પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
164
ગુજરાતનો જય
 

રાણકીની બધી જ ઉત્તેજના ઊતરી ગઈ હતી.

એકલાં પડ્યાં ત્યારે જેતલદેવીએ તેજપાલને પૂછ્યું: “તમે મારા વીરમને બચાવવા અહીં ક્યાંથી પહોંચ્યા? તમે તો ચંદ્રાવતી ગયેલાને !”

"બા !" તેજપાલે મીઠી બનાવટ કરી, “તમારી શરત તો મારું નાક કપાવનારી બની. હું પાટણ પહોંચ્યો ને લવણપ્રસાદ બાપુએ મારી કનેથી બધી વાત જાણી એટલે પછી તો એ મારા ઉપર તૂટી જ પડ્યા, હો બા ! મને ન કહેવાનાં વેણ કહ્યાં. મને ધકેલીને પાછો વાળ્યો. મેં કહ્યું, હું કોઈ વાતે વામનસ્થલીના જુદ્ધમાં લડીશ નહીં. એણે કહ્યું કે લડીશ મા, પણ મારો વીરધવલ હારીને પાછો આવે કે મરે તો તું મોં બતાવવા પાછો આવીશ મા. આવી દશામાં મારે આવીને છુપાયા વગર છૂટકો હતો, બા? બાકી તમારી શરત તો મેં પાળી બતાવી છે. યુદ્ધમાં મેં એક કાંકરો પણ ફેંક્યો હોય તો કહો.”

“ભાઈ ! આજ માફી તો મારે તારી માગવી રહે છે. તું ફરી વાર મારા માજણ્યાને ઠેકાણે ઊભો રહ્યો. તું ન હોત તો હું ધોળકે જઈ મોં શું બતાવત?”

“બા, આમાં તો તમે જ સૌને ઢાંકી દીધા છે. મધરાતે હું એ મેડીમાં છૂપો ઊભેલો જ હતો ને તમારી લાગણીઓનું ઘોર જુદ્ધ જોતો હતો. તમારું જનેતાપણું ને તમારો રાજ્ઞીધર્મ, એ બેના ધિંગાણામાં જનેતા જેવા અવિજેય પક્ષને હાર મળી, એ તો ઇતિહાસમાં અધિકાઈ થઈ ગઈ. નહીંતર અમે બધા ધોળકે જઈ મોં કેમ બતાવત?”

“મારી તો કાંઈ ગણતરી જ નથીને!” એમ કહેતાં કહેતાં રાણા વીરધવલ આવ્યા, “મને બદનામી દેવા માટે જાત્રાના સંઘને રોકનારા એ રઢિયાળાને હવે કહેવરાવો કે અમે આંહીં જ છીએ, તેડી લાવો તમારા સંઘને.”

“એ બધું કરનારી તો મારી ભોજાઈ અનોપ જ છે. મને બધી ખબર પડી છે.” જેતલદેવીએ તેજપાલને નવા સમાચાર દીધા. સંઘની માંડવાળના અને વામનસ્થલીની ચડાઈના કારણરૂપી અનોપના બોલ જેતલદેવીએ તેજપાલને ને રાણાને પહેલી જ વાર સંભળાવ્યા.

તેજપાલ ઉપર, પત્નીની એ સુજ્ઞતા અને રાજનીતિજ્ઞતાના સમાચારની અસર કેવી પડી તે જાણવું કઠિન હતું. એનું મોં જરા લેવાયું. પાછું ઝળહળ્યું. ધોળકે પહોંચીને પહેલો અનોપને ગાલે આ દોઢડહાપણ બદલ એક તાતો તમાચો ચોડવો કે પહેલી એના ચરણોમાં માથું મૂકી વંદના દેવી, એ નક્કી થઈ ન શક્યું. પણ ધોળકાની પોરવાડ પોળનું એક ડેલું, એક સ્વચ્છ આંગણું, એક શ્યામ કાંડા પરનું કંકણકાવ્ય એને જાણે કે છાના સાદ પાડી પાડીને બોલાવવા લાગ્યું: એ કંકણાકાવ્ય આ હતું –