ઋતુગીતો/પ્રવેશક

વિકિસ્રોતમાંથી
ઋતુગીતો
નિવેદન
ઝવેરચંદ મેઘાણી
રાધાકૃષ્ણની બારમાસી →


પ્રવેશક


ઋૃતુ-સૌંદર્યનું દર્શન અને તેમાંથી થતું ઋતુ-ગાનનું સર્જન, એ આપણા દેશમાં આજકાલની વાત નથી, વેદકાલ જેટલી જૂની છે. વેદનુ સાહિત્ય તો સારું યે પ્રકૃતિનાં ગુણગાનથી છવાયું છે. એમાં ઋતુઓની રમ્યતા ઠેરઠેર અંકિત થઈ છે, અને ઋૃતુઓનો. સીધો ઉલ્લેખ અથર્વ વેદ કા.-૧૨, સૂ. ૧ ની અંદર આ રીતે થયો છે.

“હે ભૂમિ ! તારી ઋતુઓ, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત, વિહિતવર્ષો અને અહોરાત્રિ,હે પૃથ્વી ! અમને દૂઝો.” [પૃથ્વીસૂક્તઃશ્લોક ૩૬]

વેદમાં ‘પર્જન્ય’ અર્થાત્ જળદેવતાનું જે આવાહન છે, તે પણ heroic and devotional element–શૌર્ય અને ભક્તિતનાં તત્ત્વોથી ભરપૂર છે.વર્ષા ઋતુના મેઘને નિહાળી ઋષિઓએ બુલંદ સ્વરે સરિતાતટો ને વનજંગલો ગજાવ્યાં કે,

“રથીની જેમ ચાબૂક વડે અશ્વોને મારતો વર્ષ્ય દૂતોને પ્રગટ કરે છે : દૂરથી સિંહની ગર્જના ઊંચી ચઢે છે–જ્યારે પર્જન્ય આકાશને વરસાદવાળું કરે છે.

“પવનો વાય છે, વીજળીઓ પડે છે,ઔષધિઓ ઊંચી જાય છે, આકાશ પુષ્ટ થાય છે,સમગ્ર ભુવનને આટે અન્ન પેદા થાય છે – જ્યારે પર્જન્ય વીર્યથી પૃથ્વીનું રક્ષણ કરે છે.” (ઋગ્વેદ મં.૫: સૂ. ૮૩)

એ વગેરે સૂક્તો વેદ સમયનાં લોકોની ઋતુસત્વો પ્રતિની દૃષ્ટિ બતાવે છે.

તે પછી સંસ્કૃત સાહિત્યમાં શોધીએ તો કાલિદાસનાં મેધદૂત અને ઋતુસંહાર તેમજ રઘુવંશના ૯ મા સર્ગનું ઋતુવર્ણન : કુમારસંભવનો ત્રીજો સર્ગ : માઘના ‘શિશુપાલ-વધ’ કાવ્યમાં રેવતક પહાડ પર કૃષ્ણચંદ્રે પડાવ નાખવાને સમયે એક સામટી છયે ઋતએ ઊતરીને એમનાં સ્વાગત કર્યાનું વર્ણનઃ ‘કિરાતાર્જૂનીયં’ માં ચોથે સર્ગ શરદ-વર્ણનઃ એ પ્રમાણે ઋતુ-ગાથાઓ આવે છે. એટલું જ નહિ પણ મહાકાવ્યમાં તો ઋતુવર્ણન આવવું જ જોઈએ એવું ખાસ લક્ષણ શ્રી. દંડીએ ‘કાવ્યાદર્શ’ નામના એક અલંકારશાસ્ત્રના ગ્રંથમાં (પરિચ્છેદ ૧: શ્લોક ૧૬) આપેલ છે.

લોકો અને ઋતુરસ

લોકજીવનની અંદર ઋતુ–મહિમા અનેક તહેવારો, ઉત્સવો, વ્રતો અને રિવાજોના રૂપમાં ગુંથાઈ ગયો હતો. ગ્રામ્ય જનોનાં નાનાં નાનાં બાલકો પણ પોષી પૂનમ, મોળાકત આદિ વ્રતો રહીને ઋતુઓ સાથેનો સમાગમ જોડતાં હતાં. મોટી વયના લોકો પણ હોળીના ઉત્સવ દ્વારા વસંત ઋતુને, જન્માષ્ટમી દ્વારા વર્ષાને, દિવાળી દ્વારા શરદને અને ખીસર (મકરસંક્રાંતિ) દ્વારા શિશિરને યાદ કરતા તેમ જ ઉજવતા. શરદપૂર્ણિમાની રાતને, એટલે કે વર્ષભરની -ઉજ્જવળમાં ઉજ્જવળ રાતને તેઓ કૌમુદીમાં બેસી દૂધપૌઆં જમી ઉજવતાં, નેવાં પર સાકરની થાળી મૂકી આખી રાત એમાં ચંદ્રકિરણોનાં અમૃત ઝીલતાં. એ રીતે ઘણાઘણા લોક–તહેવારો ઋતુના પરિવર્તનને અનુરૂપ બનાવી લેવામાં આવતા અને ઋતુ–રસનું પાન આખો લોકસમૂહ પોતાની એવી જાડી રીતિએ કરતો હતો. એનું ખુદ જીવન જ કાં તો ખેડુ-જીવન અથવા તો ગોપ-જીવન હોવાથી ઋતુઓનો દિનપ્રતિદિનનો પરિચય તો એને પોતાનાં ધાન્ય તેમ જ પશુની રક્ષાને કારણે અનિવાર્ય રીતે આવશ્યક હતો. એના લગ્નોત્સવો, ધર્મોત્સવો વગેરે ઘણાખરા ઋતુની અનુકૂલતા પર મુકરર થયા હતા.

જીવનમાં ઋતુઓના રંગો ને રસો જ્યાં આટલા ઓતપ્રોત બની વહેતા હોય ત્યાં ઋતુ-કાવ્યના અંકુરો ફૂટ્યા વિના રહી જ કેમ શકે ? થોડું ધાર્મિક, થોડુંક સામાજિક અને થોડુંક કેવલ રમતભર્યું, એવું પોષી પૂનમનું નાનકડું વ્રત કરતાં કરતાં જ કોણ જાણે ક્યારથી નાની કન્યા ગુંજવા લાગી હશે કે

પોષ મહિનાની પૂનમે રે
અગાસે રાંધ્યાં અન્ન વાલા !
જમશે માની દીકરી રે
પીરસશે બેનીનો વીર વાલા ![ કંકાવટી ભા.૧]

અથવા આષાઢ–શ્રાવણના મેહુલાને સંબોધી ઠપકો આપવા લાગે છે.

આ શી તમારી ટેવ રે હો મેઘરાજા !
પેલી વીજળી રીસાઈ જાય છે !
પેલી બાજરી સૂકઈ જાય છે !
પેલી જારોનાં મૂલ જાય છે !
હો મેઘરાજા ! [ કંકાવટી ભા. ૨]

ઋતુગીતોના પ્રકારો

તે પછી જો આપણે આખું ગ્રામ્ય સાહિત્ય ફોળતા જઈએ તો ઋતુઓના રસપાનનાં આટલા પ્રકારનાં જૂજવાં કાવ્યો આપણને જડી આવશે:

૧. ગોપજનોને અથવા ખેતરોમાં કામતાં શ્રમજીવીઓને લલકારવાના ઋતુને લગતા દોહા-સોરઠા : એ દોહા–સોરઠા કાં તો છૂટાછવાયા, પ્રાસ્તાવિક જ હોય. જેમ કે

અષાઢ વરસે એલીએ,ગાજવીજ ઘમઘોર,
તેજી બાંધ્યા તરૂવરે, મધરા બોલે મોર.

મધરા બોલે મોર તે મીઠા
ઘણમૂલાં સાજણ સપનામાં દીઠાં;

કે’ તમાચી સૂમરો,રીસાણી ઢેલને મનાવે મોર
આષાઢ વરસે એલીએ ગાજવીજ ઘમઘોર.

અથવા કોઈ લોકકથા માંહેલા હોય : જેમકે મેહ-ઊજળીના બાર માસીના દોહા :

ફાગણ મહિને ફૂલ, લાગે અત સોહામણાં,
(એનાં) મોંઘાં કરવા મૂલ વળી આ વેણુધણી!

૨. સ્ત્રીઓને ગાવાનાં ગરબા–ગીતો : એમાં પણ કોઈ અમુક એકાદ ઋતુની ઊર્મિને પ્રગટ કરતું છૂટક ગીત હોયઃ જેવું કે

કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે !
મેહુલો કરે ઘનઘોર,
જોને કળામય બાલે છે મોર !
જોને નીમાળેલ બોલે છે મોર!

અથવા તો બારે માસની ઊર્મિઓને એક જ દોરે પરોવીને ગવાતા ‘મહિના’ હોય ; સીતાજીના મહિના, રાધાજીના મહિના તેમજ સર્વસામાન્યને લાગુ પડતા ‘મહિના’: જેવા કે

વાલા ! માગશરે મથુરા ભણી રે,
મારા કરમે આ કુબજા ક્યાં મળી રે!
વાલા ! પોષે સુકાણી હું તો શોષમાં રે,
તે દી'ની ફરું છું ઘણા રોષમાં રે.
[રઢિયાળી રાત ભા.૩]

૩. ચારણી ઋતુગીતો : એટલે કે ચારણ, રાવળ, મોતીસર કે મીર આદિ કોઈ પણ યાચક અને આશ્રિત સમુદાયના માણસે ડિંગળી ભાષામાં રચેલાં ઝડઝમકિયાં કાવ્યો. એના પણ જૂજવા પ્રકારઃ

(૧) રાધા-કાનના બારમાસા.
(૨) મિત્ર અથવા આશ્રયદાતાના મૃત્યુ-વિયોગના મરશિયા.
(૩) કેવલ સભારંજનનાં સીધાં ઋતુ-વર્ણનો.

એ તમામનાં દૃષ્ટાંતો આગળ આવશે.

વિરહના સૂર

સ્ત્રીઓને ગાવાના ‘મહિના’ ઈત્યાદિ ઘણાંખરાં ઋતુગીતોમાં વિયોગ જ ગવાયો છે. મિલનના આનંદ ઓછા જ ઊતર્યા છે. પ્રણય આમોદનું આવું કોઈ રડ્યુંખડ્યું અને સાદું સીધું ગીત :

જોડે રે'જો રાજ !
કિયા રે ભાઈની ગોરી રે હો કેવી વહુ !
જોડે રે'જો રાજ !
જોડે નહિ રહું રાજ!
શિયાળાની ટાઢ પડે ને
જોડે નહિ રહું રાજ!

