સવિતા-સુંદરી/નિશ્ચય

વિકિસ્રોતમાંથી
← આશા ને નિરાશા સવિતા-સુંદરી
નિશ્ચય
ઇચ્છારામ દેસાઇ
૧૮૯૧
કુલીન જમાઈ →


પ્રકરણ ૫ મું.
નિશ્ચય.

કૈસી આફતિસોંદિન જાય.
નિધરક બૈઠી અકેલી ઘરમેં,
રોયં નાહિ અધાય,
સૂનો ગૃહ, સૂનો જગસિગરો,
સૂનો દેહલખાય.

[ રાવકૃષ્ણદેવશરણનો પ્રેમ સદેશો.

આશ્રય વૃક્ષના ભંગ થવાથી આશ્રીત લતાની જેવી દુરાવસ્થા થાય છે, તેવીજ, સવીતાશંકરના વડોદરા છોડવાની વાર્તા જાણવાથી સુંદરીના ચિતની અવસ્થા થઇ પડી છે. જો કે સવીતાશંકર સાથે તેને કદીપણ વાત થઇ નથી, તોપણ તેના જવાથી તેનું હૃદયસુન્ય, ગૃહસુન્ય, ને આ સઘળો સંસાર પણ સુન્યવત્ તેને જણાવા લાગ્યો. તે ભણેલી ગણેલી ને ડાહી હતી, તે જાણતી હતી કે ન્યાત્યાચાર પ્રમાણે તેનો પિતા તેને કોઇ કેહેવાતા કુલીન સાથે પરણાવશે, ને ત્યાં તેને નિરંતર દુઃખમાં દહાડા કાઢવા પડશે. તે જાણતી હતી કે તેની ન્યાતના ઘણા ખરા અક્ષરસુન્ય છે, ને ભૂખના પણ મૂર્ખ છે. તે જાણતી હતી કે સવીતાશંકર જેવા રૂપ ગુણ વિદ્યારત્ન તેની ન્યાતમાં વિરલા છે; ને જો કે તેની માતા ગુણવંતગવરીએ તેને કદી પણ એમ કહ્યું નહોતું કે તેનો વિવાહ સવીતાશંકર સાથે થશે, તો પણ તે જાણતી હતી કે તેની માતા, સ્વાત્મદુઃખાનુભવી છે તેથી તેનો વિવાહ યોગ્ય સત્પાત્ર વિદ્વાન સાથે કરવાને ચુકશે નહીં, ને સવીતાશંકર જેવો સત્પાત્ર ને વિદ્વાન બીજો ન્યાતમાં હમણા નથી તેથી વિશ્વાસ હતો કે આવા ઉત્તમને મુકીને તે કોઇ બીજાને પરણાવશે નહીં. પણ હવે તેના વિશ્વાસનું મૂળચ્છેદ થઇ ગયું છે. તે ઘણી ચિંતાતુર થઇ છે. પણ તે પોતાનો મનોભાવ બનતા સુધી છુપાવવાને ઘણું મંથન કરતી હતી; છતાં તે કોઇપણ પ્રકારે પોતાનું કાર્ય સિદ્ધ કરી શકી નહીં. તેના મનમાં આવ્યું કે આવા યોગ્યને પાને પડી હોઉં તેજ જન્મારે સફળ થશે એવું દ્રઢ ઠસ્યું હતું, તેથી સવીતાને જોવાને તે જેમ પહેલા ઓટલે જઈને બેસતી હતી તેમ પાછી બેસવા લાગી ખરી, પણ તેના બનેવીના ઘરમાં તે ભ્રમથી પણ જતી નહોતી. તે મનમાં પ્રભુની પ્રાર્થના કરતી હતી કે કોઈપણ પ્રકારે તેના લગ્ન સત્પાત્ર વિદ્વાન સાથે તેની માતા કરે. પણ તેના મોઢાની લાલાસ બે ત્રણ દિવસમાં ઉડી ગઇ, તેનું હસવું ઝટપટ ચાલ્યું ગયું, ને ત્રણ ચાર દિવસમાં તો તેનું વર્ણ મલિન થઇ ગયું ને શરીર સુકાઇ ગયું. તેના પિતાએ લખ્યું હતું કે તેઓ એક મહિનાની અંદર યેાગ્ય કુલીન ને સુપાત્ર જમાઇને લઇને વડોદરે આવી પહોચશે, પણ આજ વાત કરતા પાંચ માસ વિતિ ગયા, પણ તેઓએ પાછો પત્ર લખ્યો નહીં, તેમ કશા સમાચાર પણ કહાવ્યા નહીં. ગુણવંતગવરીને પણ ઘણી ચિંતા થઈ હતી, પણ તે બાપડી શું કરે ? તેના મનમાં તો ઘણુંએ હતું કે પુત્રીને યોગ્ય પતિ આપું, પણ જો તે કંઈ લાંબી ટુંકી કરે, ન્યાતિચાલથી વિરૂદ્ધ વર્તે તો ન્યાતવાળા ઘણા હેરાન કરે, ને તે ભયને લીધે તે પણ મૂઢ બની ગઈ હતી. સુંદરીના મોઢા કરતા તેનું મોઢું વધારે નિસ્તેજ થઈ ગયું હતું, ને કન્યાના દુ:ખથી તેનું દુ:ખ અધિક હતું. સુંદરીને કૃશાંગી જોઈને ગુણવંતગવરીને વધારે ચિંતા થઈ હતી. સવિતાશંકરને વડોદરેથી જવા દીધો તેને લીધે તેનું હૃદય આત્મગ્લાનિથી વધારે સંતાપ કરતું હતું. કેટલીકવાર તેણે સવિતાને પત્ર લખવાનો વિચાર કીધો, હાથમાં કાગળ કલમ લીધા, પણ પાછી ઉદાસ થઈને, વિચાર કરીને જેમની તેમ બેસતી હતી. જેને એકવાર નિરાશ મુખડે જવા દીધો તેને પાછું કયે મોઢે બોલાઉં ? પણ આ પ્રમાણે જ્યારે ચાર ને પાંચ મહીના વિતિ ગયા ત્યારે તે ધૈર્ય ધરી શકી નહીં.

