પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે જ માગણીઓ
337
 

ટુકડા.."

"પાંચ ટુકડા !" મોજુદ્દીન હસી પડ્યો; “માગી માગીને પાંચ પથ્થર માગો છો?”

“આપ આપો છોને?”

“બેશક, પણ - ”

“બસ બસ, નામવર, આપે આપ્યું તેટલું તો કદાચ ભવિષ્યમાં કોઈ નહીં આપે.” મંત્રીની આંખમાં આગાહીઓ ભરી હતી.

“આવી માગણીનો શો ભેદ છે? સમજાવો તો ખરા !”

“દિલ્હીપતિ, આપ મુસ્લિમ છો. પાંચ આરસ આપીને અવધિ કરી છે. એ પાંચેય ટુકડા મેં અમારાં પાંચ મંદિરોમાં પધરાવવાની પાંચ પ્રભુપ્રતિમાઓ કોતરવા માટે માગેલ છે. એ પાંચ મૂર્તિઓના પથ્થરો બક્ષનાર સુરત્રાણ અમારી મૂર્તિઓને કેમ ભાંગશે !”

હુક્કાની નળી સુરત્રાણના હાથમાં રહી ગઈ. એણે આછું સ્મિત કર્યું ને કહ્યું: “પાજી દીવાન, તને માગતાં આવડે છે.”

"ને આપને આપતાં આવડે છે, નામવર !”

"પણ હવે તો કાંઈક તમારા માટે માગો - તમારાં બેટા-બેટી માટે.”

“આ બે વાતોમાં એ તમામ આવી ગયું, નામવર ! મારા ભાઈ, ભત્રીજા અને બેટા-બેટીઓને તો ગુર્જરધરા અને ગુર્જરીસાગર જે જોઈએ તે આપે છે. કોઈપણ કમીના નથી. આજે તો હું અને આપ બેઉ નિહાલ થયા. ભાવિમાં તો કોણ જાણે શું લખ્યું હશે ! અને હવે તો મારે આપને આપની એક થાપણ પાછી સોંપવાની છે.”

“એ વળી શું છે?”

“એક જીવતું માનવી છે. આપે ગુજરાત પર જાસૂસી કરવા દેવગિરિ દ્વારા મોકલેલી એક ઓરત.” મંત્રીએ ચંદ્રપ્રભાવાળી વાત કાઢી.

“એ હજુ જીવતી છે?”

"હા – અને અમારી જનેતા અને બહેન જેવી રખાવટ સાથે.”

“ક્યાં છે?”

“અમારા અગ્નિજાયા પરમારોની ખિદમત નીચે આબુ ઉપર.”

“એનું આંહીં શું કામ છે? અમારા પ્રત્યે બેવફા બનીને તમને ચેતવનાર એ જ હતીને?”

“નામવર મને ક્ષમા કરે, પણ એ આપને બિલકુલ બેઈમાન નથી બની.”