પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
10
પારકી થાપણ

દાઢીવાળો પરોણો આવીને ચાલ્યો ગયો તે રાત્રિથી દિન-પર-દિન બાળ વીરુ પોતાની માને, અને પોતે જેને પિતા ગણતો હતો તે દેવરાજ પટ્ટકિલને પોતાનાથી શરમાતાં ને સંકોડાતાં જોતો હતો. આવીને ચાલ્યા ગયેલા અજાણ્યા મહેમાન પ્રત્યે બાળકના અંતરમાં કોઈ નિગૂઢ આકર્ષણનું લોહચુંબક તાણાતાણ કરતું હતું. આથી વધુ કશું જ્ઞાન એને લાધ્યું નહીં. એ દિવસે દિવસે ઊંડા ને ઊંડા દિલનો બનતો ગયો. ખેતર જ લગભગ એનું ઘર બની ગયું. અનિચ્છાએ જ એનાં પગલાં સંધ્યાકાળે ઘર ભણી વળતાં.

ઘરનાં સ્ત્રી-પુરુષ કળી ગયાં કે બાળકના અંતરમાં ઊંડી કોઈ સમજણ અકલિત રીતે ઘર કરી રહી છે.

એમ કરતાં છએક વર્ષ ચાલ્યાં ગયાં. વીરુ વીશ વર્ષનો જોધાર બન્યો. બળદોની રાશ એના હાથમાં એવી શોભતી કે આખી સીમના છોકરાને એની ઈર્ષ્યા થાય. ધનતેરશને દિવસે ગાડાં દોડાવવાની શરતમાં એ સૌની મોખરે ગાડું કાઢી જતો. એના વિવાહનાં થોકબંધી માગા આવતાં. દેવરાજ પટેલ એ તમામ માગાંને એક અથવા બીજે બહાને પાછાં ઠેલતો. એની ખેડ પ્રત્યેક ખેતરને ગાદલા જેવું કરી મૂકતી. એ બોરડીનાં જાળાં ખોદવા વળગતો ત્યારે એની કોદાળી પરોડથી સાંજ સુધીમાં તો સોથ વાળી દેતી.

પણ ખેતી કરતાં કરતાં એનામાં એક નિગૂઢતા ચાલુ જ રહી હતી. શેઢે નીકળતો હતો ધોળકાનો ધોરી માર્ગ. વટેમાર્ગુઓ એની વાડીની ઘટા દેખી બપોરા ગાળવા થોભતા ત્યારે એને પોતે પૂછી પૂછીને જ્ઞાન મેળવતોઃ પાટણમાં રાજ કેવું ચાલે છે? આટલાં બધાં લોકો સરસરંજામ ને ઘરવખરી ભરીને ધોળકે કેમ ચાલ્યા જાય છે? પાટણમાં ચોરી ને લૂંટફાટોનો આટલો બધો પોકાર ક્યાંથી વધી પડ્યો? લશ્કર કેમ નથી? રાજની આવક શાથી ઘટી ગઈ છે? ગરજનના ને દિલ્હીના યવનો, હવે હલ્લા કરે છે કે નહીં?

દિન-પ્રતિદિન એની દૃષ્ટિ સામે ધોળકા જતી વણજારો ચાલુ હતી. પથ્થરો