પાંખડીઓ/બ્રહ્મચારી

વિકિસ્રોતમાંથી
← હું તો નિરાશ થઇ પાંખડીઓ
બ્રહ્મચારી
ન્હાનાલાલ કવિ
સતીનાં ચિતાલગ્ન →


તે બ્રહ્મચારી હતા.

વસ્તી વચ્ચે દેવમન્દિર હતું ને એ દેવમન્દિરમાં તે રહેતા. સ્હવારે ને સ્હાંજરે નગરમાર્ગો ઉપર થઈ નદીએ તે ન્હાવા જતા ત્ય્હારે ભરવસ્તીમાં એની આંખે ઉંચી થતી કોઈએ દીઠી નથી; નગરમાર્ગો ઉપર એનું પોપચું એ ફરકતાં કોઈએ જોયું નથી.

બાલ સૂર્ય સમી એની કાન્તિ હતી: ધ્રુવ તારલા જેવાં નયનો હતાં: આરસની છાટો જેવાં અંગ હતાં. ફૂલમાંથી સુગન્ધ સ્ફુરે એવી એના અંગ-અંગમાંથી સાધુતા ફોરતી.

નગરના સાધુઓ એની વન્દનાએ આવતા. કોઈ વન્દે એથી સવાયું નમીને એ વન્દતા. લોક ચરણવન્દનાએ આવતાં; પોતે સ્હામી લોકની ચરણવન્દના લેતા ને જનતાને એમ શરમાવતા. દર્શને આવતાં ત્હેમને એ કહેતા કે દર્શન તો પરસ્પરનાં છે.

ધન એને ધરાતું નહિ. એ કહેતા સંન્યાસીને સોનું એ અંગારા છે, અડકે એનો સંન્યાસ દાઝે. ફળફૂલ લોક ધરતું તે સહુ એ બાળકોને વ્હેંચી આપતા. એની ઉદારતા અઢળક હતી. લોક કહેતા એના માદળિયામાં જાદુ છે.

સૂતરના શ્વેત દોરે પરોવેલું એક ત્રાંબાનું માદળિયું એને હૈયે લટકતું. સ્હવારે સ્હવારે એ પૂજામાં બેસતા ત્ય્હારે દેવમૂર્તિ સંગાથે એ માદળિયું પૂજાસિંહાસને મૂકતા ને દેવ સાથે એને એ ધૂપઆરતી ધરાવતા. શ્રી કૃષ્ણને કૌસ્તુભ મણિ હતો એથી એ એનું ત્રાંબામાદળિયું એને મહામૂલું હતું. માદળિયાને એ પોતાના પ્રાણની કણિકા માનતા.

તે સૂર્યોપાસક હતા; ગાયત્રી જપતા. એનો ધર્મોપદેશ એક જ સૂત્રમાં સમાતો: અન્ધારાં ઉતારો ને અજવાળાં ઓઢો.

નગરનું દેવમન્દિર નગર વચ્ચે હતું; ને સર્વસંપ્રદાયની પંચમૂર્તિઓ મંહી પધરાયેલી હતી; તેથી સર્વસંપ્રદાયોના સંપ્રદાયીની ત્ય્હાં મેદની જામતી.

સન્ધ્યાકાલે બાળકો મન્દિરચોકમાં રમતાં. સ્હવારે ધર્મવાર્તા થતી તે સાંભળવાને વિદ્વદ્જનોની મંડળી જામતી. સ્હાંજે સ્હાંજે સુન્દરીઓનાં વૃન્દ દર્શને આવતાં ને દેવચોકમાં બાળાઓ રાસડા લેતી. પરવની તિથિએ ને પૂર્ણિમાએ પૂર્ણિમાએ પૃથ્વીઉતરી પૂર્ણીમા સરિખડી સુન્દરીઓનાં સૌન્દર્યની મન્દિરમાં ભરતી ઉછળતી. જ્ય્હાં જ્ય્હાં, સૂર્ય, ત્ય્હાં ત્ય્હાં અજવાળાં: એમ જ્ય્હાં જ્ય્હાં દેવત્વ, ત્ય્હાં ત્ય્હાં સૌન્દર્ય: એ તો દેવત્વના ને સૌન્દર્યના ન્યાયશાસ્ત્રનું સૂત્ર છે ને ?

