવતીમાંથી ઈન્દ્રપ્રસ્થમાં તેડવા. તેમના અશસ્ત્ર પણ યોગયુક્ત, સારથિત્વનો લોભ રાખવો, અને સટે હૃદયથી પૂજ્યભાવ રાખવો. અર્જુનના યોગાસન ઉપર બેસનાર રાજાયે એ આસનનો યોગ, આવા મન્ત્રીસમક્ષ આદરવો અને લક્ષ્યમાં રાખવું કે सदानुकूलेषु हि कुर्वते रतिं नृपेष्वमात्येषु च सर्वसंपद: રાજાને મન્ત્રી અનુકૂળ જોઈએ – તે ક્રિયાસનમાં, પણ યોગાસનમાં સંપૂર્ણ અંશે અને નીતિઆસનમાં સમાન અંશે રાજાએ મન્ત્રીને જ અનુકૂળ થવું. એ મન્ત્રી પાંડવોનો અને પાંચાલીનો – કૌરવોનો નહી.”

મણિ૦– યોગાસન સામે કુરુક્ષેત્રમાં જવાને માર્ગે જ પ્રધાનજીનું "મન્ત્રાસન” છે.

વિદ્યા૦– હવે આપણે નીતિઆસન ભણી જોઈએ.

ચંદ્ર૦– યોગાસનની વાર્તામાંથી ખસી બીજી વાતમાં જવાનો આગ્રહ પ્રધાનજીનો વિનય કરે એ એમને યોગ્ય છે.

મણિ૦- આપ સત્ય સમજ્યા છો. એટલા માટે મ્હારા જેવા લઘુવક્તાને વિદ્વત્તાના વિસ્તાર બોલવો દુર્ધટ છતાં આ આસનનો ભેદ બતાવવા યત્ન કરવો પડે છે. વધારામાં હવે માત્ર એક બે વાત બાકી છે. ધર્મરાજના ભવનમાં લેખ હતો કે यतो धर्मस्ततो जय:। જો કે એ વાત સત્ય છે તો પણ અતિધર્મ નામના રોગનો ધર્મને પણ ભય છે, ઈશ્વરકૃપા વિના ધર્મને પણ ફળ આવતાં નથી, અને યોગાસન વિના ધર્મનાં રહસ્ય સમજાતાં નથી; માટે રથના દક્ષિણ અશ્વની પાસે લેખ છે તે પ્રમાણે જયનો ઉદ્ધવ કૃષ્ણમાંથી જ છે તેમ બીજો લેખ આ વામ અશ્વની વામ પાસે લટકાવ્યો છે, અને એ લેખોનાં સમાધાન શ્રીકૃષ્ણના હાથમાંની રશનાનાં અને કશાના પડોમાં અનેક યોગરૂપે ગૂઢ રહેલાં છે તે ગીતા આદિમાંથી સમજાય.

દક્ષિણ લેખ વંચાયો:

यथा तु नारदः प्राह यतः कृष्णास्ततो जयः ॥
गुणभूतो जयः कृष्णे पृष्ठोऽन्वेति माधवम् ।
तद्यथा विजयश्वास्य संततिश्चापरे गुणाः॥

વામ લેખ વંચાયો:

यतो धर्मस्ततः कृष्णो यतः कृष्णस्ततोजयः।

મણિ૦– હવે અન્ય આસનો પ્રધાનજી સમજાવશે.

વિદ્યા૦- “નીતિ એટલે રાજ્યનીતિ અને રાજનીતિ. પાંચાલી તે પ્રજા અને પાંડવો તે રાજગુણ; તે ઉભયના કલ્યાણને માટે જે સાર્વજનિક વિચારથી રચાય તે રાજ્યનીતિ. રાજ્યનીતિ તે True statesmanship; રાજનીતિ તે માત્ર diplomacy and political craft or statecraft. એકલા રાજાની સત્તા સબળ કરવાને રાજા અથવા અમાત્ય જે પરાનુસન્ધાનાદિ કળાઓ વાપરે તે રાજનીતિ. સર્વદર્શન અને યોગથી જે લોકકલ્યાણને લક્ષ્ય કરનાર સિદ્ધાંત રચાય તે યોગાસન ઉપર. એ સિદ્ધાંતનો નિર્વાહ કરવા કેવાં સાધન શોધવાં અને સજ્જ કરવાં એ રાજ્યનીતિ નીતિઆસન ઉપર રચાય છે. તમારું રાષ્ટ્રીય ધર્મશાસ્ત્ર - International law - આ નીતિઆસન ઉપરથી જોવાય છે, ચક્રવર્તી ઈંગ્રેજ સરકાર સાથેનો વ્યવહાર આ નીતિઆસન ઉપરના વિચારમાંથી રચાય છે. This is the Seat of Statesmanship.The Seat of Thought points out the goal. The Seat of Statesmanship finds out the ways and means of reaching the goal, and here too the Seat of Thought watches and guides.Foreign Policy, Treaties, and the like are designed and approved here. Here too the Actions, which the next Seat goes through, are designed. This is the seat of perfecting Arjuna's Designs. યોગાસન ધનુષ્યધર છે. નીતિઆસન તેનું ધનુષ્ય છે.એ ધનુષ્ય ઉપર ક્રિયારૂપ બાણ ચ્હડાવવાનું કામ ક્રિયાસન પર થાય છે. વિજય અને વિભૂતિ એ બે વાનાં આ સર્વનાં ફળ છે. રાજ્યનીતિ આ આસનમાં રચાય છે. રાજનીતિ કૌરવભવનમાં રચાય છે અને તેનો અધિકાર રાજ્યનીતિને અનુકૂળ ર્‌હેવાનો છે.

“This is the Seat of large-minded Policy for the people and of Perfected Design; and the Spirit that presides over it, reaches with long arms the Greatest Arts of State prevalent in the most distant parts of the world, and, moving more in that line, utilizes and conquers the Powers of Nature and the Spirits of the Age. And in all his designs he creates what is noble, good, and great, and you can never draw him into anything that is ignoble, bad, and mean. Arjuna is, therefore, called Bibhatsu.

"न कुर्यां कर्म बीभत्सं युध्यमानः कथंचन ।
तेन देवमनुष्येषु बीभत्सुरिति विश्रुतः ॥

“યોગાસન પાસે નીતિ-આસન નીતિચક્રની સામે છે, ક્રિયાચક્ર સામે યોગાસનની બીજી પાસ આ ક્રિયાસન છે. "

“ક્રિયાસન સમક્ષનું ક્રિયાચક્ર શા શા ઉપદેશ કરે છે ? કૃષ્ણને અર્જુનની પ્રથમ ક્રિયા એ કે સમુદ્રઆદિના દેવતા વરુણ પાસેથી અને અગ્નિ પાસેથી દિવ્ય અસ્ત્ર મેળવ્યાં. એ અસ્ત્રવડે ઇન્દ્ર, યમ, વાયુ, પર્વત, અશ્વિનીકુમાર, ધનપતિ, રુદ્ર, વસુ, આદિ સર્વ દેવોનાં શસ્ત્રાસ્ત્ર નિષ્ફળ કરી નાંખ્યાં – એ બીજી ક્રિયા. અગ્નિને આગળ કરી, ખાંડવવનમાં સૃષ્ટિના સર્વ દેવોને વશ કર્યા અને અગ્નિને તૃપ્ત કર્યો. The Angels of Thought and Progress, joined together, subdued all Powers of Nature with arms obtained from fire and water, and to fire were subordinated the other Powers of Nature. This phase of Progress has got a meaning in these days, and this Seat of Progress directs our eyes to this. શિવજી પાસેથી પાશુપત અસ્ત્ર મેળવ્યું – તે પણ અર્જુને સંહારક શક્તિઉપર એમ જય મેળવ્યો અને તેના સાધનથી એ અસ્ત્ર મેળવ્યું - તે અસ્ત્રનો પ્રભાવ કેવો છે. –

"अवध्यो नाम नास्त्यत्र त्रैलोक्ये सचराचरे ।
"मनसा चक्षुसा वाचा धनुषा च निपात्यते ॥