આ રીતે મા દિકરી સંતાપમાં પડી ગયાં છે. સુંદરી તો ઈશ્વરપરજ વિશ્વાસ રાખીને બેઠી છે. તે હમણા સુકાઈને ઘણી કૃશ થઇ ગઇ છે. આજે આશ્વિન પૂર્ણિમાનો દિન છે. તે એકાંત ભુવનમાં બેઠી છે, ને નિશ્વાસ નાખ્યા કરે છે. તેના નેત્રમાંથી ડળક ડળક અશ્રુ પડે છે. તે મન સાથે, આંખમાંના અશ્રુ લુંછીને બોલી, “ રે! રે! મારા પિતા તો મારા સદાના શત્રુ છે, પણ મારી માતા પણ આજ તો મારી શત્રુ થઇ બેઠી છે. તે પણ કુલવાનને પસંદ કરે છે. તે મારો તો કશો પણ વિચાર કરતીજ નથી. રે કુળ, તારી વિશુદ્ધિજ ક્યાં છે? તારૂં તેજસ્વીપણું ક્યાં છે? ઓ ઈશ્વર! તું સહાય થા, હું તો તારે શરણે છું.

પદ-રાગ સોરઠ.* [૧]


કમળા ઉર ધરિ બાહુ પસારી,
કનકકુંડલ કાનનમે ધારી;
લલિત કલિત વનમાળા પહેરી,
જય દુ:ખહારિ દેવ હરી.

જયજય દિનમણી તેજ પ્રકાશક,
જયજયજયજય ભવભય નાશક;
મુનિમન માનસ જલજ વિહારી,
જય હરિ ગરૂડાસન મુરારી.

જય કાલિ વિષધર બળગંજન,
જય પ્રભુ મુજ જુવતી મનરંજન;
જદુકુળકમળ સુરદગ ખંજન,

જય જય હરિ કેશવ ભવભંજન.

  1. * જયદેવત ગીતગોવિંદની અષ્ઠપદીનું ભાષાંતર
જયજય સુરમધુ નરક વિદારક,

૫ન્નગપતિ ગામી જગતારક;
જયજય સુરકુળ સુખ વિસ્તારક,
જય હરિ દેવ ભક્ત ભયહારક.
જય જય અમળ કમળ દળ લોચન,
જયજય ભવપતિ ભવદેવમોચન;
જય ત્રિભુવનપતિ વ્રજત્રિય નાયક,
જયજય હરિ અધ દુ:ખ નસાયક.
જયજય જનકસુતાના ભૂષણ,
રણ જીત્યા ત્રિશિરા ખર દુષણ;
જયજય શ્રીહરિ રાવણ નાશક,
જયજયજય હરિ વિન્ન વિનાશક.
જયજય નવળ શ્યામવપુ સુંદર,
જય કુમુઠપૃષ્ઠ ગીરિધર મંદર;
શ્રીમુખ શશીરત રાસ વિહારી,
દીનાનાથ પે જાઉ બળહારી.
સદા છીએ તુજ૫ંકજ દાસ,
પુરે નિજ ભક્તજનની આશ;
નિત નિત કરે ભક્ત દુ:ખ નાશ,
ધર્યો તુજ ચરણનો વિશ્વાસ.
શ્રી જયદેવ રચિત મન ભાવ્યું,
મંગળ ઉજ્જવળ ગીત સુહાવ્યું;


મદનમૂર્તિ જે મનમાં રમી
તેને નવ રહેશે કંઇ કમી.

દોહરા.

વિઘ્ન વિદારક એ પ્રભુ, લો અનાથ સંભાળ;
માતપિતા વેરી હવા, ગણે ન નિજનું બાળ;
આવિ છું તારે આશરે, છે નવ દેતા નાથ;

ભક્તવછળ પ્રભુ રાખજે બાંહે ગ્રહ્યાની લાજ.

આ પ્રમાણે પ્રભૂપ્રાર્થનાએ સોચંતિને વિલપંતિ તે વિચારમાં પડી ગઇ છે, એટલામાં તેની માતા તેની પાસે કંઇ કાર્યસર આવી પહોંચી. વાતચિતમાં તેની મા સમજી ગઇ, ને તેથી દ્રઢ ઠરાવ કીધો કે ભલેને, ગમે તેમ થાઓ લગ્ન કરીશ, કારણ હવે હું મારી પુત્રીનું દુઃખ જોઇ શકતી નથી. તેણે ઘરમાં જઇને સવીતાને એક પત્ર લખ્યો, ને તેમાં જણાવ્યું કે, તમારી સાથે સુંદરીના લગ્ન કરવાનો નિશ્ચય કીધો છે, હવે માત્ર તેના આવવાનીજ વાર છે. હવે કદાચ સુંદરીનો પિતા રતિપતિ જેવો કાંતિવાન, બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન, કુળમાં કુલીનોનો અગ્રગણ્ય વર લઈ આવશે તોપણ હું કદીપણ તેને સુંદરી આપીશ નહીં, પણ