સરસ્વતીચંદ્ર ભાગ ૪/યજમાન કે અતિથિ ? અથવા પુણ્યપાપમાં પણ પરાર્થબુદ્ધિની સત્તા.

વિકિસ્રોતમાંથી
← પિતામહપુરમાં આર્ય સંસારનાં પ્રતિબિમ્બ અને મણિમય સામગ્રીના સંપ્રસાદ. સરસ્વતીચંદ્ર ભાગ ૪
યજમાન કે અતિથિ ? અથવા પુણ્યપાપમાં પણ પરાર્થબુદ્ધિની સત્તા.
ગોવર્ધનરામ ત્રિપાઠી
સૂક્ષ્મ પ્રીતિની લોકયાત્રા. →


પ્રકરણ ૩૨.
યજમાન કે અતિથિ !
અથવા
પુણ્યપાપમાં પણ પરાર્થબુદ્ધિની સત્તા.


Thyself and thy belongings
Are not thine own so proper, as to waste
Thyself upon thy virtues, they on thee.
Heaven doth with us, as we with torches do,
Not light them for themselves ; for if our virtues
Did not go forth of us, 'twere all alike
As if we had them not. Spirits are not finely touch'd
But to fine issues ; nor Nature never lends
The smallest scruple of her excellence,
But, like a thrifty goddess, she determines
Herself the glory of a creditor–
Both thanks and use.
Shakespeare's Measure for Measure.


स्वार्थो यस्य परार्थ एव स पुमनिकः सतामग्रणी: ॥ પ્રકીર્ણ


તેમની નિદ્રા ઘણીવાર ટકી નહીં. ચૈત્રના શુક્લ પક્ષની એકાદશીની રાત્રિનો છેલો પ્રહર સામાન્ય મનુષ્યને શાન્ત નિદ્રા આપે તેણે કુમુદને જગાડી. જાગ્યા પછી સ્થૂલ સ્પર્શના સુખના સ્વપ્ને એની આંખોને થોડી વાર ઉઘડવા દીધી નહી અને ઉંઘવા અંતે પાછલી રાત્રે પાસેના કોઈ વૃક્ષમાં કોયલ ટૌકી ને તેની સાથે એનું હૃદય જાગ્યું, જાગતાની સાથે પોતાના ચરણસ્પર્શને સ્થાને પરિણામ પામેલા મોહક સ્પર્શનું ભાન આવ્યું. એ ભાન આવતાં એ એકલી એકલી મનમાં મુઝાઈ; મુઝવણ છુટતાં લજવાઈ; લજજા વિકસતાં સંકોચાઈ; સંકોચ પામતાં પામતાં ગભરાઈ; ગભરાતી ગભરાતી બ્હીની; બ્હીતી બ્હીતી પ્રિયચરણને દૂર કરી ઉઠી જવા ગઈ; ઉઠતા પ્હેલાં એ ચરણ જ્વરવાળા લાગ્યા; તેમાં જ્વર લાગતાં તેને મદનજ્વર કલ્પ્યો; તે કલ્પનાની સાથે દયા ને પ્રીતિની ધારાઓ છુટી; એ ધારાએાએ એને પાછી રસમાં ડુબાડી; રસે એને લલચાવી ને લોભાવી; લાલચે અને લોભે એને ઉઠતી અટકાવી ને આ સર્વ વિડમ્બનાનું કારણ નષ્ટ થતું થતું જીવ્યું. થયેલું સ્વપ્ન સાંભરતાં એ વિડમ્બના વધી. વિડંબના વધતાં સ્વપ્નનું સ્મરણ સવિશેષ થયું. સ્વપ્નના વિશિષ્ટ ભાગનું સ્મરણ થતાં માતા, પિતા, અને શ્વશુરજનની છબીઓ, સ્વપ્નને અંતે દીઠેલી હતી તે પ્રત્યક્ષ થઈ. તેમ થતાં એ ચમકી. ચમકતાં વાર જ સંપૂર્ણ જાગૃત થઈ પ્રિય ચરણને ધીમે રહી ઓટલા ઉપર સુવાડ્યા ને પોતે અંધારામાં દૂર જતી રહી, અને હજી નિદ્રામાં જ હોય તેમ ત્વરાથી એટલાથી બે હાથ છેટે નીચે ભોંય ઉપર અંચળાનું ઉશીકું કરી સુઈ ગઈ ને નિદ્રાવશ પણ થઈ.

મૃદુલ સ્પર્શનો અપરિચિત સરસ્વતીચંદ્ર કુમુદે નિદ્રાકાળે નિદ્રામાં રચેલી સ્પર્શસૃષ્ટિના ચમત્કારથી, સુષુપ્તિના સ્વપ્નને અંતે, જાગૃત સ્વપ્નમાં પડ્યો હતો અને એ સ્વપ્નકાળે અનેક તર્ક અને વિકારોના સુખાભિલાષમાં, જાગરણવાળું મનુષ્ય નિદ્રામાં ઘસડાય તેમ, અવશ અને અજ્ઞાત ઘસડાતો હતા. એ સ્વપ્નનું કારણ દૂર થતાં તે આમ ઘસડાતો મટ્યો ને સાવધાન થઈ બેઠો થયો. બેસીને ચાર પાસ તથા ઉંચે ને નીચે દૃષ્ટિ ફેરવવા લાગ્યો. અંધકારની પરિચિત થયલી આંખ અંધકારમાં પણ જોઈ શકવા લાગી ને થોડે છેટે નીચે સુતેલી કુમુદની શરીરાકૃતિ તેણે જોઈ “કોણ સુતું છે ? કુમુદસુંદરી?” એવું ક્‌હેવા જતો જતો અટક્યો અને એક હાથ હડપચીએ ને બીજો છાતી ઉપર મુકી ઇષ્ટ વિષય જોતો જોતો ઉભો રહ્યો; ન ચાલ્યો, ન બેઠો. બ્હારના આકાશમાં એક પાસથી અંધકાર ને એક પાસથી તારા ચમકતા હતા તેમ આના મસ્તિકમાં એક પાસથી સુખાભિલાષની વાસના સર્વવ્યાપિની થઈ ખડી થઈ ગઈ તો બીજી પાસથી જ્ઞાન-પ્રકાશના વિચાર પણ એ અંધકારને માથે ચમકારા કરવા લાગ્યા. એના પગના ઘસારાથી શ્વાનનિદ્રાને ભોગવતી કુમુદ જાગી, ને ઓટલા પાછળના આકાશના તારાના પ્રકાશની અને પોતાની વચ્ચે કુમુદે સરસ્વતીચંદ્રની છાયા ઉભી દીઠી તો તે જ ક્ષણે વિચારના તારાઓએ એ છાયાના માનસિક અન્ધકારવચ્ચે વિશુદ્ધિની દીવાસળી સળગાવી આ ભાગ્યશાળી પુરુષને દેખતો કર્યો ને આંખો ચોળતો ચોળતો તે તરત ઓટલા ઉપર બેઠો ને “ શું કરવું ! શો ધર્મ પ્રાપ્ત થાય છે ?” એ પ્રશ્નોના વિચારમાં પડ્યો ત્યાં વિકાર વિસ્મૃતિને વશ થઈ શાંત થઈ ગયા. “કુમુદસુંદરી ! તમે અંહી સુતાં છો ? તમે જાગો છો?” “સરસ્વતીચંદ્ર ! કેમ બેઠા છો ? નિદ્રા નથી આવતી ?” એમ બે જણનાં મુખમાંથી સામાસામી પ્રશ્નો સાથેલાગા નીકળ્યા. કુમુદ પણ બેઠી થઈ.