“મન, ચક્ષુ, અને વાણીથી તેમ ધનુષ્યથી જંગમ તો શું પણ સ્થાવરને પણ નિપાત કરવાની ક્રિયા આમાં કહી છે. ક્રિયાનાં આ સર્વ અસ્ત્ર તો અર્જુને પરાક્રમથી મેળવ્યાં. પણ એ સ્વર્ગની નીસરણી ઉપર ચ્હડયો ત્યાં જ દેવમાત્ર એના દર્શનથી પ્રસન્ન થઈ ગયા અને એને અસ્ત્રો પછી અસ્ત્રો પ્રીતિથી આપવા લાગ્યા. કુરાજનીતિવાળા કૌરવને રાજ્યનીતિનો ક્રિયાવાન્ નરદેવ પરાભવ પમાડે તે પરાભવરૂપ કર્મને દેવકાર્ય ગણી યમરાજે મૃત્યુ આપનાર મૃત્યુદંડ અર્જુનને આપ્યો, જલેશ્વર વરુણે સર્વને વશ કરનાર વરુણપાશ આપ્યા, અને ધનપતિ કુબેરે “અંતર્ધાન, દ્યુતિકર, અને પ્રસ્વાપન” અસ્ત્ર આપ્યાં. સ્વર્ગના ગન્ધર્વ ચિત્રસેને એને ઇન્દ્રાજ્ઞાથી સ્વર્ગનાં નૃત્ય, ગીત, અને વાદિત્ર શીખવ્યાં. સંસારને મૃત્યુ આપવા, બન્ધમાં નાંખવા, અને પ્રસન્ન કરવાની ક્રિયાઓનાં સાધનો ક્રિયાવાન અર્જુન પૃથ્વીને છેડે જઈ આવી રીતે લેઈ આવ્યો. તે સર્વ ક્રિયાઓનું દર્શન આ ક્રિયાસનમાંથી થાય છે. એ અસ્ત્રમાત્ર કૌરવો સામે કેમ વાપરવાં તે ભીમાદિપર્વનાં રહસ્ય સમજ્યાથી સમજાશે. આ રત્નનગરી સંસ્થાનના નૌકાશ્રયો[૧], અગ્નિરથનો માર્ગ,[૨] પરદેશના વ્યાપાર, પ્રજાનાં પરદેશપ્રસ્થાન,[૩] દેશી અને પરદેશી વ્યાપારીઓના સંબંધ, દેશી તથા પરદેશી વિદ્યાઓ, પદાર્થશાસ્ત્રો – કળાઓ – અને શોધો, એ સર્વ ઉપર અનિમિષ લક્ષ્ય રાખી તે દિશામાં ક્રિયા પામનાર અસ્ત્રોને પાંડવ અને પાંચાલીના કલ્યાણને માટે, ફેંકવાને આ રાજ્યના અર્જુનમાં ઉત્સાહ, શક્તિ, અને બુદ્ધિ આવે એવો માર્ગ આ ક્રિયાસનસ્થ અર્જુનને આ ભવનની સર્વ સામગ્રી દેખાડે છે. “સબ ભૂમિ ગોપાલકી, યામેં અટક કહાં?” એ નિયમ માનનાર ગોપાલભક્ત અર્જુનને ધર્મ અને ભીમની આજ્ઞા શીવાય બીજી ચીજ અટકાવતી નથી. એ “શ્વેતવાહન[૪]”નાં સાધન મલિન નહીં પણ ઉજ્વળ હોય છે. વામ અને દક્ષિણ બે હાથ સરખા ગણી તેમાંથી ફાવે તે હાથે બાણ નાંખનાર -Habit, Prejudice, and Superstition વગેરે અભ્યાસદોષથી થયેલી વિક્ષેપશક્તિઓથી મુક્ત રહી ગમે તે હાથે – અર્જુન ક્રિયા કરે છે અને તેથી જ તે સવ્યસાચી ક્‌હેવાય છે. This is the seat of free Activity, of execution of Designs, of Enterprise, and, in short, for preparing and furthering without stint or reserve the means and movements of such Progress Policy as may be matured in the seats of Thought and Statesmanship. This seat sends forth ships, merchants, students, scientists, artists, and artisans from Ratnanagari and aspires to import the latest triumphs of art of art, science, industry, learning and commerce into this country. Even the military and naval education of our cadets, Bhayads and others in foreign schools is attended to here. We propose from this place to carry out a programme of giving a general all-sided lift to the


  1. ૧.બંદર, ફુરજો
  2. ૨.રેલવે
  3. ૩. Emigration
  4. ૪.અર્જુનનું નામ.
subjects of this State in all concerns, physical, moral,

educational, economical, and in fact in all matters that can raise their life and status.

“ક્રિયાસનના પાછળ પેલી પાસ ક્રિયાના ઈશ્વરદત્ત ફળરૂપે થતા વિજયનો સત્કાર કરવાને વિજયાસન છે. વિજય અને જિષ્ણુ એવાં અર્જુનનાં નામ છે. His conquests are not merely those of arms, but he also makes them by exercising influence over the world outside his kingdom and by extending what people have of late been calling “spheres of influence.” He exports the powers and products of his State to distant fields and brings money. He is therefore, called the Conqueror of Wealth. અર્જુનનું નામ ધનંજય પણ છે. પરદેશને આ દેશની વસ્તુઓથી મોહિત કરી ત્યાંથી દ્રવ્ય લાવનાર વિજય તે આ જ છે – એ ક્રિયામાં વિજયનાં અસ્ત્ર દૂર દેશોમાં ફેંકાય છે. અગ્નિ અને વરુણનાં આપેલાં અસ્ત્ર આ વિજય માટે જિષ્ણુનાં ફેકેલાં વધે છે. બીજી રીતે કૌરવની રાજનીતિ ઉપર પાંડવોની રાજ્યનીતિએ મેળવવાનો તે વિજય પણ આ આસનમાં સમાપ્ત થાય છે. ભીષ્મપિતામહ સામે શિખંડી ઉભો કર્યો, દ્રોણ અને અશ્વત્થામા જેવાની મહાવિદ્યાઓ સામે મહાવિદ્યા ઉભી કરી બ્રહ્મતેજનો દુરુપયોગ નષ્ટ કર્યો. કર્ણનો નાશ કર્યો ઇત્યાદિ વિજય શ્રીકૃષ્ણ અને અર્જુનના સંયોગથી અર્જુનને પ્રાપ્ત થયો છે તેમાં પણ રાજ્યનીતિનાં રહસ્ય છે. The Spirit of Progress conquers Bhishma - the Grandfather Spirit of Old Wisdom and Tradition, and quiets, without destroying, Drona, the Spirit of Learning and Knowledge, when these lend themselves to the service of a wrong cause-the cause of mere statecraft and royal person as opposed to the weal of the State and People.

“વિજયાસન મુકી ચોથા ખુણામાં વિભૂતિઆસન છે વિજયનું ફળ વિભૂતિ છે, યુદ્ધકાળ અને શાંતિકાળના વિજયને અંતે અર્જુનના સાધનથી પાંડવો અને પાંચાલી નવી વિભૂતિ દેખે છે. દેશવિદેશનાં રત્નો – નરરત્ન અને વસ્તુરત્ન – રાજ્યમાં આવે તો તે રાજ્યની વિભૂતિ રચે છે. It is the Spirit of Progress that imports and attracts freely and without prejudice the best things and men of foreign birth. It is this Spirit of Importation that makes a nation great. અર્જુને પરરાજ્યમાંથી શું શું આણ્યું ? પાંચાલીને કોણે આણી ? શ્રીકૃષ્ણ જેવા યોગેશ્વરને અશસ્ત્ર રહીને પણ સારથિપણું કરાવવા દ્વારકામાંથી કોણ લેઈ આવ્યું ? ખાંડવવન બાળવા જતાં એમનું સાહાય્ય કોણે લીધું ? દૈત્ય અને મનુષ્યો વચ્ચેનો વૈરભાવ ભુલી દૈત્યકુળના મયદાનવને પોતાને ઘેર કોણે આણ્યો ? અનેક દ્રવ્યો અને રત્નોથી મયદાનવે રચેલો સભારૂપ વિભૂતિ કોને લીધે ? દૂરદેશથી અસ્ત્રો કોણે આણ્યાં ? સ્વર્ગસુધી જઈને મહાવિભૂતિઓ લેઈ પાછું ઘેર કોણ આવ્યું ? એ સર્વ કામ અર્જુને કર્યું, દેશવિદેશ ભ્રમણ કરી અનેક કળાથી વિભૂતિઓ આણનાર ઉદાર અર્જુન વૃદ્ધમહારાજને બહુ પ્રિય હતો. રાજસૂર્ય અને અશ્વમેધ જેવા યજ્ઞ, કૃષ્ણ જેવો મિત્ર અને મંત્રી, કુરુલક્ષ્મીનું વહન, મયની સભા, અને એવી અનેક વિભૂતિઓને પરદેશથી આણી સ્વદેશમાં તેમનો સત્કાર કરનાર રાજ્યપુરુષકાર અર્જુનનાં સ્તોત્ર આ પુસ્તકોમાં ભરેલાં છે. This is the seat of Higher Life achieved and filled by the activities and enterprise of the Spirit of Progress. From the seat of High Thought to that of High Design. From High Design to the seat of full and forward Execution, and from that to Success, the nation is lifted, and from the seat of Success the nation is ushered by the Spirit of Progress into this last seat of Greatness and of High Life and Higher Fruition.