જોડે રે'જો રાજ !
ફૂલની પછેડીઓ સાથે રે હો લાડર્વે
જોડે રે'જો રાજ!
ઉનાળાના તાપ પડે ને
જોડે નહિ રહું રાજ!
ફૂલના વીંઝણા સાથે રે હો લાડવૈ
જોડે રે'જો રાજ !

મોતીના મોડિયા સાથે રે હો લાડવૈ
જોડે રે’જો રાજ !
[ રઢિયાળી રાત ભા. ૨ ]

આવું એક જ રડ્યુંખડ્યું નવું ગીત ગુજરાતની ચરોતર બાજુએથી શોધી શકાય છે. અથવા તો

કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે
મેહુલો કરે ઘનઘોર !
જોને કળાયેલ બોલે છે મોર !
જોને નિમાળેલ બોલે છે મોર !

એવાં વિરલાં ગીતો સિવાયનાં સર્વ ગીતો, પછી તે

ઝીણા ઝરમર વરસે મેઘ ભીંજે મારી ચૂંદડલી !
એવા નંદકુંવરના નેહ ભીંજે મારી ચૂંદડલી!

એવાં શૃંગાર-ગીત હો, અથવા

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,
ઝીણા ઝરમર વરસે મેહ
ગુલાબી નહિં જાવા દઉં ચાકરી રે !
[ રઢિયાળી રાત : ૩]

એવાં કરુણાદ્ર આકંદ હો; અથવા

વા વાયા ને વાદળ ઉમટ્યાં,
મધ દરિયે ડુલેરાં વા’ણ,મોરલી વાગે છે.

છેલ છોગાળો હોય તો મૂલવે,
ડોલરિયો દરિયાપાર, મોરલી વાગે છે.
[ રઢિયાળી રાત : ૨]

એવા 'ડોલરિયા’ સ્વજનની વાટ-પ્રતીક્ષાના સ્વર હો; અથવા

કુંજલડી રે સંદેશ અમારો
જઈ વાલમને કહેજે રે!
[ રઢિયાળી રાત : ૨]

એવાં છૂટાંછવાયાં સંદેશ – ગીતો હો; કે પછી લાંબા ‘મહિના’? હો; તે બધાંનો રસ વિયોગની વેદનામાંથી નીપજે છે. એ જ રીતે ચારણી ‘બારમાસા’ ગીત–છંદો પણ કાં તો ‘કાન–રાધા’ના નામના વિયોગ ગવરાવે છે અથવા તે મુવેલા સ્નેહીના નામ પર મરશિયા ઠલવે છે. એથી યે આગળ ચાલીને સાચા લોકરંગે રંગાયેલા કોઈ આધુનિકોનાં ઋતુગીતો તપાસીશું તો ત્યાં પણ વિયોગ જ ગવાયો જણાશે. જેમકે કવિ ન્હાનાલાલનો

આવ્યો આષાઢ ગાઢ આભલાં છવાયાં,
આંસુડે ચીર સૌ ભીંજાયાં સુહાગી દેવ !
એવાં શાં આળ રાજ માયા ઉતારી !
[ નાના નાના રાસ : ૧ ]

એ આષાઢી રાસ : અથવા એમનો

મો'રી મો'રી આંબલિયા કેરી ડાળ રે,
એ રત આવી ને રાજ ! આવજો !

ઊભી ઊભી નીરખું છું વાટ, અલબેલા રે !
એ રત આવી ને રાજ ! આવજો !
[ નાના નાના રાસ : ૧ ]

એ વસંત–રાસ : આ બન્નેમાં જુદાઈ બોલી રહી છે.

આ કરુણ ભાવ તરફ ઢળવાનાં કારણો બે છે : પ્રથમ તો સૌરાષ્ટ્ર દેશની સાડા ત્રણ બાજુએ સાગર વિંટાયો હોવાથી પુષ્કળ વહાણવટા અને વાણિજ્યનાં સાહસ ખેડવાની પ્રબલ જનપ્રકૃતિઃ એ પ્રકૃતિને વશ બની વેપારીઓ અને વહાણવટીઓ હજારોની સંખ્યામાં દરિયાપાર ચાલ્યા જતા અને છેક જંગબાર, જાવા અને ચીન સુધી પહોંચી જઈ કેટલેક વર્ષે પાછા વળતા. બીજી મુખ્ય વસ્તી અહીં માલધારી ગોપજનોની હતી. તેઓ આ સૂકી ભૂમિમાં ચારાપાણીની અછતને કારણે છેક માળવા સુધી વર્ષોવર્ષ વાંઢ્ય લઈ ઊતરી જતા, તે મે પડીને ચરણ ઊગ્યાના સંદેશ મળ્યા પછી જ પાછા ઘર તરફ વળતા. ત્રીજી મોટી લોકસંખ્યા તે તલવારધારી કાઠી રજપૂતો વગેરે શૂરવીર વર્ણોની હોઈ તેઓનું પણ લશ્કરી ચાકરીએ ઘણીવાર છેક દિલ્હી સુધી, ઓરેરૂં અમદાવાદ સુધી અથવા કચ્છ સિંધ તરફ ધાડાં ધીંગાણાને કારણે ચાલ્યા જવું થતું. એ પુરુષવર્ગના પરદેશાટનના કાળમાં સ્ત્રીઓ ઘેરે એકલ જીવન ગાળતી અને ભરથારોના વિજોગની આપદા અનુભવી અનુભવી પોતાની રાત્રિદિવસની ચિંતાઓને કવિતામાં વહાવતી અથવા કોઈ અન્ય કવિને એ રચનાનો વિષય પૂરો પાડતી. આખું વાતાવરણ આ પતિપત્નીની અચોકસ જુદાઈના અનેક અવ્યક્ત ને સબલ ભાવથી છવાઈ જતું. વણઝારા પોઠો લઈને ઊપડતા, સોદાગરો ઘોડાં હાંકી નીકળી પડતા, અને નવપરિણિત વધૂઓ પણ ગઈ દિવાળીએ આણું વળી પિયર જતી તે છેક સામી દિવાળીએ પતિના સંયોગ પામી શકતી. દેશાટને, ધીંગાણે અને ચાકરીએ વિચરનારા પુરુષોની તે જીવતા પાછી વળવાની પણ ખાત્રી નહોતી. એટલે એક બાજુ આ કરુણ મનોદશા તૈયાર હતી, ને બીજી બાજુ ઋતુએ ઋતુની રૂ૫ રસ ગંધ સ્પર્શ ને શ્રવણવાળી પંચવિધ ખિલાવટ એટલી સબલ, સુંદર, મીઠી અને સુખાવહ થતી કે એ સુખમાં ભાગ ન લઈ શકનાર જીવન–સાથી વધુ તીવ્રતાપૂર્વક સાંભરી આવતો.

આ સ્થાનિક વાતાવરણને અનુકૂલ બની જાય તેવું કાવ્ય–કલેવર પણ તૈયાર હતું–ને તે હતું રાધાકૃષ્ણની વિરહ વેદના વહતું ‘બારમાસી’નું ગાન. એ ગીતો રચવા–ગાવાની તો રૂઢિ જ ચાલી આવતી હતી અને ‘રાધાજીના મહિના’ને રૂઢિપ્રચાર આખા ભારત ખંડમાં થયેલો હતો. એ રૂઢિને વશ બની જૈન સાધુકવિઓએ ‘નેમ–રાજુલ’ નામનાં પોતાનાં પુરાણનાં બે પાત્રોનો વિચ્છેદ પણ “મહિના”ના રૂપમાં રચ્યો, સીતાજીના પણ મહિના રચાયા, અને પછી તો સામાન્ય વર્ગની ઊર્મિઓ વહેવા માટે પણ એ જ ખોળિયું બંધબેસતું બની ગયું.

વર્ષાઋતુનું પ્રાધાન્ય

ત્રણે ઋતુમાં વધુ તીવ્રતા પ્રગટાવી છે વરસાદની ઋતુએ : શું દોહામાં, શું છૂટાંછવાયાં ગરબા–ગીતોમાં, શું બાલ–જોડકણામાં કે શું ચારણી કાવ્યોમાં ચોમાસાના સંબોધન–સૂર સવિશેષ વેધક છે. દોહાના ક્ષેત્રમાં જોઈશું તો ઉનાળા-શિયાળાના ઉલ્લેખ ભાગ્યે જ હાથ આવશે. પરંતુ ચાતુર્માસ તો ઠેકાણે ઠેકાણે

ડુંગરડા હરિયા હુવા, ચાવો લગ્યો ચકોર
તે રત ત્રણ જણ સંચરે, ચાકર, માગણને ચોર

કોટે મોર કણુકીઆ, વાદળ ચમકી વીજ,
રુદાને રાણો સંભર્યો,આઈ અષાઢી બીજ.

એમ રાણા-કુંવરની કથામાં [ રસધારઃ ધારા ૫ ] જડશે. પછી

ઉત્તર શેડયું કઢ્ઢિયું, ડુંગર ડમ્મરિયા,
હૈડાં તલફે મચ્છ જીં, સજણ સંભરિયાં.

એ રીતે હોથલ-ઓઢાની કથામાં [ રસધારઃ ૪ ] સ્વજન-સ્મરણ જગાવે છેઃ એ જ પ્રમાણે

વરસ વળ્યાં વાદળ વળ્યાં, ધરતી લીલાણી
એક વીજાણંદને કારણે, શેણી સુકાણી.

એ શેણી–વીજાણંદની કથામાં પણ [ રસધારઃ ધારા ૫ ] ફરી મિલનની વાટ જોવાનો સમય વર્ષારંભે જ પસંદ થયો છે. એવા એવા નિર્મલ અને ઉન્નત પ્રસંગોની સાથે વળી કોઈ કોઈ વાર

વિજલી તું નિરલજ થઈ, મેવલા તું ય ન લાજ,
મારો ઠાકર ઘર નહિ, મધરો મધરો ગાજ !

આવાં પ્રાસંગિક શૃંગાર–સંબોધનો પણ વર્ષોની જ અસર વ્યકત કરે છે. ‘મહિના’નાં સ્ત્રીગીતોમાં પણ સહુથી વધુ જોરદાર પંક્તિઓ ચાતુર્માસની જ હોય છે :

આષાઢે અંદ્ર ઘણા વરસે,
નદી નાળાં છલોછલ ઊભરશે.
વા’લો મારો કેમ કરી ઊભરશે!
આવો હરિ રાસ રમો વા’લા!
[ રઢિયાળી રાત : ૩ ]

અથવા

ભાદરવો ભલ ગાજિયો ને ગાજ્યા વરસે મેહ
હું રે ભીંજાઉં ઘરઆંગણે ને મારા પિયુ ભીંજાય પરદેશ
કે આણાં મોકલને મોરાર!
[ રઢિયાળી રાત : ૩]

એવી ટૂકો આપણને બીજી ઋતુઓનાં વર્ણનમાં ભાગ્યે જ સાંપડશે. ચારણી ભાષાના મરશિયા પણ ઘણે ભાગે અષાઢ માસથી જ આરંભાય છે. આમ ઋતુગીતોના લોક-સાહિત્યમાં ચોમાસું અગ્રપદે હોવાનું કારણ શું ?