“વસન્તગુફામાં પ્હેલી રાત્રે એકલી પડી એટલે આપના વિચાર થવા લાગ્યા ને નિદ્રા ન આવતાં અંહી આવી.” સરસ્વતીચંદ્રનો ઉત્તર નીકળતા પ્હેલાં કુમુદે બોલવાનો આરંભ કર્યો ને એ આરંભને અવકાશ આપવા પુરુષે પોતાના શબ્દ કંઠમાં રોકી દીધા.

સર૦– તમે આ ઓટલા ઉપર બેઠાં હતાં ?

કુમુદ શરમાઈને ગુંચવાઈ પણ અંતે બોલવાની છાતી ચલાવી.

“હા. પ્રથમ તો આપના શરીરમાં મ્હેં જ્વર જાણ્યો હતો તે ચિન્તાએ અહીં મોકલી અને એ ચિન્તામાંથી આપના શરીરની ખરી સ્થિતિ જાણવા સ્પર્શ વિના અન્ય માર્ગ ન્હોતો. અનેક વિચાર કરી આપના ચરણસ્પર્શથી એ કાર્ય પણ સધાશે ને હું પવિત્ર પણ થઈશ એવા વિચારથી આપના ચરણને ખોળામાં રાખી હું બેઠી ને બેસતામાં જ નિદ્રા પ્રાપ્ત થઈ. તેમાંથી જાગતાં હું દૂર ખસી અંહી સુતી ને અંહી પણ નિદ્રાવશ હતી તે આપના પગના ઘસારાથી જાગી ઉઠી.”

સર૦– તમારી નિદ્રામાં મ્હેં ભંગ પાડ્યો ખરો?

કુમુદ૦– જેણે આજ સ્વસ્થનિદ્રાનું સ્વરૂપ મને દેખાડ્યું તેને તે સ્વરૂપમાં ભાત પાડવાનો પણ અધિકાર છે.

સર૦– તમારો વિશુદ્ધ લાભ મ્હારા ચરણના સ્પર્શથી દૂષિત થયો.

કુમુદ૦- પવિત્રતા અને દૂષિતતાના સ્વભાવ મનની સ્થિતિ પ્રમાણે બંધાય છે. નિદ્રાને વશ થઈ જવાથી મ્હેં મ્હારા ને આપના વિશુદ્ધ લાભને ચલિત કર્યો છે. મ્હારી તે નિદ્રાનો જ ભંગ થયો હશે પણ આપના તો તપનો પણ ભંગ મ્હારાથી થઈ ગયો હશે. હું તો ભાગ્યથી જ દૂષિત છું ને આપને તો મ્હેં પોતે દૂષિત કર્યા.

સર૦- તમને સર્વ અધિકાર મ્હેં સોંપી જ દીધા છે. તમારા હૃદયની જે વાસનાની તૃપ્તિ શોધશે તે મ્હારા ભાગ્યમાંથી તમારે તમારી જાતે લેઈ લેવાનો અધિકાર તમને મ્હારું હૃદય સોંપે છે, કારણ તે વિધિથી જ મ્હારું પ્રાયશ્ચિત્ત છે.

કુમુદ૦- આપ હવે પ્રાયશ્ચિત્તની કથા જવા દ્યો – તે વસ્તુના નામશ્રવણથી જ હું કમ્પું છું. સર૦– હું તેમ કરવા પણ તત્પર છું.

કુમુદ૦– મ્હારા રસ અને ધર્મ વિચારવાનું કાલ મ્હારા ઉપર આપે રાખ્યું હતું તે વિચારનાં સાધન મને સ્પષ્ટ કરો એવો મ્હારા મનમાં અભિલાષ છે.

સર૦– તમે પ્રશ્ન કરશો તેમ તેમ તે સિદ્ધ થશે.

કુમુદ૦- આપ મ્હારું આતિથેય કરે છો–

સર૦– તમે મ્હારું આતિથેય કરો છો તેવું હું તમારું કરું છું.

કુમુદ૦- આપણા બેમાં યજમાન કોણ ને અતિથિ કોણ ?

સર૦– મ્હારે મન તમે અતિથિ ને તમારે મન હું.

કુમુદ૦– પ્રીતિયજ્ઞમાં પણ તેમ થાય છે ?

સર૦–ના. તેમાં તો બે હૃદયનું અદ્વૈત હોય છે. સામાસામી દર્પણ મુક્યાં હોય ત્યારે એકમાં પડતું પ્રતિબિમ્બ તરત જ બીજામાં પડે અને તે પાછું પ્હેલામાં પડે અને એ રીતે અનેક પ્રતિબિમ્બ આ બે દર્પણમાં નવી સૃષ્ટિ રચે છે એવા જ વિધિથી પ્રીતિબદ્ધ દમ્પતીઓનાં હૃદયમાં વિચાર અને અભિલાષ અદ્વૈત પામી રચાય ત્યારે તેમાંથી જે ક્રિયા ઉદ્ભવ પામે તેની જ્વાલાઓથી અદ્વૈત યજ્ઞ રચાય છે.