“વીરરાવ ! ચંદ્રકાંત ! મ્હેં તમને આ ભવનના લેખોનો અને વૃદ્ધ મહારાજના પ્રિયતમ રાજગુણોનો વિસ્તારજાળ દર્શાવી દીધો. તેમના લેખ મને જિવ્હાગ્રે આવી ગયા છે; બાકીનાં ભવન ગૌણ છે, તેનું સંક્ષેપમાં વર્ણન કરવાનું; તે કુરુભવનમાં બેસી શંકરશર્મા અને પ્રવીણદાસ પાસે કરાવીશું. તમે ઘણો શ્રમ લીધો છે. અમને તો વૃદ્ધ મહારાજ ઉપરનો અમારો સ્નેહ આવી કથાઓ કરતાં તેમના સંસ્કાર મરણમાં આણે છે ને આનંદ આપે છે. પણ તટસ્થ શ્રોતાજનને તે કાંઈક શુષ્ક અને નીરસ લાગે. આપની મમતા અમારા ઉપર ન હોય તો આટલો શ્રમ લેવો પરવડે જ નહી. ” ચંદ્ર૦- મને તો આ સ્થાનમાં કાંઈ નવીન જ આનંદ થયો છે અને પળવાર સરસ્વતીચંદ્રને ભુલી જાઉં છું અને પળવાર એના આત્માને આ ભવનમાં ફરતો પ્રત્યક્ષ કરું છું.

વીર૦– સાહેબ! વ્યાસને માથે રૂપક લખી આખું હીંદુસ્થાન ઠગવાનો આરોપ મુકો છો; અને તે રૂપકને પણ ક્લિષ્ટ કરી નાંખો છો: તેથી થતો હાસ્યરસ આનંદરૂપજ ગણું છું, અને બુઢા વ્યાસને બાદ કરી તમારાં ભવન અને આસનોના ઉચ્ચગ્રાહ વિચારતાં શુદ્ધ આનંદ થાય છે.

વિદ્યા૦- ચાલો, એ બહુ છે. હવે બેસીને વાત આટોપી દેઈએ.

સર્વ કુરુક્ષેત્રમાં ગયા અને બેઠકો ઉપર બેઠા. પ્રવીણદાસે વિષય આરંભ્યો.

પ્રવી૦– રાજસત્તાનું સ્વરૂપ માદ્રી, તેને દિવ્ય વૈદ્ય અશ્વિદેવના જોડાએ બે પુત્રો આપ્યા - એક સુન્દરતાનું સ્વરૂપ નકુલ, અન્ય પ્રાજ્ઞતાનું સ્વરૂપ સહદેવ. વૈદ્યદેવની કૃપાનાં ફળ શરીરની સુન્દરતા અને શરીરનાં આરોગ્યપોષણ એ બે છે. રાજ્ય અને પ્રજા બે મળી જે એક શરીર થાય છે તેની સુન્દરતાને નકુલ જાળવે છે અને તેના આરોગ્ય-પોષણનો પ્રાજ્ઞ સહદેવ છે.

નકુલ चित्रमार्गविद् છે, તેના ભવનમાં પાંચાલીની શૃંગારસામગ્રી તૈયાર થાય છે. તેને અર્થે તે રાજ્યનું દ્રવ્ય ખરચે છે. સહદેવ ભંડાર ભરે અને નકુલ ખરચે. રાજ્યસત્તાનું પ્રથમ સુફળ એ કે રાજ્યની સમૃદ્ધિ પ્રજાને અર્થે ખરચાય – સુન્દર કળાઓથી, ચિત્રમાર્ગોથી, નકુલભવનમાં તે વિચારાઅચાર રચાય છે. વૈરાટનો અશ્વપાલ થઈ અશ્વિપુત્રે કામ કરેલું છે. રત્નનગરીની પ્રજામાં ઉદ્યોગ આદિનાં ફળ પરદેશમાંથી આણવા અર્જુન પ્રવર્તે છે, પણ પ્રજાનાં મનને આનંદ આપી પ્રજામાં ઉદ્યોગની અને સુન્દરતાની કળાઓની પ્રવીણતા અને રસજ્ઞતા ઉત્પન્ન અને વિકસિત કરવી તે નકુલભવનમાં થાય છે. – Nakula introduces and fosters all our indigenous industries and arts, including what you call the fine arts. અમારા ચિત્રકારો, ગાયકો, શિલ્પકારો, યંત્રકારો આદિ સર્વ કળાનાં સ્થાનમાં નકુલદેવ નિપુણતા, દ્રવ્ય, અને ઉત્સાહ ભરે છે, અને નવા નવા વેશ ક્‌હાડતાં તેમને શીખવે છે. પોતાનાં ઘર સુન્દર અને સ્વચ્છ રાખવાં અને સગવડોથી અને વિનોદસ્થાનથી ભરવાં એ કામ સ્ત્રીજાતિ કરે એવું પુરુષથી થતું નથી. તેમજ નગરો, ગામડાં, અને જનપદ દેશ એમાં પણ આ ક્રિયા કરવી પડે છે, તે પ્રજા જાતે કરી શકે એટલું રાજાથી નથી થતું. પ્રજાને આ કામમાં અભ્યસ્ત, રસિક, પ્રવૃત્ત અને સુશિક્ષિત રાખવી એ કામ નકુલ કરે છે – He creates, trains and fosters our Municipalities and Local Self-Governments. શાસ્ત્રો - “સાયન્સ” – “sciences;” દર્શન – ફિલેાસેાફી, ઉચ્ચ અને સામાન્ય વિદ્યાઓ અને સર્વ લોકમાં તેના પ્રચારો,- High and popular educations, પ્રજાની જુની રૂઢિયોના સુન્દર ભાગનું રક્ષણ અને નવી સુન્દરતાનો સત્કાર, શરીરબળને માટે અને શરીરસૌંદર્યને માટે વ્યાયામશાળાઓ, ઇત્યાદિ પ્રજાની રંજનસામગ્રી નકુલભવનમાં વિચારાય છે ને રચાય છે. Nakula is our Spirit of Beauty, Arts, and Æsthetics and is Lord Mayor and Chamberlain ministering to the wants and decorations of the towns and chambers of Her Majesty the Panchali of this State. He looks after our refinements and manners - he this beautiful Prince of Refinement and Æsthetics. He looks after the physical, mental, sentimental, and moral growth of the people, and his anvil is always working out new and beautiful implements of arts and science for the health, hygiene and recreation of sweet Páncháli.–

“નકુલભવન મુકી કનિષ્ટ બન્ધુ સહદેવનું ભવન આવ્યું. વૈરાટને ત્યાં એ ગોસંખ્ય – ગોપાળ – થઈ રહ્યો હતો. ગો એટલે ગાય, પૃથ્વી, વાણી,- દ્રવ્યમાત્ર; તેની સંખ્યા ગણ્યાં કરવી, રક્ષણ કરી રાખવી, અને તેનાં પોષણ–દોહન કરવાં એ આ વૈદ્યપુત્ર સહદેવનું કાર્ય. એ અમારો “સર્વેઅર,” surveyor, એ જ અમારો વસુલાતી અધિકારી–રેવન્યુ કમિશનર. એજ કાર્યને અર્થે પ્રજાનાં ભૂત તથા વર્તમાન જાણી ભવિષ્ય જાણવું અને સુધારવું એ કામ આ વૈદ્યનું – આ પ્રાજ્ઞનું. અમારા દેશની સમૃદ્ધિસંબંધી એટલે ભૂમિ, દ્રવ્ય, આદિ સર્વ અર્થ સબંધી પ્રશ્નો જાણી સર્વ વાતની ચિકિત્સા જાણીતા ઔષધ કરવાં એ આ પ્રાજ્ઞનું કામ. પ્રજાની સમૃદ્ધિ વિચારવા વધારવાના કામને લીધે તેમાંથી રાજભંડાર - કેટલો ભરવો - પાંડવ કૌરવને કેટલું આપવું, રાજાએ કેટલો વ્યય કરવો, પ્રજાને માટે કેટલો વ્યય કરવો, સંગ્રહ કેટલો કરવો, ઇત્યાદિ સર્વ વિચાર અમારા સહદેવભવનમાં થાય છે. Sahadeva is our spirit of Prescience and Prudence. He solves our economical problems and governs and distributes his collections. The taxpayer's comforts and prospects are at his heart while he gives to the rulers their due.

