તુલસી-ક્યારો/જબરી બા

વિકિસ્રોતમાંથી
← કોના પ્રારબ્ધનું તુલસી-ક્યારો
જબરી બા
ઝવેરચંદ મેઘાણી
ભદ્રા →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.






પ્રકરણ બીજું
જબરી બા

તારી બા બહુ જબરૂં માણસ હતાં." દાદા દેવુને સાંજ સવાર એની બાના જબરાપણાનું સ્મરણ કરાવતા. પણ દેવુ એ 'જબરી' શબ્દના આધારે બેવડીઆ ને ઊંચા પડછંદ દેહવાળી કોઈક બાઈની કલ્પના કરતો. એવી બાના પુત્ર હોવું એને ગમતું નહિ.

'જબરી હતી તેમાં શું?' દેવેન્દુ ચિડાઇને મોં બગાડતો.

'એણે જ મને હંમેશા કહાવ્યા કરેલું-'

'શું?'

'કે બાપુજી, કોને ખબર છે આપણે કોના પ્રારબ્ધનો રોટલો ખાતા હશું?'

'એટલે શું દાદાજી?'

'એટલે એમ કે આપણા ઘરમાં બાફોઈ યમુના ફોઈ છે. તારા બાપથી મોટેરા ભાઈ ગુજરી ગયા છે તેનાં વિધવા વહુ તારાં ભદ્રા ભાભુ છે. તેની નાની દીકરી અનસૂયાને બરડામાં હાડકું વધે છે. પછી બીજાં આપણાં ઘરમાં તારાં દાદીમા જે મરી ગયાં છે તેમના નાના ભાઈ એટલે તારા બાપુના મામા જ્યેષ્ઠારામ મામા છે. એ બાપડા આંધળા છે. હવે એ બધાં આપણી સાથે રહે છે, પણ એ તો કશું કમાઈ લાવતાં નથી. કમાય છે તો એકલા તારા બાપ ને બીજું આવે છે મારું પંદર રૂપિયા પેન્શન. પણ તારા બાપને એ ભણીને આવ્યા કે તૂર્ત મોટી નોકરી શાથી મળી ગઈ હશે? જાણે છે? ના, હું યે જાણતો નથી. પણ બીજા તો કૈક તારા બાપની જોડેના રખડે છે. તો કોને ખબર છે કે આ આપણા ઘરનાં બધાંમાંથી કોના નસીબનું તારા બાપ નહિ રળતા હોય?'

'કહું દાદા ? કહું, મને ખબર છે, કહું ? એ... એ યમુના ફોઈના નસીબનું... ના, કહું દાદા, એ...એ જ્યેષ્ઠારામ મામાના નસીબનું. ના, ના, ના, રહો હું કહું, એ અનસૂયા બેનના... એ ના, ના, ના, દા દા ! તમે તો સમજો નહિ ને ? હવે ચોક્કસ ને ચોક્કસ કહી દઉં છું, હવે ફરવાનું નથી હે દાદા ! અ... એ.. કહું? બધા કરતાં બધાના નસીબનું.'

'બસ, તારી બા એમ જ કહેતાં.'

'મારી જબરી બા ને?'

'હા.'

'જબરી બા મને નથી ગમતી.'

'પણ મને એ બા બહુ ગમતી.'

'તમારી પણ બા ? લો......ઓ ! હો-હો ! હિ...હિ. દાદા તો છે ને કાંઇ? તમારી પણ બા ?'

'હા મારી પણ બા. મારા વીશ જ રૂપિયાના પગારમાંથી એ આખા કુટુંબનું ચલાવતી, ખબર છે?'

'ને પોતે જબરી હતી તોય શું ઓછું જમતી?' 'અરે મહિનામાં દસ તો ઉપવાસો કરતી. આખું ચોમાસું તો એકટાણાં જ કરતી.'

'તો પછી જીવતી શી રીતે?'