થોડુંક કારણ સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિમાંથી જડે છે. સૌરાષ્ટ્ર દેશ કાશ્મીર અથવા બંગાળ શો હરિયાળો ને નીરભર્યો નથી. આંહી, અખંડ વહેનવાળી મોટી નદીઓ નથી, કુંજનિકુંજો નથી, હિલોળા મારતાં સરોવરો નથી. આ તો પાંખાં પાંખાં ઝાડપાંદ અને આછાંઆછાં ઘાસચારાની પહાડી ભોમ છે. અહીં વસંતે કોળનારી ને નવ પલ્લવિત બનનારી વનશ્રી નથી. ગ્રીષ્મમાં શીળા મધુરા વાયરા ઢોળનારી લકુંબ ઝકુંબ વનસ્પતિ કોઈ કોઈ સ્થળ સિવાય ક્યાં યે નથી. ઊભા ઊભા નિર્જળા ડુંગરા તપે અને સપાટ મેદાનો ઉપર ઝાંઝવાં સળગે. ભૂમિ વસવા લાયક બને છે કેવળ ચાતુર્માસમાં. ચોમાસું સૌંદર્ય અને સંપત્તિ બન્ને નિપજાવે. ગોવાળીઆનાં ગૌચરણ ને ખેડૂતોનાં કણ ચોમાસે જ નીપજે. ખેતરોના ને ડુંગરાના વન-કિલ્લોલ ચોમાસે જ જામે.બપૈયા ને મોરલાની પણ મજા વર્ષામાં જામી પડે. પ્રવાસીઓ આશાભર્યા પાછા પણ ચોમાસામાં જ વળે. મેળા, તહેવારો, ઉત્સવો વગેરે પણ ત્યારે જ અનુકૂલ બને. ગરીબ શ્રમજીવીઓને તેમ જ ખેડૂતોને શાહુકારો અનાજ પણ ચોમાસું જોઈને જ ધીરે. આકાશના રંગો પણ ચોમાસે જ અલૌકિક શોભાના સાથીઆ પૂરે. અને પહાડી મુલ્કના સંગ્રામપ્રેમી નિવાસીઓને તો આ વાદળાની ઘુમાઘૂમ, કડાકા, ગર્જના, વીજળીના સબકારા, પાણીના પ્રચંડ પછડાટા ને નદીઓનાં ધસમસતાં પૂર ઈત્યાદિ થકી કોઈ યુદ્ધલીલાની જમાવટ કરતી આ વર્ષા જ વધુ વહાલી થઈ પડે એ યથાર્થ છે. માટે જ વર્ષાના સૂર પ્રબલ અને પ્રમત્ત વાણીમાં ઊતર્યા છે.

પરંતુ કેવળ સૌરાષ્ટ્રના સાહિત્યમાં અથવા લોકસાહિત્યમાં જ વર્ષાઋતુ અગ્રપદે દીપે છે એમ નથી. આખા યે ભારતવર્ષની એ ખાસિયત છે. કારણ એ છે કે શરદ, હેમન્ત, શિશિર અને ગ્રીષ્મ જેવી અન્ય ઋતુઓ તો કશા મહાન પરિવર્તન વિના એકબીજાની અંદર શાંતિથી સરી જાય છે, જ્યારે વર્ષાઋતુ તો પ્રચંડ પરિવર્તનની ઋતુ છે. એનું આગમન કોઈ દિગ્વિજયી રાજેન્દ્રના આગમન સરીખું છે. ઘડીમાં સોનેરી તડકે તપતો તેજોમય ઉઘાડ, તો ઘડીમાં કાળો ઘોર મેઘાડમ્બરઃ ઘડીમાં સૂકી ધરતી, તો ઘડી પછી ધોધમાર વહેતાં પાણી: નિષ્કલંક નીલ આકાશના અંતઃકરણ પર ઓચીંતી વાદળીઓ અને વીજળીઓનો ઉન્મત્ત ઝાકઝમાળ નાટારંભઃ મૃગજળે સળગતાં મેદાનો પર વળતા જ પ્રભાતે રેશમસમાં તરણાંની લીલી લીલી તૃણ-ચૂંદડીનું આચ્છાદનઃ એ સર્વે દ્રશ્યો વર્ષાને મહાન પરિવર્તનની ઋતુ બનાવે છે. અન્ય ઋતુઓને એક જ જાતની સાંગોપાંગ સંપત્તિ—કાં ટાઢ ને કાં તાપ; પણ વર્ષા તો સૌમ્ય તેમજ રૌદ્ર બન્ને સ્વરૂપે શોભતી : ક્યાંઈક મરક મરક મુખ મલકાવતી તો ક્યાંઈક ખડખડ હસતી : ક્યાંઈક જંપીને વિચારમગ્ન બેઠેલી તો ક્યાંઈક ચીસો ને પછાડા મારી વિલાપ કરતી : ક્યાંઈક મેઘધનુષ્યના દુપટ્ટા ઝુલાવતી તો ક્યાંઈક કાળાં ધન-ઓઢણાના ચીરેચીરા કરીને પવનમાં ફરકાવતી: આ બધું આપણા દેહપ્રાણને હલમલાવી નાખે ને આપણા ભીતરમાં પોતાની મસ્તીના પડઘા જગાવે. એના આઘાત અગોચર ન રહી શકે.

વસંતની રાતી કુંપળો તો કોઈ ઝીણી નજરે જોનારા જ જોઈ શકે; ઉનાળાનો તાપ એક જ સરખો અને નિઃશબ્દે નિરંતર તપ્યા કરે; શિયાળાની શીત પણ મૂંગી ને ઊર્મિહીન કો સાધ્વી શી સૂસવે, વર્ષાનું સ્વરૂપ એવું નથી. એ તો જોનાર કે ન જોનાર સર્વેને હચમચાવી મૂકે. માટે જ સંસ્કૃત સાહિત્યમાં પણ ‘મેઘદૂત’ જેવું કાવ્ય ‘આષાઢસ્ય પ્રથમ દિવસે’થી મંડાયું છે. અલકાપુરીનો પ્રિયાવિયોગી યક્ષ અન્ય ઋતુઓ તો ખાસ કશી અસર વિના વટાવી ગયો, પરંતુ આષાઢના પ્રથમ દિવસે પ્રકૃતિનું જે સંક્ષુબ્ધ સ્વરૂપ એણે નિહાળ્યું, તેણે એના અંતરમાં ઘરનાં સ્મરણો જગાવ્યાં, ઊર્મિનું ઉદ્દીપન કર્યું ને કાવ્ય ખળખળાવ્યું.

સૌરાષ્ટ્રમાં એ ખળખભાટ વધુ વેગીલો અને વધુ મસ્ત હોય તો તેનું કારણ છે સોરઠી પ્રજાની આવેશભરી કલ્પનાભરી ને કાવ્યરસભરી પ્રકૃતિ. આંહી તો કનડાના ડુંગર પર ઓઢાની સંગે હોથલ સમી રસિકા સ્ત્રી હતી ને બે કિશોર બાલક હતાં, છતાં યે ઓઢો ‘ઉત્તર શેડ્યું કઢ્ઢિયું’ નિહાળીને પોતાનું વતન કચ્છ સાંભરતાં રડ્યો હતો–એટલું બધું રડ્યો હતો કે

છીપર ભીંજાણી, છક હુવો, ત્રંબક હુઈ વ્યાં નેણ

એ શિલા આખી આંસુડે ભીંજાઈ ગઈ ને નયનો ત્રાંબાવરણાં બની ગયાં. વતનમાં ગયા વગર પોતે ન જ રહી શક્યો. એટલું આ ભૂમિનાં લોકો પર વર્ષાનું પ્રાબલ્ય હતું.

ચારણી કાવ્યની સામગ્રી

આ સંગ્રહમાં સંધરેલાં આઠ લાંબાં ચારણી ઋતુગીતો અતિ પ્રાચીન નથી, માત્ર છેલ્લાં બસો વર્ષ લગભગમાં નીપજેલી જૂનામાં જૂનીથી માંડી છેક જ આધુનિક ગણાય તેવી વાનગીઓ આ આઠની અંદર સમાઈ જાય છે. એટલે ઉત્પત્તિના સમયની દૃષ્ટિએ અતિ પુરાતન ન હોવા છતાં રચના-શૈલી અથવા ભાષા-બંધારણ ને ભાવ–ગુંથણીની દૃષ્ટિએ આમાંનાં જૂનાં ગીત નિઃશંક પ્રાચીનતાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવાં ગણાય. ‘સકજ સાંગણ સંભરે’ (પા. ૪૯) એ છંદને આપણે પુરાતન ઢબછબનો લેખી શકીએ. કવિશ્રી પીંગળશી ભાઈનો ‘ગોકુલ આવો ગિરધારી’ છંદસમયને તેમજ સમયની અસરોને હિસાબે નવીન છે. ગીગા બારોટનું ‘ઋતુ-શોભા’ (પૃષ્ટ ૬૦) નામે ત્રણ ખંડવાળું ગીત, સમયની દૃષ્ટિએ પચાસ વર્ષની અંદરનું હોવા છતાં ભાષાનું શુદ્ધ ડિંગળીપણું જાળવી રાખતું હોઈ તદ્દન આધુનિક નથી. એટલે આ હિસાબે આઠે ગીતોનાં ઝુમખાને ચારણી ઋતુવાણીના પ્રતિનિધિસ્વરૂપે સ્વીકારી લઈ આપણે એમાંથી તરી આવતાં તત્ત્વોને ચારણ કાવ્યનાં સાચાં પ્રતિનિધિ લક્ષણો તરીકે ઓળખાવી શકીએ.

એમાં વિષયો કયા કયા ગુંથાયા છે? એમાં વિરહ-કાવ્યનું તો કેવળ કલેવર જ વપરાયું છે, બાકી એ વિરહના ઉછાળા મારતી આત્મલક્ષી કવિતા છે જ નહિ.એ તો છે વર્ણનાત્મક, અથવા ઋતુ–સુખની ઊર્મિઓ પ્રેરનારી કવિતા. હું તો એને Descriptive poetry (વર્ણનાત્મક કવિતા)જ કહીશ. પ્રધાનભાવે એમાં ઊર્મિનું તત્ત્વ પણ નથી. ચારણો વ્યવહાર–કુશલ કવિઓ હતા. તેઓ કોઈએક જ ભાવમાં આત્મનિમજ્જન નહોતા અનુભવતા. તેઓ કલાના સ–ભાન સર્જન તરફ વિશેષ ઢળતા, તેથી કરીને પોતાની ઋતુ–કવિતામાં તેઓએ કેટલી ભાતનો સંભાર ભર્યો ?