“રત્નનગરીના રાજ્યની ખાણો, જંગલો, કૃષિકારો, અને નદીમાતૃક્તા - canal irrigation, એ આ ગૌસંખ્યની પ્રાજ્ઞતાને સોંપેલાં છે. લોકનું આરોગ્ય - Public Health, દેશનું આરોગ્ય – Sanitation, એ સર્વ અમારા અશ્વિપુત્ર સહદેવના મનને ઉદ્યોગમાં રાખે છે. એ સહદેવને ત્રિકાળજ્ઞાની ક્‌હો, જોશી ક્‌હો, કે વૈદ્ય ક્‌હો - એ સર્વ પાંડવોના આ ન્હાનકડા ભાઈની બુદ્ધિને સોંપેલાં છે. સર્વ મ્હોટા ભાઈઓ દ્રવ્યના વિષયમાં પોતાના આ ન્હાના ભાઈને પ્રથમ પુછીને પછી પોતાની વાત કરે છે. સહદેવ ગણી ગણીને વાત કરે છે - He is a cool calculator – just like merchant."

વીરરાવ ખડખડીને હસી પડ્યો - “હા હા હા હા – વાણીયાને વાણીયો ગમ્યો ! Yes, but I admit he must be consulted and obeyed too by rash men like myself. Go on, Mr Pravinadas, I am really thankful.”

પ્રવીણ૦– “આ પાંચે ભવનની પાછળ પાંચે પાંડવનાં ભવનમાં જવા-આવવાનાં દ્વારવાળું પાંચાલીભવન છે. એ પાંચાલીનું અંતઃપુર છે; શૃંગારભવન છે. It is our People's Hall. પ્રજાના સર્વ વર્ગને મહારાજ સાથે ગુપ્ત મન્ત્ર કરવાનું આ ભવન છે. અમારા રાજા-પ્રજાના સમાગમ, “લેવીયો,” ને “ઈવનીંગ પાર્ટીઓ” આ ભવનમાં જ ભરાય છે, અમારી પ્રજાના સર્વ વર્ગના ઉત્સાહ અને અભિલાષ આ જ ભવનમાં મહારાજ પ્રીતિથી જાણી લે છે, અને પાંડવો પાસે તે સફલ કરાવે છે.સહદેવના ભવનની જોડે પાંડુભવન સામે ધૃતરાષ્ટ્રભવન છે. એ “રાજશરીર”ની મૂર્તિનું ભવન છે. પાંડવો જેમ પાંચાલીની ચિંતા કરે છે તેમ કૌરવો રાજશરીરની ચિંતા કરે છે, અને કૌરવભવનોમાં તેની જ ચિંતા થાય છે. ધૃતરાષ્ટ્ર જાતે અંધ છે - રાજામાત્ર લોકના અંત:પ્રવાહ જોવાને અશક્ત છે, માટે જ રાજા ચારચક્ષુ*[૧]કહેવાય છે. અંધ ધૃતરાષ્ટ્રને સંજયરૂપ ચાર છે, તે પાંડવ- કૌરવના સર્વ વર્તમાન એકલા ધૃતરાષ્ટ્રને વિદિત કરે છે. સંજય એકલું ચારકર્મ કરતો નથી, પણ પ્રજાને અર્થે કૌરવપાંડવોનાં પરાક્રમ તટસ્થ રહી દેખે અને રાજ્યનીતિ અને રાજનીતિના સર્વ પ્રપંચોના પ્રવાહને આદિથી


  1. *ચાર= છાનો દૂત, spy; ચારની આંખે દેખે તે ચારચક્ષુ
અંતસુધી પ્રત્યક્ષ કરે છે અને ધૃતરાષ્ટ્ર પાસે પ્રત્યક્ષ કરાવે છે. He

is, like the phonograph, an apparatus for recording and reporting the spiritual and the physical voices that fill all atmosphere in the State – like your journals and newspapers. He is the king's Binocle and Field-glass."

“બ્રાહ્મધર્મ પ્રકટ છે, પણ વૈશ્યકળા કોઈપણ પુસ્તકમાં નથી. માટે વૈશ્ય પ્રજાના ગુપ્ત મંત્ર સમજાવનાર વૈશ્યાપુત્ર યુયુત્સુને સ્વપુત્ર કરી ધૃતરાષ્ટ્ર પોતાની પાસે રાખે છે. પતિ કરતાં પત્ની વધારે દેખે તો अबला प्रबला થાય તે રાજતંત્રમાં ઉચિત નહી , માટે ગાન્ધારી અંધ પતિની જોડે અંધ થવા આંખે પાટા બાંધે છે. રાણીનું આ પતિવ્રત છે. રાજાના શરીરનો વંશ અજરામર રાખવાનું શતપુત્રવાળા ધૃતરાષ્ટને માથે છે. તેને સો પુત્રો માગેલા મળ્યા તે તેના ભાયાતો જ સમજવા. બાકી રાજા જાતે ગાંધારીને - એકપત્નીને - વરેલો. તે નિયમ આ રાજ્યમાં પળાય છે. સર્વ કૌરવભવનોમાં એકેક ભયાસન છે તેમાં તે ભવનના અધિષ્ઠાતાનું ભય જોવાય છે. ઘૃતરાષ્ટ વંશ વધારનાર છે તેને વત્સલતાનું ભય છે. દુર્યોધનની દુર્નીતિનું ભવિષ્ય તેના જન્મપ્રસંગે ધૃતરાષ્ટને જણાવવામાં આવ્યું હતું. દ્રૌપદીવસ્ત્રહરણ પ્રસંગે તેણે તે પુત્રની દ્રુષ્ટતા પ્રત્યક્ષ કરી. શ્રીકૃષ્ણ યુદ્ધપ્રસંગ અટકાવવા પાંડવો પાસેથી આવ્યા ત્યારે પણ તેમ જ થયું. ત્રણે પ્રસંગે જુદાજુદા મહાત્માઓયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે ત્હારા પુત્રનો નાશ કરવો અને કંઈ નહીં તો ત્યાગ તો કરવો જ એવો ત્હારો રાજધર્મ છે. પણ એકે પ્રસંગે વત્સલ પિતા તે ઉપદેશ માની શક્યો નહી. પાંડવપક્ષનો વિરોધ કરનાર દુષ્ટ પુત્રને શાસન કરવામાં જે પિતાની વત્સલતા આડે આવશે તે ધૃતરાષ્ટ્રની દુર્દશા પામશે એવો એ ભવનના ભયાસનને ઉદ્દેશ છે. તે દુર્દશાનાં બીજ ઉગતાં નષ્ટ કરવા મહારાજ પ્રયત્ન કરે છે. ધૃતરાષ્ટ્રે ધર્મરાજ ઉપર કરેલી અસૂયાનું ભય આ વત્સલતાનું અંગ છે. હવેનાં ભવન શંકરશર્મા સમજાવશે.”

શંકર શર્મા - “બીજું દુર્યોધનભવન સામે દેખો છો. રાજશરીર ધૃતરાષ્ટ્ર; તેના પ્રથમ પુત્ર જેવો રાજનય તે દુર્યોધન અથવા સુયોધન છે. રાજાના શરીરને પ્રકૃતિપુરુષોમાં અને પ્રજામાં પ્રતિષ્ઠા આપનાર વસ્તુ રાજનય છે.

