પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલંક ને ગૌરવ
29
 

ખબરઅંતર પૂછ્યા.

"મદન મરી ગઈ.” લવણપ્રસાદે જવાબ દીધો.

“ક્યારે?”

"બે વર્ષ પર, ને વીરધવલ એક ઠેકાણે ઊછરે છે.”

“હમણાં બહાર કાઢીશ મા. સુરત્રાણનો ભો જબરો છે.”

“હું આપની રજા લેવા આવ્યો છું.”

“ક્યાં જવું છે?”

“ધોળકે જઈને રહીશ.”

"પછી આંહીંની ટંટાળ કોણ કરશે?”

"ટંટાળ તો હવે શી બાકી રહી છે?”

“કેમ?”

"મંડલેશ્વરો તમામ પોતપોતાનું દબાવીને બેસી ગયા છે. આટલાં વર્ષ એ કાંઈ આપણી વાટ જોઈ બેઠા રહે એવા મૂર્ખ થોડા જ છે!”

“મૂઆ ! મરવા દેને, ભાઈ! જે છે તેટલું જ નિરાંતે ભોગવવા દેને ! એ તો ઠીક, પણ લવણપ્રસાદ, તને ઝવેરાતનો કેવોક શોખ છે? સ્તંભતીર્થના આરબો અસલ ચીજ રાખે છે, હો!”

"હા, મહારાજ ! મેં જોયું કે સ્તંભતીર્થનો આરબ વહાણવટી સદીક સવારે જ આપની સેવામાં આવી ગયો. અમારો ભેટો રાજગઢના ચોગાનમાં જ થયો. એણે મને કહ્યું કે પેટમાં દુખતું હોય તો મારી પાસે ઊંચી જાતના અજમા છે.”

“એ વળી શું?”

“એમ કે ગુજરાતની લૂંટ કરવામાં હું એની વચ્ચે ન આવું તો મને એ ઝવેરાતથી શણગારવા તૈયાર છે."

“એને બહુ છેડવા જેવો નથી. સાચવી લેવા લાયક નંગ છે એ, હો રાણા!”

“પાટણના સર્વોપરી બારા સ્તંભતીર્થનો એ જલમંડપિકા (તરી માંડવી જકાત) અને સ્થલમંડપિકા (ખુશકી જકાત)નો કેટલાં વર્ષોથી ઇજારદાર છે ને રાજને શું આપે છે તે આપ જાણો છો?”

“કાંઈ જાણવાની જરૂર નથી, ભાઈ, જે આપતો હોય તે આપણું સમજને અત્યારે એ આરબોને ને યવનોને સતાવવા જેવું નથી. દિલ્હીનો સુરત્રાણ ચિડાશે નાહકનો!”

"મહારાજા મહારાજા” લવણપ્રસાદની મૂછો શાહુડીનાં પિછોળિયાંની જેમ છમકાર કરતી ઊંચી થઈ રહીઃ “પાટણનો ધણી નથી બોલતો આ. ગુજરાતની