કુમુદ૦- આપણું એવું અદ્વૈત રચાવામાં કંઈ બાધ છે ?

સર૦– તે અદ્વૈત મનુષ્યનું રચ્યું રચાતું નથી; એનો પ્રભવ તે ઈશ્વરની ઇચ્છામાં છે.

કુમુદ૦– મ્હારા અભિલાષ આપણા બેના કલ્યાણને જ શોધે છે, ને સુખવાસનાનો તિરસ્કાર કરે છે; પણ વાસના જાતેજ છુટતી નથી.

સર૦– આવી વાસનાઓ બે પાસના અદ્વૈતયજ્ઞથી જ છુટે છે, જિવ્હા ઉપર શર્કરાનો સ્પર્શ થતાં જ જિવ્હા દ્રવે ને આસ્વાદ્ય વસ્તુને મૃદુ કરી જઠરાગ્નિમાં હોમે તે તેનો સ્વભાવ છે; આ પરિણામ અનિવાર્ય છે. પણ જિવ્હામાં લાલસા હોય નહીં ને શર્કરા આપનાર હાથ સંકુચિત રહે ત્યારે ઉભયનાં બે કાર્ય એક પન્થ થાય છે.

કુમુદ૦-આ વસ્તુ એવી છે કે તેની વાત કરતાં કરતાં લાલસા દારુના ઢગલા પેઠે સળગી ઉઠે છે ને વાત કર્યા વિના તે એક હૃદય બીજા પાસે ઉઘડી શકતું નથી. લાલસાનો નાશ કરવાની લાલસાને માટે પણ હૃદય ઉઘડે ત્યારે વાત થાય. સર૦– કેટલીક લાલસાઓ મૌનથી પણ તૃપ્ત કરાય છે. બે પ્રવાસીઓ જંગલમાં પ્રવાસે સાથે સાથે નીકળે. તેમને સામે ચોર મળે ત્યારે બેયે પ્રવાસીયોને ભય લાગે. એ ભયની વાત એક પ્રવાસી બીજાને કરે, ત્યારે આ બીજાનામાં ભય ન હોય તો ઉત્પન્ન થાય, અને બીજાને ભય થયું હોય તો તેનું ગુપ્ત ભય, આવા સાથીને પણ ભય લાગતું જાણી, વધે. પરસ્પરનાં હૃદય ઉઘડવાથી આ બે જણનું ભય વધે અને ઉભયનાં મન નિર્બળ થાય. તેને સટે આ બે જણ પોતપોતાનું ભય પોતાના મનમાં રાખે ને બ્હારથી હીમત દેખાડે તો એ બીજાને હીમત આવે અને તેમ કરતાં પ્હેલાને પણ હીમત આવે – મૌનથી જેમ આ બે જણ બેના હૃદયનું ભય નષ્ટ કરે છે, તેમ સ્ત્રીપુરુષ પોતપોતાની લાલસાઓને પોતાના હૃદય૫ટમાં ગુપ્ત રાખે ને હૃદયના એટલા ભાગને ઉઘાડે નહી તે ઉભયની લાલસાઓ, તેલ વગરના દીવા પેઠે, ધીમે ધીમે જાતે જ ક્ષીણ થઈ જાય છે.

કુમુદ૦- લાલસા, તૃપ્ત થવાની અનુકૂળતાના ભાનથી જ, વધે છે.

સર૦- એ ભાન ભયંકર છે ખરું.

કુમુદ૦- પ્રારબ્ધયોગે તે ભય પ્રાપ્ત થાય તો શો ઉપાય ?

સર૦– એક પ્રારબ્ધયોગનો પ્રતીકાર બીજા પ્રારબ્ધ યોગથી જ બની શકે - ઈશ્વરની કૃપાથી જ થાય - મનુષ્યનો અહંકાર આવા વિષયમાં વૃથા દમ્ભ જ સમજવો.

કુમુદ૦- એ તે સત્ય જ છે. પણ આવે પ્રસંગે મનુષ્યના હાથમાં યથાશક્તિ વાપરવાનું શસ્ત્ર કયું ?

સર૦- વિષયની વિસ્મૃતિ, સંકલ્પનો સંકોચ, સદ્વિચારનો ઉદય, અને નિશ્ચયની સ્મૃતિ - એટલી સંપત્તિથી મનની લાલસા હઠે છે તો ખરી, બાકી તેના નાશનો ઉપાય તો સૂક્ષ્મ શરીરની સંપૂર્ણ સંસિદ્ધિ જ છે.

કુમુદ૦- જેમ લાલસા એકદમ સળગી ઉઠે છે તેમ એકદમ શાંત પણ થતી નહી હોય ?

સર૦- પવન અગ્નિના ભડકાને વધારે છે તેમ હોલવી પણ નાંખે છે. જેને ઇષ્ટ ગણી લાલસા રાખીયે છીયે તેમાં કોઈ વિચિત્ર દોષનું નવું અણધાર્યું દર્શન એ લાલસાની વાન્તિ કરાવી દે છે. તે જ રીતે વિવેકની વિસ્મૃતિથી જ્ઞાનીને મોહ થયો હોય તો તે વિવેકની જ સ્મૃતિના ચમકારાની સાથે એ મોહ ઉતરી જાય છે.

કુમુદ૦- આ વાસનાનું જાળ ઈશ્વરે શા માટે પ્રવર્તાવ્યું હશે? એ જાળ આખા સંસારને વ્યર્થ ઉંચો નીચો કરતી દેખાય છે. એનાં સુખ પણ ખોટાં ને દુ:ખ પણ ખોટાં.

સર૦– સુખ દુ:ખ ખોટાં છે તે તો એમજ. પણ ઈશ્વરની રચનાઓ સાધ્યસાધનભાવ વિનાની હોતી નથી.

કુમુદ૦– વાસનાઓ તો અનંત દુઃખની જ સાધક છે ને એમનો તો નાશ જ ઘટે.

