ન્હાના ન્હાના રાસ/પાણીડાં કેમ ભરીએ?
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ

આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.

← ન્હોતરાં | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ પાણીડાં કેમ ભરીએ? ન્હાનાલાલ કવિ |
પારકાં કેમ કીધાં? → |
સખિ ! આવે-આવે ને ઓસરે,
પાણીડાં કેમ ભરીએ ?
એવાં માહિષ્મતીનાં નીર,
પાણીડાં કેમ ભરીએ ?
સખિ ! છોળ ઉછળે બધું ભીંજવી,
પાણીડાં કેમ ભરીએ ?
એને છાંટણે છંટાય મ્હારાં ચીર,
પાણીડાં કેમ ભરીએ ?
મ્હારે પાંચ-પાંચ તત્ત્વના માંડવા,
પાણીડાં કેમ ભરીએ ?
મ્હારે ત્રણ-ત્રણ ગુણની વેલ:
પાણીડાં કેમ ભરીએ ?
મ્હારે બુદ્ધિના બાગ ઉગાડવા,
પાણીડાં કેમ ભરીએ ?
મ્હારે ભરવી સંસારિયાની હેલ,
પાણીડાં કેમ ભરીએ ?
સખિ ! નીર ઉછળે એ અનન્તનાં,
પાણીડાં કેમ ભરીએ ?
એનાં ભરતી ને ઓટ છે અઘોર,
પાણીડાં કેમ ભરીએ ?
સખિ ! કાળના કૂવાને કાંઠડે,
પાણીડાં કેમ ભરીએ ?
મંહી માંડી દિશાઓના દોર,
પાણીડાં કેમ ભરીએ ?
જગપંખાળાં પંખેરૂં પરવરે,
પાણીડાં કેમ ભરીએ ?
કાંઈ ઉછળે નિઃસીમના સમીર,
પાણીડાં કેમ ભરીએ ?
સખિ ! આવે-આવે ને ઉભરે,
પાણીડાં કેમ ભરીએ ?
એવા આત્માની નદીઓનાં નીર:
પાણીડાં કેમ ભરીએ ?
-૦-