ગુલાબસિંહ/તરંગ ૩:વિપત્તિનું પાસે આવવું

વિકિસ્રોતમાંથી
← આત્મનિરીક્ષણ ગુલાબસિંહ
વિપત્તિનું પાસે આવવું
મણિલાલ દ્વિવેદી
ગુરુને વિનતિ →


પ્રકરણ ૬ ઠું.

વિપત્તિનું પાસે આવવું.

એક નાના દિવાનખાનામાં ભીંતો પર ચો તરફ નાના પ્રકારની પુરુષપ્રતિકૃતિઓ ભરવી રાખેલી છે; એમાંની એક તો ખરેખર એ કુટુંબની આખી વંશાવલી કરતાં પણ વધારે કીમતી છે. સત્ય છે; ગુલાબસિંહ કહે છે તે ખોટું નથી. ચીતારો જાદુગરજ છે; જે સુવર્ણ એ કીમીયાગર બનાવે છે તે ખરેજ કાલ્પનિક નથી, દિલ્હીનો કોઈ અમીર-ભલે ખુની હોય, કે ઠગારો હોય, કે બેવકૂફ હોય અથવા કેવલ નિર્જીવ કે તેથી પણ નિર્માલ્ય હોય છતાં ચીતારાની પીંછી તેને દેવ બનાવી શકે ! ચિત્રપટનો એક ટુકડો તે હાડ, ચર્મ, અને બુદ્ધિવાળા માણસ કરતાં વધારે કીમતી છે.

આશરે ચાળીસ વર્ષની ઉંમરનો એક જુવાન આ દીવાનખાનામાં બેઠો હતો. એની આંખો કાળી અને તરલ હતી, ચહેરો ઉતળો હતો, આકૃતિ ટુંકી તથા જરા ઉજળતી હતી, અને હોઠ જાડા તેમજ વિષયાસક્તિસૂચક અને દૃઢતાવાચક હતા. આ માણસજ પેલો અમીર−જેને આપણે માના ઉપર જુલમ ગુજારવા ઈચ્છા રાખનાર રૂપે ઓળખીએ છીએ. એણે કીનખાબનો ઝુલતો અને ઢીલો જામો પહેર્યો હતો; પોતાની ગાદી ઉપર એક સીરોહીની તરવાર અને તેની સાથે જ રમવાના પાસાની પેટી તથા લખવાનાં ખડીઓ કલમ વગેરે પડેલાં હતાં.

“કેમ ગા” ! પોતાના ખવાસ તરફ ફરીને બોલ્યો– “મારો કાકો તો હવે મારા બાપદાદા ભેળો થયો. એવા માયાળુ સગાના મોત વખત મારે દીલાસાની ઘણી જરૂર છે; તો માના કરતાં વધારે મીઠો અવાજ બીજે ક્યાં જડે તેમ છે ?”

“કૃપાનાથ ! શું કહો છો ! અન્નદાતાને ગયાને વાર તો થઈ નથી એટલામાં જ ?”

“હા, એમજ હોવું જોઈએ કે જેથી એના મરણની વાત ઓછી ચર્ચાય, ને મારા પર વહેમ આવે નહિ. જેણે આપણને તે રાત્રીએ પાછા પાડ્યા, અને કાકાને બીજે દિવસે કહ્યું, તે હરામખોરનું નામ તેં મેળવ્યું ?”

“નાજી, હજી નથી મેળવી શક્યો.”

“હું તને કહું : પેલો વિલક્ષણ પરદેશી !”

“મહારાજા ગુલાબસિંહ ! નક્કી કહો છો જી ?”

“જરૂર; એ માણસનું બોલવું એવા પ્રકારનું છે કે કદી ઓળખાયા વિના રહે નહિ. એવું સ્વચ્છ, સ્પષ્ટ અને અનુરોધપ્રેરક ઉચરે છે કે એનાં વચન સાંભળું છું ત્યારે મને મારામાં આત્મા એવી કોઈ વસ્તુ છે એવું ભાન થાય છે. ગમે તેમ હો, પણ આપણે એવા હરામખોરને ખસતો કરવો જોઈએ. જગા ! ગુલાબસિંહે કોઈ દિવસ આપણું ગરીબ ઘર પાવન કર્યું નથી. એ પરદેશી બહુ માનવંતો છે, તો આપણે એને એક મીજબાની આપવી જોઈએ.”

“હા, હા, પેલો મનવર પ્યાલો પણ !”

“એને પાર પહોંચાડશે. પણ એ વાત પછી; હું બહુ વહેમી છું. ગુલાબસિંહની શક્તિ અને ભવિષ્ય વર્તવાની બુદ્ધિ વિષે બહુ વિચિત્ર વાતો સંભળાય છે. પેલા પનોરાવાળાનું મોત સંભાર. ફીકર નહિ, કદી કાલભૈરવ પોતાની બધીએ ભૂતાવળ લેઈ એની મદદે આવતો હોય તો પણ હું મારો શીકાર જવા દેનાર નથી; તેમ વેર વાળવાને પણ ચૂકવાનો નથી.”

