જયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ છઠ્ઠો
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
પ્રવેશ છઠ્ઠો
સ્થલકાલ: પૂર્ણિમાની રાત્રિએ ગંગાના મધ્ય વ્હેણમાં જયા અને જયન્તનાં બે હોડલાં.
જગતની જાહ્નવીનું ગીત ગાતાં ગાતાં બન્ને જલ પર તરે છે.
હોડકા ચલાવતાં અને સંસાર જાહ્નવીનું ગીત ગાતાં ગાત્તાં જયા અને જયન્ત ચન્દ્રિકામાં તરે છે.
← અંક ત્રીજો/ પ્રવેશ પાંચમો | જયા-જયન્ત જયા-જયન્ત /અંક ત્રીજો/ પ્રવેશ છઠ્ઠો ન્હાનાલાલ કવિ |
❦
જયન્ત : ઘૂમે ઘૂમે ને ઘેલી વહે,
- ને કાંઈ વ્હેતી અખંડ ને અનંત રે !
- જાહ્નવી જગની ઘૂમે રે !
- ને કાંઈ વ્હેતી અખંડ ને અનંત રે !
- જગતની જાહ્નવીમાં, જયા
- મેલ્યાં તરતાં આપણાં હોડલાં.
- જો પ્હણે, પેલો વમળ છે;
- તારવીને લેજે ત્હારૂં નાવડું.
જયા : ઘણા વમળો વટાવ્યા, જયન્ત !
- સંસારનાં મહાજલમાં.
- નથી બૂડ્યાં, ને નહીં બૂડે
- આપણાં પ્રભુરક્ષેલાં હોડલાં.
જયન્ત: પણ જયા ! વમળની પાછળ
- ખડક ખડો છે, ભૈરવ જેવો;
ભોગનો તે ભૂખ્યો છે.
જયા: હિમાદ્રિનાં શિખરો કૂદતાં આપણે,
- ગરૂડનાં બાલક જેવાં, જયન્ત !
- ત્હેને ખડક શા નડશે ?
- નથી-નથી આ અવની ઉપર કાંઈ
- જે ભાગે આપણાં હોડકાંઓને.
- ગગનમાં જો, જયન્ત !
- ચન્દ્રિકાના સાગરમાં ચન્દ્ર તરે છે;
- તરશે આપણા યે આત્મનચન્દ્ર
- પુણ્યના એમ મહાસાગરમાં.
- પાણી ભર્યાં છે પુણ્યનાં,
- ને મંહી ઝોલે સુહાગિયાં સંત રે !
- જાહ્નવી જગની ઘૂમે રે.
- ને મંહી ઝોલે સુહાગિયાં સંત રે !
જયન્ત: ભય નથી આપણે, જયા !
- સાધુતાના શઢ છે,
- ને પ્રભુતાનાં સુકાન છે,
- નથી એ નૌકાને
- શયતાનના યે ભય.
- પણ ફોગટ તો નથી ને
- આપણી આ જીવનલીલા ?
- જો, જયા ! જો !
- મોજાં ઉછળે છે,
- ને પ્રત્યેક મોજામાં મૃત્યુ છે.
- વાદળને કાંઠડે જો ! પેલી વાદળી:
- આવરશે ઉડતી ઉડતી એ,
- ને આવરશે ચન્દ્રપ્રભાને.
જયા: મૃત્યુ દેહને મારે છે,
- પુણ્યને મારતું નથી.
- પુણ્ય તો અમ્મર છે અવનીમાં.
- એક શરદ પૂર્ણિમાએ
- -યાદ છે ને ? જયન્ત !-
- ચન્દ્રનું ખગ્રાસ ગ્રહણ
- જોયું હતું આપણે ગંગોત્રીએ.
- પણ તેથી કાંઇ
- ચન્દ્રનો અમૃતથાળ ફૂટ્યો નહીં.
જયન્ત: ખરૂં, જયા ! ખરૂં છે.
- સૂર્ય ને ચન્દ્ર સમા
- પુણ્યના પાયા યે અમ્મર છે.
- સત્ નામ સાહેબનું:
- સત્ નાશ પામતું જ નથી.
- વાવ ત્ય્હારે, જયા !
- ઓ અનન્ત કાલની જોગણ !
- ત્હારાં પુણ્યનાં વાવેતર:
- પૃથ્વી ભરી ભરી વાવ
- ઇક્ષુના અમૃતભંડાર.
- ને ધરાવ પુણ્યનો એ પરમ ફાલ
- પુણ્યરસના પીપાસુઓને.
- જો ! જગત પુણ્યતરસ્યું છે.
- અલ્પ છે આયુષ્યની અવધ;
- પણ સત્કર્મનાં આયુષ્ય તો
- આત્મા જેટલાં અમ્મર છે
- ચલાવ હોડલાં ઓ જગન્માતા !
- પુણ્યજાહ્નવીનાં મહાપૂરમાં
- ને આદર આપણી
- અનન્તતાની એ મહાયાત્રા.
સગરકુમારોને તારિયા,
ને એમ તારશે માનવજાત રે !
જાહ્નવી જગની ઘૂમે રે
બ્રહ્માંડે ભર્યા બ્રહ્મનાં અમી,
સાધો ! માણજો મંહી દીનરાત રે !
જાહ્નવી જગતની ઘૂમે રે !
દેવર્ષિ: (ગીત વચમાં અટકે અન્તરિક્ષે દેવવિમાનમાંથી)
प्रकृतिं पुरुषं चैव विद्धयनादि उभावपि.