ગ્રામજનતાનાં બાળકોને તો પોષણના, સ્વચ્છતાના, પહેરવેશના અનેક પ્રશ્નો ગૂંચવે છે. એમાંથી માર્ગ કાઢી વાતાવરણને અનુકૂળ જીવન ઘડતાં માતાપિતા–ખાસ કરીને માતાની સંખ્યા ગ્રામજનતામાં વધતી ચાલે એ ગ્રામોન્નતિનો મહા પ્રશ્ન આખી ગ્રામજીવનની કાયાપલટ કરવા સરખો છે.
પલટ
એ કાયાપલટનો મહા મંત્ર કેળવણી. શિક્ષણ એ સમગ્ર જીવનનું ઉચ્ચાલન છે. મનુષ્યને માનવતા અર્પનાર શક્તિ એટલે તાલીમ. કેળવણીના મધ્યબિંદુની આસપાસ આખા ગ્રામોદ્ધારની સામાજીક રચના ઘડી શકાય–જેવી રીતે કૃષિની આસપાસ આખી આર્થિક પુનર્ઘટના રચી શકાય એમ. કૃષિ અને કેળવણી એ ગ્રામોન્નતિનાં મહા ચક્ર. એ ચક્રને પૂરતી ગતિ મળે તો જ ગ્રામોન્નતિ સાધ્ય થાય
કેળવણી એટલે ?
બી. એ., એમ. એ., એલ.એલ. બી., બી. ઇ. કે એમ. બી. બી. એસ થવું એનું નામ કેળવણી? હા. એ કેળવણી ખરી. પરંતુ એનો મોટો ભાગ નિરુપયોગી, સ્વાર્થ સાધક અને સમાજવિરોધી નીવડે છે. સમાજરચનામાં કારકુને ય જોઇએ, વિદ્વાન પણ જોઈએ, વકીલ પણ જોઈએ, ઈજનેર પણ જોઈએ અને ડોક્ટર પણ જોઈએ. પરંતુ જે કેળવણી આપણા ગ્રામજીવનને વેગ આપતી ન હોય એ કેળવણી ગ્રામોન્નતિની દૃષ્ટિએ નિષ્ફળ નીવડે છે. ભણવા માટે સારા સારા બુદ્ધિશાળી ગ્રામયુવકો ગ્રામ–વાતાવરણની બહાર ચાલ્યા જાય છે, આસાયેશભરી કારકુની કે શીરસ્તેદારીમાં, તુમાખીભરી અમલદારીમાં, જુઠાણું અને તકરાર વધારતી વકીલાતમાં, મોટરકારમાં