સોરઠ, તારાં વહેતાં પાણી/નિવેદન

વિકિસ્રોતમાંથી
← અનુક્રમણિકા સોરઠ, તારાં વહેતાં પાણી
નિવેદન
ઝવેરચંદ મેઘાણી
૧. અમલદાર આવ્યા →


નિવેદન

[પહેલી આવૃત્તિ]

નાયક નહિ, નાયિકા નહિ; પ્રેમનો ત્રિકોણ નહિ : એવી આ સોરઠી જીવનની જન-કથા છે. એ કથાનો નાયક આખો જનસમાજ છે. ગયા બે દાયકા ઓળંગીને તમે સોરઠના સીમાડા પર ઊભા રહેશો તો તે પૂર્વેનાં વીશેક વર્ષોને પોતાના પ્રવાહમાં ઝીલીને વહેતું, આ કથાનું વહેણ તમે સ્વચ્છ જોઈ શકશો.

નામનિર્દેશ કરવાની જરૂર નથી એવી કેટલીએક જીવતી વ્યક્તિઓ આ કથાનાં પાત્રોમાં પોતાની છાયા પાડે છે. બીજાં કેટલાંક એવાં પાત્રો છે કે જેમને કોઈ વ્યક્તિવિશેષ પરથી નહિ પણ સોરઠી સમૂહજીવનની સાચી માટીમાંથી ઘડી કાઢવાનો મારો પ્રયત્ન છે. આ કથાને મેં તો ઈતિહાસ-કથા લેખે જ આલેખી છે. એ ઈતિહાસ વ્યક્તિઓનો છે અને નથી યે; પણ સમષ્ટિનો ઈતિહાસ તો એ છે જ છે. કેમ કે ઈતિહાસ જેમ વિગતોનો હોય છે, તેમ વાતાવરણનો પણ હોઈ શકે છે. અથવા વિગતો કરતાં પણ વાતાવરણની જરૂર ઈતિહાસમાં વિશેષ છે - જો એ જનસમૂહનો ઈતિહાસ બનવા માગતો હોય તો જ, બેશક.

કથાની શરૂઆત તો વિગતો નક્કી કર્યા પૂર્વે જ એક દિવસ અચાનક 'જન્મભૂમિ'ના મારી છાતી પર ઊભેલા એક શનિવારને માટે કરી નાખેલી. તે પછી તો કથા પોતાનાં વહેતાં પાણીને વાસ્તે પોતાની જ જાણે સોરઠની તાસીર અનુસાર પોતાનો માર્ગ કરતી ગઈ.

માર્ગે આ પ્રયત્નના કેટલાક અનુરાગી સ્નેહીઓ મળતા ગયા. તેમણે પણ આ કથાનાં પાણીને જોઈતાં કેટલાંક નાનાંમોટાં ઝરણાં પૂરાં પાડ્યાં. તેમના સંગાથમાં આ વહેતાં પાણીને આરે આરે કરેલી આ લાંબી મજલ વધુ મીઠી બની છે.

એજન્સી-પોલીસના એક જૂના કાળના અમલદારના પુત્ર તરીકે મેં પોતે પીધેલા વાતાવરણની આ કથામાં ઊંડી છાયા પડી છે. નાજાવાળા, હીપાવાળા, ઝવેરભાઈ ફોજદાર, સૂટર સાહેબ, હરજીવનદાસ ફોજદાર અને બીજા કેટલાક, તેમને વિશે બનેલી ઘટનાઓના વહેળા આ 'વહેતાં પાણી'માં મળ્યા છે. દરબારશ્રી ગોપાળદાસ અને પારેવડાના ખેડુ શેઠશ્રી છગનભાઈ મોદીના જીવનમાંથી સૂચન મેળવીને સરજેલી વિભૂતિઓ ઘણા ઘણા સોરઠવાસીઓએ આ કથામાં ઓળખી કાઢી છે.

એક મિત્ર લખે છે : 'પ્રેમત્રિકોણના હંમેશના પંથ કરતાં આ નવલકથા જુદા પ્રકારની હોઈ, વહેતા જનપ્રવાહની આ કથા હોઈ, સપારણના પાત્રને તેમજ પિનાકીને શેઠને આગળ ચલાવી છેક અસહકારના જુવાનો સુધી આવી શકો તો બીજો ભાગ લખી શકાય તેવી તાકાત આમાં છે.'

આ સલાહને હું શુભાશિષ સમજું છું.