“दुरोदरच्छद्मजितां समीहते
“नयेन जेतुं जगतीं सुयोधनः ।

જ. "અર્જુનમાં જેમ નીતિ અને ક્રિયા પ્રજાર્થે છે તેમ દુર્યોધનમાં નીતિ અને ક્રિયા રાજશરીરને અર્થે છે. અર્જુન રાજ્યનીતિ - Statesmanship - માં કુશળ છે તો દુર્યોધન રાજનીતિ- Diplomacy - માં કુશળ છે. રાજનીતિની ત્વરાને લીધે પાંડવનો મામો છતાં શલ્ય જેવો મહારથિ દુર્યોધનના પક્ષમાં આવ્યો. શઠવર્ગને વશ કરવાને માટે શકુનિ જેવો મન્ત્રી એણે શોધ્યો - Set a thief to catch a thief ની નીતિ આ શોધમાં વપરાઈ. કર્ણ જેવા દાતાનો આ રાજનયે સંગ કર્યો અને સર્વ શક્તિયોમાં વડી શક્તિ જે ઉદાર દાતાની તેના ફલથી મહાબળવાન કર્ણ દુર્યોધનના પક્ષમાં લ્હડ્યો. બ્રહ્મતેજ, બ્રહ્મવિદ્યા અને બ્રહ્મશસ્ત્રના સ્વામી દ્રોણાચાર્ય અને અશ્વત્થામા જેવા બ્રાહ્મણોને લોભાવી આશ્રય આપવાની નીતિ પણ દુર્યોધનની હતી. ભીષ્મપિતામહનું બળ પણ એજ રાજનીતિને વશ રહ્યું. દ્રોણ અને ભીષ્મ પાંડવના ભક્ત હતા છતાં, દુર્યોધનની નીતિએ દ્રવ્યબળથી તેમને સેવક કરી લીધા હતા. “શું કરીયે ? અર્થો વડે અમને દુર્યોધને ભરપુર કર્યા છે એટલે અધર્મના પક્ષની સેવા કરવી એજ અમારો ધર્મ થયો છે” - એ વાક્યનો આ જ્ઞાની પુરુષોને ઉદ્દાર કરવા વારો આવ્યો તે દુર્યોધનની રાજનીતિને બળે. વૈરાટનગર પાસે ભીષ્મ, દ્રોણ અને કર્ણ એકઠા મળી લ્હડ્યા ત્યારે કૃષ્ણ વિનાના એકલા અર્જુને તેમને હરાવ્યા. પણ દુર્યોધનની રાજનીતિએ તેમનાં જ કર્ણ ફુંક્યા ત્યારે એમાંના અકેકા વીરે કૃષ્ણ સાથે નીકળેલા અર્જુનને હંફાવ્યો. ભીષ્મ, દ્રોણ, કર્ણ, શકુનિ, અને શલ્ય જેવા મહારથિઓને પોતાના પક્ષમાં આટલા બળથી લઈ શકનાર આવી રાજનીતિ રાજાઓને યોગ્ય છે. પોતાના સો ભાઈઓ - ભાયાતો - ને પક્ષમાં લેઈ તેમનું પોષણ કરનાર, તેમનું બળ વધારનાર, તેમને વિદ્યા અપાવનાર, રાજનીતિ પણ દુર્યોધનની છે. ભાઈઓ ને ભાયાતો, ઘરના વૃદ્ધ, બ્હારનાં શૂર, બ્હારની વિદ્યા અને રંક ગૃહમાં પડેલું કર્ણરત્ન, એ સર્વેને શોધી આશ્રય અને પોષણ આપનાર રાજનીતિનો અધિષ્ઠતા દુર્યોધન પાંડવોથી જીતાયો તેનું કારણ યોગેશ્વર કૃષ્ણનો આશ્રય લેવાની અર્જુનની નીતિ. દુર્યોધન અને અર્જુન એક પક્ષમાં હોય તો તો અજેય જ થાય. એવી એવી નીતિના વિચારાચારનાં આસન જોડે દુર્યોધનભવનનું ભયાસન જુવો. પાંડવ અને પાંચાલીની સેવા કરવાને સ્થાને તેમનો વિરોધ કર્યો અને તેમને દુ:ખ દીધું અને રાજનીતિ પાપમાર્ગે વળી. એ રાજનય - દુર્યોધનનું મુખ્ય ભયસ્થાન. પાંડવોની યુદ્ધગીતા એવી હતી કે “युध्यध्वमनंहंकारा:” ત્યારે દુર્યોધને છેલે સુધી અહંકારને જ સ્વીકાર્યો છે અને કોઈની વાત સાંભળી નથી, એ એનું બીજું ભયસ્થાન. આ “અહંકાર,” એટલે કેવળ ગર્વ નહી પણ “હું” પણું એજ દુર્યોધનનાં દુર્મન્ત્રિતનું સૂક્ષ્મ ન્યગ્રોધબીજ અને એજ તેનું ભયસ્થાન.A king has no rights for his own personal interests and enjoyment. If he thinks he has them, he vitiates the whole policy of the State, and is unfit as Duryodhana to rule.a people. જે જંઘા ઉપર અંતે આધાર પામી આ રાજનયનું અંગ ટકે છે અને ગદાયુદ્ધ કરે છે તે જંઘા ઉપર અંતે ભીમની ગદા પડશે અને રાજનયને પડતો મુકી રાજ્યનય રાજ્ય કરશે. પોતાના સર્વ મોધાં સાધનનો નાશ જોયા પછી અંતે એકલું પડી આ રાજનયનું ખાલી થયેલું ખોખું નાશ પામશે. અર્જુન અને ભીમનો પ્રતાપ તેને જોવો પડશે એટલું જ નહી, પણ ધર્મને ઠગી દુર્યોધને વશ કરેલા શલ્યને ધર્મ જ મારશે અને સહદેવ જેવા પ્રાજ્ઞને હાથે શકુનિ જેવા દ્યૂતખેલક મન્ત્રી નાશ પામશે. તે સર્વ જોયા પછી દુર્યોધનનું ખોખું પડશે. The chicaneries and knaveries, the jobberies and the manœuvrings and bunglings, of diplomatic gamblers, in promotion of mere personal ends, must eventually fall under the persistent hammer of the cool and calculating wisdom of patriotic heads whether wearing the crown or not. દુર્યોધનરૂપ રાજનયનાં અનેક નામવાળા, અનેક ગુણવાળા સો ભાઈઓમાંથી જે ભીમની ગદાથી બચશે, તેનો નાશ ચિત્ર માર્ગ જાણનાર નકુળને હાથે થશે તે પણ દુર્યોધન જોશે. The Spirit of Æsthetics and Arts will stultify the one hundred cadets and military rulers fallen under the evil grip of an ominous self-centred policy. They will be metamorphosed by the policy of Nakula from the bodies of dangerous cadets and rowdy soldiers into those of peaceful and virtuous citizens.

આ પછી રાજાની દંડશક્તિરૂપ દુઃશાસનનું ભવન, રાજ્યના ખરા અધિકારીયો પાંડવોની સેવા કરવાને સટે દુર્યોધનને માની; પાંચાલીનાં પ્રજાનાં – વસ્ત્ર કેશ ખેંચનાર આ દુષ્ટને ભીમની ગદાનું ભય છે, અને વૈરથી ભીમ તેનું રુધિર પીશે. The Spirit of Power and Protection raised by the hand Divine for the service of the nation will one day kill this imp of brute physical force, this minion of military and regal power, and will, to set an example, drink his blood like a Spirit of Retribution if not revenge. Let rulers beware !"

"આ પછી કર્ણભવન અર્જુન ભવનની સામું છે. એ દાનશક્તિનું સ્વરૂપ છે. દાનશક્તિનો જન્મ પાંડવોની જ માતાથી છે. જે રાજામાં આ શક્તિ નથી તે નપુંસક છે. જે રાજામાં આ શક્તિની સીમા હશે તે રાજા મૂર્ખ હશે કે દુષ્ટ હશે તો પણ આ શક્તિને પ્રતાપે ઘણી વાર ટકી શકશે. એને ભય માત્ર એટલું કે કૃષ્ણ જેવા સારથિને લેઈ અર્જુનનો રથ સામો હશે ત્યારે કર્ણનો નાશ સમજવો. એના ગુણદોષ સંભળાવતાં પિતામહે એના દોષ કહેલા છે કે,

"अकस्मत्पाण्डवान् सर्वानवक्षिपसि सुव्रत ।।
जातोऽसि धर्मलोपेन ततस्ते बुद्धिरीद्दशी ।
नीचाश्रयान्मत्सरिणी द्वेषिणी गुणिनामपि ॥"

જો આટલા અવગુણ ન હત તો કર્ણના બાકીના ગુણ મ્હોટા છે.