મન્દિરચોકમાં સીતારામની સતીઓ ગાતી, શવજીની જોગણો ભજન બોલતી, કૃષ્ણઘેલી મીરાંઓ એ ક્ય્હારેક ક્ય્હારેક નાચતી.

ભાવની ભક્તિમાં ભક્તજન નાવડાં જેવા ડોલતાં. દસે દિશાવાસી દેવો એ સુણતા, ઝીલતા, સત્કારતા.

નવરાત્રીના ઉત્સવની એ છેલ્લી રાત્રી હતી.

શરદની ચન્દનીએ મન્દિરચોકમાં સરોવર ભર્યાં હતાં, ને એ ચચન્દનીનાં છબછબિયાં પાણીમાં બાળાઓ પાય ધોતી. દેવનાં દૂધ ઢોળાયાં હોય એવી ચન્દની ઢોળાઈ હતી.

એક તો રસકડાઓની ઝાકમ ઝડીઓ, બીજો નૃત્યનો હિંડોલ, ત્રીજી કવિતાની રસછોળ, ચોથું ચન્દનીનું ચન્દનઘેન, પાંચમું રજનીની રંજનક્રીડા: એમ પંચામૃત પ્રાશી પ્રાશીને પ્રમદાઓ મદઘેલી થતી હતી.

એ એક મુગ્ધા હતી. આવતી વસન્તમાં એનાં લગ્ન થવાનાં હતાં. બાલિકાઓનો સંગ તજી યુવતિસંઘમાં હવે તે ફરતી થઈ હતી.

કળી ઉઘડીને ફૂલ થાય એ પૂર્વે પાંખડીઓ ઉઘડું ઉઘડું કરે એવી એની અંગની ને આત્માની ઋતુ હતી. સંસાર જોવાને એના ઉરની આંખડીઓ ઉઘડું ઉઘડું થતી, એના અંગની પાંખો ઉડુ ઉડુ થતી. ઉગતા યૌવનના ઉષ:કાળની એ ઋતુ હતી.

એની કળીની પાંખડીઓ ઉઘાડવાને સહિયરો એને અડપલાં કરતી. કોઈક એના કુંપળપાથર્યા સમા પાલવને ખેંચતું, કોઈક એના કમળ શા વદનદેશે જલકણ છાંટતું, કોઈક એના ભાગ્યદેશે બિન્દી કરતું. એના મૃણાલ શા હાથને સહુ પંપાળતું. એને અડકવું સહુ યુવતિસંઘ ને ગમતું: જાણે તે સૌન્દર્યનો પારસમણિ ન હોય, ને એને અડકવે જાણે સહુનાં અંગ સૌન્દર્યનાં ઘડાઈ જતાં ન હોય !

સમીપ આવતા સંસારને તે નિરખવા મથતી, નવસ્થિતિઓ ક્લ્પતી, આશાઓ બાંધતી. જાદુના કો મહેલનાં દ્વાર ઉઘડવાનાં હોય ને મંહીથી જાદુગરનાં દર્શન થવાનાં હોય એવા અદ્ભુત કો કોડ કલ્પી કલ્પી રસજાદુગરનાં ને રસજાદુગરના મહેલનાં તે સ્વપ્નાંઓ જોતી.

તે તિથિએ તો તારલાઓમાં ચન્દ્રમાની પેઠે સખીઓમાં તે રમતી.

પરસેવો વળ્યે સહિયરો એને પંખો નાંખ્યા શુ કરતી. એથી તો અંગારા સળગીને જ્વાળાઓ સરજાતી. આપવીતી ને પરવીતી ખરી-ખોટી કંઈ કંઈ અનુભવકથનીઓ કહી કહી જોબનઝૂલન્તી સહિયરો એને સતાવતી.

એ મુગ્ધા હતી. એને ઉચ્ચાર ન આવડતા. મુંગાને સ્વપ્નાં લાધે એવાં એને સંસારસ્વપ્નાં લાધતાં.

ત્હો એ ક્યારેક ઉડી એકાન્તની કુંજમાં એનું હૈયું છલકાતું, કોકિલા શી તે ટહુકારતી, તે સંસાર ભરી એ શબ્દ ઢોળાતો.

