નિહારિકા/પતન

વિકિસ્રોતમાંથી
← વિધવા નિહારિકા
પતન
રમણલાલ દેસાઈ
બાલ ઈચ્છા →


૫તન


૦ ઢાળ-હું તો પ્રેમની જોગણ પિયુને શોધવા ચાલી ૦

અહ સંતજી! પગ પાવડી પરથી જુઓ આ ખસી ગયો.
તમ પુણ્યભર પગને જુઓ જરી ધૂળ અડકી અહો!
અરે લપસી ગયો પગ હો !

હતી અડગ મેરુસમી સમાધિ આજ સુધી ભાળી,
એ અચલતા બદલાઈ, કયમ ગયું ધ્યાન તમ હાલી ?
સમાધિ શું તમે ટાળી ?

અગ્નિ તણી ચિનગારી નો’તી તમ હૃદય દીઠી;
અણધારી જ્વાલામુખી તણી જ્વાલા ભભૂકી ઊઠી !
–જગતને લાગતી જૂઠી !

વૈરાગ્યશોભન વલ્કલો પર શું રહ્યું ઝબકે ?
સોનારૂપાના તાર ! એ ક્યાંથી દિલે ચમકે ?
વિલાસો કાં રમે પલકે ?
 
આશ્રમ તમારો આજ દિન સુધી જાણતા સૂનો :
ક્યાંથી પડે પડછાય ચારુ સુન્દરીતનનો ?
ખરું સહુ? કે બધાં સ્વપ્ન ?

ઋષજીિ, કમંડલું આપનું ઢોળાતું આ રઝળે !
પાણી પીશો ક્યમ? રૂપલા બેડલું પડે નજરે !
કંઈ ગુલબદલ વારિ ભરે ?

તમ ભવ્ય ભાલ થકી ભુંસાઈ ભસ્મ ગઈ સઘળી !
ખૂટી ભસ્મ? કે કુંકુમ તણું લેપનની વૃત્તિ થઈ?
ગયું મન સિદ્ધિ માં શું વહી?