"जानामि समरे वीर्यं शत्रुभिर्दुःसहं भुवि ।
ब्रह्मण्यता च शौर्यं च दाने च परमां स्थितिम् ।।
न त्वया सद्दशः कश्चित्पुरुषेष्वमरोपम ।।

"The power of generous gifts, patronage, and munificence, is the greatest prerogative of the Crown. A policy that relies upon the power of its generous hand, will, only fail where it marches against the combined forces of the Progressive and Just principles of Public Weal or degenerates into vanities and jealousies।"

"તે પછી તમે ગુરુભવન દેખો છો. એમાં દ્રોણાચાર્ય અને અશ્વત્થામાની પ્રતિષ્ઠા છે. વિધાને વિધારૂપે અને કલાને કલારૂપે સાધે, જાતે તેનો ઉપયોગ કરે નહી, અને તે વિદ્યા અને કલાનો ઉપયોગ કરી શકનારને તેનો ઉપયોગ શીખવે – એ ગુરુ,એ બ્રાહ્મણ: પછી તેને યજ્ઞોપવીત હો કે ન હો. આર્મસ્ટ્રોગ અને ક્રપ જેવા તોપોના રચનાર આ ન્યાયે બ્રાહ્મણો જ ગણવા. જો આવા બ્રાહ્મણો જાતે યુદ્ધમાં ભળે અને અશિક્ષિત જગત્ ઉપર પોતાનાં દિવ્ય અસ્ત્ર પ્રહરે તે અધર્મ થાય અને જગતનો નાશ થાય." આ દેશના બ્રાહ્મણેમાં ધર્મથી શસ્ત્રગ્રાહી માત્ર પરશુરામ થયા છે, અને ધર્મકાર્ય આટોપી રહ્યા પછી એમની ક્ષાત્રશક્તિ પણ નવા અવતારના તેજથી રામાવતારમાં અસ્ત થઈ. દ્રોણ જેવાના સંગ્રહથી જ અર્જુનને અસ્ત્રવિધા પ્રાપ્ત થઈ, માટે સર્વ આયુષ્ય વિધાના ઉપાર્જન અને દાનમાં ગાળનાર ગુરુજનનો સંગ્રહ તે રાજનીતિનું એક ઉત્તમ કાર્ય છે, પણ એવા બ્રાહ્મણો ગુરુત્વ મુકી યુદ્ધમાં પ્રર્વત્યા, તે પણ ક્ષાત્રના નાશ માટે, તે પણ અર્જુન જેવા શિષ્યના દ્રોહને અર્થે, તે પણ ધર્મસામે અધર્મની સેવા નિમિત્તે - ત્યાં એ ગુરુજનનો નાશ કરવા, અર્જુનનો અતિધર્મ ન ગણકારી, કૃષ્ણસંકેત થયો. When learning abuses its functions and lends its strength to help wicked policies, the Angel of Divine Wisdom must hold up his aegis to protect the Spirit of Progress and, if that Spirit has pious scruples against self-protection, then, to create new agencies for the purpose. અર્જુન તો ગુરુહત્યા, કરે નહી ત્યારે દ્રોણનો નાશ કેમ થાય ? બ્રાહ્મણ શસ્ત્ર ધરે અને ક્ષાત્ર કરતાં વધારે પરાક્રમ કરે પણ બ્રાહ્મણ થયેલું હૃદય ક્ષાત્ર નહી થાય. શસ્ત્રગ્રાહી બ્રાહ્મણનું આ મર્મસ્થાન. “પુત્ર મુવો” એ સમાચારથી, ક્ષત્રિય જ્યાં અસ્ત્ર ત્યજે નહી ત્યાં તે બ્રાહ્મણ દ્રોણે ત્યજ્યાં. That is the weak point in a Brahmana. His heart is soft there. યુદ્ધકાળે અનેક ઋષિયો રણક્ષેત્રમાં આવ્યા અને અધર્મને અર્થે કરવા માંડેલું યુદ્ધ પડતું મુકવા દ્નોણને સૂચના કરી. Can a Brahmana's heart resist an appeal to the eternal principles of Dharma and knock of scruples that his higher nature projects before his eye? – એ ઋષિયોની સૂચનાએ દ્રોણનું હૃદય કંપાવ્યું. એ અવસ્થાએ શીર્ણ કરેલા બ્રહ્મવૃક્ષને ધૃષ્ટધુમને તોડી પાડ્યું. જે અગ્નિકુંડમાંથી પાંચાલી પ્રકટ થઈ હતી તેજ અગ્નિકુંડમાંથી ધસી નીકળેલા અથવા ધૃષ્ટતાવાળાં પ્રકાશવાળો ધૃષ્ટધુમ્ન ક્ષત્રિયના ઘરમાં પ્રકટ થયો તે બ્રાહ્મણત્વનો દુરુપયોગ કરનાર ગુરુજનને હણવા માટે. He is the Spirit of Audacious Light–Bold Reform-born of Burning Flames to destroy the overgrowth of Learning's Power where this Power is exerted on behalf of the Regal Power and against the Angel of Progress and his brothers.

"દ્રોણ ને ભીમસેને વાક્ય વડે ગદા મારી કહેલું છે કે

यदि नाम न युध्येरन् शिक्षिता ब्रह्मबन्धवः ।
स्वकर्मभिरसंतुष्टा न स्म क्षत्रं व्रजेत् ।।

જેમ શૂદ્રાદિને બ્રાહ્મણનાં કર્મ નિષિદ્ધ છે તેમ બ્રાહ્મણને ક્ષત્રિયોનાં કર્મ નિષિદ્ધ છે. તે નિષેધ ન માનનારને શિક્ષા છે. Bhima bears no infringement of Duties and Discipline.

“એ જ ભવનમાં અશ્વત્થામાનો પણ સમાસ છે. બ્રાહ્મણ વૈરનો પ્રેર્યો શું શું અનિષ્ટ અને અધર્મ્ય કર્મ કરી બેસે તે જાણવું હોય તો અશ્વસ્થામાના કર્મ જેવાં. साक्षरा विपरीता राक्षसा भवन्ति તેનું એ દૃષ્ટાંત છે. એ બ્રાહ્મણને શ્રીકૃષ્ણનું ચિત્ર લેવાનો દુષ્ટ લોભ થયો હતો. એણે નારાયણાસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો પાંડવો સામે દુરુપયોગ કર્યો. એ અસ્ત્રનાં રહસ્ય જાણનાર શ્રીકૃષ્ણે તેનો પ્રતીકાર અર્જુન પાસે કરાવ્યો. જ્યારે રાજ્યસાગરમાં તોફાન જાગે અને કૌરવો બ્રાહ્મણ પાસે બ્રહ્માસ્ત્ર ફેંકાવે એટલે બ્રહ્મતેજની જ્વાલાઓ પાંડવો સામે બ્રાહ્મણ પાસે ફેંકાવે ત્યારે ક્રિયાવાન્ અર્જુને તેવુંજ અસ્ત્ર ફેંકવું એટલે એ જ્વાલાઓ સામે એવીજ જ્વાલાઓ ફેંકવી જેથી સ્વજાતીય જ્વાલાઓ એકબીજામાં શાંત થશે, When the sacerdotal and learned classes yield to being set up in sectarian spirit against the path of what is right and progressive in the State and among the people, the Spirit of Progress may as well raise counter-sects and break the force of the former by allowing them to dash against the latter. This is meeting Brahmastra with Brahmastra. It is what we in these days would call setting up journals against journals and congresses against congresses in order to further the cause of Progress and thresh out superior results. બ્રાહ્મણો સામે બ્રાહ્મણ ને શાસ્ત્ર સામે શાસ્ત્ર."

"પણ અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર ન ફેંકતાં માત્ર નારાયણાસ્ત્રજ ફેંકે તો તેના સામે ન થતાં તેની જ્વાલાને અપ્રતિહત બળવા દેવી એટલે એ તેજ જાતેજ શાંત થશે. બ્રાહ્મણો જાતે તોફાન કરવાનું મુકી દેઈ અને પોતાનાં શાસ્ત્રશસ્ત્ર પડતાં મુકી માત્ર જગન્નિયંતા શ્રીનારાયણને નામે નારાયણનાં ધર્મશાસ્ત્રનું તેજ પાંડવો સામે પ્રકટ કરે ત્યારે તે નીતિમાન અર્જુને માત્ર તેને જોયાં જ કરવું, અને તે તેજની જ્વાલાઓને જાતે પ્રકટ થવા દેવી ને તેનો પ્રતિરોધ કરવો નહી એટલે ધર્મની સેના કેણી પાસ છે અને અધર્મની કેણી પાસ છે એટલું બતાવી તેજ જાતે જ શાંત થઈ જશે, અને તેનાથી માત્ર ધર્મપક્ષનું જ પ્રકટીકરણ થશે. This is the weapon of Divine Learning. The flames of Divine Learning can never hurt the cause of Righteousness if they are allowed to burn themselves away unopposed, for they can only show where Righteousness is and where it is not, Opposition makes them more critical and searching. These flames can only be fanned and rendered more irresistible by such opposition : while left to themselves they pass away into the lights of Nature and leave no vantage to those that had generated them.