સર૦– તમે આ ઓટલે આવી પાસે બેસો - હું સમજાવું કે વાસનાનો પણ ઉપયેાગ છે.

કુમુદ૦-ના, હું તો નીચે બેઠી જ સારી છું. ઘૃત આગળથી વન્હિ દૂર રાખ્યો જ સારો.

સર૦- એ વાત પણ ખરી ને એ વાત તમે જ મ્હારા સ્મરણમાં આણી તેથી મને હવે તમારી નિર્વાસનાનું બીજ દેખાય છે. કુમુદસુન્દરી ! વાસનાના નાશનો હેતુ તમે યથાર્થ સમજ્યાં છો તો તેને માટે શક્તિ પણ ઈશ્વર આપશે. તો હવે વાસનાનું ફળ સાંભળો. જડ પદાર્થને જ્ઞાન કે વાસના કંઈ નથી તો પણ જડ ધર્મના નિયમ પાળી તેમની સૃષ્ટિ ટકી રહીછે ને ચાલી રહી છે. પશુપક્ષિઓમાં ને કૃમિઆદિમાં પ્રત્યક્ષદૃષ્ટિનાં જ્ઞાન ને વાસના છે તેથી તેમનાં સ્થૂલ શરીરનાં રક્ષણ થાય છે તેમ તેમની ભિન્નભિન્ન જાતિઓ ભોજન પામે છે. મનુષ્ય જાતિ પણ જંગલી દશામાં એવી જ સ્થિતિમાં હોય છે ને પરિપાકક્રમે કાળે કરીને તેની બુદ્ધિ અને વાસનાઓ પરોક્ષ વસ્તુઓનું ગ્રહણ કરે છે. આટલા ભેદના પ્રમાણમાં મનુષ્યની સ્થૂલ બુદ્ધિ અને વાસનાઓ સૂક્ષ્મ થતી જાય છે, અને શુદ્ધ જ્ઞાનનો ઉદય આવી પરોક્ષગ્રાહિણી બુદ્ધિમાંથી થાય છે તેમ શુદ્ધ ધર્મનો ઉદય મનુષ્યોમાં આવી સૂક્ષ્મ થતી વાસનાઓમાંથી પ્રકટ થાય છે. અન્ય પ્રાણીઓને વાસનાઓ છે ને સુખદુ:ખના ઉદ્દેશવાળી અપેક્ષાઓ છે તે અપેક્ષાવાળી સૃષ્ટિના પોષણ માટે મનુષ્યોમાંથી કેટલાંકમાં ધર્મબુદ્ધિ ઉદય પામે છે. જે એવી સૃષ્ટિ હોય નહી તો સર્વ જ્ઞાની હોય કે જડ હોય, ને જડપ્રતિ જેમ ધર્મ છે જ નહી તેમ જ્ઞાની પુરુષો કોઈના આતિથેયના યજમાન થવા ઇચ્છતા જ નથી. ચર્મચક્ષુને પરોક્ષ ર્‌હેતા ધર્મ જ્ઞાનીને પ્રત્યક્ષ થાય છે ને એ ધર્મથી જગતની વ્યવસ્થાઓનું પોષણ થાય છે તે જ ધર્મને સ્થાને ધર્મના ઉદય પ્હેલાં અજ્ઞાનીમાં ઇશ્વર વાસનાઓ મુકે છે તે એજ વ્યવસ્થાના પોષણને માટે, એવી વાસનાઓ ન હોય તો માતાપિતા પોતાની પ્રજાનું પોષણુ શું કરવા કરે ? બાળકની અનાથ દશાના પોષણયોગ્ય વાસનાઓ સ્ત્રીના હૃદયમાં ધાવણની સાથે જ જન્મે છે ને આ કઠોર કર્કશ સંસારમાં તે બાળકને સનાથ કરે છે. સ્ત્રીપુરુષની વાસનાઓ પણ એમજ તેમનાં મર્મસ્થાનનું પોષણ કરે છે. કામશાસ્ત્રમાં કામને આહાર – સધર્મ ગણેલા છે, શરીરસ્થિતિના હેતુ ગણેલા છે. સ્થૂલદૃષ્ટિથી આ વાત મનુષ્યની વ્યક્તિયોને ઉદ્દેશી કહેલી લાગે છે, અને તેમ કંઈક છે પણ ખરું; પણ પ્રધાન પક્ષે તેમ નથી. એ વાક્ય તો મનુષ્યલોકની સમષ્ટિને ઉદ્દેશે છે. જેમ વ્યતિયોના આહારથી આ સમષ્ટિસંસારનાં શરીર પોષણ પામે છે તેમ જ વ્યક્તિયો કામસેવન કરે તો લોકસંખ્યાનાં શરીરની સંખ્યાનું ને સ્થિતિનું પોષણ થાય; માટે સમષ્ટિને કામ આહાર- સધર્મ છે ને તેનો દ્વેષ લોકનાશક છે. પણ સંસારના અનેક પ્રસંગોએ ઉપવાસથી વ્યક્તિ પોતાનું ને સંસારનું કલ્યાણ કરી શકે છે તેવું જ કલ્યાણ કામના ત્યાગથી થાય તો ત્યાગ ધર્મરૂપ થાય છે.

કુમુદ૦– જો ક્ષુધા અને તૃષા જેવી એ વાસનાઓ સંસારને માટે કલ્યાણકારક હોય તો પછી તેમાંનાં સુખદુ:ખના ભયથી તેમનો નાશ કરવો તે અનુચિત નથી ?

