આશ્રયે લે છે કે હિંદીઓ દેશી લોકોમાં દારૂ પૂરો પાડે છે અને તેનાથી તે લોકો ખરાબ થાય છે. હવે મારું કહેવું એવું છે કે હિંદીઓને અપાતો મતાધિકાર આ પરિસ્થિતિમાં આમ કે તેમ કશો ફરક પાડી શકે એમ નથી. જો હિંદીઓ દારૂ પૂરો પાડતા જ હોય તો તેઓ મતાધિકાર મળવાને કારણે તે વધારે પ્રમાણમાં પૂરો પાડવાના નથી. હિંદી મતાધિકાર, સંસ્થાનની દેશી લોકો અંગેની નીતિ ઉપર અસર પાડી શકે એટલો પૂરતો મજબૂત કદી બની નહીં શકે. આ નીતિ ઉપર તો ડાઉનિંગ સ્ટ્રીટમાંની બ્રિટિશ હકૂમત માત્ર ચોકસાઈપૂર્વક દેખરેખ જ નથી રાખી રહી પરંતુ ઘણે મોટે અંશે તેનું નિયંત્રણ પણ કરી રહી છે. હકીકતમાં, આ બાબતમાં તો ડાઉનિંગ સ્ટ્રીટની સરકાર આગળ યુરોપિયન સાંસ્થાનિકોનું પણ કશું ચાલતું નથી. પણ આપણે વચમાં ઘડીભર હકીકતો તપાસીએ. આ પહેલાં યાદી ઉપર મુકાઈ ગયેલા હિંદી મતદારોની પરિસ્થિતિ બતાવતું પૃથક્કરણાત્મક કોષ્ટક જેનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઉપરથી દેખાય છે કે તેમની સૌથી મોટી સંખ્યા વેપારીઓની છે. એ વાત જાણીતી છે કે આ વેપારીઓ માત્ર જાતે દારૂથી દૂર રહેનારા છે એટલું જ નહીં પણ તેઓ દેશમાંથી દારૂની સદંતર બંધી થાય તો સારું એવું ઇચ્છનારા છે. અને જે મતદારોની યાદી એવી ને એવી ચાલુ રહે તો એ મતની દેશીઓની નીતિ ઉપર જો કાંઈ પણ અસર પડવાની જ હોય તો તે સારી જ હશે, પરંતુ ૧૮૮૫-૧૮૮૭ના હિંદી પ્રવાસી કમિશનના હેવાલમાંનો નીચેનો ઉતારો બતાવે છે કે આ બાબતમાં હિંદીઓ યુરોપિયનો કરતાં વધારે ખરાબ નથી, આ ઉતારો આપવામાં તુલના કરવાનો મારો જરા પણ ઇરાદો નથી. તુલના તો મેં બને એટલી ટાળવાનો પ્રયાસ કર્યો છે. તે જ રીતે આમ કરીને હું મારા દેશબંધુઓનો બચાવ પણ કરવા માગતો નથી, કોઈ પણ હિંદી પીધેલો કે દેશી લોકોને દારૂ પૂરો પાડતો મળી આવે તો તેથી મને જેટલું દુ:ખ થાય એટલે બીજા કોઈને નહીં થઈ શકે. વાંચનારને હું એટલી ખાતરી આપવા માગું છું કે મારી એકમાત્ર ઈચ્છા એ બતાવવાની છે કે આ ખાસ કારણને લઈને ઉપસ્થિત થતો હિંદી મતાધિકાર સામેનો વાંધો તદ્દન ઉપરછલ્લો છે અને તપાસમાં સાચો ઠરતો નથી.
કમિશનના આ સભ્યોને બીજી બાબતો સાથે હિંદીઓ સામેના દારૂ પીવાના અને તેમાંથી ઊભા થતા ગુનાઓ બાબતના આરોપો વિષે ખાસ કામ સોંપાયું હતું. તેઓ પોતાના હેવાલના પા. ૪૨ અને ૪૩ ઉપર કહે છે:
- અમે આ વિષયમાં ઘણા સાક્ષીઓ તપાસ્યા છે. એમની જુબાની અને મળી આવતા ગુનાઓ બાબતના આંકડાઓ ઉપરથી અમને એ વાતની ખાતરી નથી થઈ કે મદ્યપાન અને તેમાંથી નીપજતા ગુનાઓનો ફેલાવો, જેની સામે કોઈ એવા પ્રતિબંધક કાનૂનો ઘડવાની દરખાસ્ત નથી થઈ એ લોકોના બીજા વર્ગમાં થયો છે એના કરતાં હિંદી પ્રવાસીઓમાં વધારે મોટા પ્રમાણમાં થયો છે.
- અમને કોઈ શક નથી કે એ આરોપમાં ઘણું સત્ય રહેલું છે કે દેશી લોકોને,હિંદીઓ મારફતે જલદ દારૂ ઝટ મળી જાય છે. પરંતુ એ લોકો આ બાબતમાં ચોરીછૂપીથી દારૂનો ધંધો કરતા ગોરાઓ કરતાં વધારે ગુનેગાર છે એ વાતમાં અમને શંકા છે.
- સાવચેતીપૂર્વક તપાસતાં એવું માલૂમ પડયું છે કે જે વસાહતીઓ સામે દેશીઓમાં દારૂ વેચવા કે ખપાવી દેવાની ખૂબ જોરથી ફરિયાદ કરનારા તે જ લોકો છે કે જેઓ