બોટાદ : 15-5-'37
ઝ૦ મે૦
 

[બીજી આવૃત્તિ]


'વહેતાં પાણી' પછીનાં ચાર વર્ષોમાં બીજી સાત વાર્તાઓ આલેખવા શક્તિમાન બન્યો છું, અને એ સાત ને વત્તા-ઓછા પ્રમાણમાં સફળ જાહેર કરનાર જવાબદાર અભિપ્રાયો પણ પડ્યા છે. 'વેવિશાળ', 'તુલસીક્યારો', 'સમરાંગણ' અને 'અપરાધી' તો ઘણું મોટું માન ખાટી ગયાં છે; તે છતાં 'વહેતાં પાણી'નું સ્થાન મારા વાર્તા-સર્જનોમાંના એક વિશિષ્ટ પ્રકાર તરીકે મને નિરાળું જ લાગ્યું છે. આપ્તજનોનો આગ્રહ છે, ને મારીયે મુરાદ રહી છે, કે 'વહેતાં પાણી'ને આગળ વહાવું. પણ એક ભય એ લાગે છે કે, એમ કરવા જતાં સોરઠનો સર્જાતો ઈતિહાસ વાર્તાસ્વરૂપના કલાત્મક રહસ્યાલેખનને કદાચ શુષ્ક બનાવી મૂકે એટલો બધો નજીક તો નહિ આવી જાય?

આ વાર્તાના વહનમાં પહેલી આવૃત્તિમાં સરતચૂકથી, ને બીજીમાં તો અશક્તિથી, એક પાત્ર લટકતું જ રહી ગયું છે : મહીપતરામના વૃદ્ધ પિતાનું પાત્ર. એને હું ન તો જીવાડી શક્યો કે ન મારી શક્યો! વાસીદામાં સાંબેલું રહી ગયું છે. એના પ્રથમ ઉઘાડ વખતે બેહદ દુઃખી જીવન ખેંચીને મૂએલા મારા દાદાનું સ્મરણ મારા મનમાં ઘોળાયું હતું. પણ આજે ઓગણત્રીસ વર્ષ પરની એ દુઃખમૂર્તિની જંપેલી ચિત્તાને હું નહિ ફેંદું.

સર્વ પાત્રો વચ્ચેથી જાજરમાન ખેડુસ્વરૂપે ખીલી ઊઠતા મારા વીરપાત્રનો આદર્શ પૂરો પાડનાર શ્રી છગનભાઈ મોદી પારેવડાવાળાને તો મેં અણદીઠા ને અણસુણ્યા જ સદાને માટે ગુમાવ્યા છે. બે'ક વર્ષ પર એમને કાળે ઝડપ્યા; ને મને એમના જાણકારોએ લખ્યું છે કે એમને પ્રત્યક્ષ દીઠા-અનુભવ્યા હોત તો એ ખેડુ-વણિકનું પાત્ર હું વધુ દીપાવી શક્યો હોત.

જેના પરથી એક દિલેરદિલ ગોરા પોલીસ-અધિકારીનું પાત્ર આલેખાયું છે તે કાઠિયાવાડ એજન્સીના માજી પોલીસ સુપરીન્ટેન્ડન્ટ સૂટર સાહેબ ચારેક વર્ષ પર એકાએક રાજકોટમાં ઝબક્યા હતા, ને મારા પિતાના એક સમકાલીન પોલીસ-અધિકારીના પુત્ર ભાઈશ્રી હિંમતલાલ દલપતરામ પારેખે એમની મુલાકાતમાં એમનો આ ઉપયોગ થયાનું જણાવતાં બુઢ્ઢા ગોરાએ ઊંડી લાગણી અનુભવેલી.

રાણપુર : ૧૫-૫-'૪૧
ઝ૦ મે૦
 


[બીજી આવૃત્તિ]

આ પ્રિય કૃતિને ત્રીજી આવૃત્તિમાં પ્રવેશતી દેખી આનંદ પામું છું. કથાને આગળ ચલાવવાની ઉત્કંઠા ફરી પાછી મનમાં ઘોળાય છે. ક્યારે કરી શકીશ – કરી શકીશ કે નહિ – એ કહી શકતો નથી.

ઝ૦ મે૦
 

[પાંચમી આવૃત્તિ]

આ નવલકથાની લીલાભૂમી અને પાત્રસૃષ્ટિને વશુ વિશદ બનાવતાં લેખકનાં કેટલાંક લખાણો સંકલિત કરીને આ આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે આપ્યાં છે. આશા છે કે આ સામગ્રીમાં વાચકોને રસ પડશે.

2000
જયંત મેઘાણી