“દુષ્ટ અશ્વસ્થામાને શિક્ષા એટલી જ થઈ કે તેના મસ્તકનો મણિ લેઈ લેવામાં આવ્યો અને મસ્તકમણિહીન ચિરંજીવ થઈ આજસુધી જગતના શૂન્ય દેશોમાં એ ક્વણન કર્યો કરે છે.*[૧] મસ્તકનો મણિ તે ઉત્તમાંગમાંના બ્રહ્મરંધ્રમાંનો સદ્બુદ્ધિરૂપ પ્રકાશ. બ્રાહ્મણને એનાથી પ્રિયતર શું? હું ધારું છું કે અશ્વત્થામા આવા રૂપમાં આજકાલના બ્રહ્મબંધુઓની જિવ્હાદ્વારા ક્વણે છે - તેમનો પૂર્વજોના મસ્તકમાંને અર્થજ્ઞાનરૂપ મણિ હવે આજના બ્રાહ્મણોના મસ્તકમાં નથી અને જેની તેની જીભે માત્ર જ્ઞાન શીવાયના ઉદ્ગારનું વર્ણન ચિરંજીવ જણાય છે તે જ શ્રીકૃષ્ણનો શાપેલો અશ્વત્થામા છે."

“હવે પિતામહભવન એ છેલું છે. He is the Spirit of the Traditions, Experience, and Wisdom of Ages. પિતામહ એ પુરાણઅનુભવની મૂર્તિ છે, એમનું જ્ઞાન, એમની નીતિ, અને એમના સદ્ગુણોમાં આ દેશની આશા છે, પણ અધર્મને રાજનય જ્યારે તેને અધર્મન યુદ્ધમાં આગળ કરશે ત્યારે યોગેશ્વર કૃષ્ણ પ્રતિજ્ઞા મુકી શસ્ત્ર ધરશે ને ક્રિયાવાન્ અર્જુનને ધૃષ્ટતર કરશે, અને કન્યાશરીરમાંથી પુરુષશરીર- રૂપે પ્રકટ થયલા શિખંડીને આગળ કરી વિચિત્ર વ્યૂહ રચશે. શિખંડીની સામાં પિતામહ મનસ્વિતાથી અસ્ત્ર પ્રહાર નહીં કરે અને શિખંડીની પાછળથી


  1. * કણ્યાં કરે છે.

આવતાં બાણોને વશ થશે. જે દેશમાં પિતામહ છે ત્યાં પિતામહની રૂચિઅરૂચિ કેવળ બુદ્ધિને વશ ન રહેતાં અન્ય અભ્યાસ અન્મે અધ્યાસને વશ રહે એવા પ્રસંગ પણ આવે છે. પિતામહે દેશના અન ધર્મના કલ્યાણને અર્થે પ્રવર્તવું જોઈએ. તેમ ન કરતાં કૌરવને આશ્રય આપી અર્જુનનો માર્ગ રોકે ત્યારે નીતિમાન્ અર્જુને એટલું જ કરવું કે પિતામહના મનમાંનાજ કાંઈક એવા શિખંડી જેવા અભ્યાસ અને અધ્યાસ શોધી ક્‌હાડવા કે તેના સામું યુદ્ધ કરવામાંથી પિતામહ નિવૃત્ત થાય અને શરશય્યામાં પડે. The Spirit of Tradition is invincible. But find out an apparition of some of the vagaries that are haunted by this Spirit and unman his heart and keep yourself shooting from behind the apparition. The Spirit of Tradition will then lie prostrate upon a bed of arrows piercing his body through a thousand new holes. અનુભવથી - રૂઢ અને સિદ્ધ થયલા જ્ઞાનના દેહમાં આ વિધિથી અનેક છિદ્રો પડે છે. પણ પિતામહ પડ્યા પછી પણ જીવે છે, રૂઢિઓ પડ્યા પછી પણ શરશય્યાપર જીવે છે. સાત્વિકવૃત્તિવાળા સુપાત્ર ધર્મમૂર્તિ યુધિષ્ઠિર પાસે શ્રીકૃષ્ણ યોગેશ્વર પિતામહ આટલા આયુષ્યનો પરમ લાભ લેવડાવે છે. શાંતિપર્વ અને અનુશાસનપર્વ જેવી મઞ્જૂષાઓમાં ભરેલા ગંભીર ઉદાત્ત અને પરમબુદ્ધિથી શોધી સંસ્કારેલા અનુભવરત્નોના અક્ષય ભંડાર પિતામહ પાસેથી લેઈ લેઈ યુધિષ્ઠિર રાજા રાજ્યના અને પ્રજાના પરમ ક્ષેમના આધાર થયા. What rare wisdom is stored up in the traditions and customs of our nation ? While not yielding to what is wrong and rotten in them, it is worth our while to see that we do not allow them to pass away from our midst before some wise and impartial soul-seers extract the stores which the Spirit has preserved so long and is only too willing to hand over to fit and willing souls. In this hall of this Grandfather - Spirit we try to sit as his apt pupils with His Highness at our head and ever jealous when the Spirit seems to lean in favour of the Kauravas.”

શંકર શર્માએ પુરું કર્યું. વિદ્યા૦- “આ કૌરવભવન પાછળ વિદુરભવન છે - તે અમારા અતિથિવર્ગને અને મિત્રોને મળવાનું સ્થાન. એ અમારો Visitors and Friends' Hall તમે દીઠો છે. આ સર્વે ભવનો ઉપર એક માળ છે. તેમાં સઉથી પાછળ સુભદ્ર ભવન છે. સુભદ્રા અથવા મહિષી આસન, પરિક્ષિત અથવા યુવરાજ આસન, ધનસમૃદ્ધિસત્તાસન, અને વિચક્ષણ- જનસંબંધ આસન - એવાં ચાર આસન એ ભવનમાં છે અને એ ચારે ભદ્રના યોગથી રાજઅંગનું ને પ્રજાનું ભદ્ર કેમ વધારવું તે વિચારાય છે. તે ભવન મુકી આગળ મનુષ્યદેહભવન, મોક્ષભવન, અને ચક્રવર્તી ભવન છે. ચક્રવર્તી ભવનમાં સરકાર પ્રતિ અમારા આ સામ્રાજ્યનાં અંશરૂપે ધર્મ અને અધિકાર વિચારાય છે; સરકારની નીતિ, સરકારની ક્રિયા; અને સરકારના ઉદ્દેશ અને ઉપદેશ - તે સર્વના સંગ્રહ અને વિચાર થાય છે, અને સરકારના મ્હોટા અધિકારીઓને, ચક્રવર્તીના અને અમારા સંબંધ પ્રમાણે, સત્કારસમારંભ થાય છે. મોક્ષભવનમાં ચાર આસન છે. ધર્મ અને ભક્તિથી નિર્વાણ, મોક્ષથી નિર્વાણ, રણક્ષેત્રથી નિર્વાણ અને મૃત્યુના અન્ય માર્ગ, એવાં આસનો આ ભવનમાં છે અને મધ્યભાગે કોઈ જીવન્મુક્ત મહાત્મા આવે તેને માટે વ્યાસાસન છે. ત્રીજું ભવન મનુષ્યદેહ ભવન છે, તેમાં રાજદેહ, રાજ્યભ્રષ્ટ મનુષ્યદેહ, કારાગ્રહાયુષ્ય, અને ઉત્તરાશ્રમાયુષ્ય – એવાં ચાર આસન છે.

“સર્વથી છેલું આ આપણે બેઠા છીયે તે કુરુક્ષેત્ર – અમારો “કાઉન્સિલ હોલ ” છે. મધ્યે આ વૃદ્ધ મહારાજ મલ્લરાજની મૂર્તિ આ સ્તમ્ભ ઉપર તમે દેખો છે. સ્તમ્ભની ચારે પાસ આ રાજ્યના ભૂતઇતિહાસનાં સ્મારક ચિત્ર છે. મહારાજ મૂર્તિના હાથમાં આ ચક્ર ફરે છે. જેટલાં આ ભવન છે તેટલા દાંતા આ ચક્રને છે અને દરેક દાંતમાંના દુરદર્શક કાચથી એકેકું ભવન પ્રત્યક્ષ થાય છે. ચક્ર એ આ રાજ્યવેધશાળાનું વેધદર્શક યંત્ર છે. આ પવિત્ર મૂર્તિની પાસે મંત્રિમંડળસહિત બેસી મહારાજ રાજ્યકાર્યના વિચાર કરે છે અને પિતાના યોજેલા ભવનોમાંથી એક પણ ભવન અને એક પણ આસનને ઉપદેશ ભુલાય નહીં તે વીશે સાવધાન રહે છે.

ચંદ્ર૦- ત્યારે આ ક્ષેત્રના અને ભવનના ઉદ્દેશમાં કાંઈ ફેર છે?

