નથી
ગ્રામોન્નતિની ધૂન હોય પરંતુ એમાં પ્રવેશ શી રીતે કરવો એ પ્રશ્ન ઘણી વાર ઊભો થાય છે. સેવાવૃત્તિ અને પોષણની ચિંતાનો અભાવ એ બે આવશ્યક લક્ષણોવાળી ધૂન હોય તો કેન્દ્ર-સ્થાપના કરી ગામડામાં બેસી જવું, અને તેમ ન હોય તો ગ્રામોન્નતિનાં અનેક પાસાંમાંથી એકાદને સહાયભૂત થવા માટે અંગશક્તિ, ધન અગર બુદ્ધિનો ઉપયોગ કરવો. સાચી ઉન્નતિ ઉપરછલી રમત નથી માગતી. ગ્રામોન્નતિ સાથે રમત ન જ થાય. ડોળ વગર, સાચા ભાવથી, જેટલી બને એટલી નમ્રતાપૂર્વક પ્રવૃત્તિ ગ્રામજીવન સાથે સંપર્કમાં આવીને કરવી એ સહુનું કામ બની જાય છે. હિંદની સર્વ શક્તિ, સર્વ બુદ્ધિ અને સર્વ લાગણીનો ગામડાંને ખપ છે. એને માટે પાત્રતા અને તૈયારી પણ જોઇએ. ગ્રામજીવનના પ્રશ્નોનો અભ્યાસ, ગ્રામજીવનમાં પ્રવેશવાની, તેમાં રહેવાની અગર તેમાં જવરઅવર કરવાની તાલીમ, ગ્રામજીવનની રસમય બાજુ ઓળખવાની અને તેને આગળ લાવવાની શક્તિ એટલું તો પ્રાથમિક પાત્રતા તરીકે ગણી શકાય.
એ પાત્રતા મેળવ્યા પછી કેન્દ્ર સ્થપાય તો તેમાં અને તે ન બને તો કોઈ ગામડાંને સંસર્ગ રાખી વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષનો સતત કાર્યક્રમ પોતાની રુચિ, શક્તિ અને ગામડાની પરિસ્થિતિનો વિચાર કરી ગોઠવી રાખવો. એ કાર્યક્રમમાં શિક્ષણ હોય, અંત્યજોદ્ધાર હોય, સ્વચ્છતા હોય, અને આર્થિક પુનર્ઘટનાનો વિષય પણ હોય; એમાં ખેતી, ગૃહઉદ્યોગ, બજારબંધારણ, સહકાર્ય, દેવાંનો અભ્યાસ કે નિકાલ જેવી બાબતો પણ હાથ ઉપર લેઈ શકાય. વળી સમાજસુધારણાની પ્રવૃત્તિમાં વ્યક્ત થતા કાર્યક્રમ પણ ઘડી શકાય, જેમાં ખોટાં ખર્ચથી ગ્રામજનતાને ઉગારવા મથન થાય અને લાંચરુશ્વત વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવી શકાય. રોગીની સારવાર, અને આરોગ્યરક્ષણ પણ મહત્ત્વનો કાર્યક્રમ બની