“આપ તો ગાંડા થઈ ગયા છો. એ નાચણે તમને જાદુ કર્યું જણાય છે.”

“જગા !” જરા ક્રોધાવેશથી અમીર બોલ્યો “મારામાં કોનું લોહી છે તે તું જાણે છે ? જેઓ એમ કહેતા કે તેમના હાથમાંથી કોઈ સ્ત્રી કદાપિ છટકી જવા પામી નથી, અને કોઈ માણસ તેમને છેડીને સલામત રહ્યો નથી, તેનું ! મારા પૂર્વજોનો મુકુટ તો આજ ધૂળધાણી થઈ ગયો છે, પણ તેમનું વીર્ય હજુ તાજું છે. આ કામ સાધવામાંજ મારું પરાક્રમ છે–મા મારો શીકાર છે.”

“ત્યારે ફરી એક હલ્લો ?”

“એના ઘરમાં જ પેશીએ તો શું ? ઘર એકાંતમાં છે, ને બારણાં કાંઈ લોઢાનાં બનાવેલાં તો નથી !”

“પણ આપણા આવ્યા પછી એવો બલાત્કાર પ્રસિદ્ધ થાય; ઘર ચીરીને એક કુમારિકાને હરી ગયા. તો પછી ? યદ્યપિ અમીર ઉમરાવોના હક્ક સર્વોપરિ છે, પણ મહારાજા પૃથ્વીરાજના આગળ તમે પણ અન્યાય કરીને ઉગરી જાઓ એ ન સમજવું.”

“ચાલ ચાલ, બલ તથા સુવર્ણ આગળ બધું નરમ છે, છતાં ગભરાતો નહિ, મેં બધી સાવધાની રાખેલી છે. જે વખતે મા અહીં આવી પરવારે તેજ દિવસ એને પેલા બંદાની સાથે સિંધુની પાર રવાના કરી દેવી. પછી કાંઈ !”

ગો ઉત્તર આપે તે પહેલાં તો ચાકરે આવીને કહ્યું કે મહારાજા ગુલાબસિંહ પધારે છે.

અમીરે સહજજ પાસે પડેલી તરવાર ખેંચવા માંડી, પણ તુરત પોતાની સ્વાભાવિક પ્રેરણા કબજે કરી ગુલાબસિંહની સામો ગયો; અને આવકાર આપી ઘણી નમ્રતાથી બોલ્યો “આપે અમને બહુ શોભા આપી, આપ જેવા પ્રસિદ્ધ ગૃહસ્થને ભેટવા હું ઘણા દિવસથી ઉત્સુક છું.”

“જે પ્રકારની ઉત્સુકતા તમને છે તેવીજ મને છે.”

અમીરે ને ગુલાબસિંહે રારામ કરવા હાથ મેળવ્યા, તેવીજ અમીરના શરીરમાં વિલક્ષણ પ્રકારની કંપારી છૂટી અને એનું કાળજું સ્તબ્ધ થઈ ગયું. ગુલાબસિંહે એના તરફ પોતાની કાળી અને ભવ્ય આંખ મૃદુતા સહિત ફેરવી, અને પરિચિત હોય તેમ નીરાંતે ગાદી પર બેઠો.

“આજથી આ રીતે આપણે મિત્ર થયા. હવે હું તમને મારા આવવાનું પ્રયોજન કહું. મને એમ માલુમ પડ્યું કે અજાણતાં જ આપણે બન્ને એક એકના પ્રતિસ્પર્ધિ થઈ પડ્યા છીએ, તો શું સમાધાન થઈ ન શકે ?”

“ઓહો ત્યારે તો જે બહાદુર સવારે મારો શીકાર મારે હાથ ન થવા દીધો તે તમેજ ! ફીકર નહિ, જેમ લડાઈમાં તેમ ઈશ્કમાં બધી તરહનાં કાવતરાં વાજબીજ છે. સમાધાન થઈ શકે ? ઠીક છે. આ રહ્યા પાસા, આવો આપણે માની હોડ કરીને પાસા નાખીએ; જેના ઓછા પડે તે પોતાની આશા છોડે; કેમ ?”

“તમે એવા ચૂકાદાથી બંધાયલા રહેશો એમ વચન આપો છો ?”

“જરૂર ઈશ્વર સાક્ષી.”

“ને આ પ્રમાણે આપેલું વચન જે તોડે તેને શું કરવું ?”

“પાસાની પેટી પાસેજ, મહારાજ ગુલાબસિંહ ! તરવાર પડેલી છે. જે પોતાનો સખુન ન પાળે, તે એને સ્વાધીન થાય.”

