સિંધુડો/ભીરુ

વિકિસ્રોતમાંથી
← તરુણોનું મનોરાજ્ય સિંધુડો
ભીરુ
ઝવેરચંદ મેઘાણી
વીર જતીન્દ્રનાં સંભારણાં →
[છંદ ઝૂલણા]


ભીરુ

‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી’
કાયરો એ અહંકાર ધરતા;
મર્દ કર્તવ્ય સંગ્રામના જંગમાં
લાખ શત્રુને રક્તે નિતરતા.

તું રિપુહીન હોવાની શેખી મ કર !
બંધુ ! નિર્વીર્ય એ દર્પ ગાવે ;
બ્હાદુરો સત્યને કાજ નિર્મમ બની,
મિત્રની શત્રુતાયે વધાવે.

દેશદ્રોહી તણી કમર પર ત્રાટકી,
તેં નથી, મિત્ર, શું ઘાવ કીધા ?
જૂઠડી જીભ પરથી શપથ-શબ્દને
તેં નથી, મિત્ર, શું ધૂળ કીધા ?

ધર્મને વેશ પાખંડ પૂજાય ત્યાં
બંધુ ! શું ખડગ લૈ તું ન ધાયો ?
સત્યનાં સ્વાંગ પે'રી ઊભું જૂઠ ત્યાં
ઝૂઝીને, મિત્ર, શું નવ ઘવાયો ?

સૌમ્ય તું ! ભલો તું ! સંત ભદ્રિક તું !
-ભાઈ, એ છે બધી તારી ભ્રમણા !
રંક તું, દીન તું, ભીરૂ કંગાલ તું -
સ્વાદ ચાખ્યા નથી તેં જખમના.