નિહારિકા/શું કરું ?

વિકિસ્રોતમાંથી
← જીવન વહેણ નિહારિકા
શું કરું ?
રમણલાલ દેસાઈ
અંધકાર ઊભરાય →


શું કરું ?


૦ છંદ હરિગીત o

બુલબુલ ઊડ્યું ગુલઝારથી
ગુલ ગુલ બધાં ધરણી ઢળ્યાં;
ગુલશન પડી મારી સૂની,
એ ગુલશને જઈ શું કરું?

આંબે ન આવ્યો મો’ર, ટહુકી
કો કિ લા સ વા ર માં,
અભ્રે રવિ ઉગતાં જ છાયો !
શું કરું હું વસંતને ?

નવ સમીર મૃદુ શીળો વહે,
ઊઠે ન ઊર્મિ સર મહીં,
મુજ હૃદય પણ જડ બની રહે;
સરવરતીરે જઈ શું કરું?

વહાલાં તણાં હૈયાં ન ઊછળે.
પ્રેમ નવ નયને વસે,
પણ એકલા મુખથી હસે,
એ વ્હાલ લઈ હું શું કરું ?
 
ફિક્કી બની એ ચંદ્રિકા,
બેતાલ મુજ સંગીત બન્યું,

તંદ્રા ભરી મુજ નયનમાં,
જાગરણ મહીં હું શું કરું ?

ફલ કેવડે કંટક છૂપ્યા,
ચાદર બની અશ્રુભીની,
તકિયે ઊઠે પડઘા રુદનના,
શું કરું હું બિછાતને ?

ગાજે ન પ્રભુનાં ગાન,
મન ગળી જાય પ્રભુતામાં નહીં;
હૃદયે વિકાર જડ્યા રહે, તો
મંદિરે જઈ શું કરું ?
 
દિલમાં પડ્યા કારી જખમ,
મરહમ નથી ઘા રુઝવવા,
હૈયા મહીં કળ નથી વળી;
રોયા વિના બીજું શું કરું ?
 
જાગે ભૂતાવળ કબ્રથી,
સંસાર શયતાને ગ્રહ્યો,
નવ શાન્તિ જીવનમૃત્યુમાં,
આ જિન્દગાની શું કરું ?