સર૦– વાસનાઓની ઉપમા ક્ષુધા અને તૃષ્ણા સાથે નથી, પણ જ્ઞાનેન્દ્રિયોની વૃત્તિયો સાથે છે. સુધા અને તૃષ્ણાનાં કારણ અને વિકાસ સર્વત્ર શક્તિરૂપ છે તે મનુષ્યથી અનિવાર્ય છે. સમુદ્રના ભરતી ઓટ પેઠે તેમનાં આકુંચન પ્રસારણ થયાં કરે છે ને સંસારની દૈનિક [૧] પ્રવૃત્તિસ્થિતિનાં એ કારણ છે. જ્ઞાનેન્દ્રિયો સ્વેચ્છાએ સ્વાનુકૂલ જ્ઞાનનું ગ્રહણ કરે છે ને એ જ્ઞાનમાંનો રસ ચાખી તેના અમુક પ્રકારની લાલસા રાખે છે. કણેન્દ્રિય શબ્દજ્ઞાનના ગાનસ્વરૂપની, નાસેન્દ્રિય ગન્યધજ્ઞાનના સૌગાન્ધિકની, ચક્ષુ સુન્દર રૂપાકારની, અને જિવ્હા સ્વાદની, લાલસા રાખતાં આમ શીખે છે, એ શબ્દજ્ઞાનાદિ વિષયના ગ્રહણ સાથે અંત:કરણની વૃત્તિના સંયોગથી આવી લાલસાઓ મનુષ્યને કોઈ નવી સૃષ્ટિમાં પ્રેરે છે. આમ આ ઈન્દ્રિયોદ્વારા આવેલા કંઈ કંઈ જ્ઞાન- વિશેષનું અંત:કરણ ચર્વિતચર્વણ કરે છે ને તે ચર્વિત વિષય અંત:કરણમાં ગર્ભપેઠે સ્પન્દમાન થાય છે ત્યાં એ ગર્ભની માતા જેવી અંતઃકરણની પોતાનીજ કોઈક વૃત્તિ તેને પ્રીતિથી પોષે છે ને અપૂર્વ સ્તન્યપાન આપે છે આ પ્રીતિ, આ સ્તન્ય – તે અંતઃકરણમાંથી વાસનારૂપે આ ગર્ભ- વિષયના ઉપર દ્રવે છે - વર્ષે છે. આ વૃત્તિ તો આ વાસનાઓનું રસનેન્દ્રિય છે


  1. ૧. દૈનિક = રોજનું, દરેક દિવસનું.

અને જિવ્હા ઉપર અન્ન દેખી આવતા અમીરસ પેઠે આ વૃત્તિમાં વિષય ચિન્તનથી આ વાસના – આ રસલાલસા – વિકાસ પામે છે. પણ તે લાલસાએાની પ્રવૃત્તિ નદીઓનાં પૂર જેવી છે, સેતુ બાંધી મર્યાદામાં રખાય છે, એમના પૂરનો અશિષ્ટ માર્ગેથી વ્યભિચાર ૧[૧] કરાવી પરીવાહ [૨]પણ થાય છે, અને દીર્ધદૃષ્ટિવાળાં મેધાવી મનુષ્ય તેની ઉત્પત્તિને જ અટકાવે છે. આ વાસનાઓનાં કારણ નિવાર્ય છે, તેમની ગતિ રોકી શકાય છે, ને તેમના માર્ગમાં મર્યાદા મુકી શકાય છે. જ્ઞાન અને રસ ઉભયમાં આવી સ્વાધીનતા છે, અને સ્વાધીનતા છે માટે જ તેને સ્વાધીન રાખવાના અને તેને અધીન થવાના ધર્મ પ્રત્યક્ષ થાય છે. જેમ તરવારથી સજજનનું રક્ષણ પણ થાય છે ને હત્યા પણ થાય છે તેમ આ વાસનાઓથી સંસારની વ્યવસ્થાઓ ઘડાય છે પણ ખરી ને ભગાય છે પણ ખરી. એ વ્યવસ્થા બગડે તો માર્ગે જનારે વાસનાનો નિરોધ કરવાનો ધર્મ છે ને એ વ્યવસ્થા સુધરે ત્યાં વાસનાનું પોષણ ધર્મ છે. બીજે સ્થાને ગુણદોષનો પ્રસંગ નથી એટલે ધર્માધર્મનો વિચાર પ્રાપ્ત જ થતો નથી ને મનુષ્યની સ્વેચ્છા જ ત્યાં સ્વતંત્ર છે, જ્યાં તેની સ્વેચ્છાને આવી સ્વતંત્રતા નથી છતાં તેની ગતિનો નિરોધ પણ નથી ત્યાં ધર્મનું બન્ધન છે ને તે બન્ધનનો તિરસ્કાર કરવો તે જ પાપ.

કુમુદ૦– દમ્પતીની વાસનાઓમાં સ્વેચ્છાની જ મર્યાદા હશે કે અન્ય મર્યાદાઓ પણ હશે? તેમના નિરોધનો પ્રસંગ કયારે આવે ?

સર૦– શાસ્ત્રકારોએ તેમાં પણ એકાદશી, અનધ્યાય, અને અનુદ્યોગના [૩] જેવી વ્યવસ્થાઓ રાખી છે ને વ્યવહારમાં પણ શાણાં મનુષ્યો તેને રાખે છે. સાધુજનો જેને સૂક્ષ્મ પ્રીતિ ક્‌હે છે તેની સામગ્રી તે જ્વાલામુખી પર્વતનાં ગૂઢ શિખરો જેવી યુગના યુગ સુધી રહી શકે છે ને એ શિખરોના અંતભાગમાં ગૂઢ પરિપાક પામી આપણે જાણીયે નહી તેવે પ્રસંગે શિખરો તોડી એ પ્રીતિ બ્હાર ભભુકી નીકળે છે ને આપણને તેની નવી અજ્ઞાત અનિવાર્ય રેલાતી સૃષ્ટિમાં ડુબાડે છે. તેની વ્યવસ્થા કે ગતિ આપણા હાથમાં નથી ત્યારે સંસાર જેને પ્રીતિ ક્‌હે છે પણ સત્ય જોતાં જે આવી સ્થૂલ વાસનાઓ જ છે તેની સ્થૂલ વ્યવસ્થા સાધુજનોનાં સૂક્ષ્મ શરીરરૂપ જ્યોતિના તાપથી, ને રંગથી, ને પ્રકાશની શક્તિથી કરીયે તેવી થઈ શકે છે.


  1. . પોતાનો માર્ગ છોડી બીજે પ્રવર્તવું તે.
  2. ર. રેલ અને પૂર આવતાં તેના પાણીને જવાને કરી આપીયે તે માર્ગ, કાંસ.
  3. ૩. “ અણુજો.”

