પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાંત વીરત્વ
71
 


“ભાઈઓ !” પેલા ખેસ ઉછાળતા વામનદેવે ઊભા થઈ, ફરી એક વાર ખેસનાં છોગાં ઉલાળી, છાતી ને ખભા પર બેચાર વાર ખેસ ગોઠવતે ગોઠવતે કહ્યું: “તમે સૌ જાણો છો કે મહાશય મહાસુભટ સાંગણમામાએ આપણને આંહીં શા માટે એકત્ર કરેલ છે – અરે નહીં, મારી ભૂલ થઈ, મામાને આપણે આંહીં શા સારુ નિમંત્રેલ છે. આપણા રાણાજી વીરધવલ મહારાજને ઘેર કુંવર અવતરેલ છે. અહીં મારે કહેવું જોઈએ કે રાણા વીરધવલ પોતે ભલે પોતાને મહારાજ કહેવરાવવાની ના પાડે, પણ આપણા તો એ મહારાજાધિરાજ જ છે. પાટણના એ વારસદાર છે. અને જેતલદેવીબા આપણાં મહારાણી છે. એમને કુંવર જન્મે એ તો વસ્તીનાં પરમ પુણ્યોનું ને આપણી દિવસરાતની પ્રાર્થનાઓ–માનતાઓનું ફળ છે. મેં પોતે જ મહારાણી જેતલબાને કુંવર ન જન્મે ત્યાં સુધી મિષ્ટનની બાધા રાખી હતી. તમે પણ સૌએ રાખી હશે. હવે આજે આપણે કુંવરપછેડો કરવાનો છે. સૌએ પોતાના અંતરના ઉમળકા આજે ઠાલવી નાખવાના છે. એક પછી એક બોલતા આવો ને હું લખતો આવું છું.”

એમ કહી એ માણસે એક તાડપત્રી કાઢી તેના પર લેખણ ચલાવી.

"નગરશેઠના...”

"લખો પાંચસો દ્રમ્મ.” એક ચિંતાગ્રસ્ત બેઠેલા પુરુષે રકમ કહી.

"નહીં નહીં, વાત છે કાંઈ, શ્રેષ્ઠીજી! આ તો કાંઈ અંતરનો ઉમળકો કહેવાય? મામા જેવા લાખેણા પુરુષની પધરામણી કરાવ્યા પછી આમ ખડ શું ખાઓ છો, શેઠ?”

એમ કહીને એ ખસધારી વક્તા વામનદેવે મામા સાંગણ તરફ જોયું. મામાએ સહેજ, ઠરડી આંખ નગરશેઠ તરફ કરીને મક્કમ અવાજે ધીમેથી કહ્યું –

“એક મીંડું ચડાવી દો.”

"રંગ ! શાબાશ નગરશેઠ ! મામાએ તમારું મીંડું નહીં પણ ઈંડું ચડાવી દીધું. હાં, બીજાઓ હવે બોલતા આવો.”

પણ પછી તો એ ગૃહસ્થ કોઈ કરતાં કોઈને બોલવાની તક આપ્યા વગર પાંચસોના પાંચ હજાર, સોના હજાર, પચાસના પાંચસો એમ મીંડાં ચડાવતે ચડાવતે ટીપ લંબાવ્યે રાખી.

એ વખતે મેડીના દાદર પર એક માણસે માથું કાઢ્યું. તેની છાતી, કમ્મર, પગ વગેરે જેમ જેમ દેખાતાં ગયાં તેમ તેમ એ પૌરુષની પ્રતિમા જેવો ભાસ્યો. ફક્ત એ પૌરુષમૂર્તિ પર વસ્ત્રો જાડાં હતાં.

"આ આવ્યા, મંડલિકપુરવાળા તેજપાલ શેઠ. મોડું કેમ થયું, શેઠ? મામા