એની આંખમાં ચકલીઓ ઉડતી. પેલે આરે બેઠેલા ચક્રવાતને નિહાળતી આ આરાની ચક્રવાકી પ્રગટતું પ્રભાત ને સરિતાનો પટ નિહાળી રહે એવી આંખડલીએ ઉરમાં ને અંગમાંનું પ્રગટતું પ્રભાત ને ચાર માસનો વચમાંનો પટ તે નિહાળતી.

સહિયરો એને સાસરાની શેરીએ રમવા લઈ જતી. અને કંઈ કંઈ કહી, દર્શન કરાવી, પૂછી પૂછી મૂંઝવતી. મૌનની વાણીના અબોલ બોલ તે બોલતી ને આંખો નચાવીને ઉત્તર આપતી.

મુગ્ધાનું મૌન બોલકણીઓના બોલથી ચોગણું બોલતું.

એણે બ્રહ્મચારીને જોયા. બ્રહ્મચારીની સૂર્ય શી કાન્તિથી પદ્મ અને પદ્મિનીઓ ખીલતી. એ તેજનાં એને ક્ષણેક આકર્ષણ આવ્યાં.

મન્દીરમાં બ્રહ્મચારી પ્રદક્ષિણા ફરતા હતા. પૃથ્વી સ્હામી શુક્રતારા આવે એમ તે સ્હામી મળી. આંખડીનાં કિરણો મટમટાવ્યાં. બ્રહ્મચારીનાં નયનબાણ ધરતીને ખોતરતાં હતાં, મંહીના મણિઓ ખોજતાં હતાં.

મુગ્ધા અમૂંઝાઇ, ભોંઠી પડી. એને સ્હમજાયું નહિ કે એ અડોલ કેમ હતા.

પછી નવરાત્રીના ઉત્સવની એ છેલ્લી રાત્રી આવી, ને એણે છેલ્લો રાસ ઉપાડ્યો. ચન્દનીનાં ફોરાં ઝીલતાં ઝીલતાં ને અંગનાં આછેરાં અંચળ ઉછાળતાં ઉછાળતાં એણે રાસ ગયો ને એજ વિધે સહિયરસંઘે એ ઝીલ્યો.

આસોના આ તે ઉજાસ ?
કે જીંદગીનાં અજવાળિયાં રે ?

ફૂલમાં ચન્દની છલકાય એમ સહિયારોની આંખડીઓમાં ચન્દની છલકાતી. પોતપોતાની અગાસીમાંનાં અજવાળાં પેખે એમ સહુએ નિજનિજની જિંદગીનાં અજવાળાં દીઠાં.

ચન્દ્રમા યે જાણે સાંભળવાને ઘડીક થંભી ગયો ભાસ્યો. નગરલોકની ભરતી તો ચોમેર જનકોટ રચી-ઘેરો ઘાલીને ઉભી હતી. બ્રહ્મચારી યે ઘડીક મન્દિરમાંથી મંડપપાળે આવીને ઉભા; અને ગીતશબ્દો જ્ય્હાં આથમી જતા ત્ય્હાં ક્ષિતિજપાળે ને ક્ષિતિજપાળની પાછળ નિહાળી રહ્યા. અન્તરમાંના ને આસમાનમાંના ગીતપડઘા બ્રહ્મચારી સાંભળતા.

જીંદગીની ચન્દની જેવી ચન્દની ખીલી હતી.

ચન્દ્રીકામાં ઉડતી ચકોરીઓ જેવી કેટલીક રાસ-રમણીઓની દ્રષ્ટિઓ અંતરિક્ષમાં ઉડતી. સોળપાંખડી ખીલેલા કમળ સરખી એ એક મદઘેલી જાજરમાન ચતુરા હતી. મદોન્મત્ત મેના શી એની દ્રષ્ટિ મન્દિરના મુગટ સમા બ્રહ્મચારી ઉપર પડી. પુરુષનું પુરુષાતન મૂર્તરૂપે ખડું નિરખી સુન્દરીનું હૈયું હિલોળે ચ્હડયું. તે પછી એનું અંગ રાસને હિન્ડોળે અજબ ઝૂલવા માંડ્યું. યૌવનને આંગણે પગ મૂકતી, સોળ-સોળ વસન્ત તરી ઉતરેલી, તે મન્દિરની માલણની પુત્રી હતી.