કુમુદ૦– સાધુજનો પ્રીતિને જ લગ્નનું કારણ માને છે ને આપણા લોકમાં શું મનાય છે તે તો સમજાતું નથી. જે સાધુજનોની બુદ્ધિ યથાર્થ હોય તે વિવાહના સપ્તપદી આદિના વિધિને શા માટે આવશ્યક ગણ્યા હશે ? જો આપણા લોકની બુદ્ધિ યથાર્થ હોય તો તો સંવનન ને પરિશીલનમાં જ અનીતિનો દોષ રોપાય. જો સાધુજનોની બુદ્ધિ યથાર્થ હોય તો આપણા લોકનાં લગ્નમાત્ર અનીતિરૂપ છે ને તેમ પરણેલાં દમ્પતી છુટાં પડે ને સ્વેચ્છાએ નવા પ્રીતિયજ્ઞ માંડે તે ધર્મ થાય. સાધુજનોમાં વિવાહના વિધિ શા માટે રૂઢ થયા હશે અને સંસારીયોમાં વિવાહ જાતેજ શા માટે થતા હશે તે સમજાતું નથી. એવા વિવાહ વિના દમ્પતી દમ્પતી થાય તો તેમની વાસનાઓનો નિરોધ ઘટે કે નહી ને ઘટે તો શા માટે ?

સર૦– વિશ્વકર્તાની સર્વ રચનાઓમાં વ્યવસ્થા હોય છે ને મનુષ્ય- સૃષ્ટિની કેટલીક વ્યવસ્થાઓ મનુષ્યને નિમિત્ત કરી મનુષ્યને હાથે જ તે કરાવે છે અને કેટલીક વ્યવસ્થાઓ અન્ય નિમિત્તો દ્વારા કરાવે છે. ઈશ્વરની આ સર્વ વ્યવસ્થાઓ વચ્ચેથી પોતાના ધર્મ શેધી ક્‌હાડી સાધુજનો મનુષ્યોને માટે સર્વ દેશમાં ને સર્વ કાળમાં જે વ્યવસ્થા સાચવે છે તે સનાતન ધર્મની વ્યવસ્થાઓ છે, પણ પોતપોતાના દેશકાળની વિશેષ અવસ્થાઓને ઉદ્દેશી પૈઢ અને સમર્થ મનુષ્ય તે દેશકાળને માટે જે વિશેષ વ્યવસ્થાઓ રચે છે તે અલ્પકાલિક અને દૈશિક ધર્મની અંગભૂત થાય છે. આ વિશેષ-ધર્મની વ્યવસ્થા પણ લોકકલ્યાણના જ ઉદ્દેશ રાખે છે. સાધુજનોના સનાતન ધર્મના વિધિ, સનાતન છે, અને આરોગ્યવાળાં અંતઃકરણને માટે છે. આરોગ્યને સ્થાને કંઈ રોગ હોય ત્યારે તેને માટે વિશેષ ધર્મ રચાય છે ને જેમ જેમ પ્રજામાં આરોગ્ય આવતું જાય તેમ તેમ વિશેષ ધર્મનો ત્યાગ અને સનાતન ધર્મનો સ્વીકાર થાય છે. સનાતન ધર્મ આહાર જેવો છે; વિશેષધર્મ ઔષધ જેવા છે. ઔષધકાળે ઔષધ ને આહારકાળે આહાર રાખવાં એવી સનાતન ધર્મની જ વ્યવસ્થા છે. સંવનન અને પરિશીલન એ સનાતન ધર્મના વિધિ છે અને શુદ્ધ હૃદયના શુદ્ધ સંયોગથી હૃદયના ગાન્ધર્વ વિવાહ રચાય ત્યાં જ સનાતન વિવાહની પ્રતિજ્ઞાઓ બંધાઈ ચુકી સમજવી. વિવાહ એ આવી પ્રતિજ્ઞાના સાકાર લેખ જેવા વિધિ છે અને સૂક્ષ્મ શરીરોના સૂક્ષ્મ વિવાહનું સ્થૂલદૃષ્ટિને માટે પ્રત્યક્ષ મૂર્તરૂપ છે, સર્વ દેશના સાધુજનોએ આ વ્યવસ્થા સર્વના કલ્યાણને માટે બાંધી છે ને સ્વીકારી છે. વિવાહ સ્વીકારનાર સાધુદમ્પતી આ વિધિવ્યવસ્થાથી પોતાના પ્રીતિયજ્ઞનો આરંભ કાળ પ્રસિદ્ધ કરે છે અને તે યજ્ઞમાં ભંગ પડે એવાં કાર્યથી દૂર ર્‌હેવાની પ્રત્યક્ષ સૂચના લેવામાં, કૃષિકાર વર્ગનાં ક્ષેત્રની વાડો અને ગ્રામ તથા નગરો વચ્ચેના સીમના બાણ પેઠે, અન્ય સાધુજનો વિવાહની વરણવિધિને સંજ્ઞારૂપે આવશ્યક ગણે છે. સનાતન ધર્મના વિવાહનું કારણ પ્રીતિ છે ને ફળ પણ પ્રીતિ છે. સંસારની સુન્દરતા અને વૃદ્ધિ પણ એવી પ્રીતિથી જ છે, ને એ પ્રીતિ આટલી મર્યાદામાં હૃદયમાં રચાય તો સાધુજનો તેને વિશ્વકર્તાની વ્યવસ્થાનો અંશ ગણી સ્વીકારે છે. બાળકના સાદા શરીરમાં યૌવનકાળે નવાં અંગ અને નવી વ્યવસ્થાઓ થાય છે તેની પેઠે જ પ્રીતિ પણ નવું અંગ થાય છે ને જેમ નવાં સ્થૂલ અંગનો ત્યાગ નથી થતો તેમ પ્રીતિનો પણ નથી થતો. આ દેશમાં કોઈ કાળે પ્રીતિવૃક્ષના આ મૂળમાં ને થડમાં ને તેમને ઉગવાની ભૂમિમાં કંઈક મહાન્ રોગ જણાયાથી તે જાણનારાઓએ પ્રીતિવૃક્ષનાં બીજની અને ભૂમિની ઉપેક્ષા કરી છે, કેટલાક છોડ અને રોપાઓ ન્હાનાં કુંડાંમાં ઉપરથી રોપીયે છીયે ને કુંડાંની તળેની પડઘીને લીધે એ રોપા ભૂમિમાં પ્હોચતા નથી તેમ પ્રીતિનાં બીજને ભૂમિની ઉપેક્ષા કરનાર વ્યવસ્થાપકોએ, આ દેશમાં પ્રીતિના છોડ બાળવિવાહનાં કુંડામાં ઉપરથી રોપી, એ છોડનાં રક્ષણ ને પોષણ જેટલાં થઈ શકે તેટલામાં જ સંતોષ માનેલો છે, અને તેમણે દીઠેલા રોગના કરતાં આટલી વ્યવસ્થામાં ઓછી હાનિ ને વધારે લાભ ગણ્યો છે, કુમુદસુન્દરી ! આપણા લોકમાં વસીયે ત્યાં સુધી આપણું અને તેમનું કલ્યાણ તેમની વ્યવસ્થા પાળવામાં છે અને તે જ ધર્મ છે, આપણે એ લોકનો ત્યાગ પ્રાપ્ત થાય ને સાધુજનોનાં અંશભૂત થઈએ ત્યાંથી સાધુજનોના સનાતન ધર્મ આપણને પ્રાપ્ત થાય છે. આપણે તેમનાં અંશભૂત થયાં છીયે એવો, સર્વ સાધુજનોએ, આપણી પરીક્ષા કરી, નિર્ણય કર્યો છે- માટે આપણે તેમના સનાતન ધર્મનાં અધિકારી થયાં છીયે ને સંસારના લોકધર્મથી મુક્ત થયાં છીએ.

