પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
352
ગુજરાતનો જય
 

“શાની રજા? ક્યાં જવું છે?”

“શત્રુંજય પર.”

"કેમ?”

“હવે આ દેહનો ભરોસો નથી. પ્રભુના ચરણોમાં જ આવરદા પૂરી થાય એ ઇચ્છા છે. મનમાં એક વાત રહી ગઈ છે તે કહેવા માગું છું: “રાજના અમારી પાસે સત્તાવીસ લાખ દ્રમ્મ લેણા પડે છે.”

“તે હું માગીશ એવી કોઈ શંકા રહી છે? કહો તો હું ખાતું ફાડી નાખવા તૈયાર છું.”

"ના, પ્રભુ ! દ્રમ્મનો તો શો પ્રશ્ન જ છે ! દ્રમ્મ તો બાહ્ય વસ્તુ છે, પણ આ દેહ જ તમારે દાણે બંધાયો છે, તેનું ખાતું કોણ ફાડી દેશે ! એ ચૂકવવા તો ફરી જન્મ લેવો જ રહ્યો છે. ને પ્રભુચરણે એ ભાવવા જ જાઉં છું કે નવો અવતાર અહીં જ મળે. આપનો મને કશો ભય નથી, પણ મારો કાળ નજીક છે.”

મહારાજનાં આંસુ ખાળ્યાં ન રહ્યાં. તેમણે મંત્રીને વિદાયનું બીડું આપ્યું.

સર્વને ખમાવી, સર્વનાં આંસુઓનું ભાતું બાંધી વસ્તુપાલે વિપુલ માનવસંગાથ સાથે વિદાય લીધી. મહારાજ પોતે અને નાગડ મંત્રી છેક મંડલિકપુર સુધી વળાવવા ગયા.

“બસ, પ્રભુ !” મંત્રીએ હાથ જોડ્યા, “રાજકાજ ખોટી થતાં હશે. પાછા વળો.”

મહારાજ સામા હાથ જોડીને બોલ્યા: “હું તો તમારું બાળક છું. મને જે કંઈ છેલ્લી આજ્ઞા દેવી હોય તે દો.”

“આજ્ઞા તો શું આપું? હું તો પ્રજાજન છું. પણ મને એક વસવસો રહી જાય છે – આ મારા અનાથ સાધુઓને વ્રતધારીઓને કોઈક સંતાપશે તો."

“આપ ખાતરી રાખજો કે હું જીવતે કોઈ નહીં સતાવે.”

“તો બસ, ઘણું ઘણું આપ્યું ગણીશ. હવે પાછા પધારો.”

જુદા પડેલા વસ્તુપાલ આગળ વધ્યા, એક જ સૂક્તિ તેના કંઠમાં રમતી હતીઃ

न कृतं सुकृतं किंचित् सतां संस्मरणोचितम् ।
मनोरथैकसाराणामेवमेव गतं वयः ॥

[અહો ! સત્પરુષોનાં સ્મરણને લાયક એવું એક પણ સુકૃત્ય થઈ શક્યું નહીં. આયુષ્ય એમ ને એમ જ ચાલ્યું ગયું.]

અંકેવાલિયા ગામે પહોંચતાં જ એમણે પોતાની સાથે વિહાર કરતા સાધુને વિનંતી કરીઃ “ગુરુદેવ ! હવે મને અનશનની અગડ આપો.”