દુનિયાને ચક્વે ચ્હડાવતી કંઈ કંઈ યુવતિઓ નવરાત્રીની એ રાત્રીએ પોતે જ ચક્વે ચ્હડી હતી.

મન્દિરની વાડીમાં એક ચંપાનું ઝાડ હતું. બ્રહ્મચારી એ ઝાડ નીચે પોઢતા.

કુંજની ઘટા ઘેરી હતી ને વચ્ચે ન્હાનકડો કુંડ હતો. ફરતી ચાર-ચાર સ્થંભની પુરાણી સ્ફાટિક ચોકીઓ હતી. કુંડના કાંઠાની સ્ફાટિક ચોકીઓની દહેરીમાં આજે એ બ્રહ્મચારી સૂતા હતા.

ચોકીઓમાં રાતનાં અન્ધારાંઅજવાળાં આવી રમતાં.

મધરાતનો ચન્દ્રમા આભમાં લટકતો હતો.

આગલી રાતે અદ્ભુતો નિરખ્યાં હતાં ત્હેમનાં ચિન્તન-ચગડોળે બ્રહ્મચારી ચ્હડ્યાં હતા, એટલે મધરાત થયે પણ હજી ઉંઘ્યા ન હતા. પડતી રાતનાં દર્શનોનું પુનર્દર્શન કરતા, કુંડમાંના તરવરતા તારાઓ ગણતા, આકાશના ચન્દેરી પડદાઓની પાછળનું અણદીઠું નિહાળતા બ્રહ્મચારી પડ્યા હતા. સ્મરણપ્રસંગોની પૃથ્થકરણ પાંખડીઓ છૂટી પાડતા પાડતા મધરાતે યે તે જાગતા હતા.

મન્દિરઆરતીના ઘંતારવ પેઠે એક જ પ્રશ્નટંકાર એમના હૈયામાં ગાજતો; માનવી શું એકપંખાળો જ રહેશે? રસિકતાની ને પવિત્રતાની બે પાંખે ઉડતા પંખીરાજ કેમ વિરલા છે જગતમાં?

સંસારપ્રશ્નો સ્હમજવા કપરા છે, સંસાર પ્રશ્નોના ઉકેલ એથી યે કપરા છે. પણ આત્માના પ્રશ્નો તો સૌથી કપરા છે.

સરિતાના તાગ ઘણાએ લીધા છે. સાગરના તાગ કોઇકે યે લીધા છે. આસ્માનના તાગ લે તે આત્મપ્રશ્નોના ઉકેલ ઉકેલે.

એ કપરા પ્રશ્નોનો ઉકેલ ઉકેલતા બ્રહ્મચારીજી પડ્યા હતા. ઉપર ચન્દ્રમા ચન્દની ઢોળતો ને પત્રઝૂમખો ચમ્મર ઢોળતો. નીચે કુંડનાં જળ એમની છબિ ઝીલતાં.

લોક કહે છે:

પહેલે પહોરે સબ કોઈ જાગે, બીજે પહોરે ભોગી,
ત્રીજે પહોરે તસ્કર જાગે, ચોથે પહોરે જોગી.

રાત્રીનો એ ત્રીજો પ્રહર મંડાતો હતો.

ચન્દ્રમા નમ્યો ને દેહરીના છત્રની છાયા ઓસરી. બ્રહ્મચારીના વદનચન્દ્રે ચન્દ્રની ચન્દ્રિકા પ્રકાશી રહી.

દહેરીને પગથારે એવે એક છાયા પડી ને ઉડી ગઇ. બ્રહ્મચારીએ ધાર્યું ચન્દનીમાં ઉડતી ચન્દ્રઘેલી રકોરીનો પડછાયો હશે.

ફૂલભારે લચી જતી ફૂલછોડની ડાળી લહરી આવ્યે નમે ને પાછી ઉપડે એવી ક્ષણેક એ છાયા પડીને ઉડી ગઈ. ન દીઠા જેવું બ્રહ્મચારીની દૃષ્ટિએ દીઠું, ન વિચાર્યા જેવું બ્રહ્મચારીના દિલે ચિચાર્યું.

ચોકીના સ્થંભનો એક એકલવાયો છાયાસ્થંભ દેહરીની વચ્ચે પડતો. બાકીના ત્રણ સ્થંભના ત્રણ છાયાસ્થંભો કુંડનાં પગથિયાં ઉપર પડતા, ને ન્હાનકડો તરપોળિયો રચતા.