૧. પ્રકૃતિની શોભા: વાદળ, વનસ્પતિ, પશુપંખી, વગેરેની રમતોઃ રંગ, રસ, ગંધ, શ્રવણ ને સ્પર્શની લીલાઓ.

૨. માનવીનાં સાજશણગારો, વારતહેવારો, વ્રતોત્સવો ને લગ્ન ઈત્યાદિ મંગલ પ્રસંગો દ્વારા પ્રકટ થતાં ઋતુ–પ્રભાવ અને ઋતુના ઉપભોગ.

૩. પશુઓ, મનુષ્યો વગેરેનાં શરીરો પર ઋતુ–પલટા થકી થતી સ્થૂલ અસરો.

૪. ભૌતિક જગતમાં થતા ફેરફારો

આ ચારે તત્વોને તેઓએ કાંઈ પદ્ધતિસર પકડીને કવિતામાં નિયમ તરીકે ગોઠવ્યાં નથી, પરંતુ જ્યાં જ્યાં જે જે સૂઝ્યું ત્યાં ત્યાં એ બધાની ગુંથણી એમણે કરી કાઢી છે. કોઈ મહિનાના વર્ણનમાં એમાંનું એક જ હશે, કોઈમાં વત્તા ઓછાં એકથી વધુ હશે, તો કોઈમાં નરી વિરહોર્મિ જ હશે, હવે આપણે દૃષ્ટાંત લઈને દરેકને સમજીએ :

૧. કોઈ પણ કાવ્યમાંથી શ્રાવણની, વશાખની કે ફાગણની કડી ઉઠાવો, એટલે પ્રકૃતિ–શોભાનાં મસ્ત વર્ણનો નીકળી પડશે. જુઓ:

મધુ–કુંજ ફહેરે, અંબ મેહેરે, મહક દહે રે મંજરાં.
કોકિલ કહેરે, શબદ સહેરે, કુંજ લહેરે મધુકરાં.

સૂર કુસુમ બહે રે, ઉર ન સહે રે, પ્રીત ઠહેરે પદમણી,
રઢ રાણ હિમ્મત વળ્યે અણરત, ધરણ સર માતર–ધણી!

એ વસંત - ગ્રીષ્મની મહેક થાતી રસ–સમૃદ્ધિ [૫. ૪૭] : અને હવે

આષાઢ ઉચારં,મેઘ મલારં
બની બહારં જલધારં;

દાદુર ડકારં, મયૂર પુકારં
તડિતા તારં વિસ્તારં;
ના લહી સંભારં, પ્યાસ અપારં
નંદકુમારં નિરખ્યારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી ! [પા. ૨૮]

એ આષાઢનું આધુનિક પ્રકૃતિ-વર્ણન. એથી વધુ કાવ્યમય, એટલે કે ઉપમા વડે શોભીતું શુદ્ધ ડિંગળી વર્ણન

વ્રળકે વીજળી વળી ભળકે ઘટામાં વેગે
ઝળકે પ્રભાકે જાણી હરિવાળા જાગ;
 
પૂરિયાં ધનુષાં મેઘરાજા વાળાં લીલાં પીળાં
આભરો માંડવો લાગો શોભાવા અથાગ

એવી જ લાક્ષણિક અને નવયુગી લાગતી ઉપમા આંહી જોવાય છે:

હદાવાળા ત્રાહે પાળા, સરિતા જોરમાં હાલે
પાણીવાળા ખળકારા એક ધાર પાઢ;
લોઢરા ઘૂઘવા જાણે ગીતરા ઝકોળા વાગા
સાગરા-મંડપે હાલ્યા જાનરા સમાઢ. [પા. ૬૨]

ઘૂઘવાટ કરતાં નદીઓનાં પૂરના લોઢ (મોજાં) જાણે ગીત ગાતું સાજન–મંડળ સાગરને મંડપે જતું હોય તેવાં જણાયાં.

૨. હવે આપણે માનવીઓના સાજશણગાર, વ્રતોત્સવો, લગ્નાદિ આનંદમંગલના અવસરોનો ઉલ્લેખ તપાસીએ : આનંદનું સાદામાં સાદું સ્વરૂપ આ રહ્યુંઃ

રીયણે લીલાણી ભાળી પશુપંખી થિયાં રાજી
નરાં માલધારી મોઢે વધ્યાં ઝાઝાં નૂર.

ચાતુર્માસમાં લીલી પૃથ્વી નિહાળી પશુપાલકોને મુખે નૂર વધ્યાં. પછી બીજા ગીતમાંથી શણગારવર્ણન ઉપાડીએ:

શ્રાવણે સારાં, ઝરે ઝારાં, કે કતારાં કામની
પહેરી પટોળાં, રંગ ચોળાં, ભમે ટોળાં ભામની;

શણગાર સજીએં, રૂપ રજીએં,ભૂલ લજીએં; ભાનને
ભરપૂર જોબનમાંય ભામન કહે રાધા કાનને.
[પા. ૫]

શણગાર તો ખરા : પણ ઋતુને અનુરૂપ: નીલામ્બરો : એવી પણ કોઈ કોઈ કવિની કલ્પના આલેખાયેલી જુઓ :

આષાઢ આયા, મન ભાયા, રંક રાયા રાજીએ
કામની નીલા પેર્ય કચવા, સઘણરા દન સાજીએ.
[પા. ૩૨]

ઉત્સવો જોઈએ. જુદાં જુદાં ગીતોમાં મહા માસે વિવાહનો ઉલ્લેખઃ

વીમાહ થે બળરાહવાળા, ગહક સોળા ગાવીએ.

×××

ગડ ઢોલ ગામોગામ ગહમહ, કોડ જગ વીવા કરે.

×××

માહ મહિના આયે, લગન લખાયે
મંગળ ગાયે, રંગ છાયે.

×××

શિશિર-વસંતે ફાગણમાં શુ ? હોરી–ખેલ : વસંતોત્સવ વર્ણવાયો:

શશિયર સુહાવે, રંગ છાવે, હુલસ ગાવે હોરિયાં,
ફગવા મગાવે, રમત ફાવે, ગમત ભાવે ગોરિયાં;
બાજે બજાવે, ચરિત ચ્હાવે, બસંત દરસાવે બણી,
રઢરાણ હિમ્મત! વળ્યે અણરત, ધરણ સર માતર–ધણી!
[પા. ૪૬]

એ પદલાલિત્યનો ઉચ્ચ નમૂનો: એથી ઓછાં ડોલનવાળી અને ઊતરતી કલાવાળી જુનવાણી શૈલી કેવે શબ્દ વર્ણવે ?

ગાય જે ફાગણ ફાગ ગાણાં, ખરે કેશુય ખખ્ખરં
ગલઆલતેં લેરમેં ગઢપત, સજે હોળી ય સખ્ખરં.
[પા. ૫૦]

આષાઢ શ્રાવણમાં નાહવાનાં પુણ્યઃ ભાદરવામાં શ્રાદ્ધના દિનોનું, કાગડાને પોષવાનું પુણ્ય : આસોમાં નવરાત્રિનાં ગરબા–નૃત્ય અને અમ્બિકાની પૂજા :

નોરતારી રમે નારી ગરબારી મળી નત્યો
વળી પુંજા અંબકારી કરેવા વિશેષ

દિવાળીનાં દીપધૂપ, કાળી ચતુર્દશીનાં નૈવેધ્ય ને ભૂતપ્રેતાદિનાં મંત્રાવાહનઃ કાર્તિકમાં અન્નકોટ, પોષમાં

તિલ દાન દેવા લાગા, પોષ માસ આયા ત્રઠે
ખીસરારે દને મચ્ચા ભોજને ખીસાણ.

એવું મકરસંક્રાંતિ (ખીસર)નું તલનું દાન ને ભોજન-દાન નોંધાયું. એવા વ્રતોત્સવો ને તહેવારોના છૂટાંછવાયાં ગુંથણ આ ઋતુકવિતાઓ માં પડેલાં છે. એ લોકજીવનની સામગ્રીઓ હતી તેથી તેની નોંધ રાખવાનું કામ કવિતાનું થઈ પડ્યું હતું.

૩. માનવી અને પશુજગત પર થતી કઈ કઈ અસરો આ કવિઓએ લક્ષ્યમાં લીધી છે? જેવી કે કાર્તિકમાં ગાયો-ભેંસોના દૂધ ઘાટાં બને, જઠરાગ્નિ દોઢી પ્રગટે. પોષમાં

ઉલટે ઓતર પોસ આયા, કામ પ્રગટે કામણી

કામિનીઓને કામ પ્રગટે; અથવા

મદમત હસ્તી કલા મેમંત, ત્રિયા મદછક દે ટલા

હાથીઓ, ઊંટો અને સ્ત્રીઓ મદમસ્ત બની ઘૂમે છે, વળી ઠંડી વધુ ઉગ્ર હોય તો અંગ પર કસ્તુરીના લેપ કરે :

કર લેપ ચંગં, મદ કુરંગં, કંત સંગં કામણી

નિર્ધનોને નિશા વસમી લાગેઃ ભૂપાળો અંગ પર ઊનનાં વસ્ત્રો પહેરે, સાહેબ લોકો શગડીએ તાપે : વાંદરા ડુંગરાની ગાળીમાં પેસી જાય : વૈશાખમાં તાપ ન સહાયાથી કેસર–ચંદનના લેપ કરેઃ જેઠ માસમાં ક્ષીણ થઈ ગયેલા ઘોડાને ઘી વેઠવું (પાવુ) પડેઃ અને એ દિવસો રાય રંક સર્વને કઠિન થઈ પડેઃ

જગ જેઠરા દન કઠણ જાણાં, રાવ રાણા રાજીએ.

ઝીણાં પટકુળો પહેરાય, બાગો બનાવાય, હોજમાં નિર્મળ શીતળ નીર ભરાયઃ પાણી વિના સર્પોને પવન ભક્ષી જીવવું પડેઃ એવા એવા ઋતુપ્રભાવ વર્ણવાયા છે.