આટલું વચન નીકળતાં કુમુદસુંદરી એકદમ ઉઠી ને ઓટલા ઉપર સરસ્વતીચંદ્રથી કંઈક દૂર છતાં પાસે બેઠી ને બોલી.

“જો સદ્વિચારને અંતે તમે આ જ નિર્ણય ઉપર આવો છો તો આમ તમારી પાસે બેસવું એ જ મારો ધર્મ છે.”

સર૦– શા માટે ?

કુમુદ૦– જે વાસનામાં અધર્મ નથી તેની તૃપ્તિ એ જ શાન્તિ છે, ને દયા એ પણ એક વાસના છે. સર૦– તમે કોના ઉપર દયા આણો છો ?

કુમુદ૦– તમારા શરીરમાં જ્વર મ્હેં પ્રત્યક્ષ કરેલો છે ને તેનું ઔષધ કરવું એ યજમાનનો ધર્મ છે.

સરસ્વતીચંદ્ર હસી પડ્યો ને એક હાથ લાંબો કર્યો.

“તમે ઠગાયાં. જુવો મ્હારો હાથ - તે શીતળ છે કે ઉષ્ણ છે ?”

કુમુદસુન્દરી તે હાથ ઝાલી રહી.

“આ હાથ અત્યારે તો સ્વસ્થ, શાંત, ને શીતળ છે.- શું આશ્ચર્ય ? – રાત્રિયે તેમ ન હતું.”

સર૦– તમારો હાથ ઉષ્ણ છે-પણ અનુષ્ણ થવા લાગે છે.

કુમુદ૦- તમારો હાથ ઉષ્ણ થવા માંડે છે.

સર૦- કુમુદસુંદરી, મ્હારો હાથ મુકી દેશો એટલે પોછો અનુષ્ણ થઈ જશે ને તમારો તો થયો જ છે. આવાં ક્ષણિક કારણોથી, વીજળી પેઠે, ક્ષણમાં દૃષ્ટ અને ક્ષણમાં નષ્ટ થતા વિકારોને માટે દયા આણવી એ ધર્મ નથી. આપણી સતત વાસના તો કલ્યાણની છે, ક્ષણિક સુખની કે ક્ષણિક દુઃખના નાશની નથી.

હાથ મુકી દેતી દેતી કુમુદ બોલી.

“તમે સત્ય કહ્યું, મ્હારા સ્પર્શથી તમને જ્વર થાય છે ને એ સ્પર્શને અભાવે જ્વર શાંત થાય છે. મને તમારી દયા આવે છે ત્યારે મને એવો જ્વર આવે છે.”

સર૦– એ દયા અસ્થાને છે.

કુમુદ૦– તે અસ્થાને હો કે સ્થાને હો, તે ધર્મથી આવશ્યક હો કે ન હો, પણ તેમાં અધર્મ તો નથીજ ને ?

સરસ્વતીચંદ્ર વિચાર કરી બોલ્યો.

“તે પણ છે. કુમુદસુન્દરી ! લોકવ્યવસ્થાને માટે રાજા ધારા કરે તે પણ તેની આજ્ઞાઓનો સમૂહ છે. રાજાથી પરોક્ષ હઈએ, કોઈ દેખે નહી ને જાણે નહી એવું હોય, તો પણ આ આજ્ઞા અંતઃકરણથી પાળવી એ સર્વ સાધુજનોનો સનાતન ધર્મ છે ને લોકનું તેમ લોકવ્યવસ્થાનું કલ્યાણ પણ તેમાં છે.”

કુમુદ૦- રાજાની કેઈ આજ્ઞાનું ઉલ્લંઘન થવાનું આપણને ભય છે ? સર૦- તમારું વય એ આજ્ઞા પ્રમાણે બાળક છે, અજ્ઞાન છે - ત્યાં સુધી તમારું પ્રારબ્ધ તમારા હાથમાં નથી પણ તમારા પિતાના હાથમાં છે, તેમની સંમતિ વિના આ વયમાં આપણા સંસર્ગનો કે વિવાહનો રાજાજ્ઞાથી નિષેધ છે. પરિવ્રાજિકામદમાં કે ચન્દ્રાવલીમૈયા પાસે બે વર્ષ ર્‌હેશો તો તે પછી યોગ્ય વિધિથી વિહાર મઠમાં જવાને રાજાભણીનો પણ બાધ નહીં આવે. સંસારની કલ્યાણકર વ્યવસ્થા કરવી તે રાજાનો ધર્મ છે ને તે ધર્મને અનુવર્તી તેણે ધર્મબુદ્ધિથી કરેલી આજ્ઞાઓને સાધુજનો શિર ઉપર ચ્હડાવે છે. લોકવ્યવસ્થાને માટે ચિન્તા કરી રાજાએ કરેલી આજ્ઞાને નિષ્ફળ કરવી એ સાધુજનોના મનથી લોકનાં અકલ્યાણને અને અવ્યવસ્થાનો માર્ગ છે અને એ માર્ગ સાધુજનોએ વર્જ્ય છે. એટલા વિષયમાં ધર્મમૂર્તિ રાજાને ગુરુ ગણી आज्ञा गुरुणामविचारणीया એ પથ્ય નિયમનું સાધુજનો સેવન કરે છે.