નીરવ પગલે ચન્દ્રકિરણો પાંદડાંઓનાં ઝૂમખાઓમાં રમતાં ને જગતને રમાડતાં.

દહેરીમાં એ એકલવાઈ સ્થંભછાયા લગ્નકીધાં દંપતી સમી ઘડીક પછી સજોડ થઈ; ને ક્ષણેક પછી ત્રિશૂળના ત્રણ ફણગા એ સ્થંભછાયામાંથી ઉગી નીકળ્યા. બીલીપત્ર સમી છાયાસ્થંભની ત્રણ પાંખડીઓ સ્ફાટિક દહેરીના ચોકમાં પડતી.

બ્રહ્મચારી ચમક્યા કે આજે ચમત્કારોની રાત્રી છે કે શું?

આંખો ચોળી, પૂરી ઉઘાડી; નિદ્રાની છાયા તન્દ્રાને ય ત્યાગી. જોયું તો વચ્ચે મોરલાનો કલગીસોહન્તો કંઠ ને પડખે રતનજડી બે આંખો પ્રસરેલી દીઠી.

નજર ઠરાવી નિરખ્યું તો સોળે શણગાર સજેલી બે સુન્દરીઓ સ્ફટિકસ્થંભને બે પડખે બે પાંખો સમી ઉભી હતી.

બ્રહ્મચારી સાફળા ઉઠ્યા. વીજળી યે ધીરી વહે છે; એથી યે વેગવન્તા ભાવે પ્રથમ તો એવું કલ્પ્યું કે વ્રત-તપથી-બ્રહ્મચર્યના સંયમથી પ્રસન્ન થઈને નવરાત્રીની છેલ્લી રાત્રીએ ભ્રદ્રકાળી ને મહાકાળી, બે બિરદાળી જોગમાયાઓ, જાણે બિરદ આપવાને પધારી હોયને!

એમાંથી કે છાયા બોલી; બીજી અબોલ હતી. મોતીને દાણે દાણે જ્યોત ઝબકે એમ એને બોલે બોલે વિલાસના વર્ણો ઝબકતા.

'એ તો અમે છીએ. કોઈ દિવસ નહિ ને આજે અમારા રાસ સાંભળવાને મન્દિર પાળે આવી ઉભા ત્ય્હારનું મુખનું મરકલડું દીઠું: એનાં ન્હોતર્યાં આવ્યાં છીએ.'

બ્રહ્મચારીએ એને ઓળખી. મન્દિરની નવી માળણની એ પુત્રી હતી. નવી માળણ રસિયેણ હતી ને તેથી નવા પંચે જૂની ભાવિક માળણને રજા આપી નવી માળણને રાખી હતી. 'બધા ફેરફાર કંઈ સુધારા નથ હોતા.' એવું આ થયું હતું.

મા જેવી પુત્રી હતી. સકલ લલિત કલાઓમાં તે પારંગત હતી. એના રાસની હલકની, એની પૂરી રંઘોળીની, એની ભરી ફૂલ મંડળીને નગરના રસિલા યુવકસંઘમાં ઘણી ઘણી વાતો ચર્ચાતી.

'અત્ય્હારે ક્યાંથી? શું જોઈએ છીએ?'

'ત્હમારૂં બ્રહ્મચર્ય. જૂવો, સાથે બ્રહ્મચારિણી છે:' કહી સંગાથી સહિયરને આગળ ધક્કેલી. અબોલ, ઉંડું ઉંડું થતી, જીવનપંખિણી એ પેલી મુગ્ધા હતી. 'એને તો હું દર્શને લાવી હતી : ચન્દનીમાં ચન્દ્રરાજનાં દર્શને.'

વયે સોળ વર્ષની યૌવના હતી, પણ અનુભવે તે છત્રીસ વર્ષની પ્રૌઢા હતી.

'ત્હમે મારૂં સર્વસ્વ માગો છો:' બ્રમચારીએ કહ્યું.

'ત્હમે તો સહુને સર્વસ્વ આપો છો. કાંઈ યે સંઘરો છો ક્ય્હાં જે?' નવમાળણની પેલી ચબાવલી કુંવરી બોલી.

