કુસુમમાળા/ફૂલ સાથે રમત

વિકિસ્રોતમાંથી
← આનન્દ-ઑવારા કુસુમમાળા
ફૂલ સાથે રમત
નરસિંહરાવ દિવેટિયા
કરેણા →


ફૂલની સાથે રમત.

[૧]†ગરબી

આવો ફૂલડાં મધૂરાં રે આપણ રંગે રમિયે,
દિન એક આનન્દે રે ભેળાં રહી નિર્ગમિયે. ૧

મ્હને મુખડું ત્હમારું રે સલૂણું લાગે વ્હાલું,
હેમાં નિર્મળ પ્રીતિ રે વશી હસતી કાલું. ૨

તમમાંનું હું પણ રે કુસુમ એક કોમળિયું,
રહી મનુજસમૂહે રે વદન કરમાઈ ગયું. ૩

ન્હાશી ત્ય્હાં થકી આજે રે આવ્યો તમ પાસ હું તો,
ત્હમે કોમળ હઈડે રે; મ્હને નવ ગણશો જુદો. ૪

નહિં તમમાં કુટિલતા રે, નહિં વલી ક્રૂરપણું,
નહિં વચન કપટનાં રે, હૃદય પ્રેમાળ ઘણું. ૫

કદી હાસ કરંતાં રે તો નિશ્ચે આનન્દભર્યાં,
કરમાઈ કદી સૂતાં રે તો સત્યે દુઃખે જ ગળ્યાં; ૬

જે'વું અંતર થાએ રે ત્હેવું તમ મુખડું દીસે,
જે'વું મુખ દેખાએ રે ત્હેવું તમ હૃદય વિશે./૭

ત્ય્હારે આવો મધૂરાં રે આપણ રંગે રમિયે,
દિન એક તો સુખમાં રે સાથે વશી નિર્ગમિયે. ૮




ટીકા[ફેરફાર કરો]

જન્મસ્વભાવથી તો મનુષ્ય નિર્દોષ છે. પરંતુ સમાજદશામાં મણ્ડલ બંધાવાને લીધી, કેટલાંક ગમ્ય અને કેટલાંક અગમ્ય કારણોને લીધે, મનુષ્યમાં દ્વેષ, સ્વાર્થી પ્રેમ, ક્રૂરતા, કપટ, હ્રદયસંગોપન, ઇત્યાદિ અનેક દોષ પેઠા છે. જનમાનસમાં આ મલિનતા જોઇ જોઇ ને કંટાળીને સ્વભાવશુદ્ધ કુસુમોની પાસે જઇ કરેલું સંબોધન આ કાવ્યમાં છે. નિર્દોષ કુસુમ તે મનુષ્યની સમાજના કુસંસ્કારોથી અદૂષિત અવસ્થાનું પ્રતિબિમ્બ છે. માટે જ કડી ૩જીમાં કહ્યું છે કે "તમમાંનું હું પણ રે કુસુમ એક કોમળિયું" પરંતુ જનમણ્ડળમાં રહી મ્લાન થયેલું. કડી ૫,૬, ૭ માં ફૂલના ગુણ વર્ણવ્યા છે ને સમાજદૂષિત મનુષ્યના દુર્ગણના વિરોધમાં મૂક્યા છે. આ રીતે જનમણ્ડળની સ્થિતિ જોવાથી ઉત્પન્ન થતી વૃત્તિને લીધે જ, - મનુષ્યદુષ્ટતાથી ઉત્પન્ન થતાં નિર્વેદ તથા ગ્લાનિ કાઢી નાંખી મનને શાન્તિ તથા સમાધાન આપવા ફૂલની સાથે આનંદખેલમાં દિવસ ગાળવાની ઇચ્છા ઉત્પન્ન થતી દર્શાવી છે.

-૦-
  1. †"શીખ સાસૂજી દે છે રે કે વહૂજી ર્‌હો ઢંગે."- એ ચાલ