સોરઠ, તારાં વહેતાં પાણી/૩૨. વાતાવરણ ભણાવે છે

વિકિસ્રોતમાંથી
← ૩૧. બહાદુરી સોરઠ, તારાં વહેતાં પાણી
૩૨. વાતાવરણ ભણાવે છે
ઝવેરચંદ મેઘાણી
૩૩. અમલદારની પત્ની →


32. વાતાવરણ ભણાવે છે

વિક્રમપુરના દરિયાને આલેશાન બારું હતું. એ બારાની દખણાદી દિશામાં ભેંસોનું ખાડું માંદણે પડી મહાલતું હોય તેવા કાળા, જીવતાજાગતા ખડકો હતા. લોકવાણીએ એનું 'ભેંસલા' નામ પાડ્યું હતું. ત્યાં આઠે પહોર આફળતાં મોજાં ફીણ મૂકતાં હતાં. વિરાટ મહિષાસુર વારિધિ જાણે કે વાગોળ્યા કરતો હતો. પાડાઓનું એકાદ ધણ ચાલ્યું જતું હશે તેમાં એકાએક જાણે દરિયાના પાણી તેના ઉપર ફરી વળ્યાં હશે! કેટલાક નાસીને બહાર નીકળ્યા હશે, કેટલાક ગૂંગળાઈને અંદર રહ્યાં હશે; એટલે જ, આ બહાર દેખાતા ખડકોની પાધરી કતારમાં જે કેટલાક ખડકો અઢી-ત્રણ ગાઉ સુધી પાણીની નીચે પથરાયેલા હતા. 'વીજળી' આગબોટ ગરક થઈ ગયાનું પણ આ એક ઠેકાણું મનાતું.

પિનાકીની મીટ સંધ્યાના ભૂખરા ઉજાસમાં એ ભેંસલા ખડકો પર ઠરેલી હતી. રાજના એક અધિકારી એને બંદર વિષેની વાતો કરતા હતા. એક ખારવો પોતાની જળચર જેવી આંખો તગતગાવતો 'વીજળી' આગબોટના ભૂત વિષેની વાતો હાંકતો હતો. દૂર એક દરબારી ઘોડાગાડી ઊભી હતી.

પ્રૌઢ વયના ઠાકોર સાહેબ ચોથીવારના લગ્નનું એક રહસ્ય બરાબર પકડી શક્યા હતા, કે યુવાન રાણીના નાનામોટા કોડ જેવા જાગે તેવા પૂરવા જોઈએ, નહિ તો લગ્નરસ ખાટો થઈ જાય. પ્રથમનાં લગ્નોમાંથી જડેલો આવો અનુભવ અત્યારે ઉપયોગમાં આવતો હતો.

એટલે જ તેમણે નવા રાણી સાહેબની ઈચ્છા થવાથી પિનાકીને વિક્રમપુર તેડાવ્યો હતો. પિનાકી રાજ્યનો માનીતો મહેમાન હતો. અતિથિગૃહમાં એને માટે રોજ ચાર-ચાર મોટી આફૂસ કેરીના ફળો આવતા.

ઠાકોર સાહેબની અને રાણી સાહેબની જોડે એની પહેલી મુલાકાત થઈ ચૂકી હતી. રાણી સાહેબે પિનાકીને બેરિસ્ટર થવાનો આગ્રહ કર્યો; કેમ કે વકીલાતના કામમાં જે વાચાની કળા તેમ જ અભિનયના મરોડ જોઈએ તે પિનાકીમાં એમને શાળાના મેળાવડાને પ્રસંગે દેખાયા હતા.

"રાજ તમને મદદ કરશે," રાણી સાહેબે બોલ પણ આપી દીધો. "કેમ નહિ, ઠાકોર સાહેબ?" રાણીએ પતિને પૂછ્યું.

"આપનું દાન સુપાત્રે જ છે." ઠાકોરસાહેબે પત્નીનો બોલ ઝીલ્યો.

"પછી અહીંયા જ વકીલાત કરશો ને? રાણી સાહેબે પૂછ્યું.

"વકીલાત શા માટે?" ઠાકોરે માગ્યા પહેલાં જ ઢગલો ધર્યો: "એમનામાં દૈવત દેખશું તો ન્યાયાધીશી જ નહિ આપીએ?"

પિનાકીના હ્રદયમાંથી તો મનોરથોના ગબારા ચડ્યા. જીવનનું ગગન જાણે કે સિદ્ધિઓના તારામંડળ વડે દેદીપ્યમાન બની ઊઠ્યું.

"પાંચેક વર્ષનો ગાળો છે તમારે તૈયાર થવાનો." એમ જ્યારે સાહેબે યાદ કરાવ્યું ત્યારે પિનાકી પાછો પછડાયો. શિક્ષણની તાલિમમાં હનુમાન-કૂદકો હોતો નથી.

"પણ બારિસ્ટર થવાની જરૂર ખરી? રાજના ન્યાયાધીશને માટે અહીંનું જ ભણતર ન ચાલે?" રાણીએ પૂછ્યું.