અણકલ્પ્યા આ નવસંસારદર્શને મુગ્ધા તો ડધાઈ જ ગઈ હતી. એકલવાયી સારસી સમી હૈયું ભૂલીને દર્શનમૂર્છામાં તે ઉભી હતી.

ધમધમ કરતી, દુન્દરીના ઘૂઘરિયાળા ચરણાની સુકુમાર રમઝટે ગાજતી, રાત્રી રાણી આ અદ્ભુતો નિહાળતી નિહાળતી બ્રહ્માંડવનની ચન્દનીમાં વિહરતી હતી. કેટલાંકને સાંભળવે આશ્ચર્ય થશે: પણ આવાં આવાં કંઈ કંઈ આશ્ચર્યો રાત્રી રાણી નિત્યે ને નિત્યે નિરખે છે ને હૈયામાં સંચે છે. રાત્રી રાણીના વિશાળા હ્રદયભંડાર ક્યહારે ય જો ઉઘડે તો જગત એક વેળા તો મોહમૂર્છાથી યે વડેરી આશ્ચર્યમૂર્છામાં પડે.

તારાઓ યે આઘેના સૂર્ય છે. સૂર્ય સમા એ કેમ ઝળહળતા નથી ? ને ઝંખવાય છે? કારણ એ પણ કેમ ન હોય કે રાત્રી રાણીના અન્તર્લેખ વાંચી-વાંચીને એ ઝંખવાતા હોય?

'બાળાઓ ! જાવ. આ તો બ્રહ્મચારીની દ્‌હેરી છે.'

એ શબ્દે ક્ષણેક ચન્દની યે થરથરી.

'આ યે બ્રહ્મચારિણી છે, માટે બ્રહ્મચારીની દ્‌હેરીએ પધારી છે.' એ કલારસિયેણ યુવતિ ઉચ્ચરી.

એ તો ન્હાસી જ ગઈ; મુંગી, અબોલ, કંઈ કંઈ હૈયાછોળો ઉછાળતી, પાંખો જેવો પાલવડો ઉડાડતી એ મુગ્ધા તો ન્હાસી જ છૂટી. ક્રોધ કે તિરસ્કાર કરવા કાજે યે એને આ પ્રસંગ અજુગતો લાગ્યો. એનાં સંસારના સ્વપ્ન નિરાળાં હતાં.

'ત્હમે તો સંસાર માગો છો: આ બ્રહ્મચારીની દ્‌હેરી છે:' કહી બ્રહ્મચારી છલંગ ભરીને કુંડના શીતલ જળમાં પડ્યા.

એ જળ ઉપર ચન્દનીનાં અમૃત તરતાં હતાં

પાછળ જળમાં કૂદી પદવા ક્ષણેક તો માળણ પુત્રીએ કચ્છ કસ્યો: પરાજ્ય એને એવો ડંખ્યો. પણ પછી ફરીથી વિમાસ્યું. હૈયુંઢીલું પડી ગયું, નિર્ણય ઓગળી ગયો, પૂર ઉતરી ગયું, અને મન્દિરને મંડપે દશેરાની દેવસ્વારીનો રથ શણગારવાને તે સિધાવી.

ચોકમાં ચન્દનીની પાટલીઓ વૃક્ષઘટાના છાયાપાટે માંડેલી હતી. જાણે ગણી-ગણીને એ પાટલીઓએ પગલાં માંડતાં તે ગણગણતી:

'એ બ્રહ્મચારી નથી, પરણેલા છે. કહે છે કે ત્રાંબા-પતરાના માદળિયામાં મૂર્તિ છે - એમની વહુની.'

ચોકમાં ચન્દની છલકાતી ભરાઈ હતી: મન્દિર ચોકમાં ચન્દનીનુંસરોવર ભરાયું હતું. મંહી એ પાય ધોતી જતી હતી.

'ખરેખર ! બ્રહ્મચારી કોઈકના પ્રેમમાં છે : પ્રેમમાં છે માટે જ અચળ ને અડોલ છે. મોહ તો રૂપનો ખરીદ્યો સરદાર છે; પ્રેમ ચક્રવર્તી રાજવી જેવા છે.'

ગગને ચ્હડીને જગત નિહાળતો ચન્દ્રમા એક આ સુણતો હતો.