૪. આસોમાં છીપની અંદર મોતી બંધાયઃ શરદપૂર્ણિમાનો ચંદ્ર સૌથી વધુ ઉજળો બને : માગશરમાં સૂર્ય દક્ષિણ દિશા તજી ઉત્તર તરફ ઢળે : પોષમાં પવન દિશા પલટે ને પાણી થીજી જાય, ઝાકળનાં ઝરણાં થકી ચણા, તલ અને ઘઉં પાકે, કૂવાનાં પાણી તપી જાય, નવાણોનાં નીર ઉંડાણે ઊતરે: ફાગણમાં પવન ફરકે, આંબા, મહુડાં ને ખાખરા મહોરે : ચૈત્ર–વૈશાખમાં વન નવેસર કોળે, આકાશમાં રજની ડમરી ચડે, વનફળ પાકે; ભરણી નક્ષત્રમાં 'દનિયાં' તપે: બીજ અને અખાત્રીજને દિવસે પૃથ્વીનાં પડો નીચે ઉપરની બાફ થકી પાણી ઉભરાતાં વૃક્ષોને નવું પોષણ પહોંચે : સૂર્ય પૃથ્વી પર લાંબો સમય ટકે : દિવસ લાંબા ને રાત ટૂંકી થાય : પવન જોરથી ફુંકે (વાવલાં વાય) : જેઠમાં જળ ગભરાઈ બફાઈ જાય, આદ્રા નક્ષત્રમાં ઘોર ઘનઘટા થાય, ચાર થરાં વાદળાં વળે, પૃથ્વી વ્યાકુળ બને, ભોજન ભાવે નહિ, પાણીનો પ્રવાહ ત્રૂટે: આષાઢમાં અત્યંત બફારો ખમવો પડે.

લગભગ આટલાં ઋતુલક્ષણો અને અસરોથી જ ચારણી કવિઓની નિરીક્ષણ-સીમા બંધાઈ જાય છે. આ ઉપરાંતની વિશિષ્ટતાઓ તેઓની દૃષ્ટિએ ચડી નથી, તેમ કશી વ્યવસ્થિત ગૂંથણી પણ તેઓએ નથી કરી. ઉત્તરોત્તર એની એ જ સામગ્રીને કવિઓએ ભિન્ન ભિન્ન શબ્દ-રચના કરીને વાપરી છે. એક ને એક જ ચીલે તેઓ ચાલતા આવ્યા છે. ઋતુઓનાં સવિશેષ પરિવર્તનોની નોંધ કરી નથી, કેમકે તેઓનું ધ્યાન વાચાની પટુતા પર વધુ ચોંટ્યું રહ્યું હતું. એકની એક વસ્તુ એકબીજાથી વધુ લાલિત્ય અને ચમત્કૃતિ સાથે આલેખવાની સરસાઈ ચાલતી હતી. ‘નવી કલ્પનાઓ ને નવી વિગતો લાવો !' એમ કહેનાર કોઈ નહોતું. એટલે જ કેટલાંક ગીતોમાં ઘણુંખરુ તો ઋતુ-લક્ષણનો સહેજ ઈસારો પતાવીને પછી કેવળ ઊર્મિની જમાવટમાં જ ઊતરી પડાય છે: દૃષ્ટાંત તરીકે

પોષેં પછતાઈ, શિશિર સુહાઈ
થંડ લગાઈ સરસાઈ,
મનમથ મુરઝાઈ, રહ્યો ન જાઈ
વ્રજ દુઃખદાઈ વરતાઈ;

શું કહું સમજાઈ, વેદ વતાઈ
નહિ જુદાઈ નરનારી.
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી ! [ પૃષ્ઠ ૨૫ ]


ચારણી ઋતુકાવ્યનું નિશાન

તમામ કાવ્યોનું હોય તેમ આ કાવ્યનું પણ અંતિમ નિશાન તો શ્રોતાને ઋતુઓની જૂજવી રમ્યતાઓમાં રમમાણ કરાવવાનું, માનવીના અંતઃકરણમાં કુદરતનાં સૌંદર્ય–ઝરણાં ઠલવી એની રસિકતાને એટલે અંશે પાપથી પરાંઙમુખ અને ઈશ્વરી કૃતિઓની અભિમુખ કરવાનું હતું. પરંતુ એની મુશ્કેલી બે પ્રકારની હતીઃ એને તો શ્રોતામંડળ ઉપર દાયરાની બેઠકમાં જ બેઠે બેઠે, તત્કાળ અને તીવ્રપણે એ પ્રભાવ છાંટવાનો હતો. એ સાહિત્ય લખાઈને અથવા છપાઈને મનનપૂર્વક વાંચવા-વિચારવાની વેળા કે સ્થિતિ જ નહોતી. હવે આ તાત્કાલિક ચોટ લગાવવા માટે ચારણી કવિતાને તો સંગીતની યે સહાય નહોતી. આલાપ, પલટા, રાગ, રાગિણી, વાજિંત્રની મદદ, કશું જ નહોતું. કેવળ પોતાની શબ્દ-રચના પર જ એને ઝૂઝવું પડતું; નાદવૈભવ નિપજાવવાની જરૂર હતી એટલે એ લોકોને નાદની ગતિમાં જેટલી બને તેટલી વિવિધતા આણવા માટે આ લોકોને એ અનુપ્રાસ તથા વર્ણસગાઈ એ બે વાતનાં બળ કેળવવાં પડયાં. એ અનુપ્રાસ તે કેટલી હદ સુધી ? સંસ્કૃત ઋતુકાવ્ય કશાં યે નખરાં કર્યા વગર આવી રીતે કેવળ ‘વંશસ્થ’ વૃત્તનો માત્રામેળ

प्रचण्डसुर्यः स्पृहणीयचंद्रमा
सदावगाश्चमवारिसंचयः ।
दिनान्तरम्योभ्युपशान्तमन्मथः
निदाधकालोऽयमुपागत: प्रिये॥ [ॠतुसंहारम्



જાળવીને પ્રાસાનુપાસની રંચ માત્ર પરવા કર્યા વગર ચાલ્યું જાય, કેમકે એને સૂતેલી મૂઢ મેદની ઉપર રસની તાત્કાલિક અંજલિ છાંટવી નથી. પરંતુ ચારણી કવિને તો એનો એ જ ભાવ-

વૈશાખે વદ્ળ, પવન અપ્રબ્બળ,
અનળ પ્રગટ થળ તપતિ અતિ;

સોહત કુસુમાવળ, ચંદન શીતળ,
હુઈ નદિયાં જળ મંદ ગતિ;
 
કીનો હમસેં છળ, આપ અકળ કળ !
નહિ અબળા બળ બતવારી,

કહે રાધે પ્યારી હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !

એમ અક્કેક ટ્રકમાં નવ અથવા બાર અનુપ્રાસો મેળવી, અક્કેક પંક્તિને ત્રણ ત્રણ અનુપ્રાસની ઘડી પાડી, કોઈ પડઘમ વાજાના ગતિગીતોની માફક શ્રોતાજનોનાં પચીસ પચીસ અણધડ વા અધઘડયાં હૈયાંને એકસામટા થડકારા લેવરાવવાના હતા. એટલા માટે જ ચારણી કાવ્યના સાદા હરિગીતને પણ અનેક ભિન્ન ભિન્ન અનુપ્રાસોનાં બંધનો આપી નવનવા છંદો રૂપે જન-હદય હરતો બનાવ્યો છેઃ દાખલા તરીકે સારસી છંદ લઈએ :

શશિયર સુહાવે, રંગ છાવે, હુલસ ગાવે હોરિયાં
ફગવા મગાવે, રમત ફાવે, ગમત ભાવે ગોરિયાં

બાજે બજાવે, ચરિત ચ્હાવે, બસંત દરસાવે બણી
રઢરાણ હિડમત ! વળ્યે અણુ રત, ધરણસર માતરધણી !

અથવા જુદા પ્રાસાનુપાસવાળો એ છંદનો બીજો નમૂનો જુઓ ! 

ચૈતરે સ્વામી! ગરુડગામી! અંત્રજામી! આવીએં,
ધર ગિરધારણ! કંસમારણુ ! ધેનચારણ! ધાઈએં;

બળભદ્ર બાળા ! છોગલાળા ! વારી કાના! વાનને,
ભરપૂર જોબનમાંય ભામન કહે રાધા કાનને.

બંને છંદોનું માપ જોશું તો હરિગીતનું છે, છતાં અનુપ્રાસને હિસાબે બન્ને જુદા છે. પહેલામાં નવ નવ મોરાં મળેઃ બીજામાં પ્રત્યેક પંક્તિમાં ભિન્ન ભિન્ન જાતનાં ત્રણ ત્રણ મોરાં મળેઃ એ અનુપ્રાસને ચારણી ભાષામાં 'મોરાં મળવાં' એ પ્રયોગથી ઓળખવામાં આવે છે. અથવા મોરાં બહુ ન મેળવાયાં હોય એવું એક બીજું દૃષ્ટાંત લઈએઃ

અંબા ખારિયા જી ! કે કેસુ કોરિયા
ચિત્ત ચકોરિયા જી! કે ફાગણ ફોરિયા.

ફોરિયા ફાગણ, પવન ફરહર, મહુ અંબા મોરિયા,
ઘણ રાગ ગાવે ફાગ ઘરઘર, ઝુટે પવન જોરિયા;

ગલ્લાલ ઝોળી, રમત હોળી, રંગ ગોપ રમાવણા,
 આખંત રાધા, નેહબાધા, વ્રજ્જ માધા આવણાં !

આ છંદ પણ હરિગીતમાંથી ઘડ્યો. બનાવ્યો ગજગતિ છંદ. હાથીની ઝુલણ ગતિના તાલ આ છંદના ડોલનમાં ઉતારવાનો યત્ન થયો, અને અનુપ્રાસોનો અભાવ સ્વાભાવિક વર્ણસગાઈથી પૂરવામાં આવ્યો. જુઓ દરેક પંક્તિમાં 'ફ,' '૨,','ગ,' વગેરે વર્ણો ભિન્ન ભિન્ન પુષ્પો પર બેસતાં પતંગિયાંની માફક સાહજ્યપૂર્વક પોતાનાં સ્થાન બદલતાં જાય છે અને આ છંદની ગજરાજ શી વિક્રમશીલ ગતિ ઘડે છે. 

આ બધાં બંધનોથી ચારણ કાવ્યવાણીને જોઈતી virilityશૌર્યવંત નાદશક્તિ પ્રાપ્ત થાય છે. એ નાદના સામર્થ્ય વિના ચારણી કાવ્ય ભુજબળ વિનાના યોદ્ધા જેવું નમાલું ને નિરર્થક નીવડે છે. એટલે કંઠસ્થ કવિતાને આટલાં બધાં બંધનોની વચ્ચે રહીને પછી જ કાવ્યનો વિષય જમાવવો રહ્યો. આ કારણે કાવ્યની સામગ્રી કદાચ બહોળી ન વસાવી શકાય, ક૯૫નાનાં ઉડ્ડયનો ઘણુંખરું થોડેક ઊંચેથી જ અટકી પડે, પુનરુક્તિ કર્યા વિના ચાલી શકે જ નહિ, શબ્દની ભભક પ્રધાનપદ ભેગવે, એ બધું દેખીતું જ છે. તેમ છતાં પણ આપણે આગળ તપાસી ગયા તે રીતે આ કવિતામાં બની શકે. તેટલા સંભાર ભરવાની ખંત રાખવામાં આવી છે.