"શા માટે ન ચાલે? રાજ તો મારું છે ને! જેના માથે આપણે હાથ મૂકીએ એની તો વિદ્યા પણ ઊઘડે."

"તો આને અહીં જ તાલીમ આપીશું?"

"જરૂર મેટ્રિક થઇ જવા દો."

ઠાકોર સાહેબે રાણી પાસેથી પિનાકી પ્રત્યેની મમતાનું કારણ ક્યારનું જાણી લીધું હતું. ભાંડરડાંની માફક જેઓ ભેળાં રમ્યા-ઊછર્યાં હતાં. તેમનો અન્યોન્ય ઉપકારભાવ ઠાકોરસાહેબને અંતરે વસ્યો હતો. ઠાકોર પ્રૌઢત્વમાં પાકટ થઈ ગયા હતા. એમનામાં ઈર્ષ્યાની આગ નહોતી એ એનો મોટામાં મોટો ગુણ હતો. પડદાનો ત્યાગ કરવાની તેમની હિંમત આ વાતને આભારી હતી. પિનાકીના આચરણની છાપ પણ એમના દિલ પર ચોખ્ખી પડી હતી: એની આંખો ગંભીર હતી, તેના હાવભાવમાં કુમાશ હતી: તનમનાટ નહોતો.

'અહીં દેવુબા સુખી છે. એને જોઈએ તે જડે છે. એની સુંવાળી ઊર્મિઓ પણ સચવાય છે. હું એને સુખમાં જોયા કરું તો મને બીજી કોઈ મનેચ્છા નથી.' એ હતો પિનાકીનો મનોભાવ.

તે દિવસે રાતે વિક્રમપુરન દરિયાનો કંદેલિયો બુઝાયો. દીવાદાંડીઓના દીવાઓ ન ચેતાવવાનો સરકારી હુકમ બંદરે બંદરે ફરી વળ્યો હતો.

કંદેલિયો ઠર્યો!ઘેર ઘેર વાત ફરી વળી. ગામડાને ફાળ પડી. કંદેલિયો ઠર્યો! થઈ રહ્યું. જરમર આવ્યા! અંગ્રેજની ધરતી ડોલી. કંદેલિયો ઓલવાયો. આ બનાવ અદ્ભુત બન્યો. જમાના ગયા, પણ કંદેલિયો ઝગતો હતો. રાજા પછી રાજા દેવ પામ્યા, છતાં કંદેલિયાને કોઈએ શોક નહોતો પડાવ્યો. કંદેલિયાને ઓલવવાવાળી આફત કોઇ આસપાસ હોવી જોઈએ.

'એમડન' નામની એક જર્મન જળ-નાગણી ઉલ્કાપાત મચાવી રહી છે. અંગ્રેજ જહાજોના મોટા માતંગોને એ ભાંગી ભુક્કા કરે છે. બંદરો અને બારામાં પેસી જઈને એ સત્યાનાશ વાળે છે, મુંબઈના કંદેલિયા પણ ઓલવી નાખેલ છે. રાતભર 'એડમન'ના ભણકારા વાગે છે. દરિયાની મહારાણી ગણાતી બ્રિટાનિયા પોતાના હિન્દ જેવા સામ્રાજ્યને કિનારે સંતાકૂકડી રમતી આ નાચીજ નાવડીને પણ નથી ઝાલી શકતી! સરકારની ગજબ ઠેકડી મંડાઈ ગઈ સોરઠને તીરે તીરે જર્મનીનો સાથ લઈને નવકૂકરી રમનારાઓએ પોતાની મૂછે તાવ દીધા અને સૂર્યપૂરના ઠાકોરે પોતાના પાડોશી પરગણાને બથાવી પાડવાનો કાળ પાકેલો દેખ્યો.

પિનાકીનું અજ્ઞાની મગજ આટલી વાત તો વણસમજ્યે પણ પામી ગયું કે અંગ્રેજ સરકાર અજેય નથી: જગતને છાવરી નાખીને પડેલો અંગ્રેજ પણ ત્રાજુડીમાં ડોલી રહ્યો છે : શેરને માથે સવા શેર : અંગ્રેજનું માથું ભાંગનાર સત્તાઓ દુનિયામાં પડી છે. ચૌટે ને ચોતરે બેસતાં, અંગ્રેજ ટોપીને ભાળતા વાર જ ભાગવા ટેવાયેલાં લોક આજ અંગ્રેજ સત્તાના દોઢ સૈકાને અંતે એટલું તો વિચારતા થઈ ગયાં કે અંગ્રેજ અપરાજિત બળિયો જોદ્ધો નથી. પિનાકી એ પ્રકારના લોકમતનું બચ્ચું બન્યો. કોણ જાણે આ કારણથી એને અંગ્રેજ શહેનશાહ તેમ જ મહારાણીના મોરાં નિશાળોમાં ટંગાતા હતાં તેના તરફ નફરત આવી. ઈંગ્લન્ડના ઇતિહાસની ચોપડીમાં જે ચિત્રો હતા તેમાંના પુરુષ-ચિત્રોને એણે કાળાં કરી નાખ્યાં, એકાદ સ્ત્રી-ચિત્રને એણે મૂછો આલેખી!

