ગુજરાતની ગઝલો/વાત શું જાણે?

વિકિસ્રોતમાંથી
← સનાતન 'થી' ગુજરાતની ગઝલો
વાત શું જાણે?
[[સર્જક:|]]
૧૯૪૩
મલકાય છે →


૮૭ : વાત શું જાણે ?


પ્રણયલગનીની અગ્નિથી જે હો અજ્ઞાત શું જાણે?
તને લાગી નથી દિલમાં, તું દિલની વાત શું જાણે?

પ્રભુને શોધનારા, મારો ઉલ્કાપાત શું જાણે?
ખબર જેને નથી ખુદની પરાઈ વાત શું જાણે ?

મરણ-જીવનના ભેદો, તુચ્છ માનવજાત શું જાણે?
પ્રભુ ! મુજ એક દિલ, બે બે જગતની વાત શું જાણે?

ઉભય શાને હસે છે ને રડે છે રોજ ઉપવનમાં;
રવિ–કિર્ણો કળી–ઝાકળના દિલની વાત શું જાણે?

કરું છું કલ્પનામાં કોઈથી દિન રાત હું વાતો;
મને દિવાના કહેનારા, ભલા એ વાત શું જાણે?

પ્રણયમાં દર્દને જે દિલ ગણી જીવન–મતા સમઝે;
પછી એ દર્દનો રોગી દવાની વાત શું જાણે?

મુહબ્બતમાં ગણું છું મોત ને પણ ઝિન્દગી હું તો;
નફાને ખોટ ગણનારો નફાની વાત શું જાણે?

જગતને બૂરું કહું છું, તમે સારામાં સારા છો;
બૂરો જે હોય, તે સારાની સારી વાત શું જાણે?

ખુદાઈ શું? ખુદાને બેખુદીમાં જોઉં છું 'આસિમ';
ખુદીવાળા, અમારી બેખુદીની વાત શું જાણે?