“આપણા બેમાંથી ગમે તે વચન ન પાળે તો પણ એમ જ થાય એવું તમે કહો છો ભલે. ચાલો; જગાને હાથે પાસા નંખાવો.”

“બહુ ઠીક, જગા ! પાસા લે.”

અમીર પાધરો તકીયા પર લાંબો થઈને પડ્યો, અને સંસાર વ્યવહારમાં કઠિન થયેલો છતાં પણ હૃદયમાં ઉભરાઈ આવતો જયના નિશ્ચિતપણાનો આનંદ મોં ઉપર તરી આવતો દબાવી શક્યો નહિ. જગાએ ત્રણે પાસાં લઈને પેટીમાં ખુબ હલાવ્યા. ગુલાબસિંહે ગાદી પર હાથને ટેકો દઈ પાસા તરફ નીચા નમીને જગા ઉપર પોતાની નજર સ્થિર કરી. જગાએ આ નજર ચૂકાવવા બહુ મહેનત કરી, પણ ફિકો પડીને ધ્રુજવા લાગ્યો;– પેટી નીચે મૂકી દીધી.

“પહેલી વાર પડે તે તમારા. ચાલ જગા જલદીથી આ સંશયનો છેડો લાવ.”

ગાએ ફરીથી પેટી લીધી, ફરી પણ એના હાથ ધ્રુજવા લાગ્યા, પણ આ વખત પાસા નાંખ્યા. ૧૬ પડ્યા.

“ઘણા પડ્યા ” ગુલાબસિંહે શાન્ત વદને કહ્યું “છતાં ગા હું નિરાશ થતો નથી.”

ગાએ પાસા ભેગા કરી, પેટીમાં નાંખી, ખુબ હલાવીને ગાદી પર નાખ્યા :– ઘણામાં ઘણા પડે તેટલા આવ્યા–૧૮ !!

અમીરે પોતાના ખવાસ તરફ કરડી નજરે દાંત કકડાવ્યા, પણ શું કરે ! ગો તો પ્હોળે મોંએ, પાસા તરફ જોતો, ને પગથી માથા સુધી કાંપતો, સ્તબ્ધ થઈ ગયો હતો.

“મેહેરબાન ! જુઓ હું જીત્યો, છતાં હું ધારૂં છું કે આપણી મૈત્રીમાં કોઈ વાંધો નહિ પડે.”

“ભાઈ ! જીત્યા તમે એમાં શક નથી, પણ તમે આ બાલા વિષે કાંઈ બહુ દરકાર કરતા નથી એમ લાગે છે, તો કોઈ પણ રીતે તમારો હક છોડી દેશો !”

“મારા પ્રેમ વિષે એવો હલકો વિચાર લાવતા નહિ; અને” ગુલાબસિંહે કરડા અવાજથી ઉમેર્યું “તમે પોતે જે શિક્ષા વચન તોડનાર માટે ઠરાવી છે તે ભૂલતા નહિ.”

મીરે ભમર તો ચઢાવી, પણ જે જવાબ મોંએ આવ્યો તે દેવાની જરૂર પડી “બસ” તે જેમ તેમ કરી હસતે મોંએ બોલ્યો “હું હાર્યો, તો મારી શરતને તાબે છું. હું આ પ્રમાણે મારૂં વચન પાલું છું તે જોર જુલમે પાળતો નથી એમ સિદ્ધ કરવા માટે આપને એટલી વિનતિ કરૂં છું કે હું એક મીજબાની મારા કાકા સ્વર્ગમાં પહોંચ્યા તે માટે આપવાનો છું તેમાં પધારવાની કૃપા કરો.”

“આપની એક પણ હું પાલી શકું એવી આજ્ઞા સાંભળીને હું પ્રસન્ન થયો છું.”

ગુલાબસિંહે પછી વાત બીજી બાબતો પર ચઢાવી દીધી, અને ગંમતથી તથા આનંદથી તે બોલ બોલી ચાલીને રસ્તે પડ્યો.

“હરામખોર !” ગાનું ગળું પકડીને અમીર બોલ્યો “તેં મને ફસાવ્યો.”

“મેહેરબાન ! પાસા તો બરાબર ગોઠવ્યા હતા, એના બાર પડવા જોઈતા હતા, પણ એ સાળો સેતાન છે; એટલામાં આવી ગયું.”

“હવે ઘડી જાય છે તે લાખની જાય છે. મારો પિત્તો તપી ગયો છે – આ છોકરીને મેળવવીજ જોઈએ, મોત થાય તો એ શું ! એ શું થયું. ”

“આપના પુણ્યવાન્ પ્રખ્યાત દાદાની તરવાર ખીંટીએથી ખશી પડી. બીજું કાંઈ નથી,”