'જીવતી ન રહી તે એ જ કારણે ને? એ આજ જીવતી હોત તો યમુના ફોઇને ગાંડાની ઇસ્પિતાલે તારા બાપને તો શું, તારા બાપના બાપને પણ ન લઈ જવા દેત. સિંહણ હતી એ તો.'

'ઓ બાપ ! જબરી અને પાછી સિંહણ?'

'તારા જેવી જ આંખો. બહુ દયાળુ હતી એ બા.'

'બા' બોલની, ડોસાના કંઠના તાર પર કશીક ધ્રૂજારી ઊઠી એવું દેવુને લાગ્યું. તેણે પડતી રાતની ભૂખરી પ્રભામાં ડોસાની આંખો પર દીઠાં - બે જળબિન્દુઓ.

દાદા અને દેવુ આથમતા દિવસના ગોધૂલિ-ટાણે ઘરની નાનકડી ડીમાં બેઠાબેઠા આમ એક મૂવેલા સ્વજનની વાતો કરતા હતા ત્યારે આઘેથી તેમણે કોઈકના બિભત્સ બૂમબરાડા સાંભળ્યા; પસાર થતા રાહદારીમાંથી કોઇકે કહ્યું કે, 'માસ્તર, તમારી જમનાને ઘરમાં લઈ લો.'

સોમેશ્વર માસ્તરે અને દેવુએ દોડાદોડ બહાર આવી આઘે ઉભેલી યમુનાને દેખી ધ્રાશકો અનુભવ્યો. એના શરીર પર પૂરાં કપડાં નહોતાં. એને આખે દેહે ચાલ્યા જતા લોહીના રેગડા ફાનસના અજવાળે રાતા તો ન દેખાયા પણ ભીના ને રેલાતા તો જણાયા.

'તેં-તેં-તેં-તારાં-તારાં છાજિયાં લઉં - તેં મને માર ખવરાવવા મોકલી'તી!' એમ બોલતી યમુના સોમેશ્વર દાદાને મારવા દોડી: 'હં-અં. તારે મારી માયાનો ખજીનો લઈ લેવો છે. હં-અં. તારે મને ત્યાં ઠાર રખાવવી હતી. હં-અં, મને બધીય ખબર છે-મારી માયા લેવી છે તારે-'

એને ફોસલાવવા જનાર સોમેશ્વર દાદાને એણે બે ચાર લપાટો ને ધુંબા મારી લીધા પછી દેવુ એની પાસે જઇને બોલ્યો : 'બાફોઇ, હશે બાફોઇ ! ચાલો ઘરમાં.'

ને ગોવાળ પાછળ ગાય ચાલી આવે એમ યમુના ફોઇ દેવુની પાસે ઘરમાં પ્રવેશ કરી ગઈ. ત્યાં જતાં જ એ પોતાની નગ્નતાના ભાને છુપાઈ ગઈ. કપડાં એની પાસે ફેંકવામાં આવ્યાં તે પહેરીને અત્યંત શરમાળ પગલે યમુના નાની અપંગ છોકરી અનસૂયા પાસે આવી. બેસીને રમાડવા લાગી. રમાડ્યા પછી એણે પોતાની જાણે જ રસોડામાં જઈ ઢેબરાંનો લોટ બાંધી ઢેબરાં વણવા માંડ્યાં. જાણે એને કશો ય રોગ નહોતો.

દેવુ રસોઈ કરતી યમુનાની પાસે જઈ બેઠો ને પૂછવા લાગ્યો: 'બાફોઈ, કોઈએ માર્યાં હતાં ત્યાં તમને?'

'બા મારે.'

'કોણ મારે?'

'બધાય-ખાવા ન દ્યે.'

'શા માટે બાફોઈ? તમે કાંઈ તોફાન કર્યું હતું?'