નિર્દોષ નાદ-વૈભવ

પરંતુ આ બધી શું નાદપ્રધાન કાવ્યની અસાધ્ય અને અનિવાર્ય ત્રૂટીઓ છે ખરી ? નાદ અને શબ્દઝમકની સાથે ભારોભાર ભાવસંભાર ભરવો શું દુર્લભ છે ? ના, નથી. પુનરુકિતનો દોષ વહોર્યા વિના, પ્રાસાનુપ્રાસનાં સખ્ત બંધનો પાળતી છતી યે ભાવભરપૂર ઋતુ-કવિતાઓ બંગાળીમાં થોકબંધ તેમ જ આપણા શિષ્ટ ગુર્જર કવિઓની કૃતિઓમાં કયાંઈક કયાંઈક પડી છે. રવીન્દ્રનાથ ઠાકુરે ઋતુગાન રચ્યાં છે તેટલાં ભાગ્યે જ અન્ય કોઈએ રચ્યાં હશે. વળી એમનાં ઋતુકાવ્યો મુખ્યત્વે કરીને ગાઈ અથવા બોલી સંભળાવવાને જ સરજાયાં હોય છે. માત્ર ઉચ્ચ કક્ષાના રસજ્ઞો અથવા વિદ્વાનો જ સાંભળીને સમજી શકે તેવાં નહિ, પણ હજાર માણસોની પચરંગ મેદની જે સાંભળીને ડોલે, એવી સરલ શબ્દગુંથણીવાળાં ને એવાં સુગમ્ય ઊર્મિભરપૂર એ કાવ્યો હોય છે. એટલે એ ચારણી ઋતુંકાવ્યોના દોષોથી મુક્ત છતાં તેના ગુણોએ કરી બેવડાં શોભીતાં હોય છે. એમાં કુદરતનાં રૂપઉઠાવ, માનવીનો ઊર્મિસ્પર્શ અને ભાષાનો મસ્ત ખિલાવ ભેળાં મળેલાં હોય છે. ચારણ ગીતની માફક એ મહાકવિએ બોલી સંભળાવવા માટે રચેલાં લોક-ડોલાવણ પદો માંહેલું એક પદ લઈને એની આ કલાની પરાકાષ્ટા તપાસીએ. આ છે વર્ષાગીતઃ નામ છે 'નવ વર્ષા'  :

[૧]*હૃદય આમાર નીચે રે આજિકે
મયૂરેર મત નાચે રે, હૃદય નાચે રે.

શત વરનેર ભાવ–ઉચ્છવાસ
કલાપેર મત કરે છે વિકાસ
આકુલ પરાન આકાશે ચાહિયા
ઉલ્લાસે કા’રે જાચે રે !
હૃદય આમાર નાચે રે આજિકે
મયૂરેર મત નાચે રે.

[મારું હૃદય આજે મોરલાની માફક નાચી રહ્યું છે. શતવરણા ઊર્મિભાવ રૂપી મયૂર-પિચ્છોની જાણે કળા કરીને, આકુલ પ્રાણથી આકાશ સામે નિહાળી મારો હૃદય–મોરલો કોને પોકારી રહ્યો છે !]

આ પ્રથમ કડીનો ભાવઃ કવિહૃદયે મોરલાનું રૂપ ધારણ કર્યું. મનોભાવોનો વિકાસ મોરની પિચ્છ-કળાનું રૂપક પામ્યો. ચારણી કાવ્યમાં આ કલ્પના નહિ મળે.

પછી મેઘગર્જનાનો નાદ ઉઠાવતી શબ્દરચના આવી :

ગુરુ ગુરુ મેઘ ગુમરિ ગુમરિ
ગરજે ગગને ગગને, ગરજે ગગને.



ધેયે ચલે આસે બાદલેર ધારા,
નવીન ધાન્ય દુલેર સારા,
કુલાયે કાંપિ છે કાતર કપોત
દાદુરિ ડાકિ છે સઘને,
ગુરુ ગુરુ મેઘ ગુમરિ ગુમરિ
ગરજે ગગને ગગને.

બરાબર ચારણી કાવ્યનો ગુણ ગ્રહાયો : સરખાવો [પા. ૩૩]

પેપન્ન ભાદ્રવ માસ પ્રઘળા
વહે પચરંગ વાદળાં,
ગડ હડડ ઘણુણુ અંબર ગાજત
સખર અતર શામળાં.

અથવા [ પા. ૫૭].

આષાઢ ઘઘૂંબીય લૂંબીય અંબ૨
વદ્ળ બેવળ ચોવળિયં;
મહોલાર મહેલીય, લાડગેહેલીય
નીર છલે ન ઝલે નળીયં.

પછી રવિબાબુ નવાં ધાન્યછોડનાં ડોલન વર્ણવે, દેડકાંની બોલી વર્ણવે. એનો બરાબર ચારણી કાવ્ય સાથે મેળ જામે. પરંતુ તે પછીની કડીમાં

નયને આમાર સજલ મેઘેર
નીલ અંજન લેગે છે
નયને લેગે છે !

નવ તૃનદલે ઘનવન છાયે
હરષ અમાર દિયેછિ બિછયે
પુલક્તિ નીપ-નિકુંજે આજિ
વિકસિત પ્રાન જેગે છે,
નજને સજલ સ્નિગ્ધ મેઘેર
નીલ અંજન લેગે છે.

[મારાં નયનોમાં સજલ મેઘનું આસમાની અંજન અંજાઈ ગયુ છે. નવા ઘાસ ઉપર ઘાટાં વનની છાંયડીમાં મેં મારો હર્ષ બિછાવી દીધો છે. મારો ખીલેલો પ્રાણ આજે આ પુષ્પભર્યા બાગમાં જાગી ઊઠયો છે.]

એ ચારણોને માટે દુર્લભઃ એથી યે વધુ દુર્લભ કલ્પના તો હવે આવે છે.

ઉગો પ્રાસાદેર શિખરે આજિકે
કે દિયે છે કેશ એલાયે
કબરી એલાયે ?

ઉગો નવઘન-નીલ વાસખાનિ
બુકેર ઉપેર કે લયે છે ટાનિ
તડિત્ શિખાર ચકિત આલોકે
ઉગો કે ફિરે છે ખેલાયે ?

ઉગો પ્રાસાદેર શિખરે આજિકે
કે દિયે છે કેશ એલાયે ?

[ઓહોહો ! આ મહેલના શિખર પર આજે પોતાના અંબોડાના કેશ કેણે વિખરાતા મૂકયા છે ? ઓ રે! આ નવલ વાદળી રૂપી આસમાની ઓઢણીને પોતાના હૈયા ઉપર તાણી લઈને કોણું ઊભું છે! વીજળીના તેજ-ચમકારાની અંદર આ કોણ રમવા નીસર્યું છે ? }

ઉગો નદીકુલે તીર-તૃનદલે
કે બસે અમલ વસને
શ્યામલ વસને ?

સુદૂર ગગને કાહારે સે ચાય?
ઘાટ છેડે ઘટ કોથા ભેસે જાય?
નવ માલતીર કચિ દલગુલિ
અનામને કાંટે દશને;

ઉગો નદીકૂલે તીર-તૃનદલે
કે બસે શ્યામલ વસને ?

આ છે કાઈ એકાકિની પનિહારીની કલ્પના :

[ ઓ રે! આ નદીને તીરે, કાંઠાના ઘાસ પર આ નિર્મલ અને નીલુડે વસ્ત્રે કોણ બેઠું છે? દૂર ગગનમાં એ કોને નીરખી રહી છે? એનો ઘડો ઘાટ પરથી કયાં તણાતો જાય છે ? આમ અન્યમનસ્ક બનીને બેઠી બેઠી માલતી પુષ્પની કુણી પાંખડીઓ દાંત વતી તોડ્યા કરતી એ કોણ હશે ? ]

હવે આવે છે બીજી કોઈ ગોપ-નારીનું શબ્દચિત્રઃ

ઉગો નિર્જને બકુલ શાખાય
દોલાયકે આજિ દુલિ છે
દોદુલ દુલિ છે ?
ઝરકે ઝરકે ઝરિ છે બકુલ
આંચલ આકાશે હતે છે આકુલ

ઊંડિયા અલક ઢાકિ છે પલક
કબરી સખિયા ખુલિ છે,
ઉગો નિર્જને બકુલ શાખાય
દોલાય કે આજિ દુલિ છે ?

[ઓ રે! આ નિર્જન પ્રદેશમાં બકુલની ડાળીએ આજ કોણ એ હીંડોળે ઝુલી રહ્યું છે ? હીંચોળે હીંચોળે ઉપરથી બકુલ પુષ્પ ઝરે છે; એનો અંચળો આકાશે ફરફરી રહ્યો છે, એની કેશ-લટો ઊડી ઊડીને મુખ ઢાંકે છે; એનો અંબોડો છૂટી ગયો છે. ]

વર્ષા–સુંદરીનાં આ બધાં કવિવરે કલ્પેલાં જૂજવાં સ્વરૂપો છે. અને છેલ્લે એ કલ્પનાની મૂર્તિઓને જતી કરી કવિ તાદશતાની ભૂમિકા પર પાછા ફરી સાદું સીધું ઋતુ–દ્રશ્ય રજુ કરે છેઃ

ઝરે ઘનધારા નવપલ્લવે,
કાંપિ છે કાનન ઝિલ્લિર રવે,
તીર છાપિ નદી કલ કલ્લોલે
એલ પલ્લીર કાછે રે !
હૃદય આમાર નાચે રે આજિકે
મયુરેર મત નાચે રે.

[ નવ પલ્લવ મેઘધારા ઝરે છે; તમરાંના લ્હેકારથી જંગલ કંપી ઊઠયું છે; અને નદી ગાજતે પૂરે કાંઠા પરથી છલકી જઈને ગામની અડોઅડ આવી પહોંચી છે. ]

આ અને આવાં અનેક ઋતુકાવ્યો રવીન્દ્રનાથે ઋતુના ખાસ ઉત્સવ ઉજવવા અને અભિનય સાથે બોલી સંભળાવવા માટે યોજ્યાં છે માટે જ એની જોરદાર શબ્દ-રચના મોટી મેદિનીનાં મનહરણ કરવાની તાકાત ધરાવે છે. આ લેખકે કલકત્તા નગરમાં 'વર્ષા–મંગલ ' નામના ઉત્સવમાં કવિવરને આ અને આવી અન્ય કૃતિઓ બોલી સંભળાવતા નિહાળ્યા ને સાંભળ્યા છે. આ ગીત એમની કૃતિ 'ક્ષનિકા'માં છે.