વિદ્યા૦- અમારે સર્વને માટે પ્રસ્તુત કાર્યને સબંધે ભેગા વિચાર કરવાને કુરુક્ષેત્ર છે, મહારાજના એકાંત વિચારને માટે, એકાંત કાર્યને માટે અને એકાંત અભ્યાસ માટે for self-training - આ સર્વ ભવનો છે. એ સર્વમાંનાં વર્ગીકરણ તમે જોયાં. રાજ્યકાર્યમાંનો એક પણ વિષય મહારાજની દૃષ્ટિ બહાર ર્‌હે નહીં, વિષયને લગતા ઉદ્દેશ, ઉપદેશ, પુસ્તકશાળાઓ, અનુભવશોધન અને મહારાજના પોતાના પ્રસંગભૂત વિચાર – એ સર્વના સંગ્રહનાં , પણ વર્ગીકરણ કરી આ ભવનોમાં રાખેલાં છે. We have found out and developed the classifications of Vyasa sufficiently for our purposes.

ચંદ્ર૦– ઇતિહાસ ગણાતા કાવ્યમાંના પાત્રવર્ગને રૂપકરૂપ કર્યાથી તમારે શિર નાસ્તિકતાનો અપવાદ આવતો નથી ?

વિધાચતુરે સ્મિત કર્યું. “ પાંડવ અને કૌરવોને ઐતિહાસિક પુરુષો ગણવા નહીં એવું ક્‌હેવાનો ઉદ્દેશ અમે રાખતા નથી. તેવા પુરુષ થઈ ગયા હો કે ન હો એ શોધ કરવો એ તમારા જેવાનું કામ છે. મહાકવિએ ઇતિહાસ સાથે રૂપક પણ કેમ મુક્યાં ન હોય ? વ્યાસજીનાં મુકેલાં બીજનું વર્ગીકરણ કરી વૃદ્ધ મહારાજે આ બોધ અને રમ્યતાનું સ્થાન કરેલું છે."

વીર૦- મહારાજને બોધ અને સુન્દરતા નો તેમ આશ્વાસન પણ આ સ્થાને જ મળવું જેઈએ.

વિદ્યા૦- “ધર્મભવનનો હેતુ જીવતાં સ્વર્ગ આપવાનો જ છે યોગાસન આગળ શ્રીકૃષ્ણનો ઉપદેશ છે–

"कर्मण्येवाधिकारस्ते मा फलेषु कथंचन ॥"

“આ ઉપદેશ સર્વે ક્રિયાઓને કાળે સ્વસ્થતા અને આશ્વાસન આપે છે. મનુષ્યદેહભવનમાં જઈ મહારાજ સર્વ અવસ્થાઓ માટે તત્પર ર્‌હે છે. ચક્રવર્તી ભવનમાં જઈ રાજ્યધર્મના સહાયરૂપ સરકારને દેખે છે અને સરકારના વર્તનમાં દોષ હોય તેનો અન્યભવનમાં વિચાર કરી, આ કાઉન્સિલ હોલમાં સિદ્ધાંત ઉપર આવે છે અને તે પ્રમાણે નિર્વાહ કરવા મન્ત્રીઓને આજ્ઞા કરે, તે પછી ફળસબંધે પોતાનો અનધિકાર સ્વીકારી મનુષ્યદેહભવન અને મોક્ષભવનમાંથી આશ્વાસન અને સ્વસ્થતા પામે છે. ભૂતકાળના મહાત્માઓનું અનુભવમૂલક પણ ચમત્કાર ભરેલું બુદ્ધિજ્યોતિ પ્રત્યક્ષ કરી તદ્રુપ થવાનો ઉત્સાહ અહીં મહારાજ સપક્ષ કરે છે, અને ભવિષ્ય માટે સંભારનો સંગ્રહ કરે છે. Here His Highness provides kindergarten to study what Bacon called The Wisdom of the Ancients, and here we also lay the germs for the evolution of a brighter, benigner, future for our State and Subjects.

વીરરાવ– મ્હારો કઠોર વિનોદ જતો રહ્યો અને, પ્રધાનજી, હું પણ તમારી વાતનો વધારે વિચાર કરતાં વધારે આશ્વાસન પામું છું. It is true, your Highness, what the Pradhanji says. It is of no use leading a fidgety life and be mourning and grumbling over things over which we have no control.

ચંદ્રકાંત– મહારાજ, માળાનાજ જપનો જે સામાન્ય મનુષ્યને ઉપયોગ છે એવી જાતનો પણ એથી અનેકધા ઉચ્ચ આશ્વાસક અને પવિત્ર ઉપયોગ આ અનેક ભવનેનાં આસનોના વિચારની આવૃત્તિથી થાય છે. શોધ, ઉપદેશગ્રહણ, અનુભવ, વિધા, બુદ્ધિ, નીતિ, શાસ્ત્રો, પુસ્તકો, વિચાર, અને ક્રિયાવડે યથાશક્તિ પ્રયત્ન કરી પ્રજાનું કલ્યાણ આપ કરી શકશો. અને કોઈ વાતમાં તેનું કલ્યાણ નહી કરી શકો તો પણ તેમ કરવાને આપનો પોતાનો પ્રયત્ન સંપૂર્ણ થયો એટલે બાકીનાં પરિણામ માટે આપને હાથે કાંઈ બાકી ર્‌હેતું નથી. એટલાથી આપની કૃતકૃત્યતા છે.

વીર૦- My friend is practically blessing your Highness without seeming to do so. It is a political way of doing it, but I do not complain of it after this day's explanations of politics, I too tender unqualified apologies for the vagaries of my ધૃષ્ટદ્યુમ્ન and join in blessing your Highness openly and definitely though in less refined terms.

ચંદ્ર૦- મહારાજ, આપને અમારે માટે આજે ઘણે શ્રમ પ્હોચ્યો છે. આપની સુજનતા તો સુપ્રસિદ્ધ છે જ. પણ આજે આ મહાભવનમાં આપના ઉચ્ચગ્રાહનું દર્શન પામી અમે આપના ઉપર કંઈ અન્ય પ્રીતિ જ અનુભવીયે છીએ.

વીર૦– I say “ Ditto” to all that has fallen from my friend's lips.

મણિ૦- વીરરાવજી, રાજદેહનાં દર્શન મનુષ્યદેહવાળાને જેટલાં દુર્લભ નથી એટલા મનુષ્યદેહના સંચાર અને વ્યવહાર રાજદેહવાળાને દુર્લભ છે. આથી આપનાં જેવા સાક્ષરોના વિચારઆચારનું દર્શન કરવા મને ઘણી આતુરતા ર્‌હે છે. અંતઃકરણ અને મુખનાં દ્વાર તમારાં કુટુમ્બ આગળ ઉધાડાં રાખો તેમજ મ્હારી પાસે ઉઘાડોછો, તે મ્હારા મનને નવું જ દર્શન છે અને નવો જ આનંદ આપે છે.

વીર૦– મ્હારે ક્‌હેવું જોઈએ કે આપના જેવા ઉચ્ચગ્રાહ ઘણાક રાજાઓ રાખી શકે તો શંકરશર્મા અને પ્રવીણદાસનાં સ્વપ્ન કંઈક અંશે ખરાં પડે અને ઇંગ્રજને હાથે દેશી રાજસ્થાનનો નવો ઉદ્ધાર થાય.

શંકર૦– વીરરાવજી આટલું સ્વીકારે તે આ રાજ્યને ઓછું આશાજનક નથી.

ચંદ્ર૦– મહારાજ, બીજા રાજા આપના જેવા થાય કે ન થાય, પણ આપ તો ખરો રાજધર્મ યથાશક્તિ પાળવા પ્રવૃત્ત છો, અને આપનો ધર્મ આપની ઉચિત પ્રવૃત્તિથી જ સમાપ્ત થાય છે તો તે પછી જગત ઉંધું ચતું થાય તેની સાથે આપને લેવા દેવા નથી. આપની આશાઓ, ઉત્સાહ, અને સ્વસ્થતા - એ સર્વ જોઈએ તેટલાં છે. જે બોધ, અનુભવ, અને ક્રિયાને આપ શોધો છો તે શોધ આ મહાભવનથી સફળ થશે એટલે દેશી રાજ્યમાં રાજ્યનયથી – True Statesmanship - થી જેટલું થઈ શકે તેટલું થશે. તે થયું એટલે આપે પોતાને કૃતકૃત્ય જ માનવા, વિશેષ તો પ્રધાનજી ક્‌હે તે ખરું.

વિધા૦- વિશેષ એ કે ભોજનકાળ થયો છે એટલે હવે સર્વ તે કાળનો ધર્મ સાચવવા પ્રવૃત્તિ કરીયે.

સર્વ વેરાયા. મણિરાજનો અંતઃખેદ અતિથિઓનાં છેલ્લાં વચનથી નષ્ટ થયો.