“તમને વગાડી બેસું તો!”
“તો શું થઈ ગયું? ઘાબાજરિયું બાંધશું?”
“ના ના!” વીરુ થરથર્યો.
“હાં !" બાપે મર્મપ્રહાર કર્યો, “એમ કહે કે તને પોતાને જ છાંટો લોહી નીકળી પડવાની બીક છે !”
“એમ? તો હાલો ઊઠો.”
એવા ટોણા મારી મારીને એણે વીરુને ભાલે લડતાં શીખવ્યું ને પછી તલવારે ને કટારે. પણ એ વિશે ગામને કદી જાણ થઈ નહીં, અને વરુના ખમીરમાં બે તત્ત્વો વણાયાં – ખેડુપણું અને ક્ષત્રીવટ.
તે પછી પાછા દિવસો ગયા.
એક દિવસ પિતાસ્વરૂપ દેવરાજ ખરા મધ્યાહ્ને ખેતરે આવ્યો. વાડીના થાળાના પથ્થરે ઓશીકું કરીને સૂતો. બોરડી ખોદીને વીરુ જ્યારે બપોરે કૂવા પર આવ્યો ત્યારે પિતાની આંખોમાંથી ટપ ટપ ટીપાં દડ્યે જતાં હતાં. બહુ બોલવાને ન ટેવાયેલા વીરુએ પિતાના આણેલ ભાતનું ટીમણ લીધું ને પછી ચુપચાપ પિતાની પાસે બેઠો.
“ભાઈ, હવે કામ નથી કરવું. ચાલ ઘેર.” પિતાએ કહ્યું.
“કેમ?”
“એક મહેમાન છે.”
"મારું શું કામ છે?”
"તને તેડવા આવેલ છે.”
"ક્યાં?'"
"ધોળકે.”
"જોવા?”
“ના, સદાકાળ રહેવા.”
વીરધવલને સમજણ ન પડી. દેવરાજે કહ્યું: “રાણા ! આંહીં આવો.”
ગોદમાં એનું માથું ચાંપીને દેવરાજે રુદન શરૂ કર્યું. રુદન વધ્યું. એના ધ્રુસકાએ વાડીના કૂવામાં પડઘા જગાડી પારેવાંને ચમકાવ્યાં. પછી સારી પેઠે હૈયું ઠાલવીને એણે કહ્યું: “હમણાં જ તને બધી વાત કરું છું ભાઈ, તે પહેલાં એક વાર મને સામટું વહાલ કરી લેવા દે.”
પંપાળ્યો, પંપાળ્યો, ખૂબ પંપાળ્યો, માના ખોળે રમતો બાળ હોય તેવી મમતાના અંઘોળ એને માથે ને મોં પર કરી નાખ્યા, ને પછી કહ્યું: “વીરુ ! તારું