પરંતુ આવા કલ્પનાવૈભવની આશા આપણે ચારણ કવિ પાસેથી શી રીતે રાખીએ ? કયાં શારદાનાં સમૃદ્ધિ-દાન પામનાર રવીન્દ્રનાથ? ને ક્યાં નિરક્ષર ચારણ! એ કવિને, અથવા તો

આજ મહારાજ જલ પર ઉદય જોઈને
ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે;

 સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે,

પિતા! કાલના સર્વ સંતાપ શામે!
ધવલ તવ નેત્ર સામે

એ શરતપૂર્ણિમાનો સાગર પરનો ચંદ્રોદય નિહાળનાર કવિ કાન્ત અથવા તો

ઝીણા ઝરમર વરસે મેઘ
ભીંજે મારી ચુંદડલી !

એટલી લોકગીતની પંક્તિમાંથી

આનંદ કદ ડોલે સુંદરીના વૃંદ ને
મીઠા મૃદંગ પડછંદા રે,
 મંદ મંદ હરે મીટડી મયંકની
ડેરે મારા મધુરસચંદા
હો ભીંજે મારી ચુંદડલી ! –ઝીણા૦



એવો નાદનૃત્યની મસ્તી જગવતો વર્ષા–રાસ રચનાર કવિ ન્હાનાલાલને, –એવા અનેક આધુનિકોને તો ઘણી ભાષાના સમાગમ, ઘણાં ઘણાં નવોર્મિ–મંથન, આત્મલક્ષી કવિત્વનાં અનેક પ્રેરણાં–ઝરણ ઈત્યાદિ સમૃદ્ધિઓ સાંપડેલ છે. એની જમાવટ પરલક્ષી કવિતાને ચીલે ચાલનાર અને કેવળ પોતીકી મૌલિક કલ્પનાશક્તિ પર જ જોર કરનાર ચારણોથી ન જ બને. તે છતાં આપણે કેમ વીસરી શકીએ કે

જેઠે જગજીવન ! સૂકે બન બન
ઘોર ગગન ઘન ચઢત ઘટા,
ભાવત નહિ ભોજન, જાત બરસ દન,
કરત ત્રિયા તન કામ કટા.
[પા. ૨૨]

અથવા તો

શ્રાવન જલ બરસે, સુંદર સરસે,
બદ્દ્લ ભરસે અંબરસે,
તરુવર ગિરિવરસેં, લતા લહરસેં
નદિયાં પરસે સાગરસેં;
દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં
લગત જહરસેં દુઃખકારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુલ આવો ગિરધારી!

એ કલકલનાદિની, પ્રવાહવંતી અને સંગેમરમરની પૂતળી સમી સુડોલ કવિતા. ચારણ કવિ શ્રી પીંગળશીભાઈની છે. કેમ વિસરીએ કે

રંગ ભાદ્રવ શ્યામ ઘટયા રંગ રાતોય
રંગ નીલમ્બર શ્વેત રજે;

ફળફૂલ અપ્રબ્બળ કમ્મળ ફેલીએ ,
વેલીએ નેક અનેક વજે;

એ ભાદરવાની અમ્બરઘટાની પાંચ પાંચ રંગે પુરાયલી છબી આંકનાર કોઈ નિરક્ષણ મામૈયો મોતીસર છે? કેમ વીસરીએ કે

મૃગજાળા વાળા લોઢ ઊછળ્યા પ્રથમી માથે
નીરઝારા સૂકા, પાન ત્રોવરારા નાશ;
સ્રોવરારા ખાલી આરા દોરા દોરા જેમ સૂકા
નશાં જીવ દાદરારા પામિયા નિરાશ.

[પા. ૬૭]
 

એ સળગતા ઉનાળાની સુરેખ છબી આંકનાર કલમ પેલા ગામડિયા વહીવંચા ગીગા ભગતની છે?

આવું સબલ એ કવિતાનું કલેવર છે; પડસુંદી સમાન મનધાર્યા ઘાટ આપનાર મુલાયમ એનો ભાષાપુંજ છે; આવી ચોટદાર એની ગતિ છે. એ ગુણોવાળી કવિતાને કાળના મોઢામાં ચાલી જવા દેવું આપણને પરવડે જ નહિ. નવા કાવ્યયુગમાં એના ક્લેવરનો સરસ ઉપયોગ થઈ શકશે.

સ્ત્રીગીતો વિ. ચારણી ગીતો

આ બન્ને જાતનાં ઋતુગીતો વચ્ચેની તુલના જ અસ્થાને છે. બન્નેમાં ‘ઋતુ'નો નિર્દેશ બાદ કરતાં બાકીનું લગભગ બધું ભિન્ન છે. સ્ત્રીગીતો ગરબે રમવાનાં, સહજ સરલ શબ્દરચનાવાળાં, બેહદ કોમલ, અને બીજી અનેક દૃષ્ટિએ સ્ત્રૈણ છે; ચારણી ગીતો રાજદરબારે કે શૂરવીરોને દાયરે ગાવાનાં, બેઠાંબેઠાં એકલા લલકારવાનાં, ઝડઝમકવાળી ને અટપટી શબ્દરચનાવાળાં, બેહદ જોશીલાં અને બીજી સર્વ દષ્ટિએ પૌરુષ પ્રગટ કરનારાં છે. કયાં રહ્યું

ભાદરવે તો ભરદરિયે હું ડૂબી રે વાલાજી !
આ કંથ વિના કર ઝાલી કેણ ઉગારે મારા વાલાજી!

[૨. રા. ભા. ૩]
 

એ વલવલતે વિરહાર્દ્ર સ્વરે ગવાતું દ્રાવક સ્ત્રીગીત ! અને કયાં

ભાદ્રવ સર ભરે જી કે અત નત ઉભરે,
શ્રીરંગ સંભરે જી કે વિરહી વિસ્તરે;
 
વિસ્તરે ઉર વચ વિરહ વેલી, શેક ગોકુલ વન સહી
ધન્ય ધન્ય તારી પ્રીત ગિરધર ! ગો૫ તજ કુબજા ગ્રહી;

પંથ પખ થાકાં નયણ દન દન, વચન જલમ નભાવણાં !
આખંત રાધા, નેહ બાધા, વજ્જ માધા આવણાં !

[ઋ. ગી. પા. : ૧૫]
 

એ મરોડદાર, મલપતી ગજગતિએ ઊપડતું ચારણી વિરહગીત ! સ્ત્રીજનો ગાશે કે

“ આષાઢે ઝીણી ઝબુકે વીજ
મધુરા બોલે મોરલા રે લોલ

[૨. રા. ભા. ૩ ]
 

અથવા બહુ બહુ તો સુંવાળું "પ્રકૃતિ-ચિત્ર આકે કે

આષાઢે ઘમઘોરિયા ને વાદળ ગાજે ઘોર.
બાપૈયા પિયુ પિયુ કરે ને મધુરા બોલે મોર
કે આણાં મોકલને મોરાર !

[૨. રા. ભા. ૩]
 

ત્યારે ચારણ ગળુ કુલાવીને દિગન્તો ગજવતો, થડકાર દેતો, સભામંડપ હલમલાવતો ગાશે કે [ઋ. ગી. પા. ૧૩ ] 

ધર આષાઢ ધડૂકિયા મોરે કિયો મલાર;
રાધા માધા સંભરે જદુપતિ જગ ભડથાર!

ખળહળ વાદળિયાં વચે વીજળિયાં વળકંત;
રાધા માધા કંથ વિણ ખણ નવ રિયણ ખસંત.

અને પછી પલટો મારીને ગજગતિ-છંદ ઊપડે :

વ્રજ વહીં આવણા જી! કે વંસ બજાવણાં !
પ્યાસ બુઝાવણાં જી! કે રાસ રમાવણાં !

વળી અવાજ ત્રીજો પલટો ખાય :

રંગ રાસ રત ખટ માસ રમણાં, પિયા પાસ બુઝાવણાં!
આષાઢ ઝરણાં ઝરે અંબર તપે તન તરુણી તણાં;

વિરહણી નેણાં, વહે વરણાં, ગિયણ વિરહી ગાવણાં
આખંત રાધા, નેહ બાધા, વજજ માધા આવણાં !

સ્ત્રીગીતોમાં ઋતુસાંદર્યનું વર્ણન નથી, ઋતુ-દર્દનું વર્ણન છે, સ્ત્રીની કલ્પના બારીક ચિત્રાંકન નથી કરતી, પણ કોમલ હૈયું નિચોવે છે, કાલાવાલા કરે છે, અસહાયતા પુકારે છે, એકલતાની વેદના દાખવે છે, દષ્ટાંત લઈએ : [૨. રા. ભા. ૩ ]

શ્રાવણ તો સરવડીએ વરસે,
ઝીણા ઝીણા મેવલિયા વરસે

વાલા મારા તોય મરું તરસે
આવો હરિ રાસ રમો વાલા !

અથવા તો

શ્રાવણે સોળ સજ્યા શણગાર
કે આંખડી ન આંજીએ રે લોલ !



એમાં શ્રાવણના સૌંદર્યનું વર્ણન નથી; જ્યારે ચારણની આંખ તો એ શ્રાવણની કુદરતના જૂજવા શણગાર નિહાળે છે, આ રહ્યું:

છલત શ્રાવણ, મલત છાયા, વલત નીલી વેલડી,
બાપયા પ્રઘળા મોર બોલે, ધ્યાન રાખત ઢેલડી;

પ્રષનાર નાવત, કરત પૂજા, ધ્યાન શંકરસેં ધરે,
જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.

છલકતાં શ્રાવણ-નીરઃ છવાતી છાંયડી : વળીવળીને ફેલાતી લીલી વેલડીઓઃ બપૈયા મોરલાના ટૌકાર અને સમીપે ડોલતી ઢેલડીનું સ્વામી પર ધ્યાન રાખવું : અથવા તે હરકોઈ બીજું ચારણી ગીત ઉપાડો :

નવખંડ નીલાણીય, પાવન પાણીય ,
વાણીય દાદૂર મોર વળે,
 
શવદાસ ચડાવણ પુંજાય શંકર
શ્રાવણ માસ જળે સલળે.

નવે ખંડ નીલા થયા : પાણીએ પાવન થયા દેડકાં ને મોરલાની વાણી ફૂટીઃ શિવની પૂજા ચાલી ઃ એવો સજળ શ્રાવણ માસ. આ વર્ણન સ્ત્રી ગીતોમાં નથી, આહીં પ્રાધાન્યપદે પ્રકૃતિ–લીલા છે, ને ત્યાં અગ્રપદે વિરહી દશાની લાચારી છે. ચારણી કાવ્યમાં જુઓ તો,

રંગ ભાદ્રવ શ્યામ ઘટા રંગ રાતોય
રંગ નીલંબર શ્વેત રજે,
ફળ કુલ અપ્રબળ, કમળ ફેલીય
વેલીય નેક અનેક વજે.