કુમુદ૦– એ બાધની કથા તમે અત્યાર સુધી ભુલી ગયા હતા?

સર૦– ના, એ બાધ તમને નથી આવતો પણ મને એકલાને જ આવે છે. રાજાજ્ઞાનો અપરાધી હું થઈશ – તમે નહીં થાવ, એ અપરાધને માટે શિક્ષાપાત્ર હું થઈશ – તમે નહી થાવ. એ શિક્ષાને પ્રાયશ્ચિત્તરૂપ ગણી મ્હારા શિરપર વ્હોરી લેવા હું સજ્જ છું અને જ્યાં સુધી એ અપરાધ કરવાની વાસના હું રાખતો નથી પણ અન્ય ધર્મને બળે તેના પ્રસંગનો પ્રતીકાર કરી શકતો નથી ત્યાં સુધી, હું ઈશ્વરને ઘેર નિર્દોષ છું અને ઈશ્વરને ઘેર પણ તેથી મ્હારો અપરાધ હશે તો તેની શિક્ષા પણ મ્હારે પ્રાયશ્ચિત્તરૂપ જ છે, એ શિક્ષાની મને વાસના હતી અને તેથી મ્હેં તમને આ બાધની વાત કહી ન હતી. તે, તમારી કલ્યાણવાસના પ્રત્યક્ષ કરી એટલે, અને તમારા પ્રશ્નને સત્ય ઉત્તર આવશ્યક થયો એટલે, હવે મ્હેં કહી દીધી.

કુમુદ૦- આ શરીર છે ત્યાં સુધી આ દયા તો નષ્ટ થવાની નથી. કાલ રાત્રે તમે મને ત્રણ માર્ગ બતાવ્યા હતા તેમાંથી ચંદ્રાવલીમૈયા જેવા પ્રેરોક્ષવેદીના યજ્ઞ આપણે બે વર્ષ પાળીશું ને તે પછી પર્ણકુટીમાં ર્‌હેવું કે વિહારમાં ર્‌હેવું કે હાલની પેઠે રહેવું તેનો વિચાર બનશે તેટલો અા પઞ્ચ રાત્રિમાં કરીશું ને બાકીનો અવકાશે કરીશું. એ પરોક્ષવેદીને કાળે કેમ વર્ત્તવું તે પણ આ પઞ્ચ રાત્રિમાં જ વિચારીશું. બે વર્ષ થતા સુધી ને તેટલા કાળ માટે રાજ્યભયમાં તમારું શરીરરત્ન પડે એ કામ તો નહીજ કરું. સર૦- આપણે કલ્યાણમાર્ગે પ્રવર્તવું તે કેવળ આપણે માટે જ છે એમ નથી. જે રાજાજ્ઞા તોડવાનું આપણે ભય ગણીએ છીએ તેથી મને શિક્ષા થવાનું ભય મ્હારા હૃદયને કંઈ પણ સ્પર્શ નથી કરતું, પણ આ પરમપવિત્ર સાધુજનોની કીર્તિ અને સ્થિતિ ઉભયને આપણી પ્રવૃત્તિને લીધે રાજભયમાં અને લોકભયમાં આવી પડવું પડશે. તેમણે કરેલા આપણા અત્યંત આતિથેયનો આ બદલો દુષ્ટ થશે.

કુમુદ૦- પવિત્રતામાં પણ આમ પરમાર્થ દર્શાવી આપે મ્હારા હૃદયને અતિદૃઢ કર્યું, સાધુજનોને ભયમાં ન નાંખવાની વાસનાથી મ્હારી સર્વ વાસના ભસ્મ થઈ સમજો.

સર૦– પ્રભાત થવા લાગ્યો.

કુમુદ૦– સૃષ્ટિના પ્રભાત સાથે આપણો પણ પ્રભાત જ થાય છે.

સર૦– એ પ્રભાતની સૃષ્ટિ આપણે કેવી રચવી તેનો વિચાર તમને સેાંપું છું.

કુમુદ૦– તે યોગ્ય કરો છો. એ વિચાર ગૃહકાર્યના જેવો છે માટે મ્હારે જ કરવો ઘટે છે. મ્હારી સાથે આવેલાં સાધુજન ઉઠ્યાં હશે તેમને હું મળીશ ને આપના મંડળને આપ મળો. જે સાધુજનો આ સ્થાનમાં આપણને પ્રેરે છે તેમની ઈચ્છાને અનુકૂળ લાગશે તે કાળે હું પાછી આપની સેવામાં આવીશ ને હજી મ્હારે આપની પાસે જાણી લેવાનું છે કે આપ આયુષ્યશેષ કેમ ગાળવાના છો, આત્મહિત અને લોકહિત કેમ સાધવાના છો, અને હું તેમાં કેવી રીતે સાધનભૂત થઈ શકીશ. આ સર્વ વાત જાણી લેઈ પછી હું મ્હારે કરવાના વિચાર કરીશ. આપ જે બુદ્ધિ અને રસનાં પવિત્ર જ્યોતિને આપશો તેનું હું પૂર્ણ પ્રીતિથી પોષણ કરીશ. હવે આ કન્થાનું ધારણ કરો. હું આપની આજ્ઞા માગું છું.

આ સૂક્ષ્મપ્રીતિએ જોડેલી જોડ પળવાર છુટી પડી. કુમુદ પુલ ઉપર થઈ અદૃશ્ય થઈ અદૃશ્ય થતા પ્હેલાં, સ્થૂલશરીરને દૂર રાખનાર જીવોનાં સૂક્ષ્મ શરીરોની માત્ર દૃષ્ટિઓએ, વીદાયગીરીનું આલિંગન લેઈ લીધું.