'દેવને જોવો છે : અન્સુને જોવી છે : નથી ગમતું : અન્સુને અડવી છે : મારી-મારી-મારી-'

એમ કહેતી યમુના રડી પડી.

એના ત્રુટક ત્રુટક વાક્યોનો સળંગ અર્થ દેવુ સમજી શક્યો. યમુના ફોઈને દેવુ ને અનસૂયા બહુ વહાલાં હતાં. તેને મળવાનું વેન લીધું હશે તેથી માર-પીટ કરી હશે ઇસ્પિતાલવાળાઓએ.

'હેં દાદા !' દેવુ ગરમ પાણીના તપેલા જેવો ઊકળતો ને ખદખદતો સોમેશ્વર માસ્તર પાસે ગયો: 'હેં દાદાજી, એ ઇસ્પિતાલમાં શું ગાંડાંને લગાવે છે?' 'લગાવે' એ શબ્દ એ રૂવાબથી બોલ્યો.

'હા ભાઈ, બહુ માર મારે.'

'તો પછી તમે મને પહેલેથી કહ્યું કેમ નહિ? આપણે બાફોઈને ત્યાં મોકલત જ શા માટે?'

'ભાઈ, તારા બાપુની ઇચ્છા એને મૂકી આવવાની હતી.'

'પણ તમારે મને તો કહેવું હતું ને ! મને એવી શી ખબર કે નિશાળોમાંય મારતા હોય છે તેવું મંદિરોમાં ય મારતા હોય છે ને તેવું ઇસ્પિતાલોમાં ય મારતા હોય છે ! મને આવી શી ખબર ! તમારે મને કહેવું તો હતું દાદાજી !'

દેવુના આ બધા બોલ બળબળતા હૃદયના હતા છતાં હસવું જ ઉપજાવી રહ્યાં હતા. દેવુ પોતાની જાતને જે મહત્ત્વ-મોટાઈ આપી રહ્યો હતો તે ભારી રમૂજી હતી.

'તો હવે શું કરશું દેવ? લે હવેથી તને પૂછીને જ પાણી પીવું, પછી છે કાંઈ?'

'કરવું શું બીજું ! બાફોઈને ક્યાંય નથી મોકલવાં. આંહીં જ રાખીશું. હું ખરું કહું છું દાદાજી, તમે ખરું જ માનજો હો દાદાજી. કે કોને ખબર છે આપણે કોના પ્રારબ્ધનું ખાતા પીતા હશું ! હું ખરું જ કહું છું.' 'ચાલ ચાલ હવે પાજી, એ તો મેં જ તને કહ્યું હતું.'

'તેની હું ક્યાં ના કહું છું? હું પણ તે જ કહું છું ને ! હું કહું છું તે જ તમે કહો છો. તમે મને જે કહ્યું છે તે જ હું તમને કહું છુ ને !'

છોકરો આમ બોલવામાં કશું જ પાજીપણું નહોતો કરતો તેની તો દાદાને ખાતરી હતી. પણ ભોળો છોકરો એવી ભ્રમણામાં પડ્યો હતો કે પોતે જ કેમ જાણે આ નવીન સત્ય શોધી કાઢ્યું હોય ! દેવુની દાનત દાદાએ કહેલા સત્યને તફડાવી કાઢીને પોતાના ડહાપણરૂપે બરાડા મારવાની નહોતી, પણ દાદાના એ વાક્યે દેવુમાં એટલું તાદાત્મ્ય કરી નાખ્યું હતું કે એ વાક્ય દાદાએ કહ્યું છે એની જ દેવુને આત્મવિસ્મૃતિ થઈ હતી. પોતાની જ એ સ્વતંત્ર માન્યતા બની ગઈ હતી. આ માન્યતાએ દેવુને રંગી નાખ્યો હતો. એપૂરું સમજ્યા વિના જ માનતો થઈ ગયો હતો કે "કોને ખબર કોના પ્રારબ્ધનું ખાતા હશું."