એવા ગગન-ધરતીના રંગખિલાવ પર દિલ–ડોલન થઈ રહ્યું છે. ઠેર ઠેર 

પીલંબરી લાલ ફૂલી લીલંબરી બણી પૃથી
ઘનશ્યામ માથે છૂટી મેઘરી ઘેબુંબ;

એ જ દ્રષ્ટિયોગ: ઋતુદર્શને ઘેલાતુર બનેલા યોદ્ધાની આનંદ-લૂંટ : કલ્પનાનાં વ્યોમધરતી ફરતી વિક્રમશીલ ઘુમાઘૂમ અને પલે પલે યોદ્ધાની જ ઘેરીધેરી આંખડી વતી ચાલતું અવલોકન : એ રસિકતામાંથી પણ વિક્રમ જાગે પ્રેરણાનાં ચેતનપૂર ઉછાળા મારે: મનઘોડીલા થનગને.

ત્યારે એથી ઉલટું સ્ત્રીગીતોમાં હૈયુ અંદરખાનેથી રડે, અંતરની કઠોર ધરતી પલળીને પોચી પડે, ઋતુ-સંભારણે ગમગીની વધે, ઊર્મિઓ વિરહ-દુ:ખની અતિશયતાને લીધે ઘણુંખરું ક્ષીણ પણ પડી જાય, સ્ત્રીત્વને વિષે અબળાપણાનો ને અસહાયતાનો જ માઠો ખ્યાલ પોષાય.

પરંતુ બીજી બાજુ ચારણી ગીતોથી કુટુંબ-જીવનના કોમલ ભાવો ક્યાં જરીકે ઝીલાય છે? મેઘદર્શને ખેતરોમાં કલ્લોલી ઊઠતી બહેન-

વ્રસજે વ્રસજે હો મેહુડા બાવાજી રે દેશ!
જઠે ને માડીરો જાયો હળ ખેડે.

ભીને ભીને હો બાંધવ મારા પાઘડીઆરો પેચ,
ભાભજરો ભીને રે ચૂડો વળી ચૂંદડી.

ભીને ભીને હો બાંધવ મારા રેશમીઆરી ડોર,
ગીગો ને ભીને હા થારો પારણે.

[ ઋતુ. ગી. પાનું ૭૬ ]
 

એમ મેહુલાને મહિયર મોકલે, ભાઈ હળ ખેડતો હોય ને ભાભી નીંદામણ કરતી હોય એનું ચિત્ર આલેખે, વીરાની પેચાળી પાઘડી, ભાભીનો ચૂડ ને ચૂંદડી, તરુવરની ડાળે ઝૂલતો પારણાની દોરી ને એમાં  પોઢેલો ભત્રીજો : એ સર્વને વૃષ્ટિમાં ભીજાતાં કલ્પે. આવું દૃશ્ય શોધવા ચારણી કાવ્યમાં ભમવું નિરર્થક છે. અથવા તો સાસરવાસીના પિંજરમાં પુરાએલી માબાપવિહોણી બહેન ઋતુએ ઋતુએ ભાઈને [પાનું ૭૮]

વરસાળે આણાં મેલજો રે વીરડા!
વરસાળે ખોદું જૂઠડાં.

X X X

શિયાળે આણાં મેલજો રે વીરડા!
શિયાળે સાંધું સાંધણાં

X X X

ઉનાળે આણાં મેલજો રે વીરડા !
ઉનાળે કાંતું કાતણાં.

એવા ઓશિયાળા ભાવોના સંદેશા મોકલે, 'તુ તેડાવીશ તો હું તારાં કામ કરી આપીશ. મફતના રોટલા નહિ ખાઉં.' એવી ખાતરી આપે, છતાં ભાઈ તો પ્રત્યુત્તરમાં બ્હેનને—

ખોદશે રે ઘરની નાર મારી બેનડી
તમે તમારે સાસરે.

એ નકાર જ કહાવેઃ ફરી પાછી ભોળુડી બહેન તો

પિયરનાં ઝાડવાં દેખાડો મારા વીરડા !
એ રે ઝાડખડે હીંચતાં

એ પિયરનાં બાળ-સાથી ઝાડવાને મળવા તલખે, ત્યારે સ્વાર્થી ભાઈ

ઓતર દખણની વાવળ રે આવી
વાવળે રોળાઈ ગ્યાં ઝાડવાં.



એવો જૂઠાણાંવાળો જવાબ મળે. આખરે પિયર-દર્શનની આશા સંકેલીને બહેન [ પા. ૭૯ ]

મરું તો સરજું ઊડણ ચરકલી
જાઈ બેસું રે વીરાને ટોડલે.

મરું તો સરજું કૂવાનો થરો
માથે ધોવે રે વીરડો ધોતીઆં.

એવી અંતર ચીરનારી મૃત્યુ –ભાવના ભાવેઃ આવી હૃદયસ્પર્શી, વેધક, કલાવિહીન, ને આડમ્બરહીન ગૃહ-ઉર્મિઓ ચારણી કાવ્યમાં ગોતી જડશે નહિ. શ્રાવણી ત્રીજના વિશિષ્ટ તહેવાર પર બહેનને ઘરે તેડી લાવવા માટે હેતાળ ભાઈ એને સાસરે જાય : પણ બનેવીની જમીનમાં બારબાર હળનાં વાવણાં જૂત્યાં હોવાથી એ બાર સાથીઓનાં ભથવારાં કોણ ટીપી આપે : બનેવી બહેનને નથી મોકલતો ; હતાશ ભાઈ ઘેરે આવીને વાટ જોતી માતાને જ સંદેશે કહે છે :

એક મત જલમો માતા બેનડી રે
બેનડી રુવે પરદેશ !

સાતે ભાયાની બેનડી રે
બેનડી રુવે પરદેશ !

એવી શ્રમજીવીઓની સંસાર-ઘટનૉમાં ભરપૂર પડેલી મનોવેદનાને આટલી સરલ દ્રાવક શૈલીએ વર્ણવવાની આશા અમીરઆશ્રિત અને આડમ્બરપ્રેમી ચારણ-કવિ કનેથી રાખવી વ્યર્થ છે. ચારણી કાવ્ય એ પૂરું લોકકાવ્ય નથી. એ બે વચ્ચેનો ભેદ તે આ રહ્યો :

"It is difference between sophistication and artlessness: Minstrel's song will suit the hall better than the  bower, the tavern or the public square better than the cottage, and would not go to the spinning-wheet at all (Prof. Kitterege ).

દોહાનું ઋતુકાવ્ય

લોકસાહિત્યનું ઉત્તમોત્તમ ઋતુકાવ્ય તો દેહાઓમાં ઊતર્યું છેઃ સ્ત્રીગીતો અને ચારણી ગીતો, બન્નેના નબળા સંસ્કારોથી મુકત અને છતાં બન્નેનાં જૂજવાં સામર્થ્યને સંઘરતા એ દોહાઓ એટલે ગોપજનોનાં વનવાસી હૈયાનો મીઠામાં મીઠો નીચોડઃ એની સૌંદર્ય પારખ દષ્ટિ એક બાજુથી એ બબ્બે પંક્તિના દોહામાં

વરસ વળ્યાં વાદળ વળ્યાં,
ધરતી નીલાણી;

એવું ચિત્રાંકન કરે છે અને છતાં તેની સાથોસાથ

(એક) વિજાણંદને કારણે
શેણી સુકાણી.

એવું વિજોગી ગોપ–યુવતીનું પ્રેમ-દર્દ સબલ મિતાક્ષરી રીતે ચાંપી ચાંપી એ બબ્બે પંકિતઓમાં ભરી આપે છે. ચિત્રાલેખન અને વેદનાલેખન, બન્નેની સમતોલ મેળવણીમાંથી નીપજેલા

કોટે મોર કણૂકિયા વાદળ ચમકી બીજ
રુદાને રાણો સાંભર્યો આઈ અષાઢી બીજ.

સાણે વીજું સાટકે, નાંદીવેલે નેસ,
કુંવર બચ્ચું કુંજનું, બેઠી બાળે વેશ.

એવા દોહાસોરઠા દાયરે અને નેસડે, સિતારના તાર પર અને વાંસળી વાટે સભારંજક વાર્તાકારને કંઠે અને ગાયો ચારતા ગોવાળને  ગળે, રાજસભામાં અને રેંટિયાના ગુંજન સાથે, સર્વત્ર રેલી શકે છે, પીનાર પાનાર રંક કે રાય, વિદ્વાન કે નિરક્ષર, સ્ત્રી કે પુરુષ, સર્વેને સચોટ નાદ– થડકાર સમેત દોહો સ્પર્શી શકે છે. એ મેહ-ઉજળીના—

મોટે પણગે મે, આવ્યો ધરતી ધરવત
અમ પાંતીનો એ, ઝાકળ ન વરસ્યો જેઠવા!

વણ સગે, વણ સાગવે, વણ નાતરિએ નેહ,
વણ માવતરે જીવશું, તું વણ મરશું મેહ !

એ મેહનું રૂપક વાપરીને કરેલા વિલાપોમાં સ્ત્રીત્વ અને પુરુષત્વ ભારોભાર છે. ભાષા-રચનામાં મર્દાનગીભર્યા ચારણી કાવ્યનું સંયમિત કૌવત છે. અને તેટલી જ ગરબાગીતની કોમલતા છે. કારણ એ છે કે આ દોહાસોરઠાનું સર્જન સભારંજક અને અલંકાર-શોખીન ચારણ કવિનું નથી, આ તો છે નિસર્ગનાં વીરત્વ અને માર્દવ બન્નેના ગાઢ સંગી, પ્રેમદર્દી, વિરહાનુભવી અને તે છતાં બીજી બાજુ તેટલા જ વિક્રમશીલ સ્વભાવવાળા વનરાજ-સંગાથી ગોપજનોનું ઊર્મિ-ઉચ્ચારણ.

ઝવેરચંદ મેઘાણી
 
  1. *બંગાળી ભાષામાં ‘હૃદય’નો ઉચ્ચાર ‘હ્રિદય’ ‘વ’ ને ‘બ’ :
    ‘સ’ ને ‘શ’: એવી રીતે થાય છે. તેમજ ‘અકાર’ નો ‘ઓ’ કાર
    ઉચ્ચારાય છે – -જેમ કે ‘લયે છે’ ને ‘લોયે છે.’ આટલો ખયાલ રાખીને આ કાવ્ય
    વંચાશે તો એનો નાદ–વૈભવ બરાબર સમજાશે. -સં.