પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આને અંધશ્રદ્ધા કહી ન શકાય, કારણ કે પોતાની શ્રદ્ધાનો એ પ્રત્યક્ષ ફાયદો પણ અનુભવે છે. તે દ્વારા તેની કેટલેક અંશે ચિત્તશુદ્ધિ થાય છે; સંસારની દ્વંદ્વો સહન કરવાની શક્તિ મળે છે; શાંતિ, આનંદ અને ઉત્સાહ પણ અનુભવે છે. અંધશ્રદ્ધા તેને ગણાય કે જે શ્રદ્ધાને પોતે સમજાવી શકતો નથી, જેના ફાયદા પોતે અનુભવ્યા નથી, પણ જે છોડતાં ભવિષ્યનો કોઈ ફાયદો ખોવાની કે નુક્શાન થવાની ધાસ્તી લાગતી હોય, માટે જ તેને પોષતો હોય. પણ આ શ્રદ્ધાને મૂઢ શ્રદ્ધા કહી શકાય. મૂઢ શ્રદ્ધા અમુક હદ સુધી બુદ્ધિ અને ગુણોનો વિકાસ કરવામાં પ્રયત્નશીલ માણસોને ઠીક કામ આપે છે. પણ જો માણસ પ્રયત્નશીલ ન હોય, તો તે તેને બુદ્ધિવાન હોય તો દંભી અને પાખંડી, અને બુદ્ધિવાન ન હોય તો જડ અને ઝનૂની બનાવે છે. જૂનાં શાસ્ત્રોના શબ્દોમાં મૂઢ શ્રદ્ધા ધરાવનારા, અપ્રયત્નશીલ, જડ અને ઝનૂની પૂજારીઓ, તેમ જ દંભી અને પાખંડી ફૅરિસીઓ તથા શાસ્ત્રીઓ, ઈશુનો વધ કરીને જ અટક્યા. અને તે જ ધાર્મિક ઝઘડા અને ઝનૂનની, તથા બીજા પ્રકારની માન્યતા ધરાવવાનું સાહસ કરનારને કરપીણ રીતે રંજાડવાની પરંપરા ખ્રિસ્તી ધર્મમાંયે ઊતરી.

હિંદુસ્તાનમાંયે શૈવ, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ વગેરે ધર્મપંથો એવી સ્થિતિમાંથી એક કાળે પસાર થઈ ચૂક્યા. અને આજેયે તે પરંપરા સાવ તૂટી ગઈ છે એમ ન કહેવાય.

પણ હિંદુસ્તાનમાં મૂઢ શ્રદ્ધાની ભૂમિકામાંથી પસાર થઈ ગયેલા અનેક હિંદુ-મુસલમાન સંતો થઈ ગયા. તેઓ જડતા