બીજો કંટાળો એણે વળતા જ દિવસે વિક્રમપુરના રેલવે સ્ટેશને અનુભવ્યો. દરબારી 'લેન્સર્સ'ની એક ટુકડી લડાઈના યુરોપી મોરચા પર જવાને ઊપડતી હતી. તેમનાં કપાળમાં કંકુના ચાંદલા હતા. પ્લેટફોર્મની અંદર તેઓના નાનાં-મોટાં બાળબચ્ચાં રડતાં હતાં. બહાર થોડે છેટે તેમની પત્નીઓ પરદામાં પુરાઈ ઊભી હતી. મોરચા પર જઈ રહેલ આ રજપૂતોના મોં પર અવિભૂતિ નહોતી. પોતે કઇ દેશ રક્ષા, જાતિરક્ષા કે કુળ રક્ષાને કારણે કોની સામે લડવા જઈ રહેલ છે તેની તેમને ગમ નહોતી. પડઘમના શૂરાતન-સ્વરો અને જગના આયુધો તેમના આત્માની અંદર જોમ નહોતા પૂરી શકતાં. એમના ગળામાંથી કોઈ હાકલ ઊઠતી નહોતી. તેમની મુખમુદ્રા પરનો મરોડ વીરરશના વેશ ભજવનાર નાટકીય પાત્રોનો હોય તેમ દીસી આવતું હતું. ને આગગાડી જ્યારે તેમને ઉઠાવી ચાલી ત્યારે એ કલાક-બે કલાકનો તમાશો પોતાની પછવાડે કોઈ અકારણ નિષ્પ્રયોજનતાની શૂન્યતા પાથરતો ગયો. એક અવાસ્તવિક લીલા ખતમ થઈ ગઈ. ને પાછા વળતાં લોકોએ વાતો કરી કે, 'બિચારા ઘેટાંની માફક રેંસાશે.'

ત્રીજા દિવસે વિક્રમપુરમાં બીજી ઝલક છાઈ ગઈ. મિસિસ એની બેસન્ટનું આગમન થયું. 'હોમરૂલ' નામનો મંત્ર પઢાવનારી એ સિત્તેર વર્ષની વિદેશી ડોશી ભારતવાસી જુવાનોની મૈયા થઈ પડી હતી. ગોરી ડોશી હિંદી સાડી ને ચંપલો પહેરતી હતી. ગળામાં માળા ધારણ કરતી ને 'ભગવદગીતા' ના ઘોષ ગજાવતી; સરકારને મુક્કો ઉગામી ડારતી, ને હિન્દુ ધર્મના રહસ્યો ઉકેલતી.

ત્રણ મહિનાની નજર કેદ ભોગવીને 'મૈયા' દેશ ઘૂમવા નીકળી હતી. મુકામે મુકામે એની ગાડીના ઘોડા છોડી નાખવામાં આવતા ને યુવાનો ગાડી ખેંચતા. એની સભાઓ ભરાતી ત્યારે એની ચંપલો પાસે બેસવામાં પણ એક લહાણ લેખાતી.

વિક્રમપુરે પણ એને અછો અછો વાનાં કર્યાં. એની ભૈરવ-વાણ સંભળવા મેદની મળી, ને એ મેદની સમક્ષ પોતાની પ્રભુ પ્રેરિત શ્રદ્ધાને જોરે એણે જાહેર કર્યું કે, "યુરોપનું યુદ્ધ એ અંતરીક્ષમાં લડાતી દૈવી તેમજ આસુરી શક્તિઓની લડાઈનું પ્રતિબિંબ છે. ઇંગ્લન્ડ, રશિયા અને ફ્રાંસ છે દૈવી શક્તિઓના પ્રતિનિધિઓ, ને જર્મની, તુર્ક વગેરે શત્રુઓ છે અસુરોના પક્ષકારો. આખરે વિજય છે દૈવી સત્ત્વનો - એટલે કે ઇંગ્લન્ડનો, ફ્રાંસનો, રશિયાનો."

સાંભળતાંની વાર પિનાકી સ્તબ્ધ બન્યો. એની વીર પૂજા પર કોઇ શ્યામ છાયા પડી. એનું દિલ રસભર્યા કટોરા જેવું ધરતી પર પટકાઈને તૂટી પડ્યું. અંગ્રેજી સાતમું ધોરણ ભણનારો વિદ્યાર્થી આવી કોઈ વહેમની દુનિયામાં દાખલ થવા તૈયાર નહોતો. નહિ નહિ : કોઇ પણ દેશનેતાને કહ્યે નહિ : પ્રભુ પોતે નીચે ઊતરીને કહે તો પણ નહિ! ભાંગી ગયેલી પૂતળીના કકડાને બેઘડે હાથમાં ઝાલી રાખીને પછી પડતા મૂકતા બાળક જેવો પિનાકી સભામાંથી પાછો વળ્યો, ને વળતે દહાડે રાજકોટ ચાલ્યો.