પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને દંભનો નાશ નથી કરી શક્યા. પ્રયત્ન ન હોય અને અજ્ઞાન હોય ત્યાં સુધી જડતા રહેવાની અને સ્વાર્થ હોય ત્યાં સુધી દંભ રહેવાનો. પણ હિંદુસ્તાનની સંસ્કૃતિમાંથી ઝનૂન અને ઝેર કાઢી નાખવામાં તેમણે ઠીક યશ મેળવ્યો કહેવાય.

ખ્રિસ્તી અને મુસલમાન ધર્મોએ તેમ જ હિંદુધર્મના જુદા જુદા સંપ્રદાયના અનન્ય ભક્તોએ હિંદુસ્તાનના હિંદુ તેમ જ મુસલમાન સંતો પાસેથી આ જ્ઞાન મેળવ્યે જ છૂટકો છે. તે વિના તેઓ સાધનાનું ફળ પ્રત્યક્ષ જીવનમાં અનુભવી નહિ શકે, અને મૂઢ શ્રદ્ધાની ભૂમિકામાંથી ઊંચા જઈ નહિ શકે, અને ધાર્મિક ઝઘડાઓનો ઉકેલ પણ નહિ લાવી શકે.

તાત્ત્વિક જ્ઞાન તથા સાંપ્રદાયિક જ્ઞાન એક નથી. તાત્ત્વિક જ્ઞાન અથવા આત્મા તથા ઈશ્વરનો જ વિચાર કરે છે, એને જ મહત્ત્વ આપે છે. સાંપ્રદાયિક જ્ઞાન ઈશ્વર તથા આત્માનો કાંઈક જ વિચાર કરે છે, પણ વધારે વિચાર ઈશ્વરના કોઈ એક ખાસ પ્રતિનિધિ અને તેના ગ્રંથોનો કરે છે, અને તેને જ વધારે મહત્ત્વ આપે છે. એ પ્રતિનિધિને ઈશ્વરનો અવતાર, પેગંબર, પુત્ર, પિતા (પુરુષરૂપ), માતા (સ્ત્રીરૂપ), સગુણ, સરૂપ કે વાણીરૂપ કહે, તેનો ઈશ્વરથી અભેદ માને કે ભેદ માને - બધામાં સાંપ્રદાયિક મનુષ્યનું ધ્યાન ઈશ્વર અને આત્મા કરતાં તેના પર જ વધારે ચોંટેલું રહે છે. 'मारे माटे પ્રભુને પહોંચવાનું આ જ શ્રેષ્ઠ દ્વાર છે' એટલું જ તે માનતો નથી, પણ 'सौ कोईने माटे પ્રભુને પહોંચવાનું આ જ એક દ્વાર છે'