કુસુમમાળા/નદીકિનારે

વિકિસ્રોતમાંથી
← વિનીતતા કુસુમમાળા
નદીકિનારે
નરસિંહરાવ દિવેટિયા
સરોવરમાં ઊભેલો બગ →


નદીકિનારે.

[૧]❋ગરબી

આ રવ વિણ વ્હેતી સરિત શાંતનીરા સૂતી,
કંઈ ધ્યાન ધરંતી ઊંડું ગંભીર ધરે મૂર્તિ; ૧


ત્હેના ઉર પર કંઈ શાન્ત વ્યોમ ભૂરું પડિયું,
સોહ્યામાણું શું રવિતેજ સરિત-અંગે જડિયું! ૨

આ મૌન અલૌકિક ધરી ઊભું ઉપકણ્ઠ પરે,
તરુવૃંદ સમાધિ ગભીર ધરંતું કે’વું ઠરે ! ૩

ઠરી રહી ત્હેની વળી છાય શામળી નદીજળમાં;-
અદ્ભૂત ગમ્ભીરી આમ શાન્તિ વશી આ સ્થળમાં. ૪

જો ! ઊડીને આવ્યું આમ ટોળું આ બગ કેરું,
ધીરું ધીરું ઉતરંત, જ્યહાં જાળાં વ્હે ઘેરું; ૫

તે વેળ શું એકાએક બગો બમણાં બનતાં,
જળ-ઉદરથી ઊડી પ્રતિબિમ્બ-બગો બીજાં મળતાં. ૬

પછી શ્વેત કર્ણિકારશી હાર્ય બાગની બેઠી,
નદીતટ પર, રવિને તેજ ઊંફસુખડું લેતી. ૭

આ શિલા-ઉરે નાચતું કાલુંશું ગાન કરી,
વ્હેળિયું નદીમાં પડે, બાળલીલા જ ધરી. ૮

જો ! સ્હામે તટથી પ્હણે બતકજુગડું તરતું,
ચાલ્યું આવે સ્વચ્છંદ લ્હેર જળમાં કરતું. ૯

કો સ્થળ જળ શામળું સૂતું, હસે ભૂરું કો સ્થળમાં,
ત્ય્હાં દીપ્ત-અંગ જુગબતક સરતું પળ પળમાં; ૧૦

તે વેળ દીર્ઘ આ રેખ તેહ પાછળ શી પડે
જળપટ ઉપર; -આ પૅર વિહ્ઙગમ લ્હેર કરે. ૧૧

આ પૅર અહિં શાન્તિમાં શાન્ત લીલા પસરી
રહ્યું વિશ્વ ન્હાનુંશું આંહિ ધીર આનન્દ ધરી. ૧૨

આ ઈતર જગતમાં શાન્તિ અને આનન્દ વસે,
નવ દીસે કો સ્થળ ક્લેશ નિરન્તર હર્ષ હસે; ૧૩

તો શ્રેષ્ઠ મનુજનું જગત કેમ ક્લેશે ભરિયું ?
ક્યમ દ્વેષવિરોધતરઙ્ગ વડે ક્ષોભિત કરિયું ? ૧૪



ટીકા[ફેરફાર કરો]

કડી ૧. શાન્તનીરા = શાન્તનીર (જળ) વાળી; - બહુવ્રીહિ સમાસ. યદ્યપિ શ્લેષ ઉદ્દિષ્ટ નથી, તથાપિ અહિં સહજ નોંધવું અયોગ્ય નહિં ગણાય કે આ કાવ્ય શોલાપુર જિલ્લામાં માળશિરસ તાલૂકામાં વ્હેતી નીરા નદીને કિનારે તે સંબન્ધે રચાયું છે.

કડી ૬. મળતાં = માળતી વખતે. જળમાંથી સ્હામાં પ્રતિબિમ્બરૂપે બગલાં ઊડી આવવાથી બમણાં બનેલાં જણાતાં.

પ્રતિબિમ્બબગ = (કર્મધારય સમાસ) પ્રતિબિમ્બના રૂપમાં બગ.

કડી ૧૩. ઇતર જગત્ માં – મનુષ્યના જગત્ થી ભિન્ન જગત્ માં , પ્રકૃતિના જગત્ માં.

-૦-
  1. ❋ઇતિહાસની આરશી સાહી મ્હેં જોયું માંહિં,
    થિર થાવર દીઠું ન કાંઈ કરતી છે છાઈ —એ ચાલ