પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહાપાપનું પ્રાયશ્ચિત્ત
39
 

પરિચિત લાગી. એમણે છોકરાઓ પ્રત્યે અકળ એક આકર્ષણ અનુભવ્યું. પણ બોલ્યાઃ “હૈયું હવે ફૂટી ગયું. ક્યાંય જોયા સાંભરતા નથી.”

“આપે તો એમને એમના જન્મથી પણ પહેલાં જાણેલા છે, સૂરિજી!” કુમારદેવે ગુજરાતમાં ચલણી બનેલા એક બનાવની યાદ આપી.

સૂરિજી કાંઈ સમજી ન શક્યા.

“આપના ભાખેલા ભાવિનાં આ બેઉ ફળો છે, રત્નકુક્ષી વિધવાના જાયા”

"કુંઅરબાઈના ને આસરાજના? અહો ! આવડી બધી વાત ભૂલી જવાઈ!” કહીને સૂરિજીએ ઘડીભર આંખો બીડી. વર્ષો પૂર્વે માલાસણ ગામના અપાસરાનું એક પ્રભાત તરવર્યું. શિષ્ય વ્યાખ્યાન વાંચે છે, અને પોતે પાસે બેઠાબેઠા એ શ્રોતાજનોને મોખરે બેઠેલી એક સુંદર સુકુમાર કુલીન યુવતીનાં સામુદ્રિક ચિહ્નો ઉકેલી ઉકેલી આનંદ પામે છે. વ્યાખ્યાન વીખરાય છે, યુવતી ચાલી જાય છે. પોતાના મન પર પણ પરદો પડી જાય છે, એ પરદો ઉપાડનારો કંગાલ યુવાન શ્રાવક આસરાજ આવી ઊભો રહે છે, ને ત્યાગીનાં નયનોમાં ક્યો વિકાર વ્યાપ્યો હતો તે પૂછે છે. પોતે એને કહે છે, કે એ કન્યાના પેટમાં રત્નો છે. કન્યા વિધવા છે એવું જાણ્યા પછી પણ પોતાના ભાખેલ ભાવિ-બોલને વળગી રહે છે... અને યુવાન આસરાજના અંતરમાં જાગેલા પ્રેમને વધાવી લે છે.

એના પુત્રો !

આંખો ઉઘાડીને ધારી ધારી નિહાળ્યા.

સાધુનું સમત્વ પણ આનંદની લાગણીના ઝંકારે પુલકિત બન્યું.

વિજયસેનસૂરિને સમજ ન પડી. એ તો હજુ ચકિત સ્થિતિમાં ઊભા હતા.

વેદનાને વેધતા માંદા મુનિનો હાથ માંડમાંડ ધ્રુજતો ને લોડતો, આખા શરીરનું જોર શોષી લેતો ઊંચો થયો.

કુમારદેવે એ બેઉ બાળકોનાં માથાં એ સાધુના હાથ નીચે મુકાવ્યાં. હાથ થોડી વાર તેજિગના ને થોડીક વાર વસ્તિગના લલાટ પર, જીવલેણ શ્રમ ઉઠાવતો ઉઠાવતો સ્પર્શ કરી રહ્યો. અને વૃદ્ધ સૂરિની આંખો કોઈ શાસ્ત્ર કે પોથી પર કદી જે મમતા ને આશ્ચર્ય સાથે નહીં ફરી હોય તેવી મમતા ને તેવી તાજુબીથી આ છોકરાઓના ચહેરા પર ફરવા લાગી.

"માતાજી ક્યાં છે?” એમણે મુશ્કેલીથી પૂછ્યું, “એક જ વાર એને દીઠી હતી.”

"મંડલિકપુર.”

“પિતાજી?”